Maun Dhyan Sadhana Shibir – 13 – Vanchan 4

2 Views 32 Min Read

ભીલડીયાજી મૌન સાધના શિબિર – ૪

મહામહોપાધ્યાય યશોવિજય મહારાજાએ સવાસો ગાથાના સ્તવનની ત્રણ કડીઓની અંદર સ્વાનુભૂતિ માટેની એક સાધના ત્રિપદી આપી. પરરસમાંથી મુક્તિ, ઉપયોગનું પરમાં ન જવું અને ઉપયોગનું સ્વમાં સ્થિર થઈને રહેવું.

સ્વાનુભૂતિ અઘરી નથી. સ્વાનુભૂતિ માટેની તીવ્ર ઝંખના જોઈએ. મહોપાધ્યાયજીના એક પદમાં એમણે બતાવ્યું કે સ્વાનુભૂતિ માટેની ઝંખના કેવી હોય. પદનો ઉઘાડ છે. “ચેતન અબ મોહે દરિશન દીજે” “ચેતન અબ મોહે દરિશન દીજે”.. જે નિર્મલ ચૈતન્ય હવે તો દર્શન આપ. અબ શબ્દ વાપર્યો છે. અબ મોહે દરિશન દીજે. અગણિત જન્મોથી તારા દર્શન માટે વ્યાકુળ છું. તપ, જપ, ક્રિયા, સાધના બધું જ તારા સાક્ષાત્કાર માટે જ કર્યું છે. અબ મોહે દરિશન દીજે. હવે તું મને દર્શન આપ. ક્યાં સુધી તું મારાથી દૂર રહીશ. આ ઝંખના આવી ગઈ. સ્વાનુભૂતિનો માર્ગ સરળ છે. તમે ચાલો સ્વાનુભૂતિને પામી લો.

એમણે જ એક બીજા પદમાં સરસ વાત લખી છે, ‘પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા, નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છુરા’ ‘પરસંગ ત્યાગ લાગ નિજ રંગે’ – એકવાર પરનો સંગ છોડી દો. માત્ર બહારથી નહિ, ભીતરથી પણ… અને તું તારી પોતાની ધારામાં વહેવા લાગ. એ ધારાનો પ્રારંભ કેવો હશે. આનંદ વેલી અંકુરા – આનંદની વેલડી માટે અંકુરા જેવું છે. પણ એ જ અંકુરો ઝડપથી ફળમાં ફેરવાશે. અને એ ફળનો રસ તમને પીવા મળશે. એક મજાની વાત કરું… સ્વાનુભૂતિ સરસ હોય, સરસ હોય એવી વાત દરેક સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો કહેતાં આવ્યા છે.

જયઘોષસૂરિ દાદા ને પૂછતાં તો એ પણ એ કહેતાં કે માત્ર સ્વાનુભૂતિ માટે પ્રયત્ન કરો. તો આપણને એમના શબ્દો ઉપર શ્રદ્ધા છે. આપણે એટલું નક્કી કરીએ, for a chance… ચાલો એક તક લઇ લઈએ… સ્વાનુભૂતિનો આસ્વાદ લઇ લઈએ… મજા આવી તો ઠીક નહીતર છીએ ત્યાં છીએ… ૨ વાત છે. સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોના ચહેરા ઉપર ઉભરાયેલો આનંદ તમે જુઓ ને તો પણ તમને થાય કે આ આનંદ વિનાનું જીવન બિલકુલ meaning less છે. અને પછી એમના શબ્દો મળે.. કે ભાઈ આ જન્મ તને સ્વાનુભૂતિ માટે જ મળ્યો છે. હવે તમે પ્રયાસ શરૂ કરો. પરસંગ ત્યાગ.

આપણે ત્યાં ત્યાગ અને વૈરાગ્ય ૨ શબ્દો આવ્યા. અમારી પાસે પહેલા ત્યાગ છે. પ્રભુએ કીધું આ છોડો… આ છોડો… થોડું જે બાકી રહ્યું… એના માટે અનાસક્ત ભાવ આપી દીધો. કે આજે થોડું પણ તારી પાસે છે, શરીર માટે જરૂરી; એમાં પણ તારી આસક્તિ ન જોઈએ. તો તમારો પ્રયત્ન આવો હોઈ શકે. ઓછામાં ઓછા કપડા, ઓછામાં ઓછી સામગ્રી અને એ રીતે મારે જીવવું છે. બોલો શિબિરમાં આવ્યા, બીજી બધી મજા તો ઠીક છે, પણ કપડાને પસંદ કરવાની ઝંઝટ કેટલી જતી રહી… નહિતર શું પહેરું? એ વિચારમાં જ અડધો કલાક નીકળી જાય.

તો ત્યાગ થયો. સામગ્રીઓ ઓછી જોઈએ છે. પછી એમાં અનાસક્તિ આવી ગઈ. તો પરસંગ ત્યાગ લાગ નિજ રંગે…. હવે તારી ધારા શરૂ થશે… અનાસક્ત દશા આવી એટલે આપણી ધારા શરૂ થઇ. એ કેવી છે… આનંદવેલી અંકુરા – આનંદની વેલડી માટે અંકુરા જેવી… પણ તમે એ માર્ગે થોડા કદમ ભરો છો… speed એટલી વધી જાય છે… કે અંકુરાને ફળમાં બદલાતા વાર લાગતી નથી. ભગવદ્ ગીતામાં ૨ statement આવ્યા છે. પહેલી નજરે ૨ statement એકબીજાના વિરોધી લાગે. પણ વિરોધી નથી. એક statement આવ્યું, “उद्धरेत् आत्मना आत्मानम्” – તારી જાતે તારો ઉદ્ધાર કર. અને બીજા statement માં કહેવાયું, “तेषाम् अहं समुद्धर्ता” – હું પરમચેતના બધાનો ઉદ્ધાર કરનાર છું.

વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞાએ મજાનું સમાધાન આપ્યું, એમણે કહ્યું કે પ્રભુના માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા થઇ… એક ડગલું તમે ભર્યું, પરમચેતના તમને બાહોમાં સમાવી લેશે. તમારે માત્ર એના માટેની ઈચ્છા… એકાદ ડગલું ભરાય તો ભરજો… ન ભરો તો પણ વાંધો નહિ… બસ તમે ઉભા થયા એના માટે; પરમચેતના તમને બાહોમાં સમાવી લેશે. અને પરમચેતના તમને ઠેક સ્વાનુભૂતિ સુધી પહોંચાડી દેશે. તો speed વધી ગઈ. પ્રભુના હાથમાં આપણે આવી ગયા… speed વધી જ જાય ને…

તો હવે કહે છે, “નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છુરા” – નિજ અનુભવ – સ્વાનુભૂતિ એનો રસ મીઠો લાગે છે. પણ મીઠો એટલે કેવો… જેણે એ રસ ચાખ્યો નથી, એ તો પૂછશે. કેવો મીઠો… તો કહે છે… જિમ ઘેબર મેં છુરા… ઘેબર મોટું છે. એટલે ટુકડા કરવા માટે છરી અંદર નાંખવી પડશે. એ છરી ચાસણી થી કેવી લતબત થઇ જાય છે. એ જ રીતે તમારું અસ્તિત્વ આનંદથી બિલકુલ તરબોળ બની જાય છે. આ સ્વાનુભૂતિ આટલા દિવસ થયા… ઝંખના કેટલી પ્રબળ બની… ઘણા પત્રો આવે છે… આંસુ સાથે એ લોકો લખે છે… કે સ્વાનુભૂતિ મળવી જ જોઈએ સાહેબ અને ભીલડીયાજી માંથી જ સ્વાનુભૂતિ મેળવીને જવું છે. પ્રભુ તૈયાર… તમારી ઝંખના ૧૦૦%… પ્રભુએ કીધું ચાલ તને આપી દીધી. પ્રભુ તો મોક્ષ આપવા તૈયાર છે. મહોપાધ્યાયજી કહે છે… “શુદ્ધ ગુણ દ્રવ્ય પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાયે રે” જ્યાં આપણે શુદ્ધ દ્રવ્યનું ધ્યાન કર્યું… પ્રભુ કહે અહીં આવ… અહીં આવ… લે તને મોક્ષ આપી દઉં.

સ્વાનુભૂતિ પામવા માટેના ૨ માર્ગો છે. એક ભક્તનો માર્ગ. એક સાધકનો માર્ગ. બંને માર્ગો મજાના છે. ભક્તનો માર્ગ એ છે.. કે એ પરમાત્માનું દર્શન કરે છે. અને પરમાત્માની નિર્મળ ચેતનાનું દર્શન કર્યા પછી એનો આંશિક અનુભવ કર્યા પછી પોતાની નિર્મળ ચેતનાનો અનુભવ કરે છે. એટલે જિન ગુણ અનુભૂતિ દ્વારા, એ નિજ ગુણ અનુભૂતિ કરે છે. સાધક સીધો જ સ્વાનુભૂતિ તરફ જાય છે. પણ મંઝિલ એક જ છે. એટલે માર્ગ ૨ હોય તો પણ વાંધો નથી. આમ છે ને ભક્ત અને સાધકની વ્યાખ્યા બહુ મજાની થઇ છે. સાધક એ છે: જે ૯૯% પ્રભુને, પ્રભુની આજ્ઞાને સમર્પિત છે. ૧૦૦% સમર્પિત કેમ નહિ… તો કે ૧% એણે પોતાના પ્રયત્નનો બાકી રાખ્યો છે. ૯૯% પ્રભુ કરશે. ૧% તો હું કરીશ. અને એ બીજું કંઈ જ નથી. તમારી receptivity છે.

પણ જેની પાસે receptivity આવી ગઈ… એ ભક્ત થયો. હવે એ કહે છે કે ૧૦૦ એ ૧૦૦% પ્રભુ કામ કરશે, મારે કશું જ કરવાનું નથી. અને એટલે જ ભક્તો કહે છે.. “મુજ સરીખા મેવાસી ને, પ્રભુ જો તું તારે, તારક તું જાણું ખરો,જુઠું બિરુદ શું ધારે” પ્રભુ તે સુલસાજી ને તાર્યા, રેવતીજી ને તાર્યા… શ્રેણિકજી ને તાર્યા… એ તો તરે એવા હતા. મારા જેવાને તું તારે તો જ તું તારક છે. ત્યાં સુધી ભક્તનો વિશેષાધિકાર છે. જુઠું બિરુદ શું ધારે… મને જો તારે તારવો ન હોય… તો શા માટે તારક તરીકેનું બિરુદ લઈને બેઠો છે… એટલે ભક્તને કંઈ કરવું જ નથી. બેઠા છીએ મજાથી… અને એ જ લયમાં આગળ વાત ચાલે છે… કે સાધકને પ્રશ્નો બહુ ઓછા હોય છે. પણ થોડા પ્રશ્નો હોય છે. બહુ મજાની વાત છે. સાધકને કયો પ્રશ્ન થાય… સાધનામાર્ગમાં પણ.. સંસારનો પ્રશ્ન તો છે નહિ… પણ સાધનામાર્ગમાં પણ પ્રશ્ન કયો થાય… હું જે પડાવ ઉપર છું, એનાથી આગલા પડાવ ઉપર સાધનાના, હું કંઈ રીતે જઈ શકું? એના માટેનો પ્રશ્ન હોય, એના માટેનો વિચાર હોય. ભક્ત સંપૂર્ણ તયા સમર્પિત છે અને એટલે એનો કોઈ પ્રશ્ન જ નથી. સદ્ગુરુના ચરણોમાં બેઠેલો છે. સદ્ગુરુ જે વખતે જે આજ્ઞા આપે… એનો સ્વીકાર છે. એટલે તમે ભક્ત છો… you have no question. તમે સાધક છો, તો એકાદ નાનકડો પ્રશ્ન હોઈ શકે… નાનકડો વિચાર….

ઝેન કથા છે: ૧૦૦૦ એક વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મના ગુરુ બોધિ ધર્મ ચીનમાં ગયેલા… ત્યાં એમણે ધર્મનો ફેલાવો બહુ જ કરેલો… છેલ્લે મૃત્યુ વખતે એ ભારત આવ્યા ચીનથી અને ભારતમાં એમને સમાધિ લીધી. આ ૧૦૦૦ વર્ષ પહેલાંની ઘટના. ૫૦ એક વર્ષ પહેલાં એક બૌદ્ધ ભિક્ષુએ આ ઘટના વાંચી. વાંચ્યા પછી એમને સવાલ થયો કે બોધિ ધર્મ ગુરુ ચીનમાં આટલા પ્રભાવશાળી હતા… એમણે ચીનમાં જ દેહનો ત્યાગ કર્યો હોત, તો ત્યાં સમાધિ મંદિર રચાત. હજારો લોકો ભારતથી પણ ત્યાં જાત. અને ચીનની અંદર પણ એમની સાથેનો નાતો જળવાઈ રેત… તો શા માટે ગુરુ ત્યાંથી અહીં મૃત્યુ માટે આવ્યા… એને ગુરુને પૂછ્યું – ગુરુ કહે છે, હું એકાંતમાં હોઉં ત્યારે મને પૂછજે. સારું… હવે આટલા મોટા ગુરુ બહુ વ્યસ્ત હતા… સાંજે ૬.૩૦ – ૭ વાગે રૂમ બંધ કરી નાંખે, ધ્યાનમાં જવા માટે… દિવસે વ્યસ્ત હોય, પેલાના મનમાં પ્રશ્ન સળવળે છે. કેમ આમ થયું… હવે ગુરુ તો મળતા નથી. પણ પ્રશ્ન અંદર એકદમ ઉત્પાત મચાવે છે. ત્યારે એને થયું સવારે ૫ વાગે ગુરુ morning walk માટે જાય છે, હું એમની સાથે જોડાઈ જાઉં… ત્યાં એકલા હોય ત્યારે પૂછી લઉં.

બીજી સવારે ગુરુ morning walk માટે નીકળ્યા… આને પૂછ્યું સાહેબ તમારી જોડે આવું… તો કહે કે ચાલ… ત્યાં આણે આ સવાલ કર્યો કે સાહેબ… મેં આપને પૂછ્યું હતું, બોધિ ધર્મ ગુરુ ચીનમાંથી અહીં આવીને મૃત્યુને કેમ વર્યા? ગુરુએ એટલું જ કહ્યું કે બોધિ ધર્મ ગુરુ કદાચ ચીનમાં મૃત્યુ પામ્યા હોત તો તારી સાધનામાં શું ફરક પડત! એ ગુરુએ શું કર્યું હશે… એ એ જાણે… આપણને જાણવાનો અધિકાર પણ નથી. પણ મારે તને એ પૂછવું છે કે એ ચીનમાં મૃત્યુ પામ્યા હોત તો તારી સાધનામાં શું ઉમેરો થાત…? અને ભારતમાં મૃત્યુ પામ્યા તો તારી સાધનામાં ઘટાડો કેવી રીતે થાય..? અને પછી એક લાફો લગાવ્યો હરામખોર! તારી સાધના માટે અનુપયોગી પ્રશ્ન એના માટે ૫ દિવસ બગાડીને તું બેઠો છે!

તો ભક્તને પ્રશ્ન થાય જ નહિ… સાધકને પ્રશ્ન થાય તો આટલો જ… કે મારું આ સાધનાનું standpoint બરોબર છે કે નહિ… ખરેખર, તમે ગુરુ પાસે આવો છો ને ત્યારે શું કરો છો; સુખ સંયમ યાત્રા નિર્વહો છો જી? અરે ભાઈ ગુરુની સંયમયાત્રા તો મજામાં જ છે. અને મજામાં જ હોય.. અશબ્દમાં ઈશારો એ છે કે સાહેબ મારી સાધનાયાત્રા કેમ ચાલે છે… એટલે તમે વંદન કરવા આવો છો… ત્યારે પૂછવા આવો છો, Am I right sir? સાહેબ હું બરોબર છું? તો સાધનાનું અત્યારનું stand point બરોબર છે કે નહિ; એ ગુરુ પાસે તમે check કરાવી શકો… અને પછી તમારું આગળનું stand point કયું હોઈ શકે; એ ગુરુ તમને નક્કી કરી આપે.

તો સ્વાનુભૂતિ તમે ૨ રીતે પામી શકો… ભક્ત હોય તો પણ પામી શકો… સાધક હોય તો પણ પામી શકો. જંબુવિજય મ.સા. પ્રખર ભક્ત બન્યા, હમણાં જ થઇ ગયા… એ પહેલા દાર્શનિક પુરુષ હતા. ૩૦ વર્ષની વયમાં એમણે ભારતીય દર્શનો ઉપર જે આધિપત્ય પ્રાપ્ત કરેલું… કોઈને પણ ઈર્ષ્યા જન્મે એવું હતું. પણ માત્ર દાર્શનિક હતા… ભક્ત નહોતા. પણ એકવાત તમને કહું.. જેટલા તાર્કીકો હતા ને એ બધા ભક્ત બની ગયા.

એ શંકરાચાર્ય હોય કે સિદ્ધસેન દિવાકર સૂરિ… હરીભદ્રાચાર્ય હોય કે હેમચંદ્રાચાર્ય હોય.. જેટલા પણ તાર્કીકો હતા; એ બધા જ ભક્ત બન્યા. શું કારણ લાગ્યું કે તર્કની પાછળ આખરે તો કંઈ જ નથી. શંકરાચાર્ય એ તો સૂત્ર આપ્યું; तर्कः अप्रतिष्ठः – સાધના માર્ગમાં તર્કનું કોઈ મૂલ્ય જ નથી.

આનંદઘનજી ભગવંતે પણ કહ્યું, “તર્ક વિચારે વાદ પરંપરા,પાર ન પહોંચે કોય” તો જંબુવિજય મહારાજ પહેલા તાર્કિક છે… અને એમાં મહારાષ્ટ્રમાં પરિભ્રમણ થયું.. ગુરુદેવ સાથે… એક જગ્યાએ એક મહારાષ્ટ્રીય પ્રોફેસર એમને મળવા માટે આવ્યા… એ પણ દાર્શનિક પુરુષ હતા. પણ એ પ્રોફેસર ભક્ત હતા. બેઠા વાતચીત શરૂ થઇ. વાતમાંથી વાત નીકળી… તો જૈન દર્શન ઈશ્વર કર્તૃત્વનો સ્વીકાર કરતું નથી. તો જંબુવિજય મહારાજે કહ્યું કે ઈશ્વર કશું કરતા નથી… ઈશ્વર નિષ્ક્રિય છે. ઈશ્વર કર્તૃત્વનું અને એ રીતે ઈશ્વર ની સક્રિયતાનું એમણે ખંડન કર્યું.. આપણે ત્યાં તકલીફ આ જ થાય ને… દાર્શનિક ધારા આ હતી; ઈશ્વર જગતનું સર્જન કરે છે, એ વાત જૈન દર્શન માનતું નથી. પણ સાધના જગતની અંદર પ્રભુનું જ કર્તૃત્વ છે; આ વાત હતી એ વિસરાઈ ગઈ.

‘આનંદ કી ઘડી આઈ’ સ્તવન તમે વાંચો બધું જ પ્રભુ ઉપર મૂકી દીધું છે. તીન વેદ કા છેદ કરાકર… ત્રણ વેદોનો છેદ તું કરાવીશ… ક્ષપકશ્રેણી મંડવાઈ. તું ક્ષપકશ્રેણી મંડાવીશ. મેં કશું જ નથી કર્યું. હું કંઈ કરી શકું પણ નહિ. તો જંબુવિજય મહારાજે આ રીતે ખંડન કર્યું… ત્યારે પ્રોફેસરે બહુ જ શાંતિથી,મજાથી કહ્યું… ભક્ત હંમેશા મજામાં જ હોય. એ ઉત્તેજિત થાય જ નહિ. સદા મજામાં… સદા આનંદમાં… તો પ્રોફેસરે કહ્યું, મહારાજજી ઈશ્વર ન તો ખંડન કી ઘટના હૈ, ન મંડન કી ઘટના હૈ… ઈશ્વર અનુભૂતિ કી ઘટના હૈ. હમારે જૈસે મનુષ્ય ઈશ્વર કા ખંડન કરેંગે, ઈશ્વર કા કયા બિગડનેવાલા હૈ..! ઓર હમારે જૈસે છોટે મનુષ્ય ઈશ્વર કા મંડન કરેંગે.. ઈશ્વર કો કયા મિલનેવાલા હૈ…! તો ઈશ્વર ન તો ખંડન કી ઘટના હૈ, ન મંડન કી ઘટના હૈ, ઈશ્વર અનુભૂતિ કી ઘટના હૈ. આ વાક્ય એવું સચોટ અંદર ઉતારી ગયું. કે જંબુવિજય મહારાજ પ્રખર ભક્ત બની ગયા. પછી એ કહેતા આ શ્વાસ બહાર નીકળ્યો… શ્વાસ અંદર જશે પ્રભુની કૃપાથી… પોતાનું પૂરું જીવન પ્રભુના સહારે જ ચાલે છે; આવી દ્રઢ શ્રદ્ધા એમના મનમાં પરોવાઈ ગઈ. તો અનુભૂતિ… અને અનુભૂતિ માટે આપણે માર્ગ જોઈ રહ્યા હતા… પરરસ મુક્તિ; પરમરસની પ્રાપ્તિ. પરરસમુક્ત સાધક કેવો હોય…

છ સજ્જતા એની છે… નિરપેક્ષ: શુચિ: દક્ષ: પ્રબુદ્ધ જોઈએ. સાધક પરરસમુક્ત હોય તો જ પ્રબુદ્ધ હોય. એની પ્રબુદ્ધતા અહં શૂન્યતામાં ખૂલે છે. અને અહં શૂન્યતા ની એ ભૂમિ ઉપર ગુરુનો પ્રસાદ વરસે છે. ગુરુનો પ્રસાદ બધા ઉપર વરસે… પણ ઝીલી કોણ શકે? જે અહં શૂન્ય બન્યું છે તે… હવે ખરેખર તો આપણે બીજી કોઈ સાધના કરવાની જરૂર પણ નથી. અહં શૂન્ય બની જાવ… છે અઘરું કંઈ આમાં…? તમને તમારા હું ઉપર હસું આવે છે ક્યારે? અહંકારની ચેષ્ટામાં વાત કરીએ પણ એ જ વખતે એક આંતર મન કહેતું હોય.. કે આ શું માંડ્યું છે.. આ બે જણા રાજી થયા તો પણ શું… નારાજ થયા તો પણ શું…

નવો – સવો વક્તા હતો… ત્યારે અમદાવાદ શાંતિનગરમાં મારા પ્રવચનો ચાલે… યોગસાધનાનો રસ તો પહેલેથી… તો યોગના એક બહુ સારા પ્રશિક્ષક. યોગ શીખવવા આવતાં. તો મારું પ્રવચન પૂરું થાય પછી અડધો કલાકે એ આવતાં…? એક દિવસે એ વહેલા આવી ગયા… પ્રવચનમાં બેઠા પ્રવચન પૂરું થયું, અમે લોકો ઉપર ગયા. પહેલો જ સવાલ એમણે કર્યો કે તમારું પ્રવચન સારું ગયું હોય તો તમને feeling શું થાય…. હું એ વખતે નવો સવો વક્તા… અહંકાર તો ભરેલો જ હતો. મેં કહ્યું પ્રવચન સારું ગયેલું હોય તો ખુશી થાય. તરત જ એમણે પૂછ્યું અને પ્રવચન ફ્લોપ જાય તો… મેં કીધું ગ્લાની થાય. એ વખતે એમણે મને બહુ સરસ વાત કરી… એમણે કહ્યું, મહારાજજી તમારા અહંકારનું કોઈ status ખરું? હું તો વિચારમાં પડ્યો… શું કહેવા માંગે છે… તમારા અહંકારનું કોઈ status ખરું? મેં કહ્યું કેમ? મને કહે મોરારી બાપુ જેવા કથાકાર હોય, લાખો લોકોને પોતાના શબ્દો દ્વારા નચાવતા હોય, હસાવતા હોય, રડાવતા હોય…. એ કદાચ અહંકાર કરે; આપણે એને વ્યાજબી તરીકે દેખીએ છીએ.. પણ સભામાં તો ૧૦૦ – ૧૫૦ જણા હતા.. એ રાજી થાય તો શું! નારાજ થાય તો પણ શું! તમારા અહંકારનું status શું? આ કેટલી મજાની વાત થઇ… હું રહે, પણ હું નું status જળવાઈ નહિ તો હું ને ખતમ થવું પડે.

તો તમારા હું ઉપર તમને હસવું આવે છે. આપણે નવું કંઈ બોલતા નથી… નવું કાંઈ જ વિચારતાં નથી. અને એટલે જ દેવચંદ્રજી મહારાજે કહ્યું, જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો” તું જે એકદમ સરસ બોલ્યો આજે… અને આ શબ્દો અનંતીવાર બોલાઈ ગયેલા છે. આ એઠવાડ તને શોભે…! તું ભોજન ખાય સારું કે એંઠવાડ ખાય… તું કહે વિચાર મને એકદમ નવો આવ્યો… અરે આ વિચાર અનંતીવાર થઇ ચુક્યો છે. અને એ વિચારોના મોજાં ઝડપાઈ – ઝડપાઈને ફેંકાઈ ગયા છે. તમને કોઈ પણ સારો વિચાર આવે ને હવે એની માલીકીયત ઠોકી નહિ બેસાડતા… તમારી… કોઈ મહાપુરુષ બાજુમાં હોય… એમણે વિચાર કર્યો હોય, એ વિચારના આંદોલનો તમારી પાસે આવે. અને તમે એ મનોવર્ગણાના પુદ્ગલોને પકડી લો.. તો તમે શુભભાવોને create કર્યા… કે ઝીલ્યા…? તમે create કરતા નથી… શુભ ભાવોને ઝીલો છો…

અને એટલે સ્પષ્ટ કહ્યું, લલિતવિસ્તરાની પંજીકામાં “એકોSપિ શુભોભાવ: તીર્થકર પ્રગત્ય એવ” – એક પણ સારો વિચાર, એક પણ સારો ભાવ તમને આવે એ પ્રભુએ જ આપેલો છે. પ્રભુએ શાસન સ્થાપ્યું… દ્વાદશાંગી ની રચના થઇ.. અને જે શુભ ફેલાયું, એમાંથી એ શુભ તમારી પાસે આવ્યું; પણ એ શુભના આદ્યજનક પરમાત્મા પોતે છે. તો હું ને કાઢવું કેટલું સહેલું છે, બોલો.. તમે કાંઈ કરતા જ નથી.. શું કરો છો… અને હું કંઈ કરતો નથી અને એકદમ positive angle માં મુકવો હોય ને તો હું એનું વાદ્ય છું. હું એનો organ છું. વગાડનાર એ છે.

શશીકાંત મહેતા એ અમેરિકા ગયેલા… ત્યાં છાતીમાં દુખાવો થયો… heart ની bypass surgery નું નક્કી કરવામાં આવ્યું. એ વખતે bypass surgery risky ગણાતી. Operation theatre માં શશીકાંતભાઈ જાય છે. ત્યારે કહે છે કે પ્રભુ જો જીવતો રહીશ તો તારી વાતો કરીશ… તારું organ છું… હવે મારે કંઈ કામ કરવાનું નથી. જીવતો રહીશ તો તારી વાતો કરીશ… અને ટેબલ ઉપર મરી ગયો તો તારી પાસે આવું છું. અને આ ઘટનાને તાકીને ઘણીવાર શશીકાંત ભાઈ કહેતાં કે ભગવાનને થયું હશે કે આ બખાલીયો ઉપર આવશે તો મને બખાળા સંભળાવી સંભળાવીને થકવી દેશે. એના કરતા નીચે જ ભલે રહ્યો…. આપણે માત્ર organ છે. ટાગોરે એ જ કહ્યું, પ્રભુ હું તો માત્ર બાંસુરી છું. ચુપ ચુપ થઈને પડી રહેનારી… હવા થઈને તું વહે છે… આપણે કશું જ કરવાનું નથી.

અને એક મજાની વાત કરું; આપણે કંઈ ન કરીએ તો જ એ કરશે. તમે ચુપ ન થાઓ, ત્યાં સુધી એ બોલવાનો નથી. તમે કહો કે સાહેબ આ કંઠનો ઉપયોગ મારે જ કરવો છે. ભાઈ તું કર લે… પણ તમે surrender થઇ જાઓ… કે આ કંઠ દ્વારા તારે જ બોલવાનું છે હું નહિ બોલું… તરત જ બોલવા માંડશે. અને પુરા અસ્તિત્વમાંથી એનું પ્રાગટ્ય આપણે જોઈએ છે… આપણું હું ગયો, એ જ રહ્યો પછી… હું ઘણીવાર કહું કે આપણે નાના માણસ.. વેતિયા.. આપણા કાર્યો કેટલા હશે… નાનકડા… આપણે જ નાના માણસો… આપણા કાર્યો કેવા હશે! નાના – નાના.. પણ આપણે કાર્યો ન કરીએ અને એ કરે ત્યારે…. કલાપૂર્ણસૂરિ દાદા એ કરતા હતા, પંન્યાસજી ભગવંત એ કામ કરતા હતા. એ કહે કે મારે કંઈક કરવું નથી ભગવાન, તારે જે કરવું હોય એ કર… આપણે પણ આપણા હું ને sideમાં મુકીને કેન્દ્રમાં પ્રભુને પધરાઈ દેવા છે. તો પ્રબુદ્ધતા એટલે શિષ્યની અહં શૂન્યતા. અને એના ઉપર ગુરુના પ્રસાદનું વરસવું.

આપણી એક પ્રાચીન બહુ મજાની કથા. એને આ સંદર્ભમાં કહું.. કથા બહુ જાણીતી છે. ગૌતમસ્વામી ભગવાન અષ્ટાપદ ઉપર ગયા. વળતા ૧૫૦૦ તાપસોને દોક્ષા આપી. એ બધા કેવલજ્ઞાની થયા. પણ કથાના ઈંગિતો બહુ મજાના છે. પહેલી વાત તો એ છે કે આ કથામાંથી સાધનાના બહુ મજાના ઈંગિતો મળે છે… ગૌતમ સ્વામી ચડે છે. ગૌ એટલે ગાય… આપણે હિંદુ સંસ્કૃતિમાં ગાય પવિત્રતાનું પ્રતિક છે. અને એને પણ તવત્ પ્રત્યય લગાડેલો.. એટલે કે નિર્મલતમ વ્યક્તિત્વ. પવિત્ર તમ વ્યક્તિત્વ.

હવે એ અષ્ટાપદ ઉપર ચડે છે. અષ્ટાપદ બહાર પણ છે, અંદર પણ છે. તો આપણી ભારતીય સંસ્કૃતિમાં ષટ્ચક્ર ની વાત છે, પણ બીજી કેટલીક બૌદ્ધસાધના વિગેરેમાં… ૮ ચક્રોની વાત છે. ચક્ર એટલે શું બીજું કંઈ નથી… ફીઝીકલી કશું છે નહિ… MRI કે x – ray માં કશું આવવાનું નથી. ફીઝીકલી કશું જ નથી ત્યાં. પણ આત્મપ્રદેશો વધુ સક્રિય થઈને જ્યાં બેઠેલા હોય, એને ચક્ર કહેવામાં આવે છે. ત્યાં તમે ધ્યાન ધરો… એટલે આત્મપ્રદેશોને તમે વધુ સરસ રીતે એકદમ develop કરી શકો. તો હવે કોઈ પણ બે ચક્રની વચ્ચે એક ચક્ર મૂકી દો… તો એ રીતે ૮ ચક્રો તમે કરી શકો. તો ૮ ચક્રો એ અષ્ટાપદના ૮ પગથિયા છે. એના ઉપર આ સહસ્રાર. વર્ણન પણ એવું છે. એકદમ રત્નોથી ઝળહળા મંદિર … તો સહસ્રાર પણ અત્યંત પ્રકાશમયી છે.

હવે વાત એ આવી… કે ગૌતમ સ્વામી શું પકડીને ગયા… શેનું આલંબન લઈને ગયા.. આલંબની રવિ કિરણ… રાસમાં લખ્યું. સૂર્યના કિરણો પકડીને ગયા. એટલે તમે કોઈ પણ ચિત્ર જોશો ને ત્યાં પણ એ ચિત્ર દોરેલું હશે… સૂર્ય છે એના કિરણો પડે છે અને ગૌતમ સવામી લે છે. પણ સૂર્ય, રવિ એનો એક અર્થ તો સૂર્ય છે જ.. બીજો અર્થ આત્મા છે… એટલે આત્મ ગુણોનું અવલંબન કરીને સ્વરૂપદશાની અંદર સાધક પહોંચે છે.

હવે વાત આપણા સંદર્ભમાં ચલાવીએ… એ ગૌતમ સ્વામી નીચે આવ્યા. ૧૫૦૦ તપસ્વીઓ સંપૂર્ણ સમર્પિત થઇ ગયા. આ શક્તિ જોઈ… વર્ષોથી બેઠા છીએ… કોઈ પહેલા પગથીયે, કોઈ બીજે તો કોઈ ત્રીજે… આગળ જઈ શકાતું જ નથી. અને આ વ્યક્તિત્વ.. સીધો ઉપર ચડી ગયો. એ ૧૫૦૦ તાપસોએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી.

એક વાત પૂછું, ગૌતમસ્વામી જેવા ગુરુઓ આપણને અતિતની યાત્રામાં નહિ મળેલા, એવું માનો છો?  મળેલા… ગુરુઓ હતા, પણ આપણે નહોતા એનું શું..? ગુરુ હતા, તમે નહોતા. તો ૧૫૦૦ એ સમર્પણ કરી લીધું. એવું સમર્પણ જેમાં આગલી ક્ષણનો કોઈ વિચાર નથી. શું કરવું, શું નહિ, એ ગુરુ જાણે. અમારે ત્યાં પણ આ જ સમર્પણની વાત છે. અત્યારે પણ…

મને ખ્યાલ છે, હું ચાણસ્મા ગયેલો વિહાર કરીને… પાટણથી ગયેલો. મહેસાણાથી ચાણસ્મા યશોરત્નસૂરીજી ને એ લોકો આવેલા. એમના એક શિષ્ય સાંજે મારી જોડે બેઠેલા… વાતચીત ચાલતી હતી… મેં એમને પૂછ્યું કે કાલે તમારો વિહાર છે કે કાલે તમારે રોકાવાનું છે? એટલે એમણે મને કહ્યું કે સાહેબ સવારે ૪ વાગે ગુરુદેવ મને ઉઠાડશે… તો હું માનીશ કે વિહાર છે. ૫ વાગે ઉઠાડશે તો માનીશ કે વિહાર નથી. કાલે સવારે ચાલવાનું છે કે નહિ.. સાંજે એ અપ્રતિબદ્ધ છે.. uncommitted છે. કોઈ વિચાર નહિ. એમાં કેટલી મજા આવે ખબર છે… હું ઘણીવાર કહું શિષ્યને મજા જ મજા હોય.. ગુરુને સજા હોય, પણ મારા જેવા ગુરુને નહિ… કેમ કે ભળાઈ દે બીજાને… હું પણ કંઈ કરતો નથી. બધું એ જ કરે છે.

તો ૧૫૦૦ તાપસોએ સંપૂર્ણ સમર્પણ કરી દીધું. પૂરું જીવન. જીવનની એક – એક ક્ષણ ગુરુના હવાલે… ક્રિયાકાંડ સહેલા છે સાધુ જીવનના, તપશ્ચર્યા સહેલી છે, અઘરામાં અઘરું આ સમર્પણ છે. અને અઘરામાં અઘરું એટલા માટે છે કે તમારો અહંકાર વચ્ચે આવે છે. સમર્પણ આવી ગયું; તમારે કંઈ કરવું નથી બધું જ ગુરુ કરી દેશે.. તો સમર્પણ આવવું બહુ જ અઘરું છે… મારા જીવનની એક – એક ક્ષણ પર સદ્ગુરુનો અધિકાર, પરમાત્માનો અધિકાર. મારે કેમ રહેવું, કેમ નહિ, એ સદ્ગુરુ જાણે. સાધક જીવનમાં પણ આવા સાધકો મને મળે છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય તો મને પૂછાવે આ ગ્રંથ શરૂ કરી શકાય કે ન કરી શકાય. આ મારે ભણવું જોઈએ કે ન ભણવું જોઈએ…  આ તપશ્ચર્યા હું કરું કે ન કરું…? એ લોકો માને છે, સાધના ગુરુદત્ત જ જોઈએ. સ્વયં દત્ત સાધના હોઈ શકે નહિ. મુંબઈના પણ પ્રતિષ્ઠિત સંઘો હોય ને ત્યાં બુફે ભોજન કદાચ નિષિધ હોય. કે બુફે ભોજન અહીં થતું નથી. બુફે નું ગુજરાતી પર્યાય શું…. સ્વરૂચી ભોજન… એટલે ભોજનમાં જમવામાં સ્વરૂચી તમે ના પાડી. સાધનામાં તમારી સ્વરૂચી રાખી. આજે આઠમ છે શું કરું… તમે જ નક્કી કરી લો છો… તો સંપૂર્ણ સમર્પણ ૧૫૦૦ તાપસો પાસે છે. આ જીવનનું શું કરવું; તમે જાણો… કોરો check. સદ્ગુરુને માત્ર કોરો check આપી દો. તમે નિશ્ચિત.

આપણા જે મહામુનિઓ થયા, એ સીધા જ uplifted થઇ ગયા એનું કારણ શું હતું… સદ્ગુરુને કોરો check આપી દીધેલો. તમે કહો એમ કરવાનું.. મારી કોઈ ઈચ્છા જ નથી. મારે કંઈ વિચારવાનું પણ નથી. હવે આમ જુઓ તમે વિચારી વિચારીને શું વિચારશો… તમે કરી – કરીને કરશો શું? આમેય આપણા વિચારમાં, આપણા કાર્યમાં દમ તો છે નહિ. તો ફેંકી દો ને પછી. પૂરું જીવન પરમાત્માને – સદ્ગુરુને આપવા તૈયાર છો? તમારા જીવનની એક – એક ક્ષણ પર પરમાત્માનું signature જોઈએ. પરમાત્માનું signature ક્યારે મળે… તમે પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્ત્યા હોય તો… આવી એક મહેચ્છા થાય છે આજે? ઝંખના… આ તો બહુ મજાની વાત. અત્યાર સુધી માત્ર સમર્પણની વાતો કરી છે… સમર્પણ થયું નથી. તો ચાલો આ જન્મમાં સમર્પણ કરીએ.

એ ૧૫૦૦ તપસ્વીઓને ગૌતમસ્વામીજી એ દીક્ષા આપી. હવે જુઓ વિનિયોગ કઈ રીતે થાય છે. ૫૦૦ – ૫૦૦ ની ત્રણ બેચ છે… એક ૫૦૦ની બેચ થોડે ઉંચે ચડેલી, એક મધ્યમાં, એક નીચે… મતલબ એ થયો ૫૦૦ જે હતા એ વધુ પ્રબુદ્ધ હતા, સમર્પણ આમ બધાનું હતું.. પણ જ્ઞાન પૂર્વકનું સમર્પણ આપણે જે કહીએ… એ પહેલા ૫૦૦ માં વધારે હતું… ગુરુનો શક્તિપાત સરખો છે. અને છતાં પહેલી બેચને એ શક્તિપાત ઝીલાય છે. બીજી બે બેચને ઝીલાતો નથી. ગૌતમસ્વામીજીએ દીક્ષા આપી. અને કરેમિ ભંતે સૂત્ર આપ્યું. કરેમિ ભંતે સામાઈઅં, હું સમભાવમાં સ્થિર થાઉં છું. એવો એક શક્તિપાત થઇ ગયો કે સમભાવમાં ડૂબી ગયા. સ્વાનુભૂતિમાં ડૂબી ગયા. ધારા ચાલુ થઇ ક્ષપકશ્રેણી અને કેવલજ્ઞાન.

આપણી પરંપરામાં જે વાત છે ને એનો પણ અણસાર અહીં મળે. ગૌતમ સ્વામી મહારાજે ખીરથી પારણું કરેલું. ખીર એટલે શું… બહારની જગતમાં ખીર જ છે; ભીતરના જગતમાં સમભાવનો જે પરિણામ છે, એને ખીર જેવો મધુર કહેવાય છે. તમારી ભીતર સમભાવ જ્યારે રેલાય છે… ત્યારે એ સમભાવનો પરિણામ કેવો હોય છે… લૌકિક ઉપમા આપી કે ખીર ખાતા જે મધુરતા આખા વ્યક્તિત્વમાં, અસ્તિત્વમાં વ્યાપે છે; એમ આ સમભાવ જે છે, એ આપણા આખા અસ્તિત્વને મધુર મધુર બનાવી દે છે. તો ૫૦૦ ની પહેલી ટુકડીને સીધું જ કેવલજ્ઞાન મળી ગયું. હવે ૧૦૦૦ બાકી રહ્યા. એમાં પણ ૫૦૦ – ૫૦૦ ની ૨ બેચ છે… ગૌતમસ્વામીજી કહે છે, ચાલો ભાઈ! આપણે ભગવાન પાસે… ગુરુ મહારાજ પાસે… પેલા કેવલજ્ઞાની બન્યા એમને તો બધો ખ્યાલ જ છે.. પણ ૧૦૦૦ જણા નવાઈમાં ડૂબી ગયા… આપના પણ ગુરુ! તમે જ ગુરુના ગુરુ છો… તો તમારા વળી ગુરુ …! તો કહે કે હા! મારા ગુરુ તો સાક્ષાત્ ભગવાન છે.

રસ્તાની અંદર થોડા થાકેલા એક જગ્યાએ ગૌતમસ્વામી ભગવાન બેઠા, બીજા બધા બેઠા… અને ભગવાનની વિતરાગદશાની, ભગવાનની નિર્મલ સ્વરૂપદશાની વાતો કરી… બીજી ૫૦૦ ની ટુકડીને શક્તિપાત થાય છે.  જ્યાં ગૌતમસ્વામી ભગવાન કહે છે કે આ નિર્મલદશા તમારી ભીતર પણ છે. ઘમ્મર વલોણું ચાલુ… આવી નિર્મલદશા અમારામાં છે… એ ઘમ્મર વલોણું ચાલુ થયું. સ્વાનુભૂતિ.. ક્ષપકશ્રેણી… કેવલજ્ઞાન. છેલ્લે ૫૦૦ ની બેચ બાકી રહી.. અને એમાં સમવસરણ આવ્યું, ભગવાનનું દર્શન…! એ ભગવાનનું દર્શન કેવી રીતે થયું હશે.. આપણે પણ સમવસરણમાં જઈ આવ્યા ઘણીવાર… પણ માત્ર પ્રતિહાર્યો જોઇને, માત્ર બાહ્ય ઐશ્વર્ય જોઇને પાછા ફર્યા. ભગવાનના યોગેશ્વર ને ક્યારેય જોયું નથી. અત્યારે પણ આંગી વિગેરે ધરાવેલું હોય… તો આંગી વિગેરેનું મહત્વ આપણા માટે નથી. પ્રભુનો ચહેરો તો ખુલ્લો જ હોય છે. પછી પ્રભુના ચહેરા પર રહેલી વિતરાગદશા ને આપણે જોવાની છે. આંગી તો પ્રતિક છે, અને પરંપરા પણ છે કે પ્રભુએ આ બધું છોડેલું હતું પ્રભુને આ બધું તૃણ લાગતું હતું. તો આપણને પણ લાગવું જોઈએ. એવો એક સંકેત હતો. પણ પ્રભુનું દર્શન એટલે પ્રભુના મુખ પર વિલસી રહેલી વિતરાગતાની ધારાનું દર્શન. તો એ ૫૦૦ ની છેલ્લી ટુકડી એ પ્રભુની વિતરાગદશાને જોવે છે. અને જોતાં જ કેવલજ્ઞાન.

હવે તમને ખ્યાલ આવ્યો. એક તો અહં શૂન્યતા હતી જ. અહં શૂન્યતા તમારી નથી… તો ગુરુ શક્તિપાત ગમે એટલો કરે તમે ઝીલી શકશો જ નહિ. આજે પણ શક્તિપાત કરનારા ગુરુ છે. પણ ઝીલનાર ક્યાં છે..? તો ૧૫૦૦ એ ઝીલનાર તો થઇ ગયા.. પછી કક્ષામાં થોડો ફરક હતો. એકને માત્ર કરેમિ ભંતે મળ્યું. શક્તિપાત થઇ ગયો… એકને પ્રભુની વિતરાગદશા આદિની વાતો સંભળાઈ અને શક્તિપાત થઈ ગયો. અને ત્રીજાને માત્ર પ્રભુના દર્શન દ્વારા શક્તિપાત થયો. તો આ આપણી પરંપરા છે. કે સદ્ગુરુ શક્તિપાત માટે તૈયાર જ હોય છે. આપણે માત્ર એને ઝીલવાનું છે. આ પ્રબુદ્ધતા છે આપણી… હવે તમારા પક્ષે અહં શૂન્યતા આવી; તમે પ્રબુદ્ધ બની ગયા.

ગૌતમસ્વામી ભગવાન દીક્ષા પહેલા ૧૪ વિદ્યાઓના પારંગામી હતા… બ્રાહ્મણ શાસ્ત્રોના અત્યંત વિદ્વાન… પણ અજ્ઞાની કહેવાય… સમ્યગ્દર્શન ન મળે ત્યાં સુધી અજ્ઞાન છે. જ્યાં પ્રભુના ચરણોમાં સમર્પિત થઈને બેઠા તરત જ જ્ઞાની થઇ ગયા. એક જ ક્ષણમાં.. સમ્યગ્દર્શન મળ્યું… જ્ઞાની થઇ ગયા. તો પહેલા અહંકાર હતો.. ભગવાન માટે પણ મનમાં વિચારેલું એ વળી કોણ આવી ગયો મારાથી વિદ્વાન…. હરાવી નાંખું એને… જ્યાં પ્રભુને જોયા અહં શૂન્ય બન્યા… પરમ જ્ઞાની બની ગયા. જ્ઞાની બનતા પરમ ધ્યાની બનતા સેકંડ જ લાગે છે. પણ અહં શૂન્ય બનતા..! અનંતા જન્મો તો વીતી ગયા હવે… હવે શું બોલો…? હવે કેટલા બીજા અનંતા…! હવે કેટલા…?!

તો પરરસથી મુક્ત સાધક નિરપેક્ષ હોય. નિર્મળ હોય. અને પ્રબુદ્ધ હોય… આ પ્રબુદ્ધતાને આપણે માત્ર ને માત્ર અહં શૂન્યતાના સંદર્ભમાં સમજવાનું છે.

હવે practical.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *