Maun Dhyan Sadhana Shibir 12 – Vanchan 14

1 View
11 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : નિશ્ચય સામાયિક

મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના૧૪

આપણે જે પામ્યું નથી પણ તમે જે સ્વયંભુ શિસ્તથી કામ કરી રહ્યા છો. લાગે છે કે જો આ જ લયમાં તમે ચાલો તો સ્વાનુભૂતિ તમારા માટે દૂર નથી. ઘરે જઈને રોજ આ ધ્યાનાભ્યાસ એકવાર તો ચાલુ રાખવો છે. મેં ગઈકાલે કહ્યું હતું એમ ઘણા બધા સાધકોનો મને અનુભવ છે. ચાર મહિના-છ મહિના જેમણે પણ આ ધ્યાન લગાતાર કર્યું છે. એટલી બધી શાંતિનો અનુભવ થયો છે. અને એ સુરક્ષાચક્ર કેવું બને છે. ક્રોધનું નિમિત્ત આવી પણ ગયું ક્યારેક. અને એ નિમિત્ત આવી રહ્યું છે, કે વાવાઝોડું આવવાનું હોય તમે બારી-બારણા બંધ કરી નાંખો. એવી system તમને અહીંયા મળે છે. તમને ખ્યાલ આવે છે, ક્રોધ આવી રહ્યો છે. તરત જ તમે આ મુદ્રામાં બેસી જાઓ. આંખો બંધ કરી દો. શાંતિથી બેસી જાઓ. તિત્થયરા મે પસીયંતુ બોલવા માંડો. એકદમ એ ક્રોધની આંધી તમારાં માટે શમી જ જશે. એટલે આ સાધના નાની-સુની નથી. આજે વિશ્વમાં રાગનું, દ્વેષનું વાતાવરણ સર્જાયું ત્યારે……

…..જયારે મેં આ ધ્યાનનું PRESENTATION કર્યું. PRECTICAL સમજાવ્યું. ત્યારે ઘણા બધા શ્રાવકો મને મળ્યા. એ વિપશ્યના અને બીજી ઘણી બધી સાધનાઓમાં જઈ આવેલા. એમના ઉદ્ગારો એક જ હતા કે સાહેબજી આપણે ત્યાં આટલી સરસ સાધના છે તો અમારા માટે તો જલસો છે. એટલે આ પ્રભુની સાધના તમને મળી ગઈ છે. એ રીતે આ સાધનાને ઘૂંટજો કે  આ સાધના તમારા જીવનનું એક અંગ બની જશે.

આપણી સાધનાની વિશેષતા બીજી કંઈ છે તમને સમજાવું. કે આપણી આ સાધના વ્યવહાર સાધનાની સાથે ચાલશે. આપણને આપણા વ્યવહારના મહાત્માઓ ઉપર ખુબ જ પ્રેમ રહેવો જોઈએ. એવી નિશ્ચય સાધના આપણને ક્યારેય પણ નથી ખપતી કે જે પ્રભુએ કહેલા અનુષ્ઠાનોનું છેદ ઉડાડે. નહિ. કોઈ પણ સંયોગોમાં નહિ.

આપણું સામાયિક અદ્ભુતથી પણ અદ્ભુત્ત છે. આપણને કરતા ન આવડ્યું અત્યાર સુધી એ આપણી ભૂલ હતી. પ્રભુનું સામાયિક ધર્મ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ હતો. પ્રભુ તો ત્યાં સુધી કહે છે કે તું જો વિધિપૂર્વક સામયિકમાં બેસે. સમતાનો અનુભવ મારે તને કરાવવો છે. કેટલી સરસ સામાયિકની વિધિ છે! પહેલા ઈરિયાવહિયા સૂત્ર બોલશો. એટલે કે તમે ઉપાશ્રયમાં આવ્યા કે બીજી ક્યાંક જગ્યાએ ગયા સામાયિક કરવા માટે. રસ્તામાં ચાલતા નાનકડા જીવની પણ વિરાધના થઈ ગઈ હોય તો શું કરવું? ત્યાં સુધી કહ્યું કે એ જીવોની માફી તમે ન માંગો ત્યાં સુધી તમારી સાધના શુદ્ધ ન થાય. કારણ કે તમારું મન ત્યાં સુધી નિર્મળ બનતું નથી. તો આંખમાં આંસુ સાથે  ઈરિયાવહિયા બોલીએ. એ બધા જ જીવોની ક્ષમાયાચના કરી દઈએ.

પછી તસ્સઉત્તરી આવે છે. તસ્સઉત્તરી સૂત્ર એ કહે છે કે વિરાધનાનું મિથ્યાદ્રષ્ટિ તો મેં માંગ્યું. પણ હવે મારે વિશુદ્ધ થવું છે, મારે જાતને નિર્મળ બનાવવી છે. એટલે બહુ સરસ તસ્સઉત્તરી સુત્રના શબ્દો છે. પાયચ્છીત કરણેણં, વિસોહી કરણેણં, વિસલ્લી કરણેણં, પાવાણં, કમ્માણં, નિગ્ઘાયણટ્ઠાએ, ઠામિ કાઉસગ્ગમ્. મારા આત્મતત્વની વિશુદ્ધિ થાય. પછી વિસલ્લી કરણેણં, મારા unconscious mind ની અંદર પણ જે રાગ અને દ્વેષના શલ્યો આટલા ઉભરાઈ ગયા છે એ પણ નીકળી જાય. એના માટે વિસલ્લી કરણેણં. તો શું કરું છું? કાઉસગ્ગ કરું છું.

એ અન્નત્થ સૂત્રમાં કાયોત્સર્ગના આગારોની વાત છે. કે તમારો કાયોત્સર્ગ તમારે કેવી રીતે કરવાનો? ઠાણેણં, મોણેણં, ઝાણેણં. આ રીતે તમારે કરવાનો છે. સ્થાન એટલે કાયા તમારી નીષ્પ્રકંપ જોઈએ. બિલકુલ હાલતી-ચાલતી ન હોય. તમારું જે છે, વચનયોગ સ્થિર છે, મનોયોગ પણ સ્થિર છે અને પછી તમે લોગસ્સના પચ્ચીસ પદો તમારે બોલવાના છે. પૂરો લોગ્ગસ નહિ. ઘણા કહે છે કે ઈરિયાવહિયા પછી લોગસ્સ પૂરો ગણીએ તો ન ચાલે? પૂરો ન ગણાય. કારણ પૂરો કેમ થયો? તારી ગણેલી ગાડી ‘ચંદેસુ નિમ્મલયરા’ અટકી કેમ નહિ? તારો વિચાર જ નહોતો, તારા મનનો ખ્યાલ જ નહોતો. ઉપયોગ નહોતો. ઉપયોગ વિના કોઈ સાધના થાય નહિ. તો ૨૫ શ્વાસોશ્વાસ શા માટે છે? ‘લોગસ્સ ઉજ્જોઅગરે’ એક શ્વાસોશ્વાસ.

આ એક બહુ મજાની વાત છે. આવેગ અને શ્વાસને આમને-સામને રાખીએ છીએ. જુઓ તમે ગુસ્સો આવશે તો શું થશે? શ્વાસ ઝડપથી ચાલશે. તમે માર્ક કરીને જોજો. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે એકદમ શ્વાસ ઝડપથી ચાલશે. કોઈ પણ આવેગ તમારા શરીરમાં આવે એટલે શ્વાસ નો ઝડપ વધી જાય. તો હવે મહાપુરુષોએ વિચાર કર્યો. આ સાધક પ્રારંભિક કક્ષાનો સાધક સીધો જ એના પોતાના આવેગ ઉપર કાબૂ નહિ મેળવી શકે, શ્વાસ ઉપર તો કાબુ મેળવી શકે છે ને… આમ નહિ તો આમ, સામે છેડો જ છે. તમે શ્વાસ સ્થિર કરો, શ્વાસ એક સ્થિર rhythm માં ચાલુ કરો, આવેગ છૂ થઇ જ જાય. આવેગ રહી જ ન શકે. તો એકદમ ઠંડો, ધીરો શ્વાસ લો, અને ગુસ્સો કરો બેય સાથે બનશે જ નહિ.

એક કાયોત્સર્ગ કર્યો એટલે શું થયું? એક સાક્ષીભાવ આપણને મળ્યો. કાયોત્સર્ગના ઘણા બધા લાભો છે. સૌથી મોટો લાભ આ: તમે સાક્ષીભાવમાં આવી જાવ. તમને તમારા શરીર જોડેનો સંબંધ છૂટી જાય. શરીરમાં હું રહું છું, પણ શરીર એટલે હું આ વાત નહિ, આ જો સિદ્ધાંત તમારા મનમાં પ્રતિભાજીત થાય તો જ કાયોત્સર્ગ સાચો.

કાયોત્સર્ગ એટલે શું? કાયા + ઉત્સર્ગો. ઉત્સર્ગ એટલે ત્યાગ. પણ કોઈ કાયાનો ત્યાગ નથી કરવાનો, તો? દેહભાવનો ત્યાગ કરવાનો. કાયોત્સર્ગનો મતલબ એ થયો, હું શરીર છું એ ભાન ભુલાઈ જાય. એ ભાન ક્યારે ભૂલાય, તમે આત્માના આનંદને માણો ત્યારે. એટલે આખી જ process સામાયિકમાં થાય છે એ આત્માના આનંદને માણવાની થાય છે.

કાયોત્સર્ગ પૂરો થયો પછી આખો લોગસ્સ સૂત્ર બોલવાનું, શા માટે? કે આટલો સરસ કાયોત્સર્ગ થઇ ગયો એ એક, અને સમભાવની દીક્ષામાં મારે જવાનું છે તો ૨૪ તીર્થંકર ભગવંતોના પ્રસાદને યાચીને હું જાઉં, ‘તિત્થયરા મેં પસીયંતુ’ હે અનંત તીર્થંકર ભગવંતો! તમે મારા ઉપર કૃપા વરસાવો. હું સમભાવમાં જાઉં.

એ પછી આપણે સામાયિક મુહપત્તિ પડીલહીએ, ખરેખર તમે જો મુહપત્તિ પલેવો ને, મુહપત્તિ પલવતા તમને આવડે, તો શું થાય… વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ બહુ સારા લેખક આપણી જૂની પેઢીના થયા. એમણે લખ્યું કે જ્યારે પુણીયાજી સામાયિક કરતાં હશે, મુહપત્તિ પલેવતાં હશે, અને જ્યારે બોલતાં હશે, કે કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરીહરું… ત્યારે literally અશુભ લેશ્યાઓ એમનામાંથી ખરી જતી હશે. એક મુહપત્તિ આ કામ કરી શકે.

પછી ગુરુ મહારાજ પાસે આદેશ લેવો છે, સાહેબજી મને સામાયિકની આદેશ-આજ્ઞા તમે આપો છો? ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક સંદીસાહુ એટલે શું? ગુરુદેવ સમભાવમાં જવાની આપની આજ્ઞા છે?  પ્રભુનો પ્રસાદ યાચું? સાક્ષીભાવમાં આવી ગયા, મુહપત્તિનું પ્રતિલેખન કર્યું. હવે ગુરુ પાસે આજ્ઞા માંગે છે કે ગુરુદેવ! હું સમભાવમાં સ્થિર થાઉં? ગુરુ મહારાજ કહે છે સંદીસાવેહ. પછી બીજો આદેશ માંગે છે ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક ઠાઉ? તો ગુરુદેવ આપની આજ્ઞા મળી ગઈ છે હું સમભાવમાં સ્થિર થઇ જાઉં? થઇ જા. પછી કહે છે, “ઇચ્છાકારી ભગવાન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવશોજી?” તો ગુરુદેવ મારે સામાયિકમાં સ્થિર થાઉં છે – સમભાવમાં સ્થિર થવું છે, આપ મને એવો એક આશીર્વાદ સૂત્ર આપો કે આપના શબ્દ શક્તિપાતથી હું સમભાવમાં સ્થિર થઇ જાઉં. અને ગુરુ એ વખતે કરેમિ ભંતે તમને આપી દે. પછી તમે કહેજો ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ બેસણે સંદીસાહુ? કદાચ મારે બેસવું પડે, ઉભા ઉભા કરીશ સામાયિક પણ બેસવું પડે તો બેસવાની ગુરુદેવ મને આજ્ઞા છે? આજ્ઞા પહેલાથી કેમ માંગો છો? સામાયિકમાં તમારે બોલવું નથી. સામાયિકમાં માત્ર ભીતર ખોવાઈ જવું છે. આજ્ઞા લેવા માટે પણ બહાર આવવાનું નથી. એના માટે આજ્ઞા લીધી. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ બેસણે સંદીસાહુ? ગુરુ કહે કે હા આજ્ઞા. તો કહે ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ બેસણે ઠાઉ? જ્યારે બેસવું હોય ત્યારે હું બેસી શકું? પછી આદેશ માંગીએ છીએ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સજ્ઝાય સંદીસાહુ? ગુરુદેવ મારે સમભાવમાં જવું છે, તો સીધો સમભાવમાં ન જઈ રહી શકું તો એવો સ્વાધ્યાય હું કરી શકું કે જે સ્વાધ્યાય દ્વારા હું સમભાવમાં જઈ શકું, તો સ્વાધ્યાયની મને આજ્ઞા છે ગુરુદેવ? તો કે હા તને આજ્ઞા છે. છેલ્લો આદેશ માંગે ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સજ્ઝાય કરું? તો ગુરુદેવ હું સજ્ઝાયમાં સ્થિર થઇ જાઉં? અને પછી તમે ત્રણ નવકાર ગણો.

એ ત્રણ નવકાર એ શું છે? સ્વાધ્યાયનું આદિ મંગલ છે. કોઈ પણ સ્વાધ્યાય કરો આજે ત્રણ નવકાર ગણાય. એમ ચૌદસના પક્ખિ સૂત્ર મ.સા. બોલે, બોલવાનું પક્ખિ સૂત્ર છે, પહેલા ત્રણ નવકાર આવે છે એટલા માટે કે કોઈ પણ માંગલિક સ્વાધ્યાય કરવો હોય એની પહેલા ત્રણ નવકાર ગણવાના. અને એ જ ત્રણ નવકાર ગણ્યા, વિધિ તમારી પુરી થઇ, થોડો સ્વાધ્યાય ૫-૧૦-૧૫ મિનિટ કરી લો, એ જાપ કરી લો, અને કરીને સીધા સમભાવમાં જતાં રહો. આટલું અદ્ભુત અનુષ્ઠાન આપણી પાસે છે.

હકીકતમાં એ વ્યવહાર અનુષ્ઠાન આપણે કહીએ છીએ એ નિશ્ચય અનુષ્ઠાન જ છે. કટાસણા પર બેસવું એને તો સામાયિક આપણે કહેતાં નથી. સમભાવમાં રહેવું એ જ સામાયિક છે. આ સામયિક પ્રભુએ આપ્યું.

આ પ્રભુનું દર્શન એની વિધિ પ્રભુએ આપી. કે તું મને જો ભાઈ. હું તારું ભવિષ્ય છું. ભગવાન શું કહે છે? આપણે દર્શન કરવા જઈએ ભગવાન શું કહે? હું તારો ભવિષ્યકાળ છું તારા ભવિષ્યમાં આવા થવાનું છે. અને તારો ભૂતકાળ જે છે એ હું હતો. વર્તમાન પણ તમારો ભૂતકાળ થવાનો. તારો વર્તમાન મારો ભૂત હતો. અને મારો વર્તમાનકાળ ભવિષ્ય બની જવાનો છે.

તો આ બધી જ નિશ્ચયથી છલકાતી જ વિધિઓ છે. માત્ર એને સમજો, ભાવપૂર્વક ઊંડાણમાં જાવ, ભગવાનને જોતા આંખમાંથી આંસુ આવશે, એ અહોભાવ પણ મહત્વની ચીજ એટલા માટે છે કે અહોભાવની ક્ષણોમાં વિચારો totally સમાપ્ત થઇ જાય. અને નિર્વિચાર દશા આવી અહોભાવ આવ્યો, પછી પ્રભુના એ રૂપનું દર્શન થશે. એ વિતરાગદશા દેખાશે. તમે વિતરાગદશાની ધારામાં પહોંચી ગયા.

આટલા અદ્ભુત અનુષ્ઠાનો પ્રભુએ આપણને આપ્યા છે, આપણે પ્રભુના બહુ, બહુ, બહુ જ ઋણી છીએ. શંખેશ્વર દાદાના આપણે બહુ ઋણી છીએ. કે એમના પરિસરમાં આપણને બેસવાનું મળ્યું. કલાપૂર્ણસૂરિ દાદાના આપણે બહુ ઋણી છીએ કે એમના ચરણોમાં આપણને બેસવાનું સૌભાગ્ય મળ્યું. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુકકડમ્.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *