Maun Dhyan Sadhana Shibir 12 – Vanchan 2

1 View
36 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : પરરસમુક્તિ માટે ભેદજ્ઞાનનો અભ્યાસ

પરરસથી મુક્ત થવા માટે ત્રણ અભ્યાસ. સ્વાનુભૂતિનો સૂર્યોદય થશે, ત્યારે તમે જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવમાં આવી જશો. પણ એની પૂર્વે અરુણોદયની ક્ષણોમાં એ જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવનો અભ્યાસ કરવો છે. એ પહેલા ધ્યાનમાં જવા માટે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરવો છે અને એથીય પણ પહેલા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો છે.

શરીર, નામ, મન – આ બધા કચરાનું એક મિશ્રણ કર્યું અને એના ઉપર હું નું લેબલ લગાડી દીધું કે હું એટલે આ. અને આ identity એટલી તમારી તીવ્ર બની ગઈ છે કે એ identity ને કોઈ તોડે, છેદે એટલે જાણે – મારા હું ને કાપી નાંખે છે – એવું તમને લાગે છે.

દેહ, મન, વચન, પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે. ભેદજ્ઞાનનું આવું ચિંતન રોજ ૧૫ મિનિટ કરવું છે. છ મહિનાના ચિંતનથી એટલી શક્તિ આવશે કે હું શરીર છું એ વાત કદાચ આવી જાય, તો પણ આ નવો બોધ એને attack કરશે કે ના! હું શરીર નથી!

મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના

મહામહિમ પરમતારક દેવાધિદેવ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના aura field માં – ઉર્જા ક્ષેત્રમાં આપણે બેઠા છીએ. જેમ-જેમ તમારી સાધના ઊંડાણથી પકડતી જશે, તેમ-તેમ તમે એ પરમચૈતન્યને, મૂર્તિ ચૈતન્યને તીવ્રતાથી પકડી શકશો.

એક બહુ મજાની ઘટના અત્યારે ઘટી રહી છે, સવારે પણ આપણે જે પ્રવચન ખંડમાં હતા, ત્યાં કલાપૂર્ણસૂરિ દાદાનું aura field હતું જ. પણ દાદાને વિચાર થયો કે આ લોકો કદાચ આટલે દૂરથી આ મારી ઉર્જાને પકડી શકશે કે નહિ પકડી શકે? એટલે અત્યારે દાદાએ આપણને એમના મંદિરમાં આપણને બેસાડી દીધા છે.

એક બહુ પ્યારી ઘટના આપણી પરંપરાની કહું, કલાપૂર્ણસૂરિ દાદા સદેહે વિચરતાં હતા ત્યારે, આપણી તરફ આપણે એમને ગુરુ વ્યક્તિ તરીકે જોતાં હતા. પણ માત્ર આપણી તરફ એ ગુરુ વ્યક્તિ રૂપે હતા. એમની તરફ હતા એ માત્ર ગુરુ ચેતના. અને ગુરુ ચેતનાનો અર્થ એ છે કે જે પરમચેતનાને સીધે સીધી પોતાની ભીતર સ્વીકારી શકે છે. શાશ્વતીના લયમાં એ ગુરુચેતના છે. તો દાદાએ શું કરેલું, દાદાને જ પૂછીએ અત્યારે, દાદાએ એમના જીવનમાં એક મજાની ઘટના શરૂ કરી હતી. એમણે પોતાના જીવનના બિંદુને, વ્યક્તિત્વના બિંદુને, પરમચેતનાના અસ્તિત્વના મહાસાગરમાં ભેળવી દીધો.

સંત કબીરજી કહે છે, કે આવા સદ્ગુરુઓ શું કરે છે, “બુંદ સમાના સમુંદ મેં” એમના જીવનનું બુંદ પરમચેતનાના અસ્તિત્વના મહાસાગરમાં વિલીન થઇ જાય છે. એ વખતે વ્યક્તિત્વ એમનું નથી રહેતું. પૂર્ણ અસ્તિત્વ એમને મળે છે. વ્યક્તિત્વનો મતલબ- ખંડિત અસ્તિત્વ. પણ એવું ખંડિત અસ્તિત્વ સદ્ગુરુ ચેતનાને જોઈતું નથી હોતું. પૂર્ણ અસ્તિત્વ જોઈતું હોય છે. અને એટલે એમણે પોતાના જીવનના બિંદુને પરમાત્માના મહાસાગરમાં ભેળવી દીધું.

અનંત જન્મોથી આપણા જીવનનું બિંદુ – પાણીનું એક ટીપું, સંસારની મરૂધરા ઉપર જ પડ્યું છે. પણ રેતમાં પડે તો શું થાય? એ બિંદુ શોષાય જાય, ચુસાઈ જાય, ખતમ થઇ જાય. એ બિંદુને અમર કેમ બનાવવું, એ સદ્ગુરુ ચેતના આપણને શીખવાડે છે. કે તું તારા જીવનના બિંદુને, તારા વ્યક્તિત્વને, અસ્તિત્વના મહાસાગરમાં ડુબાડી દે. અને એક મજાની વાત કરું, ઘણીવાર આવા પ્રસંગો આવ્યા છે, સદ્ગુરુ ચેતના તમારા વ્યક્તિત્વના બુંદ ને અસ્તિત્વના મહાસાગરમાં ડૂબાડવા માટે તૈયાર હતી. પણ આપણે લોકો બચી-બચીને ચાલ્યા છીએ. એક જ ભય સતાવતો હતો, વ્યક્તિત્વ જ મારું નહિ રહે તો શું રહેશે! Identity less હું થઇ જઈશ. ભાઈ વ્યક્તિત્વ હીન તારે થવાનું નથી, તું અસ્તિત્વ પૂર્ણ બનવાનો છે! અને એટલે જ કલાપૂર્ણસૂરિ દાદાએ જીવનનું બિંદુ પરમચેતનાના અસ્તિત્વના મહાસાગરમાં ભેળવી દીધું. પછી શું ખબર છે…? “સમુંદ સમાના બુંદ મેં” પરમચેતનાનો પૂરો સાગર એમની નાનકડી મનોહર કાયામાંથી પ્રગટવા લાગ્યો.

તો સદેહે વિચરતાં હતા ગુરુદેવ ત્યારે આપણી તરફ ગુરુ વ્યક્તિ હતા, એમની તરફ ગુરુચેતના હતા. અત્યારે આપણે બેઠા છીએ, ગુરુ ચેતનાના પ્રવાહમાં વિલીન થવા માટે ગુરુ ચૈતન્યની જોડે. ગુરુદેવ સદેહે ગયા. વ્યક્તિત્વ રૂપે આમેય હતા નહિ, એ તો આપણને લાગતું હતું. એ અસ્તિત્વ રૂપે જ હતા. અને એ અસ્તિત્વનો મહાસાગર અહીં પણ ઘુમરાઈ રહ્યો છે. હું જ્યારે પણ શંખેશ્વર આવું ને, ત્યારે અચૂક અહીં તો આવું જ. અને આ દાદાની ચરણ પાદુકા છે, ત્યાં મસ્તક ટેકવીને પછી જ જાઉં. વ્યસ્ત હોઉં ત્યારે ઉપર નથી જતો. ગુરુ મૂર્તિ છે ત્યાં. પણ આ ગુરુ પાદુકાને તો શિર ટેકવ્યા વિના તો હું બહાર જતો જ નથી. કારણ ઉર્જાનો પ્રવાહ અહીંથી વહે છે.

સમાધિ મંદિરો રચવાની જે વાત હતી ને, એ ઉર્જાને સાચવી રાખવાની વાત હતી. અને એમાં પણ આ મંદિર એટલું સરસ બનાવવામાં આવ્યું છે, બારી-બારણાં બહુ ઓછા, એના કારણે જે ઉર્જા create થાય એ અંદરને અંદર ઘુમરાયા કરે. એટલે અત્યારે આપણે પરમ ચૈતન્યના તીર્થમાં, મૂર્તિ ચૈતન્યના તીર્થમાં અને સદ્ગુરુ ચૈતન્યના તીર્થમાં બેઠા છીએ. અને આપણે મંત્ર ચૈતન્યનો સ્પર્શ કરવા માટે જઈ રહ્યા છીએ.

સ્વાનુભૂતિ એ આપણું લક્ષ્ય છે. દાદાને કહી દેજો કે દાદા! સ્વાનુભૂતિ ન મળે ત્યાં સુધી મારું અવતારકૃત્ય પૂરું થતું નથી. અનંતા જન્મો પરની અનુભૂતિમાં ગયા, માટે પીડામાં ગયા. પ્રભુ! આ એક જન્મ માત્ર ને માત્ર મારો સ્વાનુભૂતિથી પૂર્ણ બની જવો જોઈએ. પ્રભુ તૈયાર છે સ્વાનુભૂતિ આપવા માટે. અને એટલે જ દેવચંદ્રજી મ.સા.એ તમે સ્વાનુભૂતિને કઈ રીતે આત્મસાત્ કરી શકો, એના માટે સાધનાની સપ્તપદી આપી.

પહેલું ચરણ છે: ‘પર રસથી મુક્તિ’ આ જ આપણો સ્વાનુભૂતિનો અરુણોદય છે. સ્વાનુભૂતિ કરવી છે, પણ એની પૃષ્ટ ભૂમિકા શું? તમારી કેટલી તૈયારી જોઈએ તો સ્વાનુભૂતિ થાય… તો દેવચંદ્રજી મ.સા. એ કહ્યું, પર રસથી મુક્તિ પહેલાં તમને મળવી જોઈએ. “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત” દેવચંદ્રજી મ.સા પ્રતીતિની – અનુભૂતિની દુનિયાના માણસ છે. એ કહે છે, પરરસથી તું મુક્ત બની જા. તને સ્વનો રસ આપી દઉં. સદ્ગુરુનું કામ જ એક હોય છે, તમને પરમરસ પીવડાવવો. અને આનંદઘનજી ભગવંતે બહુ જ મજાની વાત લખી, કે આ પરમરસને કોણ પી શકશે? સદ્ગુરુ તૈયાર છે. પણ તમે તૈયાર હોવ તો પી શકશો.

તો પરમ રસને પીવા માટેની આપણી સજ્જતા શું? પ્યારા શબ્દો આનંદઘનજી ભગવંતના છે, “સગરા હોય સો ભર-ભર પીવે, નગરા જાયે પ્યાસા” આપણી સંસ્કૃતિના બે શબ્દો એમણે વાપર્યા; સગરો, નગરો. સગરા હોય સો ભર-ભર પીવે- જે સગરો છે, જેના માથે સદ્ગુરુ છે. એ પરમરસના પ્યાલા ના પ્યાલા ભરીને પી શકશે. નગરા જાયે પ્યાસા- જે નગરો છે એ તરસ્યો રહેવાનો છે. હવે ખ્યાલ આવશે કે અનંતા જન્મોમાં પરરસ આપણને કેમ ન મળ્યો… આપણે નગરાં હતા. ગુરુ વિહોણા હતા.

પણ એક બહુ મજાની વાત ઊંડાણની કહું: નગરા શબ્દને સમજવો સહેલો છે. સગરા શબ્દને સમજવો અઘરો છે. નગરો એટલે ગુરુ વગરનો તમે કહી દેશો. પણ સગરો એટલે શું? તમે કોઈને ગુરુ તરીકે માની લીધા, એથી તમે સગરા બની જતાં નથી. દરેક સાધુ- સાધ્વીજીને તો ગુરુ નક્કી જ હોય છે. દીક્ષા વખતે કહેવામાં આવે, તમારા ગુરુનું નામ આ, તમારું નામ આ, પણ છતાં એ સાધુ – સાધ્વીજીઓ પણ સગરા હોય એવું ગેરંટી પૂર્વક કહી શકાય નહિ.

તો સગરા હોવું એટલે શું? એ વાત જયવીયરાય સૂત્રમાં ખુલે છે. ‘સુહગુરુજોગો’ ત્યાં આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરતાં માત્ર સદ્ગુરુને યાચતા નથી, ‘સદ્ગુરુયોગ’ માંગીએ છીએ. પ્રભુ તું મને સદ્ગુરુ આપ. એવી પ્રાર્થના આપણી નથી. પ્રભુ તું મને ‘સદ્ગુરુયોગ’ આપ. સદ્ગુરુયોગ એટલે શું? સદ્ગુરુ સાથેનું તમારું જોડાણ. અને એવું જોડાણ થઇ જાય, કે મારા લયમાં હું ઘણીવાર કહું છું: ૧ + ૧ = ૧. ગુરુ + સાધક, ગુરુ + શિષ્ય. ૧ + ૧ પણ = ૧, = ૨ નહિ. પછી બે નથી રહેતા, માત્ર ગુરુ જ રહે છે; તમે નથી રહેતા. પછી સદ્ગુરુની આજ્ઞા જ રહે છે. તમારી ઈચ્છા રહેતી નથી. આ સદ્ગુરુ યોગ મળી ગયો પછી તમારે કંઈ કરવાનું રહેતું જ નથી. ખરી વાત તો એ છે, એક સદ્ગુરુ યોગ જ તમારી સાધના છે. Then you have not to do anything absolutely. પછી તમારે કશું જ કરવું નથી. તમે સદ્ગુરુને સમર્પિત થઇ ગયા. Totally surrender થઇ ગયા, પછી તમને કઈ સાધના આપવી ગુરુ નક્કી કરશે. તમારી જીવન વ્યાપીની સાધના વૈયાવચ્ચની છે, ભક્તિની છે, સ્વાધ્યાયની છે, ગુરુ નક્કી કરશે. એ સાધનાને ઘૂંટાવરાશે પણ સદ્ગુરુ. એ સાધના માટેનું appropriate atmosphere પણ સદ્ગુરુ આપશે. અને તમારી સાધનામાં ક્યાંય પણ અવરોધ આવે, એ અવરોધને હટાવવાની જવાબદારી પણ સદ્ગુરુની છે. અને એ જ લયમાં હું પ્રભુની સાધનાને back seat journey કહું છું. કારની પાછળની સીટમાં અંઢેલીને સૂઈ ગયા, મંઝિલ આવી ગઈ, સોફર કહે છે; સાહેબ હવે ઉતરો. તમારી મંઝિલ આવી ગઈ. આવી back seat journey આપણી સાધનાની છે. તમારે કંઈ કરવાનું જ નથી રહેતું. બોલો તમારી સાધના શું હોવી જોઈએ, તમે નક્કી કરશો? ના. સદ્ગુરુ નક્કી કરશે. તમારી જન્માન્તરીય ધારાના સંદર્ભમાં ગુરુ નક્કી કરશે કે તમારી કઈ સાધના હોવી જોઈએ.

હું ઘણીવાર કહું, એક શિષ્ય મારી પાસે આવ્યો, મારે એને સાધના આપવાની છે. બની શકે કે ૩-૩ જનમથી ગુરુચેતનાએ એને વૈયાવચ્ચની ધારામાં મુકેલો હોય. હું એની જન્માન્તરીય ધારાને જોઈ ન શકું, અને હું એને સ્વાધ્યાયની ધારામાં મોકલું, તો ગુરુ તરીકે totally fail થયેલો હું માણસ છું. ગુરુએ એ જ સાધના આપવાની છે, જે તમારા માટે appropriate હોય, પછી એ સાધનાને કેમ ઘૂંટાવવી એ પણ સદ્ગુરુ નક્કી કરશે. સાધના માટેનું યોગ્ય વાતાવરણ પણ ગુરુ તમને આપશે. તમને ખ્યાલ છે, સદ્ગુરુની aura એટલે સાધનાને ઘૂંટવા માટેનું appropriate atmosphere. અહીં તમે બેસી જાવ, ચરણ પાદુકા પાસે, ધ્યાન કરવા માટે, તમે જોઈ લો તમારી સાધના કેટલી uplifted બને છે! તમારી સાધનાને યોગ્ય વાતાવરણ આપવાનું કામ સદ્ગુરુ ચેતના કરે છે.

હું ઘણીવાર કહું, રેલ્વેનો દોડતો કમ્પાટમેન્ટ હોય, એક માખી એમાં છે, એને એક પાટિયા પરથી બીજા પાટિયા પર જવું છે, સમજો કે ૩ એક મીટરની એની journey છે. ડબ્બો દોડી રહ્યો છે, ડબ્બાની ભીતરનો અવકાશ પણ દોડી રહ્યો છે. એ ત્રણ મીટરની journey માખી પૂરી કરશે ત્યાં સુધીમાં ડબ્બો ૪૦ મીટર ખસકી ગયો હશે. તો એને ડબ્બાનો વેગ પણ મળી જશે. એમ સદ્ગુરુની aura સર્કલમાં તમે બેસો ત્યારે તમે એટલા બધા ઊચકાઈ જાવ છો કે તમારી પોતાની સાધના કરતાં સદ્ગુરુના aura સર્કલે આપેલી સાધના એકદમ વધારે હોય છે.

તો “સગરા હોય સો ભર-ભર પીવે” કેટલી સરળ વાત છે બોલો… પરમરસ પીવો છે ને? પીવો છે…? સાચું કહેજો, આમ પીવાની તડપન ખરી? સંતોનું દર્શન એના માટે જ છે. સંતોના ચહેરા ઉપર જે આનંદ છે, એ આનંદ પરમરસના પાનનો છે… પરમરસ પીવાયો છે પછી મસ્તી જ મસ્તી. કેફ જ કેફ. એ સંતોનું દર્શન કરો અને તમને પરમરસ પીવાની તડપન ન જાગે એવું બની શકે નહિ.

તો ફરી પૂછું પરમરસની પ્યાસ છે? નક્કી? તો હવે શું કરવાનું? સદ્ગુરુ સમર્પણ.

મને ઘણા સાધકો પૂછે સાહેબજી! એમ તો સમર્પણ કઈ રીતે કરી દેવું? અને હું તો પાછું total surrender ની વાત કરું. ૬૦-૪૦ ની વાત નથી કે ૭૦-૩૦ નો રેસીયો નથી અહીંયા… ૯૯ અને ૧ એનો પણ રેસીયો નથી આપણે ત્યાં, એ તો ૧૦૦% surrender છે. તો મને કહે સાહેબ! તમે તો સંપૂર્ણ સમર્પણ ની વાત કરો છો. આ સમર્પણ કરવું શી રીતે? ત્યારે હું હસતો હોઉં છું, કે ભાઈ મને સમજાવ તો ખરો? તારી પાસે છે શું પહેલા? તારે સોંપવાનું શું? એ નક્કી કર પહેલા… તું કહે છે સમર્પણ અઘરું પડે. પણ તારે શું સોંપવાનું છે એ તો મને કહે. એક ગંદુ શરીર તારું છે, એક ગંદુ મન તારી પાસે છે, સંપત્તિ તો પુણ્યના ઉદયથી મળી છે. અને પુણ્યના માલિક પણ પ્રભુ જ છે. તો તારું પોતાનું કહેવાય એવું છે શું? એક ગંદુ શરીર, એક ગંદુ મન. તો એ ગંદા શરીર અને ગંદા મન પર આપણે મમત્વ રાખ્યું, આસક્તિ રાખી, અને એટલે જ નરક-નિગોદમાં અનંતીવાર આપણે જઈ આવ્યા. માત્ર એના પ્રત્યેના રાગના કારણે. અને એ કચરા જેવું શરીર, કચરા જેવું મન પ્રભુને સોંપી દો, પ્રભુની grand exchange offer છે; હું તને મોક્ષ આપી દઉં. Now choice is yours. બોલો.. શું જોઈએ બોલો? આ બાજુ સમર્પણ; આ બાજુ મોક્ષ. પ્રભુ તૈયાર છે..

બહુ મજાની વાત તમને કરું? પ્રભુ એટલી હદે તૈયાર છે, કે પ્રભુને તમારી ચેતનામાં પણ અવતરિત થવું છે. કલાપૂર્ણસૂરિ દાદાની ચેતનામાં પરમચેતનાનું અવતરણ થયું એ જ રીતે તમારી ચેતનામાં પણ પરમચેતનાએ અવતરણ કરવું છે. પણ તમે એના માટે તૈયાર નથી. તીવ્ર ઝંખના ન હોય ત્યાં સુધી પરમચેતના કઈ રીતે આવે…? એટલે અમને એ પરમાત્મા મોકલે છે કે જાઓ ભાઈ! આ લોકોને તૈયાર કરો. મારે આવવું છે.

ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ પોતે કહ્યું, પ્રભુના પોતાના શબ્દો.. “सोही उज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठई ।” હું એનું મુક્ત અનુવાદ કરું છું, કે બેટા! તારા હૃદયને તું નિર્મળ બનાવી નાંખ, મારે તારી ભીતર આવવું છે. પ્રભુ તૈયાર છે. અને અમને મોકલે છે તમારો કચરો લેવા માટે, અમારે બીજું કાંઈ જોઈએ નહિ. તમારો રાગ, દ્વેષ અને અહંકારનો કચરો અમને આપી દો.

તો પહેલું જ ચરણ સ્વાનુભૂતિનું છે: પરરસથી મુક્તિ. બહુ અદ્ભુત વાત છે! પરપદાર્થો છોડવાની વાત પ્રભુ કરતાં નથી. અમારા લોકોની સાધના પણ પ્રભુએ કેટલી સરળ કરી આપી. અમે લોકો દીક્ષા માટે તૈયાર થયા, પ્રભુએ એવું નથી કહ્યું, કે બેટા! તારે માસક્ષમણ ઉપર માસક્ષમણ કરવું પડશે તો જ મારી સઘન સાધનામાં તને પ્રવેશ આપું. અને અટ્ઠાઈ પર અટ્ઠાઈ ની વાત પણ પ્રભુએ નથી કરી. એકાંતરે ઉપવાસની વાત પણ પ્રભુએ નથી કરી. તું રોજ ભોજન લઇ શકે છે. રોટલી-દાળ તું લઇ શકે છે. કારણ, પરપદાર્થ રૂપી, આ પુદ્ગલ રૂપી શરીર તને મળેલું છે, તો એ પુદ્ગલ માટે આહારના પુદ્ગલો તને જોઇશે. એટલે તું રોટલી-દાળ ખાય એમાં વાંધો નથી. રોટલી-દાળનો ઉપયોગ કરે એમાં વાંધો નથી. પણ રોટલી અને દાળ સારા છે એવો ઉપયોગ તું મનમાં રાખતો નહિ. રોટલી – દાળનો ઉપયોગ કરી શકાય, રોટલી-દાળમાં ઉપયોગ ન કરી શકાય. તમારો ઉપયોગ કેટલો કિંમતી છે! શું તમે એને ફાલતું ચીજોમાં વાપરી નાંખશો? જે ઉપયોગને માત્ર પરમચેતના તરફ અને પરમચેતના તરફ લઇ જઈને સ્વની અનુભૂતિ તરફ વાળવાનો છે, એ ઉપયોગને શું તમે કચરા તરફ નાંખી શકો?

એક વાત બહુ સરળતાથી સમજાવું, ત્રણ યોગો તમારી પાસે છે, મનોયોગ, વચનયોગ ને કાયયોગ. મનોયોગ શું કરે, વિચારો કરી શકે. વચનયોગ દ્વારા તમે બોલી શકો છો. અને કાયયોગ એટલે તમે કાયાનું હલન-ચલન કરી શકો છો. પણ આ યોગો કાર્યરત ક્યારે બની શકે…? ઉપયોગમાં ભળે ત્યારે. ઉપયોગ એટલે આત્મશક્તિ. તમારી પોતાની શક્તિ. એટલે તમારી પોતાની શક્તિ તમે આપો છો ત્યારે જ વિચારો સક્રિય બને છે. તમારી આત્મશક્તિ તમે આપો છો ત્યારે જ બોલી શકાય છે. તમારી આત્મશક્તિ તમે આપો છો ત્યારે જ કાયામાં હલન-ચલન થઇ શકે છે.

તો હવે પહેલી વાત એક છે. કે શું તમે તમારા ઉપયોગને અશુભ યોગો તરફ જવા દઈ શકો ખરા? મનમાં ખરાબ વિચાર ચાલતો હોય, એને તમે ચાલુ રાખી શકો ખરા? જાગૃત સાધક તરીકે…? શું તમારા ઉપયોગને, આ તમારા અમૃત કુંભને કર-ઉકરડામાં ઢોળી નાંખવો છે? અનંત જન્મોમાં આ ભૂલ કરી, જે ઉપયોગ શુદ્ધ આત્મસ્વરૂપ છે, એ શુદ્ધ આત્મસ્વરૂપ ઉપયોગને કચરાની અંદર યોગો દ્વારા નાંખવાનું કામ આપણે કરીએ છીએ. એટલે ઉપયોગને પર તરફ લઇ જવો, એ પ્રભુનો આપણે કરેલો સૌથી મોટો અપરાધ છે. એટલે ઉપયોગને માત્ર સ્વ તરફ વાળવો છે.

વિનોબાજી કહેતાં, એક ખેડૂત હતો. એને બે ખેતર હતા. એક ખેતરમાં શેરડી વાવેલી, એકમાં રાઈ વાવેલી. કૂવો એક જ હતો. પાઈપો બિછાવેલી. એ જ કૂવાનું પાણી, શેરડીના ખેતરમાં જાય, એ પાણી શેરડીની મીઠાશને ઉભારે. એ જ પાણી રાઈના ખેતરમાં જાય, તો રાઈની તીખાશને ઉભારે. પાણી એક જ છે. અને પાણી નિર્મળ છે. પણ એ તમારા હાથમાં છે કે તમે એને મીઠાશ ઉભારવા માટે લઇ જાવ છો કે તીખાશને ઉભારવા માટે લઇ જાવ છો. ઉપયોગ તમારો શુદ્ધ છે. અનંત જન્મોથી અશુભ યોગોની અંદર તમારો ઉપયોગ વહ્યો છે. એટલે આપણે પરરસથી મુક્ત બનવું છે. જ્યાં તમે પરરસથી મુક્ત બન્યા, પછી રાગ, દ્વેષ, અહંકાર માં જવાનું ઓછું થઇ જશે.

તો પરપદાર્થને તમે વાપરી શકો છો. એનો ઉપયોગ કરી શકો છો. પણ એને સારો કે ખોટો તમે માની શકતા નથી. ટેબલ, ટેબલ જ છે. પ્લેન ટેબલ. પ્લેન ટેબલ; એ નથી સારું, નથી ખરાબ. જે ક્ષણે સારું માન્યું ટેબલને એ ક્ષણે મારો ઉપયોગ રાગાત્મક થઇ જાય છે. જે ક્ષણે ટેબલને ખરાબ માન્યું એ ક્ષણે મારો ઉપયોગ દ્વેષાત્મક થઇ જાય છે. ટેબલ વાપરવાની મને ના નથી પાડતાં પ્રભુ, માત્ર એટલું જ કહે છે પ્રભુ કે તારા ઉપયોગને તું રાગ કે દ્વેષમાં શા માટે લઇ જાય છે? બોલો આ સરળ નથી આમ… મારો તો logo છે, it is so easy. it is easy. નહિ, it is so easy. બહુ સરળ છે આ. પદાર્થનો ઉપયોગ કરો કોણ ના પાડે છે. પણ એ પદાર્થની અંદર તમારે તમારી ચેતનાને નથી મુકવી. તમારા ઉપયોગને નથી મુકવો. જે ઉપયોગને તમારે તમારા શુદ્ધ સ્વરૂપમાં મુકવાનો છે, એ ઉપયોગને ઉપાડીને આ કચરા જેવા ટેબલમાં નાંખી દો છો! તમને right ખરો? You have no right. આ અનધિકાર ચેષ્ટા છે તમારી. તો પરપદાર્થનો ઉપયોગ કરી શકો, તમારી ચેતના રાગાત્મક રૂપે કે દ્વેષાત્મક રૂપે પરપદાર્થમાં ન જઈ શકે.

પછી બીજી વાત છે, પરવ્યક્તિઓને જુઓ, પછી શું થાય? આપણે ત્યાં બે જાતના સાધકોની વાત આવે છે. એક પ્રારંભિક કક્ષાનો સાધક. એક ઉચકાયેલો સાધક. પ્રારંભિક કક્ષાનો જે સાધક છે એનું મન સાદા દર્પણ જેવું છે. સાદા દર્પણ જેવું. કોઈ પણ વ્યક્તિ આવે એનું પ્રતિબિંબ પડી જાય. એ કરોડોપતિ છે, અબજોપતિ છે, એ શ્રીમંત છે, સત્તાધીશ છે. એવું પ્રતિબિંબ પડ્યું. પણ કેટલી સેકંડ? એ વ્યક્તિ સામે હોય ત્યાં સુધી. એ વ્યક્તિ ગઈ, દર્પણ કોરું કટ. તમારા મનમાં એની સ્મૃતિ પાછળથી ન રહે.

અષ્ટાવક્ર ઋષિ કહે છે, અષ્ટાવક્ર સંહિતામાં वैतृष्णात् न स्मरति. જે વખતે એ જુએ છે, એ વખતે પણ એનો રસ નથી એમાં, રસ નથી તો પાછળથી સ્મરણ કોણ કરશે?! રસના કારણે તમે પદાર્થ જોડે, કે વ્યક્તિ સાથે જોડાવો છો. એટલે બહુ ગંભીર ભૂલ આ થાય કે રસ તમારો કોઈ પદાર્થમાં ગયો, રસ કોઈ વ્યક્તિમાં ગયો, તો તમારી ચેતનામાં એ પદાર્થ ફસાઈ ગયો. તમારી ચેતનામાં એ વ્યક્તિ આવી ગયો. એટલે જે ચેતનાને શુદ્ધ, નિર્મલ આત્મતત્વ તરફ વાળવાની હતી, એ ચેતનાની અંદર સામાન્ય પદાર્થ, જડ પદાર્થ આવી ગયો. કોઈ વ્યક્તિ આવી ગઈ. તો સામાન્ય સાધક, પ્રારંભિક સાધક એનું મન પણ કેવું? દર્પણ જેવું.

પણ ઉચકાયેલા સાધકો હોય, એનું મન જાદુઈ દર્પણ જેવું છે. કલાપૂર્ણસૂરિ દાદાનું મન કેવું હતું? જાદુઈ દર્પણ જેવું. એમની સભામાં સેંકડો માણસો બેઠેલા હોય, પણ એમને કોઈ વ્યક્તિ વ્યક્તિ રૂપે ન લાગે, એમને બધી જ અનંત ગુણાત્મક ચેતનાઓ લાગે. એમને કોઈ મિનિસ્ટર ન લાગે. કોઈ શ્રીમંત ન લાગે, કે કોઈ ગરીબ પણ ન લાગે. બધી જ ચેતનાઓ અનંત ગુણોથી યુક્ત છે, આ જાદુઈ દર્પણ.. કે જે દેખાય છે એનું પ્રતિબિંબ નથી પડતું. જે ખરેખર છે એનું પ્રતિબિંબ પડે છે.

દેવચંદ્રજી મ.સા. ની એક ઘટના છે, કે મહાવિદેહમાં સૌધર્મેન્દ્રે સીમંધર દાદાને પૂછ્યું, કે પ્રભુ! ભરતક્ષેત્રમાં અત્યારે જ્ઞાની પુરુષ કોણ છે? સીમંધર દાદાએ દેવચંદ્રજી ભગવાનનું નામ આપ્યું. સૌધર્મેન્દ્ર દેવચંદ્રજી મહારાજના દર્શન માટે આવે છે. ઇન્દ્ર છે, બ્રાહ્મણનું રૂપ ધરીને આવે છે, એ વખતે સાહેબનું પ્રવચન ચાલી રહ્યું છે. પાછળ આવીને બેસી ગયો. સામાન્ય બ્રાહ્મણના રૂપમાં, સાદો માણસ હોય એમ, પણ પોતાના શ્રુતના બળથી દેવચંદ્રજી મહારાજને ખ્યાલ આવી ગયો કે આ સૌધર્મેન્દ્ર છે. પણ એ સૌધર્મેન્દ્ર તરીકે જાણ્યા પછી પણ એમની પ્રવચનની શૈલીમાં કોઈ ફેરફાર પડતો નથી. એ પણ અનંત ગુણાત્મક ચેતના છે. આ બધા આગળ બેઠા છે, એ પણ અનંત ગુણાત્મક ચેતના જ છે. કોઈ ફરક નથી. તમે બધા સિદ્ધાત્માઓ છો ભવિષ્યના. એટલે મારા પણ ‘નમો સિદ્ધાણં’ તમે બધા આવી જાવ છો. ભવિષ્યના સિદ્ધોને હું પણ નમસ્કાર કરું છું. તમારામાં ભવિષ્યનો સિદ્ધત્વનો પર્યાય રહેલો જ છે.

હવે આપણે જરાક ઊંડાણથી જોઈએ, કે પરરસથી મુક્ત થવું જ છે, એના માટે આપણે શું-શું કરવું જોઈએ? એના માટે ત્રણ અભ્યાસ કરવાના છે. પહેલો ભેદજ્ઞાનનો અભ્યાસ. બીજો નિર્વિકલ્પદશાનો અભ્યાસ. અને ત્રીજો જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવનો અભ્યાસ. કારણ, સ્વાનુભૂતિનો સૂર્યોદય થશે ત્યારે તમે જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવમાં આવી જશો. પણ એની પૂર્વે અરુણોદય ની ક્ષણોમાં એ જ્ઞાતાભાવ ને દ્રષ્ટાભાવનો અભ્યાસ કરવો છે. તમારે તમારી ચેતનાને નિર્વિકલ્પ પણ બનાવવી છે. તો જ તમે ધ્યાનમાં જઈ શકશો. એટલે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ પણ કરવો છે અને સૌથી પહેલા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો છે. તો આપણે આજે પહેલી વાત લઈએ, ભેદજ્ઞાનનો અભ્યાસ.

આપણે ત્યાં એક સરસ ગ્રંથ છે, અધ્યાત્મ બિંદુ, અને એમાં એના રચયિતા કહે છે; “ये यावन्तो ध्वस्तवन्धा अभूवन्  भेदज्ञानाभ्यास एवात्र वीजम्” જેટલા પણ મહાપુરુષો સિદ્ધિપદને પામી ચુક્યા છે, એમની એ સિદ્ધિપદની પ્રાપ્તિમાં મૂળમાં છે ભેદજ્ઞાનનો અભ્યાસ. હું એટલે શરીર, હું એટલે મન, તમે આગળ વધવાના જ શી રીતે? ત્યાં તમે બેઠેલા જ છો હવે… આ હું ને છોડવાની તૈયારી છે? હું શરીર વિહીન સંઘટના છું. હું મનોવિહીન સંઘટના છું. હું નામવિહીન સંઘટના છું. આ ભેદજ્ઞાનના અભ્યાસના સૂત્રો છે. પહેલા છે ને તમે ભેદજ્ઞાનનો અભ્યાસ ચિંતનના સ્તર પર જ કરી શકશો. અત્યારે તમારી પાસે અનુભૂતિ નથી એની. શરીર હું નથી માનશો પણ કોઈ આમ ઠોકશે ને તો કેમ મને માર્યું? અરે પણ તું ક્યાં છે આમાં?! તાવ આવ્યો તમે શું કહો? મને તાવ આવ્યો. ભાઈ તને ક્યાં તાવ આવ્યો છે પણ? તું તો આનંદઘન આત્મા છે. એમ બોલ ને મારા શરીરને તાવ આવ્યો છે. તું શરીરને છુટું તો પાડ તારાથી, મારા શરીરને તાવ આવ્યો છે, મને નહિ.

તો પહેલા ચિંતન. હું શરીર નથી, હું મન નથી, હું નામ નથી. એક બહુ સરસ સૂત્ર એના માટે તમને આપું… કે જે તમે રોજ ઘૂંટી શકો એવું છે. “દેહ, મન, વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” મહોપાધ્યાય યશોવિજયજીએ અમૃતવેલની સજ્ઝાયમાં આ સૂત્ર આપ્યું છે, એક શબ્દ મેં ફેરફાર કર્યો છે, ‘તુજ’ ને બદલે ‘મુજ’ કર્યું છે. તો સૂત્ર શું થશે તમારા માટે: “દેહ, મન, વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” મારું સ્વરૂપ કેવું? આ ભેદજ્ઞાનના અભ્યાસનું સૂત્ર. પાંચ વસ્તુ કહે છે; હું દેહથી ભિન્ન છું. મનથી હું ભિન્ન છું. યાદ રાખો, વિચાર કરવો એ તમારું સ્વરૂપ નથી. સિદ્ધશિલા પર ગયેલા સિદ્ધ ભગવંતોને મન નથી હોતું. માત્ર અનુભૂતિ છે ત્યાં, વિચાર નહિ. મન એ પણ તમારું સ્વરૂપ નથી. દેહ, મન, વચન – બોલવું એ પણ તમારું સ્વરૂપ નથી, તમારો સ્વભાવ નથી, મૌન એ જ તમારો સ્વભાવ છે. આમ તો છે ને અઠવાડિયું મૌનમાં રહેશો ને ત્યારે જ ખ્યાલ આવશે કે મૌનનો મહિમા શું છે?

મારો જીરાવલાનો શિબિર હતો ને, એમાં એક સરસ ઘટના ઘટી હતી, સાધકો ઘણા બધા થઇ ગયેલા, ધર્મશાળાઓ બધી ભરાઈ ગઈ. પછી કેટલાક સાધકોએ સહેજ દૂરની એક ધર્મશાળા પસંદ કરેલી. અને ઉંમરલાયક હોય તો રિક્ષામાં પ્રવચન ક્ષણે આવતાં એ લોકો… તો રીક્ષાવાળાને બાંધી દીધેલો. પણ સાધકો મૌનમાં હતા એટલે માત્ર ઈશારાથી વાત કરે. અહીંયા લઇ જવાનો આમ હાથથી ઈશારા કરે. બોલે નહિ. ૪-૫ દિવસ પછી એવું થયું, કે અમારા આનંદભાઈ બેઠેલા, એટલે એ રીક્ષાવાળો હતો ને, એ પણ સામે ઈશારા કરવા માંડ્યો હાથથી… પણ પેલા આનંદભાઈ કહે પણ તારે તો બોલવાની છૂટ છે. હા, પણ તમારા બધાના સંસર્ગમાં રહ્યો ને મારું બોલવાનું છૂટી ગયું છે.

“દેહ, મન, વચન પુદ્ગલ થકી” આ પુદ્ગલ તમારું સ્વરૂપ નથી. “કર્મથી ભિન્ન મુજ રૂપ રે” કર્મ પણ તમારું સ્વરૂપ નથી. કર્મ તમને કેમ વળગે છે? રાગ-દ્વેષ રૂપી ભાવકર્મ તમારી પાસે છે, એટલે દ્રવ્ય કર્મના પરમાણુઓ તમને ચોટી જાય છે. ભાવ કર્મ તમે ટાળી નાંખો. દ્રવ્ય કર્મ રહેવાના નથી. તો કર્મો એ પણ તમારું સ્વરૂપ નથી. આ એના માટે એક બહુ જ સશક્ત સાધના સૂત્ર ઉપાધ્યાય યશોવિજયજીએ સવાસો ગાથાના સ્તવનમાં આપ્યું, “નિર્વિકલ્પ ઉપયોગથી, નહિ કર્મનો ચારો” “નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો” તમારો ઉપયોગ નિર્વિકલ્પ કરી નાંખો. વિચારોને કાઢી નાંખો અંદરથી… હવે જુઓ કર્મ ક્યાં બંધાય છે… થોડી ઊંડી વાત છે, ધીરે ધીરે આપણે ખોલીશું પછી… અત્યારે આપણું સૂત્ર આટલું જ છે, “દેહ, મન, વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” આનું ચિંતન રોજ ૧૫ મિનિટ તમારે કરવું છે. કડી યાદ રહી ગઈ? “દેહ, મન, વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” છ મહિનાના અભ્યાસથી એવું બની શકે, કે હું શરીર છું એવો જે બોધ હતો ને, એના ઉપર પેલો એટેક કરનારો થઇ જશે. છ મહિનાના ચિંતનથી એટલી શક્તિ આવશે. કે હું શરીર છું એ વાત આવી તો જશે. પણ પેલો બોધ એને એટેક કરશે કે ના, હું શરીર નથી.

તો ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો છે. એક ઝેન સ્કુલ હતી, બૌદ્ધ ધર્મની શાખા છે. ઝેન સેક્ટ. આપણો મૂળ શબ્દ ધ્યાન. ધ્યાનનું પ્રાકૃત અને પાલી ભાષામાં થાય ઝાણ. ઝાણ નું ઝેન થઇ ગયું. તો ઝેન સ્કૂલોની અંદર માત્ર ધ્યાનનો મહિમા, ધ્યાન એટલે દેખીતી વાત છે; તમારે તમારા સ્વરૂપમાં જવાનું. કોઈ પણ જગ્યાએ ધ્યાન કરો, એનો મતલબ આ જ છે કે તમારે તમારા સ્વરૂપની અંદર જવું છે. એટલે તમારો જે સ્વભાવ નથી, એમાં તમારે જવું નથી. એકવાર એ ઝેન સ્કુલમાં મોટો સમારોહ હતો. અને બહુ ગણમાનીય અતિથિઓ મંચ પર સ્થિત થયેલા. સમારોહ ચાલી રહ્યો હતો. એક અતિથિની નજર બધા વિદ્યાર્થીઓના ગણવેશ ઉપર ગઈ. ગણવેશ તો એકસરખો. White and white. પણ આઇકાર્ડ મજાનું હતું. સામાન્ય સ્કુલનું આઈકાર્ડ હોય ને એમાં શું હોય…? student નું નામ હોય, સ્કૂલ નું નામ હોય. આમાં આઇકાર્ડ એટલું મજાનું હતું, આઇકાર્ડમાં લખેલું bodyless, nameless, choiceless.. આ આઈકાર્ડ હતું..! મહેમાનને ગમી ગયું એકદમ કે વાહ! બહુ સરસ છે આ તો! એટલે બધાની પાસે આઇકાર્ડ. સમારોહ પૂરો થયો. મહેમાન જઈ રહ્યા છે. બધા students ઉભેલા છે, છેલ્લે એક student હતો, એની પાસે આઇકાર્ડ નહોતું, મહેમાને પૂછ્યું, where is your I-card? પેલાએ ખિસ્સામાંથી એક પડીકી કાઢી. કે sir, I-card ખોવાઈ ગયું છે, નવું લેવાનો છું. પણ I-card ના બદલામાં આ રાખેલું છે. મહેમાનને નવાઈ લાગી. આ પડીકામાં એવું તે શું રાખ્યું છે? કે I-card ની અવેજીમાં ચાલી શકે. શું છે એ પડીકામાં? કહે છે… પેલાએ ખોલ્યું પડીકું, સ્મશાનમાંથી લાવેલી રાખ હતી. એટલે હું જો મને શરીર તરીકે માનું, તો મારું ભવિષ્ય આ છે. એવું મને સતત ખ્યાલમાં રહે છે. તમે મરણધર્મા છો કે અમર છો?

આનંદઘનજીએ ગાયું, “અબ હમ અમર ભયે ન મરેંગે” અને એક પદમાં સરસ વાત લખી છે, “નાસી જાસી હમ થિરવાસી, ચોખ્ખે વ્હૈ નિખરેંગે” નાસી જાસી – નાશવંત શરીર છે એ પડ્યું રહેશે. હમ થિરવાસી- હું તો શાશ્વતીમાં લયમાં રહેનાર છું. મારે ક્યાં મૃત્યુ છે?! “અબ હમ અમર ભયે ન મરેંગે” પ્રભુ જ આપણને અમર બનાવી શકે છે. દુનિયામાં કોઈ કાયા કલ્પ એવો નથી કે માણસને મૃત્યુમાંથી રોકી શકે. કદાચ કરચલી વાળો ચહેરો હોય તો કરચલી વગરનો કરી આપે, કાયા કલ્પ દ્વારા પણ તમારા મૃત્યુને અટકાવે એ કોઈ વિધિ તમારી દુનિયામાં નથી. પ્રભુની પાસે છે. “અબ હમ અમર ભયે ન મરેંગે”

ભગવદ્દગીતામાં કહ્યું, શ્રી કૃષ્ણએ “नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः” હું શસ્ત્રોથી અછેદ્ય છું. અગ્નિથી અદાહ્ય છું. મને કોણ બાળે?! મને કોણ કાપે?! અને એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં વાત આવે કે મુનિરાજ સાધના કરતાં હોય, કોઈ વ્યક્તિ આવે, સાધુ દ્વેષી છે. તલવાર લઈને આવે, માથું ઉડાડી નાંખીશ. એ વખતે મુનિ શું વિચાર કરે… તો મુનિ વિચાર એ કરે, આ તો શરીરનો નાશ કરશે ને, હું તો અમરણ ઘરમાં છું. મારું ક્યાં મરણ છે?! હું તો અમૃત તત્વ છું.

સંત દદામી થયા, સિકંદર જ્યારે આવેલો, ત્યારે સિકંદરના ગુરુએ કહેલું, કે ભારતમાં જ શ્રેષ્ઠ સંતો આ બે-ચાર છે. એમાં દદામીનું નામ પણ આપેલું. એ સંતો જો અહીંયા આવવા રાજી થાય તો એમને જરૂર લેતો આવજે. આપણા દેશમાં આપણે એમની જ્ઞાન વાર્તા સાંભળીશું. તો સિકંદર ભારત વિજય પછી દદામી પાસે જાય છે, દદામીના ચરણોમાં પડે છે. વિનંતી કરે છે. તમે મારા દેશમાં ચાલો. હવે સંત મસ્તીમાં બેઠેલા, કેફમાં.. જંગલની અંદર. એને કંઈ જોઈતું જ નહોતું. એને કોઈ શ્રોતા નથી જોઈતો. પોતે વક્તા તરીકે પણ નથી. કોઈને કંઈ આપવું નથી. પોતાને પોતાની ભીતર જ હવે રહેવું છે. બહાર જવું જ નથી. ઉપયોગને માત્ર સ્વમાં રાખવાનો છે. એ શા માટે સિકંદરની વિનંતી સ્વીકારે? ના પાડી દીધી. હું અહીંયા જ રહેવાનો છું. તો સિકંદરનું જોર ક્યાં હતું? તલવારમાં. બીજે તો ક્યાં જોર હતું… તલવારને મ્યાનમાંથી બહાર કાઢી. જોઈ છે આ તલવાર? માથું ઉડી જશે નહિ આવો તો… દદામી હસ્યા; એમાં શું છે, માથું ઉતરશે, તું પણ જોશે, ને હું પણ જોઇશ. એમાં શું છે! એ ઘટનાને પણ જોઈશું, એમાં છે શું?! માથું ઉડવાનું છે ક્યારેક… અને મેં તો આ સંન્યાસ લીધો, ત્યારે જ મારું માથું ઉડી ગયેલું છે. માથું છે જ નહિ હવે.

તો આપણે પરરસની મુક્તિ માટે ત્રણ અભ્યાસ કરવા છે. પહેલું ભેદજ્ઞાનનો અભ્યાસ, બીજું નિર્વિકલ્પદશાનો અભ્યાસ અને ત્રીજું જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવનો અભ્યાસ.

આજે આપણે ભેદજ્ઞાનના અભ્યાસની થોડી વાતો કરીએ. સુત્ર પણ તમને મળી ગયું છે. એ સૂત્ર ઘૂંટજો. તમે આ નથી, નથી ને નથી. બધી તકલીફ કેમ થાય છે ખબર છે? આને હું માન્યું છે માટે… કેમ ભાઈ મૂડલેસ થઈને બેઠા છો? મને પેલાએ આમ કીધું! તને ક્યાં કહ્યું છે? તારા શરીરને કહ્યું છે પણ! તું તો આનંદઘન આત્મા છે! એને ક્યાં પેલાએ કહ્યું છે…? મને કહ્યું…! શું કહ્યું તને પણ? તું એટલે શરીર છે? તો શરીર, નામ, મન, આ બધાનું એક કચરાનું મિશ્રણ કર્યું, એના ઉપર હું નું લેબલ લગાડી દીધું. હું એટલે આ. અને આ identity એટલી તમારી તીવ્ર બની ગઈ છે. એ identity ને કોઈ તોડે, છેદે, એટલે મારા હું ને કાપી નાંખે એવું લાગે છે. મને આ કહેનાર કોણ? દુનિયાના બધા જ ઝઘડાનું મૂળ શું? ‘હું’.. મને કેમ આમ કહ્યું?!

સમાધિશતકમાં ઉપાધ્યાયજીએ સરસ વાત લખી, એ કહે છે કે ભાઈ! “દેખે સો ચેતન નહી, ચેતન નાહી દેખાય, રોષ તોષ કિનશું કરે, આપ હી આપ બુઝાય” ભાઈ તું કહે છે કે આણે મને કહ્યું, એ તો જડ શરીર તને દેખાય છે ને, ચેતન તો દેખાતો નથી ને, આત્મા તો અદ્રશ્ય છે. “દેખે સો ચેતન નહી, ચેતન નાહી દેખાય” ચેતન તો દેખાવાનો નથી. તો જડ સાથે તું ગુસ્સો કરે છે! થાંભલા સાથે અથડાયા તો થાંભલાને શું કરવાના? લાકડી ઠોકવાના? એમ કોણે કહ્યું તને? અને બીજી વાત ક્રોધ કરનારો હોંશમાં હોતો જ નથી. બેહોશ જ હોય છે. બેહોશ માણસ કહો કે જડ માણસ કહો, શું ફરક પડે? તો જડની જોડે તારે સંઘર્ષ કરવો છે?

એટલે ભેદજ્ઞાનનો અભ્યાસ જેમ-જેમ થશે તેમ તમારું મન પ્રસન્નતાથી છલકાઈ જશે. હું આ નથી. શું વાંધો આવ્યો? કોકે કહ્યું તો કહ્યું. હું તો ઘણીવાર કહું કે કોક બોલે ને તો એનું ગળું દુઃખવા આવે, બની શકે. અમારે લોકોને ગળાનો ઉપયોગ બહુ હોય. અમને ખબર પડે છે, non-stop બોલ્યા કરીએ, કંઠને થોડી તકલીફ પડતી હોય. તો બોલનારને તકલીફ પડે, સાંભળનારને શું તકલીફ પડે? કાનમાં સોજો-બોજો આવે કંઈ?! શું થાય આમ…? તો કહે કાનમાં નહિ, મારા ‘હું’ ને સોજો આવે છે! કાનને કંઈ થતું નથી. કોઈ પીઠ પર લાકડી ઠોકે ને તો પીઠ સુજાઈ જાય, ગાલ પર કોઈ જોશથી ધોલ લગાવે ને તો ગાલ પર આંગળાની છાપ ઉપસી જાય. પણ કોઈ કડવા શબ્દો કહે તો શું થાય? કાનમાં કોઈ સોજો-બોજો આવતો નથી. પણ કહે કે કાનમાં નથી આવતો, મારા ‘હું’ માં સોજો આવે એનું છે. આપણે છે ને operation I કરવાનું છે. ભેદજ્ઞાનનો અભ્યાસ એટલે operation I. ‘હું’ નું જ operation. આ અભ્યાસ આપણે ચાલુ કરી દેવાનો છે આજથી. ભેદજ્ઞાનનો અભ્યાસ. અને એની સાથે આપણે જે સવારે ચાર ચરણોવાળો ધ્યાનાભ્યાસ કર્યો હતો એ પણ ચાલુ જ રાખવાનો છે. અત્યારે ફરી આપણે એ ધ્યાનાભ્યાસમાં જઈએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *