વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : મૂર્તિચૈતન્ય અને મંત્રચૈતન્ય
બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત એવી પરમચેતના અત્યંત સૂક્ષ્મ હોવાથી બધા જ ભાવકો એનો સાક્ષાત્કાર ન કરી શકે. મહાપુરુષો પ્રાણપ્રતિષ્ઠાની પ્રક્રિયાથી બ્રહ્માંડવ્યાપી એ પરમચેતનાને પોતાની શક્તિથી પકડીને મૂર્તિમાં સંક્રાંત કરે છે. મૂર્તિમાં અવતરિત એ પ્રભુ એ કામ કરે છે જે સમવસરણમાં બેઠેલા પ્રભુ કરી શકતા હોય!
શબ્દ માત્ર શબ્દ હોય છે; એ શબ્દને મંત્ર બનાવે છે કોઈ મહાપુરુષ. અનુભૂતિવાન મહાપુરુષો શબ્દોની અંદર પોતાની અનુભૂતિને રેડીને એ શબ્દોને સપ્રાણ મંત્ર બનાવી દે છે. જો એ શબ્દોને ઉકેલતા તમને આવડે, તો તમે પણ એમના જેવી અનુભૂતિને પામી શકો.
સ્વાનુભૂતિની યાત્રાના ત્રણ ચરણો – અરૂણોદય, સૂર્યોદય અને મધ્યાહ્ન. આ જ ત્રણ ચરણોને દેવચંદ્રજી મહારાજે મજાની સાધના સપ્તપદીના રૂપમાં આપ્યા છે. આપણે શંખેશ્વર દાદાના મૂર્તિચૈતન્ય અને દેવચંદ્રજીના આ મંત્રચૈતન્યના સ્પર્શપૂર્વક સ્વાનુભૂતિના એ ચરણોની યાત્રા કરવી છે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના – ૧
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં
મંગલં શ્રીમદ્દ અર્હન્તો, મંગલં જિનશાસનમ્
મંગલમ્ સકલ સંઘો, મંગલમ્ પૂજકા અમી,
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ,
પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ:, પાર્શ્વનાથ શ્રિયેSસ્તુ વઃ
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ,
આંતરલોચનમેકમસ્તિ સુતરાં, પૃદભાષિતં યસ્ય વૈ,
ૐકારેણ સુસેવિતોSપિ સતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્યમના: સદા વિજયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિજયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિજયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિજયતે, અરવિંદસૂરીશ્વર:
મહામહિમ, પરમ કૃપાવતાર, દેવાધિદેવ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના aura field માં અત્યારે આપણે છીએ. એ પ્રભુનું aura field બહુ જ વિકસિત છે. મૂર્તિ ચૈતન્યના જે વિશેષજ્ઞો છે, એ એમ કહે છે આ પરમાત્માનું મૂર્તિ ચૈતન્ય અજોડ છે. Rarest of rare છે.
Actually મૂર્તિ ચૈતન્ય એટલે શું? પૂરા બ્રહ્માંડમાં પરમચેતના છવાયેલી છે. મહોપાધ્યાય યશોવિજયજીના શબ્દો છે, પંચવિંશતિકામાં આવેલા, व्यक्त्या शिवपदस्थोऽसौ, शक्त्या जयति सर्वगः॥ પ્રભુ વ્યક્તિ રૂપે સિદ્ધશિલા ઉપર છે. વિહરમાન પરમાત્મા વ્યક્તિ રૂપે મહાવિદેહમાં છે, પણ શક્તિ રૂપે પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં વ્યાપેલા છે. બ્રહ્માંડનો એક tiniest part એવો નથી, જેમાં પ્રભુનું signature ન હોય, પ્રભુના હસ્તાક્ષર ન હોય. તો આ જે પરમ ચેતના છે, બ્રહ્માંડમાં રહેલી એ સૂક્ષ્મ છે.
યોગી પુરુષો એ ચેતનાનો સાક્ષાત્કાર કરી શકે છે. બધા જ ભાવકો એ સૂક્ષ્મ પરમ ચેતનાને પામી ન પણ શકે. અને એટલે મહાપુરુષોએ એક વ્યવસ્થા વિચારી કે મૂર્તિની અંદર જ એ પરમચેતનાનું અવતરણ કરાવવું.
અંજનશલાકા એટલે શું? આપણે એને પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ. પરમ ચૈતન્યનું મૂર્તિમાં અવતરણ એ છે પ્રાણ પ્રતિષ્ઠા. એ છે અંજનશલાકા. ત્યાં સુધી એ મૂર્તિ જ હોય છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી એ પ્રભુ બની જાય છે. એ પ્રભુ એ કામ કરે છે. જે સમવસરણમાં બેસેલા પ્રભુ કરી શકતા હોય. સમવસરણમાં બેઠેલા પ્રભુ અને મંદિરમાં બિરાજમાન પ્રભુ there is no difference. કોઈ ફરક નથી. એક જ સરખું કાર્ય બેઉ પરમાત્મા કરી શકે છે.
જિનવિજય મહારાજ તો આનાથી પણ એક ડગલું આગળ વધ્યા છે. એમણે કહ્યું; “મારે તો સુષમા કી દુષમો, અવસર પુણ્ય નિધાનજી” પ્રભુ સુષમકાળમાં ભરતક્ષેત્રમાં તું હતો. તારું સમવસરણ મંડાતું હતું. હું એમાં આવેલો પણ ખરો, પરંતુ મારી પાસે ભાવદશા નહોતી, અને એથી કરીને પરમચેતનાનો સ્પર્શ મને થયો નહિ. તારા દ્વારા મને જે મળવાનું હતું, એ મને મળ્યું નહિ. આજે જ મારું ઉપાદાન થોડું શુદ્ધ બન્યું છે તો મૂર્તિ સ્વરૂપે બિરાજમાન પ્રભુ તારી પાસેથી મને આજે વધુ મળે છે. એકદમ ચારિત્ર મૂર્તિ, વિદ્વાન આચાર્ય ભગવંતો આ કામ કરી શકે કે બ્રહ્માંડ વ્યાપી પરમચેતનાને પોતાની શક્તિથી પકડી લે, મૂર્તિની અંદર સંક્રાંત કરે. તો દરેક પરમાત્માની અંદર મૂર્તિ ચૈતન્ય હોય જ છે. પરંતુ શંખેશ્વર દાદા માટે કોઈ વિશિષ્ટ ઘટના ઘટી છે. આપણી પાસે જ્ઞાન નથી. આપણે એ જાણતા નથી. કે કોણે પ્રાણ પ્રતિષ્ઠા એ પરમાત્માની કરી? પણ એવા એક સ્વાનુભૂતિ સંપન્ન યોગીશ્વર અલખ નિરંજન કોઈ અવધૂત હશે જેમના હાથે આ મૂર્તિ ચૈતન્યની પ્રતિષ્ઠા થઇ છે. અને એને કારણે આ મૂર્તિ ચૈતન્ય એકદમ જાગૃત છે. અગણિત વર્ષોથી ઉર્જાનો એ પ્રવાહ પ્રભુના શરીરમાંથી વહ્યા જ કરે છે, વહ્યા કરે છે. એક ઝરણું ચાલુ થઇ ગયું… પરમ શક્તિ ઉપરથી આવ્યા કરે, body માંથી વહ્યા કરે. આખું જ ઝરણું અહીં create થઇ ગયું છે, પરમચેતનાનું. એટલે એ પરમચૈતન્યના aura field માં આપણે બેઠા છીએ. ભલે આપણે કલાપૂર્ણમ્ પરિસરમાં જ રહીશું અઠવાડિયું. પણ, એવું નહિ માનતા કે શંખેશ્વર દાદાથી હું દૂર છું. દાદા તમને મળવા અહીંયા આવે છે.
કલાપૂર્ણસૂરિ દાદાએ એક બહુ સરસ વાત એમના પ્રવચનમાં કહેલી, અદ્ભુત વાત. તીર્થંકર ભગવંતો કેવલી સમુદ્ઘાત કરે. એક પ્રક્રિયા છે કર્મોને ખંખેરવાની… એમાં ચોથા સમયે બ્રહ્માંડ વ્યાપી એમની ચેતના બની જાય છે. કોઈ પણ પરમાત્મા, મહાવીર પરમાત્મા કે પાર્શ્વનાથ પરમાત્મા એ પરમાત્માની ચેતના પૂરા બ્રહ્માંડમાં વ્યાપી જાય છે. આ હકીકત છે. કલાપૂર્ણસૂરિ દાદાએ એટલી મજાની વાત કરી. એમણે કહ્યું, આ કેવલી સમુદ્ઘાત તો બહાનું છે! પ્રભુ આપણને મળવા આવે છે! પ્રભુને થાય મારા એક-એક ભક્તને મારે મળવું છે, કેવલી સમુદ્ઘાત થયો. ચોથા સમયે એમના આત્મપ્રદેશો પૂરા બ્રહ્માંડ વ્યાપી બની ગયા. પ્રભુ આપણને મળવા માટે આવ્યા!
તો આપણે એ પરમ ચૈતન્યના aura field માં છીએ. બીજી જગ્યાએ એવું બની શકે કે તમે પ્રભુને touch કરો, અને તમને ઉર્જાનો અનુભવ થાય. આ પ્રભુની ઉર્જા એટલી શક્તિશાળી છે. અહીંયા નહિ, અહીંયાથી ૨ કિલોમીટર, ૫ કિલોમીટર દૂર તમે હોવ તો પણ એ પ્રભુની ઉર્જાનો અનુભવ થાય એમ છે. એટલે પ્રભુનું ઉર્જા field બહુ જ વ્યાપક છે. ઉર્જા field પ્રભુનું સશક્ત છે. માત્ર આપણી પાસે receptivity જોઇશે.
મૌન સાધના શિબિરોમાં દરેક શિબિરમાં સાધકો ધ્યાન તો કરે જ છે. અહીંયા તમારા ધ્યાનની અંદર પ્રભુની ઉર્જા પકડાશે. ધ્યાન એ receptivity છે. તમારા મનનું પાત્ર એકાગ્ર ન થાય ત્યાં સુધી તમે પ્રભુની એ ઉર્જાને પકડી શકતા નથી. એટલે હું ઘણીવાર કહું છું કે આપણી પૂરી સાધનાનું કેન્દ્રવર્તી હાર્દ હોય તો એ છે receptivity. You should have a receptivity. એક receptivity આવી ગઈ, તમે ન્યાલ થઇ ગયા. કારણ પરમચેતના બ્રહ્માંડ વ્યાપી છે. માત્ર એને કેમ પકડવી, એ ઉર્જાને કેમ પકડવી એ શીખી લો. ધ્યાન આના માટે જ છે કે એમાં પ્રભુની એ સૂક્ષ્મ ઉર્જાને આપણે પકડી શકીએ છીએ.
તો અહીંયા એક વિશેષતા એ છે શંખેશ્વરમાં – આ પરિસરની કે બ્રહ્માંડ વ્યાપી પરમ ચેતનાનો મહાસાગર તો અહીંયા છે જ. પણ શંખેશ્વર દાદાની ચેતનાનો પણ એક મહાસાગર અહીંયા છે. અને એમાં કલાપૂર્ણસૂરિ દાદાની aura field પણ સમાયેલી છે. તો આટલા મજાના સશક્ત aura field માં આપણે બેઠા છીએ. એટલે કે પરમાત્મ ચૈતન્યનો સ્પર્શ આપણે વારંવાર કરી શકીએ.
McLuhan એક philosopher થયો છે. એણે એક મજાની વાત લખી છે. રૂપક કથા છે. એ લખે છે, દરિયામાં રહેનારી એક નાનકડી માછલી, એણે દરિયાની વાતો સાંભળી. રહેતી હતી દરિયામાં. કોકની પાસે દરિયાની વાતો સાંભળી. અને એણે એક મોટી માછલીને એકવાર પૂછ્યું, કે બેન! જરાક વાત તો કર, દરિયો કેવો હોય? લોકો કહે છે દરિયામાં આરોહ હોય, અવરોહ હોય, સંગીત હોય, ગર્જના હોય, જરા દરિયાની વાત તો કર. દરિયો કેવો હોય? મોટી માછલી કહે છે, દરિયો? દરિયો વળી કેવો? આપણે જેમાં રહીએ છીએ એ જ તો દરિયો છે. અને એ નાનકડી માછલીની comment હતી, અચ્છા! આ દરિયો છે કે આ પાણી છે ખાલી! એને ખબર નહોતી કે મહાસાગરનું આ એક નાનકડું માછલું છે. તમને ક્યાં ખબર છે બોલો…
વિજ્ઞાનમાં શીખેલા છો કે ઓક્સિજનના મહાસાગરમાં આપણે છીએ. પણ આજે એક વાત બીજી ઓર જોડી દો. કે પરમ ચેતનાના મહાસાગરમાં તમે છો. હવે શંખેશ્વરમાં આવ્યા ત્યારે પરમ ચેતનાના મહાસાગરમાં પણ છો. શંખેશ્વર દાદાના પરમ ચૈતન્યના મહાસાગરમાં પણ છો અને કલાપૂર્ણસૂરિ દાદાના ગુરુ ચેતનાના aura field માં પણ તમે છો.
આપણી પરંપરાએ બે મજાના શબ્દો આપણને આપ્યા. મૂર્તિ ચૈતન્ય, મંત્ર ચૈતન્ય. આ શિબિરમાં આપણે મૂર્તિ ચૈતન્યનો સ્પર્શ કરતાં કરતાં મંત્ર ચૈતન્યનો સ્પર્શ કરીને સ્વાનુભૂતિની યાત્રા કરવાની છે. તો મંત્ર ચૈતન્ય શું? શબ્દ શબ્દ હોય છે. શબ્દને મંત્ર બનાવે છે કોઈ મહાપુરુષ. જેમ મૂર્તિને ભગવાન કોઈ સદ્ગુરુ બનાવે છે એમ શબ્દોને પણ સપ્રાણ બનાવવાનું કામ સદ્ગુરુ કરે છે. મંત્ર આખરે શું છે? શબ્દો જ છે. પણ જ્યારે મહાપુરુષો જ્યારે એને compose કરે છે ત્યારે એમની શક્તિ એ શબ્દોમાં ઉતરે છે. નમુત્થુણં સૂત્ર ગણધર ભગવંતે બનાવેલું, પણ એ શબ્દ સમૂહ નથી. મંત્ર સમૂહ છે. નમુત્થુણં ને શબ્દ સમૂહ નહિ સમજતા. એ મંત્ર સમૂહ છે. કારણ એ સામાન્ય શબ્દોની અંદર પણ ગણધર ભગવંતે પોતાની ચેતનાને મૂકી છે. એટલે અનુભૂતિવાન મહાપુરુષો શબ્દોની અંદર પોતાની અનુભૂતિને રીણી લીધા. અને એટલે જ એ શબ્દોને ઉકેલતા તમને આવડે તો અનુભૂતિને તમે પામી શકો.
દેવચંદ્રજી મહારાજના શબ્દો, શબ્દ નથી, મંત્રો છે. આનંદઘનજી ભગવંતના શબ્દો, શબ્દ નથી મંત્રો છે. હરિભદ્રાચાર્યના શબ્દો, શબ્દો નથી મંત્રો છે. તો એ મંત્ર ચૈતન્યના. એક મૂર્તિ ચૈતન્ય, એક મંત્ર ચૈતન્ય. તો આપણે આ શિબિરની અંદર યાત્રા તો સ્વાનુભૂતિની જ કરવાની છે. પણ પહેલાં ત્રણ ચરણોને આપણે પાડી રહ્યા છીએ. અને એ ત્રણ ચરણોને દેવચંદ્રજી મહારાજે આપેલી, એક સાધનાની સપ્તપદી દ્વારા સમજવાની કોશિશ કરીશું. પણ મને લાગે છે કે બીજી શિબિરોમાં તમને જે અનુભવ થયો હશે, એના કરતાં વધારે પ્રગાઢ અનુભવ આ શિબિરમાં તમને થવાનો. પ્રભુ તૈયાર છે.. કલાપૂર્ણસૂરિ દાદા તૈયાર છે. પ્રભુ પણ તૈયાર, એક મહાન સદ્ગુરુ પણ તૈયાર, તમારું કામ કેટલું રહ્યું હવે…? ૧% effort. તમારું કામ માત્ર એક ટકાના પ્રયત્નથી છે. ૯૯% grace, ૧% effort. અને એ પ્રયત્ન એટલો જ છે. ચિત્તને એકાગ્ર બનાવી દો. શરીર પણ એકાગ્ર જોઈએ. ચિત્ત પણ એકાગ્ર જોઈએ.
ચીનમાં બે બહુ મોટા વિદ્વાનો. ક્વાંગ-ફૂ અને ચ્વાંગ-સુ બંને લગભગ ૮૦ વર્ષના વયોવૃદ્ધ. આદરણીય વિદ્વાનો. સંત કોટિના પુરુષો. અને પૂરા ચીન દેશના લોકોને આ બંને ગુરુઓ તરફ બહુ જ સદ્ભાવ. હવે બંને ગુરુઓને અરસ-પરસ મળવાનું થાય નહિ. કારણ કે મળવાની જરૂર નથી હોતી. એમને શબ્દોમાં કંઈ આપવું નથી કે લેવું નથી. વિચાર સંક્રમણ દ્વારા એ લોકો વાતો કરી શકે છે. ટેલીપથી દ્વારા. પણ એકવાર એવું બન્યું, ક્વાંગ-ફૂ જઈ રહ્યા હતા. વચ્ચે ચ્વાંગ-સુ નું ઘર આવે છે. તો ક્વાંગ-ફૂ ને થયું, હું ચ્વાંગ-સુ ને મળતો જાઉં. ઘરમાં આવ્યા. ઘર એટલે નાનકડી ઝુંપડી. ઘરમાં આવ્યા, ૮૦ વર્ષના ચ્વાંગ-સુ છે. પગની તકલીફ છે ઊભા પણ થઇ શકતા નથી. એક ખુરશી હતી એના ઉપર બેઠેલા છે. જ્યાં જોયું, ક્વાંગ-ફૂ પોતે આવી રહ્યા છે. ખૂબ આદર સાથે, ઉમળકા સાથે સ્વાગત કર્યું, આવો પધારો… તકલીફ એ થઇ કે ઘરમાં બીજી કોઈ ખુરશી હતી જ નહિ. જે આવતાં એમની પાસે students હતા. નીચે જ બેસનારા હતા. ઉપર બેસનારા કોઈ હતું જ નહિ. ખુરશી જ નહોતી બીજી ઘરમાં, અને કોઈ student હાજર નહોતો કે બાજુના ઘરમાંથી કંઈ મંગાવી શકાય. ચ્વાંગ-સુ એ જોયું, કે ભાઈ ખુરશી આવી શકે એમ નથી. પેલા વિદ્વાન પણ સમજી ગયા. થોડી વાતચીત કરવી હતી, બેસી ગયા નીચે. ૮૦ વર્ષના એ વિદ્વાન સંત નીચે બેઠા તો ખરા. પણ થોડું uncomfortable લાગે છે. લાગે ને…? આટલા મોટા સંત! આટલા મોટા વિદ્વાન! નીચે બેસવાનું થયું..આ ગુરુની પણ ઈચ્છા છે કે એમને આસન ઉપર જ બેસાડું. મારા સમકક્ષ છે. પણ હું ઉભો થઇ શકતો નથી. ખુરશી બીજી છે નહિ. વિવશ થઈને એ વિદ્વાન નીચે બેઠા. પણ થોડું જરા Un convenient લાગે છે. એટલે વાર્તાલાપ બરોબર થઇ શકતો નથી. ત્યારે આ ખુરશી ઉપર બેઠેલા વિદ્વાને કહ્યું, આપે કૃપા કરી, મારા ઘરે આપ પધાર્યા. હવે આપનું શરીર પણ અહીંયા બેસી ગયું છે, તો આપના મનને પણ કૃપા કરીને બેસાડી દો તો આપણે વાત શરૂ કરીએ.
તમારું શરીર પણ સ્થિર નથી.. મન સ્થિર છે? આપણે ત્યાં કહ્યું છે કે પહેલાં કાયગુપ્તિ જે છે એ સિદ્ધ કરવાની. કાયાને સાધો.. કાયા જ તમારી ચંચળ હશે, તો મન ક્યાંથી સ્થિર રહેશે? શરીર ટટ્ટાર… માત્ર સદ્ગુરુને પીવા છે. યશોવિજયને તો બોલવું જ નથી. I have not to speak a single word. પ્રભુ બોલશે. પ્રભુને સાંભળવા છે. પ્રભુને તમારે પીવા છે. શરીર સ્થિર, મન પણ સ્થિર…
આપણી વાચનાઓ ૪૫-૪૫ મિનિટની જ હોય છે. અને એટલા માટે કે એથી વધારે આપવા જાઉં ને તો તમારું મન પાછું ક્યાંય બહાર ભાંગી જાય. તમે પણ નવા-સવા હોવ, તો મનને કાબૂમાં જતાં થોડો સમય પણ લાગે. પણ પ્રભુને પીવાના છે.
હું ઘણીવાર કહું, એક શરાબી મયખાનામાંથી પી ને નીકળે, ચકાચક દારૂ, તમારે એને પૂછવું નથી પડતું કે ભાઈ કેટલો પીધો છે? એની લડખડાતી ચાલ કહે છે. કે ચકાચક પી ને નીકળ્યો છે. એમ પ્રભુને પીવા માટે તમે અહીંયા આવ્યા છો. શંખેશ્વર તીર્થમાં પ્રભુના દર્શન માટે તમે ઘણીવાર આવ્યા છો. લાઈનમાં તડકામાં ઉભા રહીને પ્રભુની પૂજા તમે કરી છે. આજે પ્રભુને પીવા માટે તમે આવ્યા છો. પ્રભુને પીવાના છે. એક કેફ… એક મસ્તી… તમારો ચહેરો કહી આપે કે બસ! તમે એકદમ પરમ આનંદમાં છો.
રવીન્દ્રનાથ ટાગોરે લખેલું, પ્રાર્થનામાં, ગીતાંજલિમાં કે પ્રભુ! હું દર્શન કરીને, તારા દર્શન કરીને મારા ઘરે આવેલો હોઉં, ખુરશીમાં બેઠેલો હોઉં, અને ચા સીપ કરતો હોઉં, એ વખતે કોઈ વટેમાર્ગુ બહારથી નીકળે અને કદાચ મને જુએ, તો પ્રભુ મારા ચહેરા ઉપર એને તારા ચહેરાની છાપ દેખાય. ચા શરીર પીએ છે. પ્રભુને રવીન્દ્રનાથે પોતે પીધેલા. આપણે છે ને division પાડવાનું છે પહેલા જ દિવસે. ખાય કોણ? શરીર. ચા-નાસ્તો કોણે કર્યો ભાઈ? શરીરે કર્યો. તમારે ક્યાં કરવાનું હતું…? you are only the option one. તમે માત્ર દ્રષ્ટા છો. તમારે વૈભાવિક જગતનું કોઈ પણ ક્રિયા- કલપ કરવાનું નથી અને તો જ તમે પ્રભુની દુનિયામાં જઈ શકશો. દહીંમાં ને દુધમાં બેયમાં પગ નથી રાખવો આપણે. માત્ર પ્રભુમય આપણી ચેતના બનાવી દેવી છે. તો ચા- નાસ્તો કોણે કર્યો? શરીરે કર્યો. તમે દ્રષ્ટા હતા.
આજે બહુ મજાની એક ઘટના કહું, ખરેખર તમે દ્રષ્ટા તરીકે ચા પીધી હોય ને તો શું થાય, તમે ચા પીતા હતા, ગરમાગરમ તમારા ટેસ્ટની ચા હતી. એક મનની અંદર આસક્તિ આવી ગઈ. આવી ગઈ- ના નહિ પાડું હું, તમે પણ ના પાડી શકો નહિ. આવી ગઈ આસક્તિ. પણ બીજું મન તમે પોતે જ એને જોતા હોવ. ભેદજ્ઞાનના અભ્યાસ માટે સૌથી પહેલી વસ્તુ આ છે, કે તમારી ભીતર વિકારો ઉઠે, એને પણ તમે જુઓ. ચિદાનંદજી મહારાજ કહે છે, ‘રહત વિકાર સ્વરૂપ નિહારી’ બસ આ સાધના આપી. રાગ ઉઠ્યો; જુઓ. પણ બહુ મજાની વાત કરું કે ગુસ્સો ઉઠશે ત્યારે, કે અહંકાર ઉઠશે ત્યારે કદાચ દ્રષ્ટા તરીકે રહેવાનું તમારા માટે શક્ય નથી. તમારો આવેગ એ વખતે પ્રબળ હોય છે. પણ ચા પીવો છો ત્યારે વર્ષોથી સદ્ગુરુદેવોને સાંભળ્યા છે એના કારણે એક મન આજ્ઞા પ્રભાવિત બન્યું છે. જે એમ કહે છે, કે આસક્તિ કરાય નહિ, ચા પીવી પડે છે, પી લેવાની. પણ ચા સારી છે કે ખરાબ છે એવી રીતે આસક્તિ અથવા અણગમો કરવાનો નહિ.
તો આપણે કામ એ કરવું છે, પરમાંથી મુક્ત થઇ આપણી પૂરી ચેતનાને સ્વમાં મુકવી છે. એટલે તમે માનો છો એટલું કામ સરળ નથી. આ બધા જ પ્રવચનો એક-એક શબ્દપૂર્વક સાંભળવામાં આવશે. એનું home work પાછળથી થશે તો જ તમે અહીંથી કંઈક લઈને જશો. મૌન તમને આપ્યું છે એટલા માટે જ. સંપૂર્ણ મૌન, એમાં કોઈ છૂટછાટ રાખતા નહિ હો.. તમે તમારી રૂમમાં રહેવાના છો. કોઈ CCTV કેમેરા ગોઠવ્યા નથી રૂમમાં… પણ તમે વાતો કરશો તો તમે પ્રભુની આજ્ઞાનો ભંગ કર્યો કહેવાશે.
હવે તમને સમજાવું કે મૌન શા માટે આપીએ છીએ… આ પ્રભુના શબ્દો મૌનની આધારશિલા ઉપર જ ભીતર જશે. તમને ખબર છે એક કલાક તમે પ્રવચન સાંભળેલું હોય, બહાર ગયા, પ્રવચનમાં ખરેખર ભીંજાયા હતા તમે… બહાર ગયા ચંપલ કુતરું લઇ ગયું છે, જોઈ લો…! પ્રવચન હવા….! એક નાનકડી ઘટના, બે-ચાર શબ્દો અને તમારું મન આમાંથી નીકળી જાય છે. તો તમારું મન ૨૪ કલાક આ સાધનાની ભીતર રહી શકે. એના માટે શબ્દોનું મૌન તો તળેટી છે. અમારે તમને વિચારોના મૌન સુધી લઇ જવા છે. શબ્દોનું મૌન તો માત્ર તળેટી જ છે એને બહુ નહિ માનતા. તમે બહુ, બહુ બોલ-બોલ કરતા હોવ છો, તમને અઘરું લાગશે થોડું, પણ શબ્દોનું મૌન એ તળેટી જ છે. સાધના માટેની… અમારે તમને વિચારોના મૌન સુધી લઇ જવા છે. તો શરીર સ્થિર હોય, મન પણ સ્થિર હોય.
આજથી આપણા ધ્યાનાભ્યાસ ચાલુ થઇ જશે. એ ધ્યાનાભ્યાસની સૌથી પહેલી વાત આ જ છે, શરીર ટટ્ટાર જોઈએ. હું ઘણીવાર કહું છું કે તમે લોકો આત્માને તો ન સમજ્યા, કંઈ વાંધો નહિ, હવે સમજાવી દઈશું. તમારા શરીરને પણ સમજ્યા નથી. તમારા શરીરના મહત્વપૂર્ણ portion બે છે, એક spinal cord, એટલે કે કરોડરજ્જુ, અને બીજું બ્રહ્મરંદ્ર. કરોડરજ્જુ બહુ જ મહત્વની વસ્તુ છે. અમારી યોગિક ભાષામાં એને અમે લોકો મેરૂદંડ કહીએ છીએ. મેરૂ ક્યારેય ધ્રુજે ખરો? મેરૂ હલે ખરો? મેરૂ ટટ્ટાર ન હોય એવું બને ખરો?
યોગસૂત્રોમાં પતંજલિ ઋષિએ પણ ઘણા બધા આસનોની વાત કરી. સુખાસન, પદ્માસન, અર્ધપદ્માસન, એમાં પગની situation જે છે તે ફરી શકે. અહીંયા કોઈ option નથી. અહીં તો ટટ્ટાર જ જોઈએ. અને એનું કારણ તમારા ખ્યાલમાં હોવું જોઈએ.
આપણી કુંડલીની શક્તિ મૂલાધારમાં સુષુપ્ત પડેલી છે. આપણે એને સાધના દ્વારા સહસ્રાર સુધી લઇ જવાની છે. અહીં સુધી લઇ જવાની છે. પણ હવે એનો માર્ગ જો બરોબર નહિ હોય તો શું થશે? એટલે કરોડરજ્જુ spinal cord એનો માર્ગ છે. એ માર્ગ ટટ્ટાર હોવો જોઈએ. જો કે પછી થોડી વાત ઊંડી પણ છે. ઈડા અને પિંગલા જ ચાલુ છે. સુષુમણા ચાલુ થાય ત્યારે જ કુંડળીનો પ્રવાહ ઉપર જઈ શકે. પણ, સામાન્ય રીતે કહું તો પણ કરોડરજ્જુ ટટ્ટાર હોવી એ બહુ જ મહત્વની વસ્તુ છે. તમારા શરીર માટે પણ બહુ સારી છે. આમ બેઠોડીયા થઇ જાવ એટલે ઘણા રોગો થવાના. આમ રહો, ટેવ જ પાડી નાંખો. જુઓ, કેટલા સ્વસ્થ તમે રહી શકો છો.
બીજું મહત્વપૂર્ણ portion છે બ્રહ્મરંદ્ર. ચોટીનો ભાગ. પહેલા આપણા લોકો ચોટી રાખતા. ચોટીને હું એરિયલ કે એન્ટેના કહું છું. એરિયલ કે એન્ટેના હોય તો રેડિયો કે ટી.વી. ના તરંગો પકડાય ને… આપણે cosmic waves ને પકડવા છે. પરમચેતનાને પકડવી છે. એના માટેની એન્ટેના હતી આ ચોટલી. એ ચોટલીની નીચેનો જે ભાગ છે એ બ્રહ્મરંદ્ર કહેવાય છે. નામ પણ બહુ મજાનું છે બ્રહ્મરંદ્ર. બ્રહ્મ એટલે પરમાત્મા. રંદ્ર એટલે પ્રવેશદ્વાર. પરમાત્માને પ્રવેશવાનું દ્વાર આ છે. આપણા અસ્તિત્વમાં પ્રભુ પધારે જ. He is ever ready. પ્રભુ તૈયાર જ છે. પણ પ્રભુ પધારે ત્યારે એમના માટેનો માર્ગ કયો? આ સહસ્રાર ખુલ્લું થયેલું હોવું જોઈએ. તો ચોટીનો ભાગ એ બ્રહ્મરંદ્ર. એ બ્રહ્મરંદ્ર અત્યારે બીડાયેલું છે. એની નીચે સહસ્રાર છે. એ સહસ્રાર અનંત જન્મોથી મૂરઝાયેલું, બીડાયેલું પડેલું છે. એને આપણે ખોલવાનું છે. એટલે સદ્ગુરુ વાસક્ષેપ અહીંયા આપે. બરોબર ચોટીના ભાગ પર… બહ્મરંદ્રને ખોલે. નીચેનું સહસ્રાર પણ ખુલી જાય. સહસ્રાર શબ્દનો અર્થ છે: હજાર પાંખડીવાળું કમળ. એટલે આપણા મસ્તિસ્કની અંદર એક અદ્રશ્ય રૂપે આ શક્તિ છે, જે સહસ્રાર છે. અને એ જ પૂરી પરમ ચેતના માટેની receptivity નું કેન્દ્ર છે. તો એક તો સદ્ગુરુ વાસક્ષેપ આપે, અને આપણું સહસ્રાર ખુલે.
બીજું કુંડલીની શક્તિ નીચેથી ઉપર જાય સહસ્રારમાં તો પણ સહસ્રાર ખુલે. ત્રીજી વાત આ છે કે સદ્ગુરુ જ્યારે મંત્ર દીક્ષા તમને આપે, અને એ સદ્ગુરુએ આપેલો શબ્દ એ મંત્ર તમારા કાનમાંથી સીધો ઉપર જાય અને સહસ્રાર ખુલી જાય. તો આપણે પહેલા તો શરીરને સ્થિર કરવું છે. મનને એકાગ્ર બનાવવું છે અને પછી મૂર્તિ ચૈતન્ય અને મંત્ર ચૈતન્યના સ્પર્શ પૂર્વક સ્વાનુભૂતિની યાત્રાએ નીકળવું છે. મંત્ર ચૈતન્ય એટલા માટે કહું છું કે દેવચંદ્રજી મ.સા. ના પ્યારા પ્યારા શબ્દોને લઈને જ આપણે ચાલવાનું છે.
મંત્ર ચૈતન્ય કેટલું શક્તિશાળી હોય એની વાત એક example આપીને કરું, અભિનંદન પ્રભુના સ્તવનમાં એ કહે છે; “ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીત” ભક્તની તીવ્ર ઝંખનાને, તડપનને એમણે શબ્દોમાં ઉકેલી છે. મને પરમરસ પીવા ક્યારે મળશે? “ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીત” મને પરમનો રસ ક્યારે પીવા મળશે? જવાબ માનવિજય ઉપાધ્યાયે આપ્યો છે; “પ્રભુની મ્હેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો, માનવિજય વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો” પ્રભુની મ્હેરે તે રસ ચાખ્યો – પ્રભુની કૃપાથી એ પરમરસનો મેં આસ્વાદ કર્યો. એવું કોણ કહે છે? બહુ મોટા ગજાના ભક્તિયોગાચાર્ય. હવે હું તમને પૂછું, કે પ્રભુની કૃપા એમને મળી, તમને ન મળે? વિચાર તો કરો… એ કહે છે “પ્રભુની મ્હેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો” – તો જે પ્રભુની કૃપા, એમને આ પરમ રસનો આસ્વાદ મણાવે એ પ્રભુની કૃપા તમને પરમરસનો આસ્વાદ ન આપી શકે.? તો એમને પ્રભુની કૃપા મળી, તમને ન મળે? પણ જો ન મળે તો માનવું પડે કે પ્રભુ પણ ભેદભાવ રાખે છે. આને કૃપા આપવી ને આને નહિ આપવી.
એક ભાવક મારી પાસે આવેલો, મને કહે સાહેબ! તમે લોકો તો એમ કહો છો કે પ્રભુની કૃપાનો પ્રસાદ વરસ્યા જ કરે છે, વરસ્યા જ કરે છે, એક ક્ષણ એવું નથી, એક ક્ષણાર્ધ એવી નથી કે પ્રભુની કૃપાનો વરસાદ ન વરસતો હોય, પણ સાલું હું તો ભીંજાયો જ નથી! એ ભાવક કહે છે, સાહેબ તમે કહો છો પ્રભુની કૃપા સતત અણવિરત વરસી રહી છે. મને તો કૃપાના એક બિંદુનો પણ અનુભવ નથી થયો. હવે એ ભાઈ રેઇન-કોટ ઠઠાવીને બેઠેલો, ઉપર ટોપી મુકેલી, થાય શું બોલો…? રેઇન-કોટ બરોબર ઠઠાવીને નીકળી ગયા, ટોપી પણ ઉપરથી બરોબર પહેરી લીધી. હા… મને તો વરસાદનો બિંદુ સ્પર્શયો જ નહિ. ક્યાંથી સ્પર્શે પણ..?! મેં પેલા ભાવકને કહ્યું, પ્રભુની કૃપા તો વરસી જ રહી છે. પણ આ રેઇનકોટ તારે ઉતારવો પડશે. રેઇન મને આપી દે ચલ. આ બુદ્ધિ અને અહંકારનો રેઇનકોટ મને આપી દે. પછી જ પ્રભુની કૃપાનો તને સ્પર્શ થશે.
સાધના કેમ ન મળી? પ્રભુ કેમ ન મળ્યા? પરમરસ કેમ ન મળ્યો? જવાબ એક જ છે, બુદ્ધિ અને અહંકારનો અવરોધ આપણી પાસે છે. તમારી બુદ્ધિ પર તમને આસ્થા છે. અને તમારી બુદ્ધિ શું કરે?! ભક્તિમાર્ગ, સાધનામાર્ગ સંપૂર્ણતયા એના માટે અનભ્યસ્ત છે. અપરિચિત છે. તમારી બુદ્ધિ એમાં શું કરવાની? તમારે બુદ્ધિથી સદ્ગુરુને મેળવવા છે! અને બુદ્ધિથી સાધનાને પામવી છે…! ઝેન આશ્રમોમાં એ લોકો તકતી લગાવે છે બહાર, no mind please. તમારી બુદ્ધિ લઈને આવતાં નહિ. જૂત્તા બહાર ઉતારીને આવો એમ, તમારા બુદ્ધિને પણ બહાર મુકીને આવજો.
એક વાત તમને સમજાવું, વિચાર શક્તિ જોડે આપણને વાંધો નથી. બુદ્ધિ જોડે વાંધો છે. કેમ.. તો વિચાર શક્તિના બે સ્વરૂપો છે: એક બુદ્ધિ અને એક મેધા. અહંકાર સાથે ભળેલી વિચારશક્તિ એ બુદ્ધિ છે. અને શ્રદ્ધા સાથે ભળેલી બુદ્ધિ એ મેધા છે. અમને મેધાનો વાંધો નથી, બુદ્ધિનો પુરેપુરો વાંધો છે. એટલે બુદ્ધિનો કચરો લઈને જેટલા આવેલા હોય ને બધા મને આપી દેજો. પહેલી વાચનાના અંતે જ. પછી આપણે ગરબડ રહે નહિ પાછી… આ વચનોને બુદ્ધિના સ્તર પર સમજવાની બહુ જરૂર પણ નથી. સીધા જ એને અનુભૂતિના લયમાં લઇ જવાના છે.
અત્યાર સુધી પ્રવચનો સાંભળ્યા શું થયું? ક્યાં ગરબડ કરી, તમે? બુદ્ધિને લઈને ગયેલા, એટલે તમારી બુદ્ધિએ કેવી ગરબડ કરી, તમને ખબર છે? ચાર પ્રવચનકાર મહાત્મા, એક સમારોહમાં બેઠેલા હોય, એક પછી એક બધા પ્રવચન આપે, તમારી બુદ્ધિ શું કરે? આ મહાત્મા બહુ સરસ બોલ્યા, આ જરા બરોબર ન બોલ્યા, આમનામાં મજા નહિ આવી. ભાઈ તને માર્ક્સ આપવા કોણે બેસાડ્યો પણ અહીંયા? બુદ્ધિ ભીંજાઈ ન શકે. બુદ્ધિ પલળી ન શકે, ડૂબવાની વાત છે જ નહિ. એટલે બુદ્ધિ આપણે જોઈતી નથી. મેધા હોય તો વાંધો નથી. અને એટલે જ ‘અરિહંત ચેઇઆણં’ માં આપણે કહીએ છીએ, સદ્ધાએ, મેહાએ. શ્રદ્ધા આવી ગઈ, તમારી બુદ્ધિ મેધામાં પલટાઈ ગઈ. હવે તમારી બુદ્ધિ એ જ વિચાર કરશે. પરમરસ મને શી રીતે મળશે? બુદ્ધિ એ વિચાર કરે કે મને પૈસા શી રીતે મળે? મેધા એ વિચાર કરશે મને પરમરસ શી રીતે મળશે?
તો દેવચંદ્રજી મહારાજના શબ્દો એ મંત્ર ચૈતન્ય છે. આપણે જે સ્તવનમાંથી ચરણો લઇ રહ્યા છીએ, એ સ્તવનની એક બહુ પ્યારી પંક્તિ છે, તમને લાગે કે મંત્ર ચૈતન્ય શું કરે? બહુ જ સરળ શબ્દો છે પાછા, “આત્મ વિભૂતે પરિણમ્યો, ન કરે તે પરસંગ હો” પરમ ચૈતન્યની વ્યાખ્યા આટલી સરળ કદાચ કોઈએ નહી આપી હોય.. આત્મ વિભૂતે પરિણમ્યો – એ સ્વયં સંપૂર્ણ દશાને પામી ગયેલ છે પરમાત્મા. અને એટલે જ – ન કરે તે પરસંગ હો. બીજાનો સંગ એ કરવાના નથી. તમે બીજાનો સંગ કેમ કરો છો? તમે અપૂર્ણ છો માટે, મને છે ને કોઈને મળવાનું મન થતું નથી. હું મારા એકાંતમાં પૂર્ણ રાજી હોઉં છું. પણ મારા પ્રભુની આજ્ઞા છે કે તું પામી ચુક્યો છે તો આપ. તો આપું છું. શબ્દોના સ્તર પર મારે આવવું પડે છે, એ પણ મારી વિવશતા છે. મારા પરિચિત સાધકોને હું ઘણીવાર કહું છે, કે શબ્દ, શબ્દ, શબ્દ ક્યાં સુધી..? અશબ્દની ધારામાં આવો, ગુરુના મૌનને પીતા થઇ જાવ. ‘ગુરૌસ્તુ મૌનં વ્યાખ્યાનમ્, શિષ્યસ્તુ છિન્ન સંશયતિ’ આ આપણી પરંપરાની વાત છે. ગુરુનું વ્યાખ્યાન મૌનમાં જ હોય. અને એ સદ્ગુરુના aura fieldમાં તમે બેસો, તમારા પ્રશ્નો જતાં રહે, તમારા વિકારો જતાં રહે. વિચારો પણ છૂ થઇ જાય. વિકારો પણ છૂ થઇ જાય.
બુદ્ધના જીવનની એક ઘટના આવે છે. બુદ્ધ ભગવાન બેઠેલા, એક ઝુંપડીમાં, એક સાધક ગયો, વંદન કર્યા, પૂછ્યું; ભગવાન! મારે બે-ચાર પ્રશ્નો પૂછવા છે પૂછું? તો એમણે હસીને કહ્યું; કેમ તું આજે જવાનો છે? ના, સાહેબ હું તો રોકાવાનો છું ૧૫ દિવસ. તું રોકા, મારા પ્રવચનો સાંભળ, જતી વખતે પ્રશ્નો પૂછજે. સારું સાહેબ. એ કુટિરમાંથી બહાર નીકળ્યો. ત્યાં મુદ્દગલાયન નામના બુદ્ધના પરમ શિષ્ય બેઠેલા, એ હસતાં હતા, આ વાર્તાલાપ સાંભળી ગયા. હસતાં હતા. પેલો એમને પણ ઝૂક્યો, પણ એ હસી રહ્યા છે, સાહેબ કેમ હસ્યા? તો કહે, આ બુદ્ધ ભગવાન તો જાદુગર છે. એ તને કહે છે, ૧૫ દિવસ પછી તારા પ્રશ્નો પૂછજે, ૧૫ દિવસ એમની જોડે રહ્યો ને, તું જ છૂ જવાનો, પ્રશ્ન ક્યાંથી પૂછે…?! મારું mission આટલું જ છે. તમને છૂં કરવાનું. વૈભારગિરિથી તમને પૂર્ણ કરી દેવા. અને તમે તમારી ભીતરી સ્વયં સંપૂર્ણતા ને માણી લો એ વાત મારે કરવી છે. તો આત્મ વિભૂતે પરિણમ્યો, ન કરે તે પરસંગ હો. પ્રભુ પૂર્ણ આત્મ વિભવમાં મ્હાલી રહ્યા છે. સ્વયં સંપૂર્ણ છે. બીજા જોડે સંગ ક્યાંથી કરવાના…!
તમે પણ સાંજે રૂમમાં ગયા, રાત માટે જોઈએ એ બધું રૂમમાં હોય, toilet, water bag બધું જ.. પંખો, તમે રૂમ ખોલીને રાતના બહાર નીકળવાના જ નહિ. કેમ? તમારે જોઈએ છે એ બધું અંદર છે. પણ જુના જમાનાની ધર્મશાળા હોય, toilet વિગેરે અંદર ન હોય તો તમારે બહાર નીકળવું પડે. તમે સ્વયં સંપૂર્ણ હોય તો બહાર જવાની તમારે જરૂરિયાત નથી.
આપણો goal આ છે કે યથાશક્તિ આપણી ભૂમિકા પ્રમાણે આપણે સ્વયં સંપૂર્ણ બનવું છે. સ્વાનુભૂતિનો મતલબ એ જ છે કે સ્વનો અનુભવ. આપણો પોતાનો અનુભવ. જરા વિચાર તો કરો, તમારો અનુભવ મારે તમને આપવો પડશે? તમે કોણ છો? એ મારે તમને સમજાવવું પડશે? હું કોણ છું? આ શરીર… ગોટાળો કરી નાંખ્યો. તમે શરીર છો? You are the bodyless experience. You are the mindless experience. You are the nameless experience. તમે બધાની પેલે પારની ઘટના છો. એ પેલે પારની ઘટનામાં તમને ડૂબાડવા છે.
એટલે સ્વાનુભૂતિના ત્રણ ચરણોની ચર્ચા કરવી છે આપણે. સ્વાનુભૂતિનો અરુણોદય પહેલું ચરણ, સ્વાનુભૂતિનો સૂર્યોદય બીજું ચરણ, અને સ્વાનુભૂતિનું મધ્યાહ્ન લય ત્રીજું ચરણ. સ્વાનુભૂતિનો અરુણોદય મતલબ? તમને સ્વની આંશિક અનુભૂતિ થાય એ માટે તમારે શું કરવું જોઈએ… એનું આખું practical approach. અરુણોદય નો મતલબ એ છે કે સૂર્યોદય થયો નથી પણ સૂરજનું ભળભાખળું અજવાળું રેલાવા માંડ્યું છે. તો ભેદજ્ઞાનના અભ્યાસ વિગેરે વડે કરીને તમે સૂર્યોદય તરફ જવાની કોશિશ કરી રહ્યા છો. તો પહેલું ચરણ સ્વાનુભૂતિનો અરુણોદય.
બીજું ચરણ સ્વાનુભૂતિનો સૂર્યોદય, અને ત્રીજું ચરણ છે સ્વાનુભૂતિનો મધ્યાહ્ન. આપણે આપણા બધા જ લેક્ચર્સ આ ત્રણ ચરણોના આધાર પર ગોઠવીને ચાલીએ છીએ. પહેલા અરુણોદયની વાત આવશે. પછી સૂર્યોદય, પછી મધ્યાહ્ન. ક્રમસર તબક્કા વાઈસ… અને આ જ ત્રણ ચરણોને દેવચંદ્રજી મહારાજે એક સાધના સપ્તપદીના રૂપમાં આપ્યા છે. બહુ મજાની એ સાધના સપ્તપદી છે. સ્વાનુભૂતિનો માર્ગ પણ શુષ્ક ન બની જાય એના માટે ભક્તિનો પુટ એમણે આપેલો છે. એટલે જ આપણી સાધનામાં સાક્ષીભાવ + સમર્પણ નો ભેદ છે. એકલો સાક્ષીભાવ નહિ, એકલું સમર્પણ નહિ, સાક્ષીભાવ + સમર્પણ. તો અહીંયા આખો બેઝ આપેલો છે.
પહેલું ચરણ છે પરરસથી મુક્તિ. બીજું ચરણ છે, જિનગુણદર્શન, ત્રીજું ચરણ જિનગુણરૂચિ, ચોથું ચરણ જિનગુણ ઝંખના, પાંચમું ચરણ જિનગુણતીવ્ર ઝંખના, છટ્ઠું ચરણ જિનગુણ સ્પર્શન, અને સાતમું ચરણ જિનગુણ અનુભૂતિ. આ સાત ચરણો દ્વારા આપણે પહેલા ત્રણ ચરણોને બરોબર જોવાના છે. એવી રીતે આપણે જોઈએ, એ જોતા જઈએ, એનું practical થતું જાય. અને એ રીતે સ્વાનુભૂતિની સુગંધ પ્રભુની પાસે તમે લઈને જાવ.
ભલે શંખેશ્વર દાદા જોડે, એમના દરબારમાં તમારે જવાનું નથી અઠવાડિયું, છેલ્લા દિવસે જવાની છૂટ આપશે. પણ શંખેશ્વરદાદા અહીંયા હાજરાહજૂર જ છે. અહીંયા જ છે. કલાપૂર્ણસૂરિ દાદા તો આ રહ્યા, અહીંયા જ બેઠા છે. તમે બંને ને કહી દો, કે સાહેબ, સ્વાનુભૂતિ લીધા વિના હું શંખેશ્વરથી જવાનો નથી. પાક્કા વાણીયા તો બનો. Commercial mind છે કે નહિ, ભગવાન તારે આપવું જ પડશે. “તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ” કેટલી વાર બોલ્યા, હરામ જો એકેય વાર વિચાર કર્યો હોય તો… પ્રાર્થના તો નથી કરી. વિચાર પણ કર્યો નથી. “તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ” હે પ્રભુ પાર્શ્વનાથ! બીજી કોઈ મહેચ્છા નથી મારી, બીજી કોઈ ઝંખના – તડપન મારી નથી, એક જ તડપન છે, જનમ-જનમની અંદર તારું આ સમ્યગ્દર્શન, તારી આ સ્વાનુભૂતિ, તારી બોધિ મને મળવી જોઈએ. આ એક પ્રાર્થનાનો લય આપણે ચાલુ રાખશું. સ્વાનુભૂતિના practical approaches ને ઘૂંટશું. અને એ રીતે સ્વાનુભૂતિને આત્મસાત્ કરવા માટેની મહેનત કરશું. પ્રવચનમાળા એ જુદી વસ્તુ હોય છે, શિબિર જુદી વસ્તુ છે. પ્રવચનમાળામાં તમે માત્ર સાંભળવા માટે જાવ છો. અહીંયા માત્ર સાંભળવું મહત્વનું નથી. Practical approach મહત્વનો છે. એટલે મારી બંને વાચનાને અંતે practically approach રોજ આવશે એટલા માટે કે જુના સાધકોને તો એ approach નો ખ્યાલ છે. નવા સાધકોને ખ્યાલ નથી. તો practically approach દ્વારા આ પરમ ચૈતન્યને અને મંત્ર ચૈતન્યને પામવાની એક receptivity એમનામાં આવે. તો એ receptivity આવે એના માટે આપણે ધ્યાનાભ્યાસ શરૂ કરીએ.