Maun Dhyan Sadhana Shibir 12 – Vanchan 3

1 View
41 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : ભેદજ્ઞાન અને નિર્વિકલ્પ દશાનો અભ્યાસ

તમારી identity કેવી આપશો તમે, એ તો મને કહો? આ ગંદુ શરીર એટલે હું – આ તમારી identity તમને બરોબર લાગે છે? નવડાવ-નવડાવ કરો, તોય પરસેવાની બદબૂ વહાવે એવું આ શરીર અને રાગ-દ્વેષ-અહંકારથી ભરેલું ગંદું મન. એ તમે છો?! તમને તમારી આવી identity આપતાં શરમ ન આવે?!

ભેદજ્ઞાનનો અભ્યાસ થાય, તો તમારી identity સ્થાપિત થાય કે તમે આનંદઘન ચેતના છો. તમે એટલે કોણ? શરીર નહિ, મન નહિ, નામ નહિ. તમે એટલે માત્ર આનંદઘન ચૈતન્ય, જ્ઞાનઘન ચૈતન્ય, દર્શનઘન ચૈતન્ય. આ તમારી identity.

વિભાવ પર તમારો control ન હોય એ માની શકીએ. રાગ-દ્વેષ-અહંકાર પર તમારો control નથી, નિયંત્રણ નથી; પણ વિચાર પર તો તમારું નિયંત્રણ આવી શકે ને… નિર્વિકલ્પદશાના અભ્યાસથી તમે તમારા વિચારોને off કરતાં શીખી જાઓ, તો વિભાવ spread out થતો અટકી શકે.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના

પરમચૈતન્યના સ્પર્શની સાથે સાથે શંખેશ્વર દાદાના મૂર્તિ ચૈતન્યની સથવારે અને કલાપૂર્ણસૂરિ દાદાના ગુરુ ચૈતન્યના સહકારથી સ્વાનુભૂતિની યાત્રાએ આપણે નીકળ્યા છીએ. તમે સ્વાનુભૂતિ સંપન્ન છો જ. કેવલજ્ઞાન તમારી ભીતર જ છે. તમે જ આનંદઘન છો.

૩૦૦ વર્ષ પહેલાં આનંદઘનજી ભગવંત થયા, પણ તમે બધા કોણ છો? તમે બધા જ આનંદઘન છો. અને પ્રભુની કૃપાથી શંખેશ્વરમાંથી જતાં પહેલાં તમારે બધાએ આનંદઘન થઈને જવાનું છે. તમને સમજાવું… તમે આનંદઘન મૂળભૂત રૂપે છો જ. તમને વિષાદઘન, પીડાઘન કોણ બનાવે છે. તમને પીડાઘન બનાવનાર બીજું કોઈ જ નથી, માત્ર અને માત્ર તમે છો. તમને નવાઈ લાગશે, અત્યાર સુધી ખોટા thinking ના આધારે તમે ચાલ્યા છો, તમારા મનના computer માં પ્રોગ્રામ જ ખોટો feed કરવામાં આવ્યો છે, result ખોટું જ આવે ને… પેલી વ્યક્તિએ આમ કીધું, પેલી વ્યક્તિએ આમ કર્યું, માટે મને ગુસ્સો આવ્યો. માટે મને દુઃખ થયું. માટે મને પીડા આવી. આ નિતાંત ભ્રમણા છે. માત્ર ભ્રમણા છે. કોઈ જ ઘટનાને કારણે ક્યારેય પણ પીડા તમને આવી શકતી નથી. પીડા તમારી ભીતર આવે છે માત્ર અને માત્ર તમારા વિકલ્પોથી.

આપણે ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો છે, આપણું પહેલું ચરણ છે સાધનાનું, પરરસથી મુક્તિ, એટલે એના માટેના ત્રણ ચરણો છે. ભેદજ્ઞાનનો અભ્યાસ, નિર્વિકલ્પદશાનો અભ્યાસ અને દ્રષ્ટાભાવનો અભ્યાસ. તો ભેદજ્ઞાનના અભ્યાસ માટે આ એક બહુ મજાનું positive સૂત્ર આવ્યું. ગઈ કાલે સૂત્ર આપેલું એ negative સૂત્ર હતું. “દેહ, મન, વચન, પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” ચલો એ બધાથી ભિન્ન હું છું, તું કેવો છું? હું આનંદઘન છું, હું આનંદઘન છું આ ભેદજ્ઞાનના અભ્યાસને દ્રઢ કરનારું સૂત્ર છે. તો હવે આપણે જોઈએ, કે પીડા કેમ આવે છે?

એક બહુ મજાની વાત તમને કહું, ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે. જેમ ફાવે એમ એ ઘટિત થઇ શકે છે. તો પછી એ ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એના માટે તમે સ્વતંત્ર નથી? ઘટના ઘટિત થવા માટે સ્વતંત્ર છે. તમને પૂછવા નથી આવતી આમ ઘટું? એ એની મેળે ક્રમબદ્ધ પર્યાયને કારણે ઘટ્યા કરે છે. તો ઘટના ઘટિત થવા માટે સ્વતંત્ર છે. તો એ ઘટનાનું અર્થઘટન કરવા માટે તમે સ્વતંત્ર નથી…? બસ અહીં જ તમારી પરતંત્રતા આવી ગઈ. સમાજે જે ખોટું ફીડિંગ તમારા મનના કોમ્પ્યુટરમાં કર્યું છે એના કારણે બધા જ દાખલા, બધા જ સમીકરણો ખોટા આવે છે. હકીકત એ છે, કે ઘટનાને જોવાના ભિન્ન ભિન્ન આયામો છે. શા માટે તમે એક જ આયામથી ઘટના જોવો છો? તમે જે ઘટનાને ખરાબ તરીકે જોવો છો. એ કદાચ સારી પણ છે, તમને જોતા નથી આવડી. એકદમ practically approach થી આજે બતાવી દઉં.

એક જ ઘટનાને જોવાના, જ્ઞાનીઓના એંગલસ્ કેટલા ભિન્ન ભિન્ન હોય છે. પછી તમને જે એંગલ ગમે એ સ્વીકારજો. મને વાંધો નથી. પણ સમાજે આપેલું જે દ્રષ્ટિકોણ છે એ તો મૂકી જ દેજો. સમાજે આપેલ દ્રષ્ટિકોણથી તમે પીડિત ન થતાં હોવ તો મને કોઈ વાંધો નથી. પણ મને ખ્યાલ છે, તમે પીડિત છો. તમારા મનમાં એક કોન્સેપ્ટ નક્કી થઇ ગયો, આ વ્યક્તિએ આમ કરવું જોઈએ. પેલી વ્યક્તિએ આમ કરવું જોઈએ. ઓલી વ્યક્તિએ આમ કરવું જોઈએ. તમારા હાથમાં છે એ વ્યક્તિત્વો બધા? કે તમે કહો એમ બધા એમ કરશે? પછી એ જરા જુદી રીતે વર્તશે. એટલે તમને લાગશે પીડા! આ પીડામાંથી બહાર આવવું છે બોલો? ભેદજ્ઞાનનો અભ્યાસ અને નિર્વિકલ્પદશાનો અભ્યાસ તમને પીડામાંથી બહાર લાવશે. અને આનંદઘન બનાવશે.

હમણાંની ઘટના છે, એક સંત હતા, હિંદુ સંત. એકદમ નિઃસ્પૃહ, વિદ્વાન. આપણે ગુણાનુરાગી માણસો છીએ. એટલે તમને કદાચ ખ્યાલ હશે કે પાંચમી દ્રષ્ટિએ જ સમ્યગ્દર્શન એટલે કે સ્વાનુભૂતિ મળે છે. છટ્ઠી દ્રષ્ટિમાં સ્વાનુભૂતિનું મધ્યાહ્ન આવે છે. પણ સ્વાનુભૂતિનો અરુણોદય એ પહેલી ચાર દ્રષ્ટિ હોય છે. તો ભેદજ્ઞાનનો અભ્યાસ કરેલ મહાત્માઓ ચાર દ્રષ્ટિમાં હોય છે. નિર્વિકલ્પદશાને જેમણે ઘૂંટી છે, એ મહાત્માઓ ચાર દ્રષ્ટિની અંદર હોય છે. ખરેખર તો પહેલી દ્રષ્ટિની અંદર એટલા બધા ગુણો મુકેલા છે કે તમને લાગે, કે પહેલી દ્રષ્ટિ મળવી એ પણ અઘરી છે. પહેલી દ્રષ્ટિ મિત્રા છે. મિત્રા, તારા, બલા, દીપ્રા. એ આપણું સ્વાનુભૂતિનો અરુણોદય. સ્થિરા આવશે એ આપણી સાધનાનું સ્વાનુભૂતિનું સૂર્યોદય. અને પછી કાન્તા આવશે દ્રષ્ટિ, એ આપણી સ્વાનુભૂતિનું મધ્યાહ્ન છે.

તો પહેલી દ્રષ્ટિની અંદર ગુણાનુરાગ બતાવ્યો છે, એ દ્રષ્ટિનું નામ મિત્રા. અને એમાં જે સાધક આવે, એ મૈત્ર્ય સાધક કહેવાય. ત્યાં હરીભદ્રાચાર્ય એ યોગદ્રષ્ટિ સમુચ્ચય ની ટીકામાં લખ્યું: ન અસ્ય અપરત્ર ચિંતા, તત્રાપિ કરુણાશંસ્ય એવ, એષદ ઉન્મજજનં” પહેલી દ્રષ્ટિમાં તમારી ભાવદશા કેવી હોવી જોઈએ એની વાત કરી. કે પહેલી દ્રષ્ટિમાં ગુણાનુરાગ એટલો પડેલો છે, કે કોઈનો પણ દોષ દેખાતો નથી. હવે કદાચ એ દોષ દેખાય છે તો પણ એમાં કરુણાનો અંશ ભળેલો છે. આ મનુષ્ય આ પાપ કરી રહ્યો છે. પ્રભુ! આ મનુષ્ય આ પાપમાંથી મુક્ત થાય તો બહુ સારું. સાલા તું પાપ કરે છે, તું પાપીયો છે આ વાત નથી…! તો દોષ પહેલા તો બીજાનો દેખાતો નથી. અને દોષ દેખાઈ જાય કદાચ તો પણ ત્યાં આગળ માત્ર સહાનુભુતિ હોય છે.

એક વાત તમને પૂછું? તમારો નિકટનો સ્નેહી હોય, એકદમ સ્વસ્થ શરીરવાળો. એને કેન્સર થયું. Third stage નું થયું. તમને સમાચાર મળે છે. તમારો response શું હોય પહેલાં, ‘સાલાને કેન્સર થયું’ એવો response હોય…? અરે! એને કેન્સર થઇ ગયું! આવો સ્વસ્થ માણસ! એને કેન્સર! એટલે તમારો response ત્યાં સહાનુભુતિ ભર્યો હોય છે. હવે તમને બતાવું કે તમારા મનનું ચીટીંગ તમારા ઉપર કેવું ચાલે છે. કોઈનો દોષ સાંભળ્યો, કોઈનો દોષ જોયો, આ દોષી માણસ છે. અરે પણ દોષનું કેન્સર એને વળગ્યું છે તો તારો પ્રતિભાવ કેવો હોવો જોઈએ? સંવેદનાત્મક, સહાનુભુતિ ભર્યો, કે ધિક્કાર ભર્યો? એટલે સ્વાનુભૂતિનો  અરુણોદય એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. સ્વાનુભૂતિ, એટલે કે સ્વાનુભૂતિનો સૂર્યોદય, અને એનું મધ્યાહ્ન સ્થિરા અને કાન્તા દ્રષ્ટિ એ આપણું લક્ષ્ય છે. એ આપણી મંઝિલ છે પણ આ અરુણોદયનો માર્ગ પણ મજાનો છે.

હું ઘણીવાર કહેતો હોઉં કે પ્રભુના માર્ગની વિશેષતા શું? કોઈ પણ જગ્યાએ મંઝિલ સામે દેખાય તમને મજા આવી જાય. પણ, પ્રભુના માર્ગની વિશેષતા એ છે, કે માર્ગમાં ચાલો ને મજા આવે, ચાલો ને તરોતાજા થઇ જાવ. અમે લોકો ever fresh, ever green છીએ, કેમ? અમારામાંથી બધા સ્વાનુભૂતિ સંપન્ન ન પણ હોય. પણ, એ સ્વાનુભૂતિના માર્ગ તરફ ચાલી રહ્યા છે, તો પણ કેવા હોય? Ever fresh, ever green. તમે શાતા પૂછવા આવો ને તો શરમાઈ જાવ કે આમને શાતા શું પૂછે…?!

તો પેલા હિંદુ સંત એક ગામમાં જઈ રહ્યા છે, ગામના લોકોની વિનંતી હતી, સંતે હા પાડી. સંત એ ગામમાં જાય છે. એક-એક ઘરે લોકો ફૂલોના હાર લઈને ઉભા છે. જ્યાં એમનું procession નીકળ્યું, એક-એક ઘરેથી લોકો ફૂલના હાર એમને પહેરાવતા જાય છે. આખું ગામ સંતોનું પૂજક. પણ એમાં એક માણસ સંતોનો વિરોધી નીકળ્યો. એને આખી રાત માથે લઈને જૂત્તાનો હાર બનાવ્યો. અને એ જૂત્તાનો હાર પોતાના ઘર પાસે સંત આવ્યા ત્યારે પહેરાવી દીધો. સંતના ચહેરા ઉપર કોઈ ફેરફાર નથી હો…! ફૂલનો હાર તમને પ્રસન્નતા આપી જાય. જૂત્તાનો હાર તમને અપ્રસન્ન બનાવે. તમે પરતંત્ર બની ગયા તો-તો…!

સાચું કહેજો, અત્યારે તમારું સુખ સ્વાધીન કે પરાધીન? કોકે કહ્યું, તમે સ્તવન બહુ સરસ ગાયું હો બહુ મજા આવી ગઈ…! રતિભાવનું મોજું ઉછળશે કેમ? મેં સરસ ગાયું…!  એ જ સ્તવન માટે, બીજી વ્યક્તિ કહેશે, આજે કંઈ મજા નહિ આવી. શું શરદી-બરદી થયેલી? ગળામાં કંઈ કફ-બાફ બાઝી ગયેલો હતો…? આજે મજા નહિ આવી. અરતિભાવ. તમારું સુખ કોને આધીન? બીજાને આધીન છે. પ્રભુ કહે છે કે તારું સુખ તારે આધીન છે, તારું સુખ તારી પાસે જ છે. તારા સુખનો માલિક બીજો કોઈ નથી. પણ, હું ખોટું સમજાઈ ગયું છે, ભેદજ્ઞાનનો અભ્યાસ થયો નથી. માટે તમે આ ગૂંચવાડામાં પડો છો. એ કહે છે, સ્તવન સારું ગાયું તમે, તમે કહી દો ને કે ભાઈ આને ધન્યવાદ આપી દે તું, આને ગાયું હતું. ગાનાર તો મારું શરીર હતું. મારા હોઠ હતા. હોઠને ધન્યવાદ આપી દે. હું તો મારા પ્રભુની અંદર મનને એકદમ સ્થિર કરીને બેઠેલો હતો. મારે ક્યાં ગાવાનું હતું? ગાનાર ને અભિનંદન આપ. મને શું આપે છે…? ગાનાર હું નહોતો. તો ધન્યવાદ પણ મારા હોઠને. અને તમને ન જ ગમ્યું હોય તો તિરસ્કાર પણ મારા હોઠને આપી દે, મને વાંધો નથી. મને નહિ..! હું આનાથી પર છું. આનંદઘન હું ‘હું’ છું.

તો સંતની પ્રસન્નતામાં કોઈ ફરક પડતો નથી. પણ, ગામ લોકો બધા સ્તબ્ધ થઇ ગયા! આવો માણસ! આપણા ગામમાં આટલા મોટા સંત પધાર્યા. અને એમના ગળામાં આને સાળાએ જૂત્તાનો હાર પહેરાવ્યો! વરઘોડો પૂરો થયો. સભામાં ફેરવાઈ ગયો. સંતે પ્રવચન શરૂ કર્યું, કહે કે આજ તો બહુ મજા આવી ગઈ. આજ તો બહુ મજા આવી ગઈ કહે છે! સંત કહે છે, કે હું ગામેગામ જાઉં ત્યારે, લોકો મને ફૂલના હારથી લાદી દેતાં. મને થોડી નિરાશા થતી. નિરાશા એટલા માટે થતી, કે માળીઓનું ગામ છે આખું, બધા જ ફૂલના વેપારી, તો ફૂલ મને આપ્યા કરે છે. તો બધા જ માળી છે, હવે માળીના ગામમાં ફૂલની ઈજ્જત શું? પણ આજે ચમાર મળ્યો, હું ખુશ-ખુશ થઇ ગયો. કે વાહ! અહીંયા ફૂલની પણ ઈજ્જત થશે! વાત એક જ હતી, ઘટના એક જ હતી, જે ગામ લોકોએ જોઈ, એ લોકો નિરાશ થઇ ગયા. સંતે એ જ ઘટના જોઈ. સંત પ્રસન્ન થઇ ગયા. ગુલાબ અને કાંટા બેઉ સાથે હોય કે નહિ? તમે શું જોવો છો એના ઉપર આધાર રહે… ગુલાબમાં કાંટા જોવો કે કાંટામાં ગુલાબ જોવો? શું જોવો? ગુલાબમાં કાંટા જોશો તો શું થશે, અરે! આવું કોમળ ગુલાબ અને એની પાંદડીઓને કાંટાથી વીંધાવું પડે છે…! પણ કાંટામાં ગુલાબ જોશો તો? આ દ્રષ્ટિને ફેરવવી આ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે. જ્યાં સુધી આ દ્રષ્ટિ નહિ ફરે, અને બીજાના ગુણો તમને નહિ દેખાય, ત્યાં સુધી સ્વાનુભૂતિની યાત્રા શરૂ નહિ થઇ શકે. એટલે ભેદજ્ઞાનનો અભ્યાસ શું કરશે? તમારા આખા દ્રષ્ટિ બિંદુને પલટી નાંખશે. હવે બોલો કાંટામાં ગુલાબ તમે જોયા, કેટલો આનંદ થઇ ગયો! વાહ! આવા કાંટા, તીક્ષ્ણ, ભોંકાય એવા, એમાં ગુલાબ આટલા સરસ! શું સર્જનહારની લીલા છે…!

પાલનપૂરમાં એક ભાઈ રહેતા હતા, એમનો સંબંધી મુંબઈ રહેતો હતો. એ સંબંધીના યુવાન છોકરાએ સોળભત્તું કરેલું. અને પર્યુષણના પારણે એનું પારણું હતું. પત્રિકા આવી ગઈ. પણ આ ભાઈએ વિચાર કર્યો, પાલનપુરવાળા ભાઈએ… કે પર્યુષણમાં તો જવાની કોઈ વાત નથી, ચૌસઠ પ્રહરી પૌષધમાં છું. એ પછી પણ મ.સા. ગામમાં બિરાજમાન છે, પાંચમના પારણા, વરઘોડો, તપસ્વીઓની શોભાયાત્રા, તપસ્વીઓનું બહુમાન, ચૈત્યપરિપાર્ટી આ બધા કાર્યક્રમો ચાર, પાંચ, છ દિવસના હતા. તો વિચાર્યું, કે free થઈશ પાલનપુર જઈ આવીશ. પાલનપુરથી મુંબઈ જઈ આવીશ. એની શાતા પૂછી લઈશ. દસેક દિવસ થઇ ગયા, એ મુંબઈ જાય છે શા માટે? સોળભત્તાવાળાની શાતા પૂછવા.

તો સોળભત્તાવાળાએ તો પારણું કરી નાંખ્યું. તો રૂટિન પણ ચાલુ થઇ ગયું. Job પર જાય સવારે, રાત્રે સાડા નવ-દસ વાગે આવે, દસ વાગે આવીને હાથ-પગ મોઢું ધોઈને અને ગરમાગરમ ભાખરી શાક ખાવા માટે બેસી જાય. આ ભાઈ મુંબઈ દાદર સ્ટેશને પહોંચ્યા. ટેક્ષી કરીને પેલાના ઘરે પહોંચ્યા, રાતના દસ વાગેલા, પેલો યુવાન જેને સોળભત્તું કરેલું, એ પોણા દસે આવેલો. હાથ-મોઢું ધોઈ fresh થઇ દસ વાગે ગરમાગરમ ભાખરી અને શાક ખાવા બેઠેલો. અને રાતના દસ વાગે પેલો ભાઈ આના સોળભત્તાની શાતા પૂછવા માટે આવે છે.

એ ભાઈએ શું કર્યું એ પછી કહું, તમે હોય તમને શું વિચાર આવે? જુઓ આ સોળભત્તું કર્યું! મોટી પત્રિકા છપાઈ! આ સોળભત્તું કર્યું કે લજ્વ્યું? શું થાય? વિચાર શું આવે તમને સાચું કહેજો? આ જ વિચાર આવી જાય? સવારે ચા- નાસ્તો બરોબર કર્યો હશે, પછી ટીફીનમાં બધું લઈને નીકળ્યો હશે, બાર વાગે ગરમ-ગરમ રોટલી દાળ, શાક, ભાત, ટીફીનમાંથી ખાધા હશે. અઢી-ત્રણ વાગે ચા પણ પીધી હશે. પાંચ વાગે fruits, snacks પણ ખાધા હશે. તો ય રાત્રે ભૂખ્યો થઇ જાય છે આ?!

પણ પાલનપુરવાળો એ શ્રેષ્ઠી ખરેખર ગુણાનુરાગી હતો. Literally એ ભોજન કરતાં યુવાનના પગમાં પડે છે! એની આંખમાં અહોભાવના આંસુ આવે છે. પેલાનું ભોજન પત્યું, બધા સોફા ઉપર બેઠા, અને એ વખતે પાલપુરવાળા ભાઈએ કહ્યું, ખરેખર! શું આ તમારી તપશ્ચર્યા…! મારા જેવો માણસ તપશ્ચર્યા કરે એ તો સરળ વાત છે કે મારે ચેન્નાઈ જવાનું છે તો ચોવિહારો અટ્ઠમ કરી નાંખું. એટલી લાંબી journey છે. ચોવિહારી અટ્ઠાઈ કરી નાંખું. રમત વાતમાં, પણ તમે રોજ ત્રણ-ત્રણ, ચાર-ચાર, પાંચ-પાંચ ટાઈમ જમનારા તમે! તમે સોળભત્તું કર્યું! ખરેખર તમને ધન્યવાદ છે! પ્રભુની કૃપાને તમે ઝીલી, સદ્ગુરુના પચ્ચક્ખાણને તમે ઝીલ્યું! આ દ્રષ્ટિ આવી એટલે સ્વાનુભૂતિ માટેની યાત્રા શરૂ થઇ ગઈ. તો આપણી વાત એ છે કે ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે, તો તમને એનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા ખરી કે નહિ?

રમણ મહર્ષિને એક ભક્તે પૂછેલું, આપ જ્યાં પણ જાવ છો ને, ત્યાં ભક્તો આપને ફૂલ-હારથી લાદી દે છે, એ વખતે આપને શું થાય? તો રમણ મહર્ષિ કહે છે કે ભગવાનનો રથ હોય, અને રથયાત્રામાં એને લઇ જવાનો હોય, ભગવાનને અંદર પધરાવેલા હોય રથમાં, અને એ રથને બળદ બેય જોડેલા હોય, તો એ બળદ પણ આપણા માટે પૂજનીય બની જાય. કારણ કે ભગવાનને લઈને એ ચાલવાનો છે. તો આપણે એ બળદના ગળામાં એ ફૂલનો હાર પહેરાવી દઈએ તો બળદને ભાર જ વધે બીજું કંઈ થાય નહિ. આ પણ એક દ્રષ્ટિ બિંદુ હતું હાર માટેનું…

બીજું એક દ્રષ્ટિ બિંદુ કહું, સુરેશ દલાલ આપણા બહુ મોટા કવિ ગુજરાતી ભાષાના, બહુ સારા ચિંતક, એમને જયા મહેતાએ એકવાર પૂછેલું, કે તમે જ્યાં પણ જાવ છો, પ્રવચન આપવા, પ્રશંસકો તમને ઘેરી વળે છે, તમારા autograph માટે પડાપડી થતી હોય છે. તો આટલા બધા પ્રશંસાના ફૂલો તમારા ઉપર વેરાતા હોય, ત્યારે તમારો પ્રતિભાવ શું હોય? સુરેશ દલાલ કહે છે, કે હું એવો સંત નથી, કે હું દાવો કરું કે મને અહંકાર નથી. પણ, જયાબેન આ બધું કોઠે પડી ગયું છે. એટલે આની બહુ અસર થતી નથી. ન્હાવા બેઠેલા હોઈએ, નળમાંથી પાણી ટપક્યા કરતું હોય, આપણે કોઈ વિચારોમાં ખોવાયેલા હોઈએ, એ પાણીનો સ્પર્શ પણ આપણને થતો ન હોય, અનુભવાતો ન હોય, એની જેમ આ બધો વરઘોડો ચાલ્યા કરે છે. પણ એની અસર લાંબી થતી નહિ. તમે ક્યાં હોવ મારે પૂછવું છે…?

તો ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એના માટે તમે સ્વતંત્ર છો. હવે આપણે ફરીથી ભેદજ્ઞાનનો અભ્યાસ ઘૂંટી લઈએ. તમે એટલે કોણ? શરીર નહિ, મન નહિ, નામ નહિ, તમે એટલે માત્ર આનંદઘન ચૈતન્ય, જ્ઞાનઘન ચૈતન્ય, દર્શનઘન ચૈતન્ય, આ જ તમે છો. આ તમારી identity.

એક વાત પૂછું? તમારી identity પણ કેવી આપશો તમે, એ તો મને કહો? પ્રબુદ્ધ માણસ તો તમે છો જ. આજનો કોલેજીયન છોકરો હોય ને, એનું ઘર ભાડાનું હોય, કે અરે એકદમ વિસ્માર હાલતનું હોય, એટલે કોઈ જોડે મિત્રાચારી થાય ને તો પોતાના ઘરે ન લઇ જાય, હોટલમાં જ એને જમાડે. અને ક્યારેક પેલો આગ્રહ કરે કે મારે તારા ઘરે આવવું છે. પેલો મૂંઝવણમાં પડી જાય, આ મારું ઘર જોશે તો મારી પ્રતિષ્ઠા કઈ રહેવાની નથી. એટલે એક મિત્રને કહી દે, close friend ને કે આજે એક મારા મિત્રને તારા ત્યાં લઈને લઈને આવું છું, તું ભ્રમ ખોલતો નહિ કે આ મારું ઘર નથી. એને પણ લાગે કે ઓહો! આટલા સરસ ફ્લેટમાં આ માણસ રહે છે!

એટલે એ કોલેજમાં ભણતા યુવાનને પણ પોતાની identity સારી આપવાનું મન થાય છે બરોબર ને…? તો તમારી identity કેવી, બોલો…? આ ગંદુ શરીર એટલે હું. આ તમારી identity તમને બરોબર લાગે છે? મને નથી લાગતી. તમને સારી લાગે છે આ? આ એટલે ‘હું’?! આ કચરો એટલે ‘હું’?! આ ઉકરડો એટલે ‘હું’? lux અને liril નવડાવ નવડાવ કરો તો ય પરસેવાની બદબૂ વહાવે એવું આ શરીર. એ તમે છો?! તમને આ identity તમારી આપતાં શરમ આવવી જોઈએ. ‘હું’ આ છું! કોઈ પૂછે તમે કોણ? હું કોણ? હું આનંદઘન ચૈતન્ય છું. કમસેકમ શબ્દોમાં તો લાવી દો. હું કોણ? આનંદઘન ચૈતન્ય! પછી તમે મૂડલેસ થઈને બેઠલા હોવ ને, અને પેલો આવે કે યાર શું માંડ્યું છે આજે તે…? તું કહે કે જો આનંદઘન ચૈતન્ય છું. અને આનંદઘન ચૈતન્ય મૂડલેસ હોય ખરો? તો તમારી identity સ્પષ્ટ થઇ ગઈ આજે? આ જ identity તમારી બરોબર?

મીરાં સમી સાંજની પહોરે ગુરુના આશ્રમે ગઈ. અને મીરાંએ આશ્રમના દ્વાર ખટખટાવ્યા. ગુરુએ પૂછ્યું, કોણ બેટા? તો મીરાંએ કહ્યું, હું મીરાં! પ્રભુના ચરણોની દાસી! દ્વાર ખુલ્યા, મીરાં અંદર ગઈ. ગુરુના ચરણોમાં એમની પરંપરા પ્રમાણે સાષ્ટાંગ દંડવત્ થઈને ઝુકી, બેઠી. ગુરુ પૂછે છે બેટા! તે હમણાં કહ્યું, હું મીરાં પ્રભુના ચરણોની દાસી. પણ આ બે identity શી રીતે હોઈ શકે? મીરાં એ તારા શરીરની identity છે. હું પ્રભુના ચરણોની દાસી, ભક્ત તરીકેનું તારું સ્વરૂપ એ તારું મૂળભૂત અંતર્ગત સ્વરૂપ છે. તો બે identity શી રીતે ચાલી શકે? એકસાથે…? આ dual action ક્યાંથી લાવ્યું તે…? યા તો તું પ્રભુના ચરણોની દાસી હોય, એટલે પ્રભુના સમુદ્રમાં તારા જીવનનું બિંદુ mix up થઇ ગયું. હવે તારી identity ક્યાંથી? Your identity less personality. Your nameless personality. જો તું પરમના સમુદ્રની અંદર તારા બિંદુને ભેળવી ચુકી હોય, તો તું મીરાં રૂપે identity કઈ રીતે આપી શકે? બિંદુ સિંધુમાં ભળી ગયું. એ બિંદુને identity કઈ રીતે આપી શકાય? એ જ ક્ષણે મીરાંએ નક્કી કર્યું કે મીરાં કેન્દ્રમાંથી જઈ રહી છે, અને પ્રભુના ચરણોની દાસી કેન્દ્રમાં આવી રહી છે. ત્યાં સુધી મીરાંએ ભજનો રચ્યા એમાં લખતી હતી મીરાં. ‘મીરાં કે ગિરિધર ગોપાલ’ મીરાં પણ રહેતી, પ્રભુ પણ રહેતા. આ ઘટના ઘટિત થયા પછી મીરાં અદ્રશ્ય થઇ ગઈ. માત્ર દાસી રહી છે. ‘મેં તો રાવરી દાસી.’ મીરાં તરીકેની એની identity સમાપ્ત થઇ ગઈ! તમારે ક્યારે કરવાની છે બોલો…?

અનંત જન્મોથી ખોટું address આપતા આવ્યા છો. જ્યાં તમે રહેતાં નથી એનું address આપ્યું. હું ફલાણી જગ્યાએ રહું છું. ફલાણો એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર આ, પેલો મહિના પછી તપાસ કરવા આવે, ભાઈ એ તો ગયા કહે છે. Address ખોટું આપેલું ને.. તમારું સ્થાયી address ખરું આમ…? કોઈ માણસ છે ને સ્થાયી ન થયો હોય, અને ભાડાના ઘરોમાં અદલ – બદલ કરતો હોય ત્યારે પોતાના કોઈ મિત્રનું address આપે કે ભાઈ!  તું અહીંયા લખજે, ત્યાંથી મને મળી જશે. કારણ કે મારું ઠેકાણું કંઈ છે નહિ. તમારું address નક્કી છે હવે…? you have no address. You have no identity.

તો ભેદજ્ઞાનનો અભ્યાસ થાય તો, સાચું address તમારું સ્થાપિત થાય સિદ્ધશિલા. જ્યાં કાયમ તમારે રહેવાનું છે. અને તમારી identity સ્થાપિત થાય તમે આનંદઘન ચેતના છો. બોલો હવે ભેદજ્ઞાન અઘરું લાગે આમ…? ગઈ કાલે થોડું અઘરું લાગતું હતું. સાલું શરીર એટલે હું નહિ. મન એટલે હું નહિ, નામ એટલે હું નહિ. તો હું છું શું? હું છું શું? હવે ખ્યાલ આવી ગયો, હું આનંદઘન ચૈતન્ય છું. આ મોટો બંગલો મળે ને ઝુંપડું છોડતા વાર ન લાગે. વાર લાગે…? ઝુંપડું ફટ છૂટી જાય ને…? એમાં આનંદઘન ચૈતન્યનો મહેલ તમને બતાવું, હવે તમારા શરીરનું ઝુંપડું છૂટી જવાનું…? એકદમ સાંકડું હું તમારું છે આમ…. એકદમ નાનકડું હું…! આ વિરાટ હું માં આવી જાવ ને… આનંદઘન ચેતના હું છું! તો પહેલો અભ્યાસ છે, ભેદજ્ઞાનનો અભ્યાસ. બીજો અભ્યાસ છે નિર્વિકલ્પદશાનો અભ્યાસ.

એક બહુ સરસ વાત હું કહેતો હોઉં છું, કે સાધનામાં આગળ જવું છે, વિચારમુક્ત તમારે બનવું જ પડશે. પ્રતિક્રમણ કરતાં હોવ, મન ક્યાંય ભાંગી ગયેલું હોય, તો પ્રતિક્રમણ તમારું સાચું કહેવાશે ખરું? પ્રતિક્રમણ વખતે તમારું શરીર કટાસણા ઉપર હોય છે, મન ક્યાં હોય છે? વંદિતુ સૂત્ર બોલાય છે ત્યારે ‘તં નિંદે તં ચ ગરિહામિ’ જ્યારે જ્યારે આવે ત્યારે મનની અંદર એ પદ બોલો છો? આ પાપની હું નિંદા કરું છું મનથી, અને ગુરુ સમક્ષ આ પાપની હું ગર્હા પણ કરું છું. પણ વંદિતુ બોલનાર બોલે, તમે ક્યાંય ભાંગી ગયેલા હોવ… એટલે બોલનારને પણ રોજનું વંદિતુ રૂઢ થઇ ગયું છે તો બોલે જતો હોય ને બહાર ફર્યા કરતો હોય. એટલે તમારી, આપણી, ભગવાને આપેલી, બધી જ ક્રિયાઓને સમ્યગ્ રીતે કરવી હોય તો વિકલ્પ મુક્તિ જોઇશે, જોઇશે, ને જોઇશે. ત્યાં સુધી કહ્યું કે સાંજે સંધ્યાભક્તિ તમે કરી, સરસ મજાના ગીતો ગવાતા હતા. અને એમાં તમને આનંદ આવી ગયો. પછી પ્રતિક્રમણ માટે તમે બેઠા તરત સાંજે, અને એ પ્રતિક્રમણના સુત્રો સાંભળતા તમને એમ લાગે કે મજા તો સંધ્યાભક્તિમાં આવતી હતી, તો તમને એ પ્રતિક્રમણની આશાતનાનો દોષ લાગે છે. શાસ્ત્રોમાં એને અન્યમુદ્દ નામનો દોષ કહ્યો છે. અને એ દોષ એટલે ક્રિયા માટે અંગારો એમ કહ્યો છે. અંગારો પડે ને વસ્ત્ર બળી જાય. એમ આ અંગારો પડે ને આપણી ક્રિયા ધ્વસ્ત થઇ જાય. જે વખતે જે ક્રિયા કરો એ વખતે એમાં તન્મય થઇ જાવ.

એક નાનકડો practically approach બતાવું, દરેક અનુષ્ઠાન માટેનો, કોઈ પણ અનુષ્ઠાન કરવું છે ને, પાંચ – સાત મિનિટ પહેલા અહોભાવ એના માટે વિચારો. પ્રતિક્રમણ કરવાનું છે, પ્રતિક્રમણની અમૃત ક્રિયા, એ અમૃત ક્રિયામાં મારે જોડાવાનું છે. પ્રભુએ કહેલા, ગણધર ભગવંતોએ ગુંથેલા, મજાના જે સુત્રો જે છે, એ સુત્રોને મારે રટવાના છે. એને મારે સાંભળવાના છે. એ મંત્રોને હું બોલીશ, હું સાંભળીશ, મારા પાપો ખરી જશે! ઓહ! કેવી અદ્ભુત આ ક્રિયા! ભગવાને મને બતાવી છે! આ અહોભાવ પાંચ-સાત મિનિટ આવે. પછી તમે ક્રિયા કરો ત્યારે એમાં તન્મય થઇ જાવ. તો જુઓ એમાં એ કેફ ક્રિયા પછી કેટલો આવે છે! એ ક્રિયા પછી પા અડધો કલાક – કલાક તમે એના કેફમાં રહેશો. ચા ના શોખીન માણસે ચા પીધી હોય ને tasty, એનો પણ કેફ રહે.. મજા આવી ગઈ કહે છે!

સામાયિકનો કેફ રહે છે? કેમ નથી રહેતો? Properly સામાયિક થયું નથી. આપણે જે આ ધ્યાન સાધના કરાવીએ છીએ, ચાર ચરણવાળી, એ જો તમે properly ઘૂંટતા થશો તો, સામયિકનું પરમાત્માએ આપેલું અમૃત અનુષ્ઠાન તમારું વાસ્તવિક બનશે. અત્યારે તમે સામાયિકની શરૂઆત કરો, ઈરિયાવહિયા કરો એટલે ગમનાગમનમાં થયેલી વિરાધનાથી તમે મુક્ત થાવ. પછી ૨૫ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ કરો. ચંદેસુ નિમ્મલયરા સુધીનો. એટલે થોડીક અશુદ્ધિ રહેલી હોય, એ પણ દૂર થઇ જાય. પછી તમે સીધા જ સમભાવની process માં આવી જાવ છો. અને એમાં જ્યારે ગુરુદેવ તમને કરેમિ ભંતે આપે ત્યારે એ કરેમિ ભંતે શક્તિપાતના રૂપમાં – શબ્દ શક્તિપાતના રૂપમાં તમને મળતું હોય છે. અને હું ઘણીવાર કહું છું, એ શબ્દ શક્તિપાત મળ્યો તો તમે સમભાવને છોડીને રાગમાં, દ્વેષમાં, અહંકારમાં ન જાવ એમ નહિ, તમે જઈ શકો નહિ! આપણી ગરબડ એ છે કે ગુરુદેવ કૃપા કરીને શબ્દ શક્તિપાત આપે છે, આપણે એને ઝીલી શકતા નથી. સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપર એવો એક શબ્દ શક્તિપાત થયો છે દીક્ષા વખતે, કે એ જીવનના છેડા સુધી એ લોકો સમભાવને છોડી ન શકે. સતત સમભાવમાં જ એ લોકો હોય.

હવે તમારી વાત કરું, તમે પચ્ચક્ખાણ શેનું લીધું? કરેમિ ભંતે સામાયિઅં, હે પ્રભુ! હું સમભાવમાં સ્થિર થાઉં છું. હવે વિચાર કરો, સમભાવ અને વિભાવ આમને-સામને ખરા કે નહિ…? રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા આ બધું વિભાવ કહેવાય. એક સ્વભાવ અને એક વિભાવ. સ્વભાવની સામે પરભાવ. પરભાવ એટલે વિભાવ. તો સમભાવ એ સ્વભાવ છે તમારો. રાગ-દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા એ પરભાવ છે. તો સ્વભાવ અને પરભાવ બે સાથે રહી શકે ખરા? એક જ મનમાં એક સાથે સ્વભાવ ને પરભાવ બેય સાથે રહી શકે? તો હવે તમારે તમારા મનમાં સમભાવને રાખવો છે. અને પરભાવને રાખવો નથી. તો શું કરવું પડે તમારે બોલો હવે…? બહુ મજાની અને ઊંડી વાત છે… કે તમારું સામાયિક properly કઈ રીતે થઇ શકે. મારે છે ને તમારા જીવાતા જીવનની જ વાત કરવી છે. અને તમે જે અનુષ્ઠાનો કરો છો, પ્રભુએ આપેલા અમૃત અનુષ્ઠાનો એ જ અનુષ્ઠાનોમાં તમારે રહેવાનું છે. પણ એ જ અનુષ્ઠાનોને properly અને perfectly તમારે કરવા છે.

તો વિચારો તમારું સામાયિક perfect ક્યારે બને? ૪૮ મિનિટ સુધીનું તમારું પચ્ચક્ખાણ છે. ત્યાં સુધી તમે સમભાવમાં રહો, તો જ તમારું પચ્ચક્ખાણ સાચું કહેવાય, નહીતર કરેમિ ભંતે તમારું તૂટી ગયું. તમને એટલો જ ખ્યાલ છે, કાચા પાણીના છાંટા અડી ગયા તો સામાયિક ભાંગી ગયું. અલ્યા પણ રાગ કે ગુસ્સો આવ્યો તો તારું સામયિક ક્યાં રહ્યું પછી? સામાયિક એટલે સમભાવ. વિભાવ આવ્યો એટલે સમભાવ ગયો. હવે બરોબર..? તમને એમ થાય ૪૮ મિનિટ મારે સમભાવમાં રહેવું છે. Ok? તૈયાર આમાં? હવે તો કંઈ વાંધો નથી ને…? સામાયિક તો properly કરવું છે ને? ૪૮ મિનિટ મારી ભીતર સમભાવ રહેવો જોઈએ.

તો શું કરવાનું તમને બતાવું. વિભાવ જે છે ને રાગ, દ્વેષ, અહંકાર વિગેરે એના ઉપર તમારો સીધો control નથી. આ વસ્તુ બરોબર સમજો. અત્યારે તમારો એના ઉપર control નથી. પણ, વિભાવ અને વિચાર એની સાંઠ-ગાંઠ છે. કદાચ તિરસ્કારનો અંગારો ઉદિત થઇ શકે. સત્તામાં તિરસ્કાર પડેલો છે. દ્વેષ પડેલો છે. એવું બને કે તમે સામાયિકમાં ઘરે બેઠેલા છો. કોઈ વ્યક્તિ આવી, જાણીતી વ્યક્તિ છે, તમને એના ઉપર સહેજ તિરસ્કાર છે એ તમારા ઘરમાં આવે છે. એને જોતાં વેંત તમને તિરસ્કાર આવે છે. એટલે કે તિરસ્કારનો અંગારો તમારા મનમાં આવ્યો બરોબર? હવે એ અંગારા માટે બે કામ કરી શકાય છે. એ અંગારાને ભડકામાં પણ તમે ફેરવી શકો. અને એ અંગારા ઉપર રખિયા પણ નાંખી શકો. તમારી જાગૃતિ એ રખિયા છે. તમારા વિચારો એ પંખો છે. જેનાથી પેલો ભડકામાં ફેરવાય. તમે વિચાર કરશો, આ માણસ! નાલાયક માણસ! હરામખોર માણસ! મારા ત્યાં આવ્યો! શું એનું કામ છે અહીંયા…! સાલાએ મારું ખરાબ કરવામાં બાકી નથી રાખ્યું! ગામમાં જઈ-જઈને મારી નિંદા કરેલી છે! હવે મારા ઘરે આવ્યો છે! સાલાના ટાટીયા તોડી નાંખવા જોઈએ! આ વિચાર આવે તો શું થાય? બોલો તિરસ્કારનો અગ્નિ જે છે એ ભડકામાં ફેરવાઈ ગયો કે નહિ? અને એ વખતે જાગૃતિ આવી જાય કે ના, હું તો સામાયિકમાં બેઠેલો છું. સમભાવમાં મારે રહેવાનું છે… સહેજ તિરસ્કાર ઉદિત થઇ ગયો. બે સેકંડ-ત્રણ સેકંડ, તમારી જાગૃતિ મુખરિત થઇ ગઈ. જાગૃતિ રખિયા ઉપર આવી ગઈ. અંગારો દબાઈ જાય.

તો હું ઘણીવાર કહું છું, ભક્ત કોણ અને સાધક કોણ? ક્ષણે ક્ષણે પ્રભુનું સ્મરણ જેની પાસે છે, એ ભક્ત છે. અને ક્ષણ ક્ષણની જાગૃતિ જેની પાસે છે એ સાધક છે. તો સામાયિક કરવા તમે બેઠા ત્યારે તમે સાધક છો. અને સાધક છો ત્યારે તમારી પાસે ક્ષણ-ક્ષણની જાગૃતિ જોઇશે. વિચાર કરો… જાગૃતિ આવી, તિરસ્કાર રહેશે ખરો? નહિ… તારે સમભાવમાં જ રહેવાનું છે…હું તિરસ્કારમાં જાઉં મારું સામાયિક તૂટી જાય! બહેનો સામાયિક કરતી હોય, ગેસ ઉપર દૂધ ઉભરાય શું કરો? ઉભરાય તો ઉભરાવા દો. મારે કંઈ તેઉકાયની વિરાધના થઇ શકે નહિ… ખબર છે ને..? તો તેઉકાયની વિરાધના ન થાય, એ ખ્યાલ છે. એવો ખ્યાલ અહીંયા ખરો? કે હું સામાયિકમાં છું, મારે પરભાવમાં ન જવાય. અને સ્વભાવમાં જ રહેવાનું છે. એટલે શું થયું? સામાયિકનું અમૃત અનુષ્ઠાન મળ્યું. આપણે એને properly અને perfectly કરી ન શક્યા. એટલે એનો benefit આપણને નહિ મળ્યો.

એક સામાયિકમાં તમે સમભાવને ઘૂંટી લો, અને સમભાવનો આનંદ તમને ચખાઈ ગયો ને તમે વિભાવમાં જઈ નહિ શકો. સામાયિક પાર્યા પછી પણ, જવા દો ને યાર કહે છે ને, આટલી નાની વાતમાં શું ઝઘડો કરવાનો હોય. આ જ તમારું મન કહેશે પછી… કારણ તમે સમભાવનો- સ્વભાવદશાનો આનંદ ચાખ્યો છે. અત્યારે તમારી હાલત એવી છે તમારું સુખ ગણો, રતિ ગણો બધું પરમાંથી આવે છે.

એક બહુ મજાની વાત તમને કહું, કે અનંતા જન્મો કરતાં આ જન્મને આપણે છૂટો પાડવો છે. અનંતા જન્મોમાં શું હતું? તમારે સુખી થવા માટે તમારી પાસે એક જ option હતો – પરનો, પર-પદાર્થ, પર-વ્યક્તિ. પછી આનાથી કંટાળી ગયા તો આમાં જાવ. મહેલમાં રહેતા કંટાળી જાવ તો હિમાલયમાં જાય tracking કરવા. હિમાલયમાં થાકે પછી મહેલમાં આવે. એમ ડોળીવાળો હોય ને ખભો બદલ્યા કરે. એક ખભે ડોળી ઉપાડેલી હોય ને, અને તમે જોજો, બીજો ખભો તપી જાય, તપી જાય એટલે લાકડાને આમથી આમ ફેરવી નાંખે.  હાંશ! બહુ સરસ, શું બહુ સરસ?! હમણાં આ ખભો દુખવા આવશે. એમ તમે પરમાં થાકેલા તો છો જ. પણ તમારા મને ચીટિંગ શું કર્યું, આ પરમાંથી પેલા પરમાં તમે ગયા, થોડુક આમ હળવાશ લાગી, relax ની અસર લાગી, સારું છે હો આ, એમાં થાકી  જ જવાના છો. થાકશો એટલે ફરું પાછા આમાં… એક ગીત નવું આવ્યું, સરસ લાગ્યું. અને તમને ફરજ પાડવામાં આવે, અથવા તમે જ્યાં છો, ત્યાં કોઈએ મોટું loud speaker મૂકી દીધું છે. અને ગામડાના ગામમાં town માં પોલીસનો  control એવો કોઈ હોતો નથી. જોરથી loud speaker ગર્જી રહ્યું છે. પેલાએ એક જ કામ કર્યું છે, આ નવું ગીત આવ્યું છે એટલે એ જ ગીત વગાડવું. આખી રાત એ જ ગીત ચાલ્યા કરે. તમને ઊંઘ ન આવે, તમે સાંભળ્યા કરો, સો વાર, દોઢસો વાર, બસો વાર, કેવું ગમે ગીત બોલો….? થાકી જવાના ને…?

તો અનંતા જન્મોની અંદર માત્ર પરમાંથી સુખની કલ્પના વાળા આપણે હતા. આ જન્મમાં પ્રભુએ આપણને option આપ્યો. કે સુખ તારી ભીતર છે. સુખ બહાર નથી; સુખ તારી ભીતર છે. એટલે આપણે બહાર ફર્યા જ કરીએ, ફાંફા માર્યા જ કરીએ. પણ સુખ તો તારી ભીતર જ છે. તું આનંદઘન છે. સુખ બહાર કયાંય છે જ નહિ. આનંદ બહાર કયાંય છે જ નહિ, આનંદ તારી ભીતર છે. કુતરું હોય ને સૂકાં હાડકાંને ચબાવે, દબાવે. એટલે સૂકાં હાડકાંમાંથી શું નીકળવાનું? કંઈ ન નીકળે. પણ જોશથી દબાવે ને તો એના પોતાના પેઢામાંથી લોહી નીકળે, કુતરાના પોતાના પેઢામાંથી લોહી નીકળે, પછી કુતરું એને ચાટે, સરસ હા મજા આવી ગઈ. પણ આ મજા હાડકાંમાંથી નથી આવી. તારામાંથી આવી છે. એમ સામાન્ય સુખ પણ મળે તમારામાંથી જ મળી શકે. પરથી સુખ મળી શકે જ નહિ.

તો સ્વભાવમાં સુખ, પરભાવમાં દુઃખ. તો એ સ્વભાવમાં જવા માટેનું અનુંઠું અનુષ્ઠાન એટલે આ સામાયિક. પણ તમે વિભાવમાં કેમ ગયા ખ્યાલ આવ્યો? વિચારો ચાલુ રહ્યા માટે.

તો હવે એક મજાની વાત એ કરવી છે, કે વિભાવ પર તમારો control ન હોય માની શકીએ. રાગ-દ્વેષ પર તમારો control નથી, નિયંત્રણ નથી. વિચાર પર તો તમારું નિયંત્રણ છે ને…? વિચારને stop કરી દો. ધ્યાન સાધના તમને આ જ શીખવાડે છે. નિર્વિકલ્પદશાનો અભ્યાસ કે તમે તમારા વિચારોને off કરતાં શીખી જાવ. રાત્રે ૮ વાગ્યા સુધી lamp ઝળતો હતો. સૂઈ જવું છે. એ lamp બંધ કર્યો, night lamp ચાલુ કર્યો. Switch off, switch on. એમ કયા વિચારોને switch off કરવા. કયા વિચારોને switch on કરવા આ બધું જ જે છે એ નિયંત્રણ તમારા હાથમાં જોઈએ. સામાયિકમાં તમે સ્વાધ્યાય કરો. એ સ્વાધ્યાય દ્વારા તમે સ્વની અનુભૂતિ તરફ જાવ. અને સમભાવનો આનંદ જો તમે ઝીલ્યા જ કરતાં હોવ, તો તમારા સામાયિકને perfectly કરવા માટે તમારે શું કરવું પડે? નિર્વિકલ્પ બનવું પડે. વિચારો આવે તો રોકવાની કળા તમારી પાસે હોવી જોઈએ.

તો આજે બપોરે આપણે એ જોવું છે, કે વિચારોને આવતાં રોકવા શી રીતે? એના માટે કઈ ટેકનીકસ્ છે? શાસ્ત્રકાર ભગવંતોએ બહુ ઉપકાર કર્યો છે આપણા ઉપર. એમ નહિ કીધું કે તું નિર્વિકલ્પ થઇ જા. નહિ, એક-એક ડગલે આપણી સાથે રહ્યા છે. તમને ખ્યાલ છે? ગુરુચેતના શું છે? ગુરુચેતના તળેટીથી શિખર ઉપર જાય છે, પણ પ્રભુ એ ગુરુચેતનાને શિખર ઉપર રહેવા જ નથી દેતાં. ગુરુ ને કહે છે, જા નીચે તળેટી ઉપર, બીજાને લઈને આવ પાછો. એ બીજાની આંગળી પકડીને ગુરુ પાછો શિખર ઉપર જાય, એ બીજાને શિખર ઉપર મૂકી દે, તો પ્રભુ કહી દે ગુરુને, તું પાછો ફરી નીચે જા, બીજાને લઈને આવ. એટલે ગુરુચેતનાની આ ફેરી સર્વિસ ચાલુ છે. એ સતત તળેટીથી ઉપર તમને લઇ જવા માટે તૈયાર છે. અને એટલે કેટલા પ્રેમથી તમને ખબર છે?

ઉપનિષદનો મંત્ર હું ઘણીવાર કહું છું, “सह नाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै ગુરુ પ્રભુને કહે છે; પ્રભુ! મારી અને મારા શિષ્યની તમે રક્ષા કરો, વિભાવમાં… હું મારા શિષ્યની વિભાવની રક્ષા કરું એમ નહિ, પ્રભુ તમે મારી અને મારા શિષ્યની વિભાવમાંથી રક્ષા કરો. सह नौ भुनक्तु – અમે સાથે સ્વાધ્યાય કરીએ. અત્યારે હું પ્રવચનકાર તરીકે બેઠેલો નથી. તમે શ્રોતા તરીકે બેઠેલા નથી, આપણે બધા સ્વાધ્યાય કરીએ છીએ. सह नौ भुनक्तु. સ્વાધ્યાય- સ્વનુ જ અધ્યયન આપણું ચાલી રહ્યું છે. સ્વ તરફ કેમ જવું એ આપણે જોઈ રહ્યા છીએ. અને પછી કહ્યું, सह वीर्यं करवावहै – પ્રભુ! હું અને મારો શિષ્ય બંને સાથે સાધનામાં સાથે ચાલીયે. ગુરુ તમારો હાથ પકડીને સાધનામાર્ગે તમને ચલાવવા માટે તૈયાર છે. એક ગુરુની આંગળી ગમે કે ન ગમે? એક સદ્ગુરુનું સંમોહન તમને મળી ગયું ને; સ્વાનુભૂતિ મળી ગઈ. સદ્ગુરુનું સંમોહન એક પ્રબળ સંમોહન લાગ્યું છે?

પરમાત્માનું પરમ સંમોહન.. એક પરમાત્મા જ ગમે તમને બીજું કંઈ ગમે જ નહિ. આ પરમ સંમોહન કહેવાય. પરમાત્મા સિવાયની કોઈ ઘટના તમને ગમી શકે નહિ. માત્ર ને માત્ર એ પરમ ચેતના જ ગમે. તો તમે પરમાત્માના સંમોહનમાં આવેલા કહેવાઓ. આનંદઘનજી ભગવંત પરમાત્માના પરમ સંમોહનમાં હતા. એથી એમણે કહેલું, ‘આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી લીજીએ’ પ્રભુ તારા વિના હું એક ક્ષણ જીવી નહિ શકું. આ પરમાત્માનું પરમ સંમોહન. એવું એક ગુરુચેતનાનું સંમોહન હોય છે.

કલાપૂર્ણસૂરિ દાદા આપણી વચ્ચે આવ્યા, એ એવી એક ગુરુચેતના આવી, કે જે ગુરુચેતના તરફ લાખો લોકો સંમોહિત બન્યા. પણ આ પ્રભુનું જ કાર્ય હોય છે. કે આપણને ગુરુ તરફ એ સંમોહિત કરી દે. અને ગુરુનું સંમોહન લાગ્યું, ગુરુની જોડે ચાલવાની ઈચ્છા થઇ, ગુરુ સાથે પદ ચરીએ, તો સ્વાનુભૂતિ આ રહી…! સ્વાનુભૂતિ દૂર નથી.

અત્યારે આપણે સ્વાનુભૂતિના અરુણોદયની ભૂમિકાની ચર્ચા કરીએ છીએ. અરુણોદય તમને મળી જાય બરોબર, એની ભૂમિકા તમને મળી જાય, એટલે આપણે સ્વાનુભૂતિ એટલે શું એના તરફ આગળ વધીશું. તો ભેદજ્ઞાનનો અભ્યાસ, નિર્વિકલ્પદશાનો અભ્યાસ, અને દ્રષ્ટાભાવનો અભ્યાસ. આ ત્રણ ઘૂંટાશે તો જ સ્વાનુભૂતિને આપણે touch કરી શકશું. એટલે સ્વાનુભૂતિ મેળવતાં પહેલાં, આ ત્રણેયનો એક દીર્ઘ અભ્યાસ આપણી પાસે જોઇશે.

બપોરના સેશનમાં આપણે જોવું છે કે નિર્વિકલ્પ કઈ રીતે થઇ શકાય? તમે કહો સાહેબ વિચારમુક્ત બનવું કેમ? ભગવાને તમને એક switch નહિ, આખું switch board આપ્યું છે. આ switch દબાવે તો પણ વિચાર off થાય. અને પેલી switch દબાવે તો પણ વિચાર off થાય. આખું ને આખું switch board બપોરે ભેટમાં આપી દેવાનું છે બરોબર.

તો એક આપણું સમભાવપૂર્વકનું સામાયિક વાસ્તવિક બને એના માટે આપણે આ ચાર ચરણવાળી સાધનાને ઘૂંટીએ એમાં ચોથા ચરણે તમારે સમભાવને સ્પર્શ કરવાનો છે. આમ તો તમે અત્યારે અરુણોદયની ભૂમિકામાં છો, પણ હું practically થોડો આગળ જઈ રહ્યો છું એટલા માટે કે practically જેટલું ઘૂંટાશે એટલું જ theorical તમારી પાસે મળશે.

એક વાત નક્કી છે, theorical મેળવવામાં પણ practical બહુ જરૂરી છે. અત્યાર સુધી કેટલા પ્રવચનો સાંભળ્યા…? મુંબઈ વિગેરેમાં રહેનારાઓને બારે મહિના સત્સંગ મળે છે, અને ઘણા એવા ભાગ્યશાળીઓ છે પાંચ કિલોમીટર, દસ કિલોમીટરની રેંજમાં મહાત્મા હોય તો પ્રવચન સાંભળવા જવું છે. પણ એમાં ગરબડ શું થઇ? Theorical સંભળાઈ ગયું, નોટમાં લખાઈ ગયું. નોટમાં રહી ગયું, આપણે practically ઘૂંટવું છે. એના માટે આપણે practical શરૂ કરીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *