વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : હું નું શિથિલીકરણ
સાધનાના ત્રણ મુખ્ય અવરોધો રાગ-દ્વેષ-અહંકાર માંથી પણ કેન્દ્રમાં કોઈ હોય, તો એ તમારો હું છે. હું ને જે ગમે છે, ત્યાં તમે રાગ કરો છો. હું ને જે નથી ગમતું, ત્યાં તમને દ્વેષ થાય છે. અગણિત જન્મોની તમારી સાધનાને શૂન્યમાં ફેરવનાર કોઈ હોય, તો તમારો આ હું છે.
ભેદજ્ઞાનનો અભ્યાસ કરશો, તેમ તમારો હું સ્પષ્ટ થતો જશે. તમારા વિચારોના પૃથ્થકરણથી પણ એક વાત તમને સ્પષ્ટ રીતે નજરે આવશે કે લગભગ દર અડધો કલાકે તમારું હું તમારા વિચારોમાં ડોકાયા કરતુ હશે. જો તમે આ હું ને નકામો ગણતા હોવ, તો જરૂરિયાત છે માત્ર જાગૃતિની.
આત્મનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિની ત્રિપદી તમારી પાસે આવી જાય, તો તમે એ અહંકારને સમજી શકશો અને એ સમજાશે તો જ શિથિલ બનશે. હું ને કાઢવાની પળોજણમાં હમણાં પડવું નથી. હું ને માત્ર સ્પષ્ટ કરો કે એ ક્યાં-ક્યાં આવી જાય છે. હું ને માત્ર સમજી લેશો, તો પણ એ delete થઈ જશે.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના – ૪
એક જાગૃત સાધક તરીકે તમારે તમારાં વિચારોનું નિરીક્ષણ કરવું જોઈએ. રાતની નિરવ શાંતિમાં ક્યારેક બેસો. અને દિવસ દરમ્યાનના વિચારોનું પૃથ્થકરણ કરો. અત્યારે મૌન છે. પણ ત્રણ દિવસ પહેલાંની, ચાર દિવસ પહેલાંની વાત વિચારો. જો તમે બરોબર તમારાં વિચારોનું પૃથ્થકરણ કરશો તો એક વાત તમને સ્પષ્ટ રીતે નજરે આવશે અને એ વાત હશે તમારાં ‘હું’ ની. અડધો-અડધો કલાકે લગભગ તમારો ‘હું’ તમારાં વિચારોમાં ડોકાયા કરતુ હશે. મેં પેલાને આમ કહ્યું પેલો impress થઈ ગયો. એ તો થયો કે ન થયો તું તો impress થઈ ગયો ભાઈ. મેં આમ કર્યું ને પેલા ખુશ થઈ ગયા.
એક વિચાર તો કરો, સાત અબજ માણસોથી છલકાતી આ દુનિયા. એમાં પચ્ચીસ-પચાસ જણાએ તમને ઓળખ્યા તો પણ શું ફરક પડે? ન ઓળખ્યા તો પણ શું ફરક પડે? એટલે જો તમે ‘હું’ ને નકામો ગણતા હોવ તો જરૂરિયાત છે માત્ર જાગૃતિની. હું ને કાઢવાની પળોજણમાં હમણાં પડવું નથી. ખાલી ‘હું’ ને સમજી લો. સમજી લેશો તો પણ ડીલીટ થઈ જશે.
જાગૃત સાધકો કેવા હોય? એની વાત કરું. એક સાધકને જોયેલાં. અભિવ્યક્તિ એમની બહુ જ મોહક. શબ્દોની પસંદ પણ બહુ જ સરસ. અને એ પરમાત્માના ઐશ્વર્ય પર બોલે ત્યારે આપણે પણ છક થઈ જઈએ. પણ એ એવા જાગૃત હતા કે લગભગ એમને અહંકાર સ્પર્શતો નહિ. એકવાર એમણે મને કહેલું કે સાહેબ આજે નાનકડા વૃંદની સામે હું બોલતો હતો. ૨૦-૨૨ જણા હતા. પ્રબુદ્ધ લોકો હતા. અને હું પરમાત્માના પરમ ઐશ્વર્યની વાતો કરતો હતો. આજે એવું બન્યું કે એ પ્રબુદ્ધ વ્યક્તિત્વના ચહેરા ઉપર મારી અભિવ્યક્તિની કારણે છવાયેલો આનંદ મેં જોયો ત્યારે સહેજ અહંકાર મારા મનમાં આવ્યો. પણ ગુરુદેવ પ્રભુની એ કૃપા કે એ જ વખતે મેં વાર્તાલાપ બંધ કરી નાંખ્યો. પેલા લોકો નવાઈમાં પડી ગયા. અડધી વાતે વાર્તાલાપ બંધ કેમ થયો? અને એ ભાઈ કહે છે, ત્યારે મેં નિખાલસતાથી કહી દીધેલું કે તમે આનંદની ધારામાં વહો છો. પરમાત્માની ભક્તિની ધારામાં વહો છો. પણ તમારાં ચહેરા પરના આનંદને જોઇને મારી ભીતર અહંકારનો અંગારો ઉઠી ગયો છે. એટલે એ અહંકારના અંગારાને હું ભડકામાં ફેરવવા દઈ શકું નહિ. એટલે વાર્તાલાપ બંધ કરી દીધો. આ એક જાગૃતિ હતી. જે ક્ષણે તમને લાગે, તમારો ‘હું’ જાગૃત થયો એ ક્ષણે એ ક્રિયા સમાપ્ત કરી દો.
હિંમતભાઈ બેડાવાળા જેવા સાધકોને જોયેલાં. મોટી લાંબી ઓળી હોય આયંબિલની. લગભગ એ આયંબિલ ઘરે કરે. કારણ એક જ આયંબિલશાળામાં પોતે જશે. એક કે બે દ્રવ્યથી આયંબિલ પૂરું કરશે. જે પાછળથી વધ્યું હશે એ લઇ લેશે. ૫-૭ મીનીટમાં આયંબિલ પૂરું થઈ જશે. રોજની આ પદ્ધતિ હતી. પણ કોક જોઇને અહોભાવથી આપ્લાવિત થાય એનો વાંધો નહોતો. પણ કોઈ પ્રશંસા કરે અને પોતાના મનમાં સહેજ પણ અહંકાર આવી જાય તો? એટલે એમણે પોતાની એ સાધનાને ગુપ્ત રાખેલી.
આપણે ત્યાં શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે અજાગૃત સાધકોએ અથવા તો જાગૃતિની પગથારે જે લોકો ચાલી રહ્યા છે પણ પૂર્ણ જાગૃત નથી બન્યા. એમણે પોતાની સાધનાને ગુપ્ત રાખવાની છે. તમારી સાધનાને કોક જોશે. એને અનુમોદના થશે, એને તો કમાણી થઈ ગઈ. તમને ખોટ થશે એનું શું પછી? આવી રીતે આપણે પરોપકાર કરવો નથી. કે એનું તો કલ્યાણ થાય છે.
એક મુનિરાજની વાત આવે છે. ગુરુની આજ્ઞાથી એકાકી વિહરણ એ કરી રહ્યા છે. આપણે ત્યાં સાધનાના બે પ્રકારો આપ્યા. “એગો ગિહત્થ વિહારો, બીયો ગિહત્થ નિસીઓ ભણિયો” એક ગીતાર્થની સાધના યાત્રા, એક ગીતાર્થગુરુની નિશ્રાની સાધના યાત્રા. આ સિવાયની ત્રીજી કોઈ સાધનાયાત્રા પ્રભુ શાસનમાં નથી. ગીતાર્થ મહાપુરુષ છે તો પોતે પોતાની સાધનાનું આકલન કરી લેશે અને પોતાની સાધનાને કઈ રીતે આગળ લઇ જવી એ પોતે નક્કી કરશે. પણ આપણે અગીતાર્થ માણસો છીએ. અને જેટલા પણ અગીતાર્થ સાધકો છે એ બધાએ ગીતાર્થ ગુરુની નિશ્રામાં જ સાધના કરવાની છે. એક સદ્ગુરુ તમારાં સાધના દાતા હોવા જ જોઈએ. પંચમહાવ્રતના પાલક બધા જ આપણા સદ્ગુરુ છે. આપણે બધાને માથું ઝુકાવવાનું છે. પણ સાધનાદાતા ગુરુ એક છે આપણા. એક મંત્રદાતા ગુરુ હોય છે. ઉપધાન વિગેરે તમે કર્યું, તમને નમસ્કાર મહામંત્ર જેમણે આપ્યો, એ ગુરુદેવ તમારાં મંત્રદાતા ગુરુ બન્યા. જે ગુરુદેવ તમારી સાધનાને વ્યવસ્થિત કરી આપે અને એ વ્યવસ્થિત સાધનાને તમે follow up કરો એ ગુરુદેવ જે છે એ સાધનાદાતા ગુરુદેવ કહેવાય. અને ત્રીજા ગુરુ છે જીવન વ્યાપિની દીક્ષાના ગુરુ. રજોહરણ લઇ લો એટલે જીવન વ્યાપિની દીક્ષા તમારી થઈ ગઈ. જીવનના છેડા સુધીની. અને એ દીક્ષાના દાતા પણ એક ગુરુ હોય છે. તો એક મંત્રદાતા ગુરુ હોય, એક સાધનાદાતા ગુરુ હોય, એક જીવનવ્યાપિની દીક્ષાના દાતા ગુરુ હોય.
સાધનાદાતા ગુરુ એક શા માટે? એ પણ તમને સમજાવું. જો કે તમે લોકો છે ને બહુ નિરુપદ્રવી માણસો છો. એટલે આમેય તકલીફ પડતી નથી તમને. એકદમ નિરુપદ્રવી લોકો બરોબરને? ગુરુને ઉપદ્રવ ખડો કોણ કરે? ગુરુએ કહ્યું એને follow up કરવા જાય. તમે Follow up કરવા જાવને અવરોધ આવવાનો જ છે. અવરોધ આવશે તમે ગુરુદેવને પૂછવા આવશો. ગુરુદેવ આનું શું? ગુરુદેવ માર્ગ બતાવો? ગુરુ માર્ગ આપશે. ફરી તમે આગળ જશો. ફરી એ સાધનાનું follow up કરશો. ફરી કોઈ તકલીફ આવવાની, ફરી ગુરુ પાસે તમે જશો. પણ આવા ઉપદ્રવી સાધકો બહુ ઓછા મળે છે હો. નિરુપદ્રવી સાધકો જ ઘણા મળે. આ મહારાજ સાહેબ આવ્યા. બે સામાયિક કર્યા. સારું મહારાજ સાહેબ બે સામાયિક કરી દઈશું. બીજા મહારાજ સાહેબ આવ્યા. અષ્ટપ્રકારી પૂજા આ રીતે કરવાની, રૂપેરી સોનેરી વરખ બધું લગાવવાનું. હા સાહેબ તેમ કરીશું. નહિ સાધનાદાતા ગુરુ એક હોય. એ તમને સાધના આપે. પછી વધુમાં વધુ દર છ મહિને તમારે એમની પાસે જવું જ પડે. તમારે રીપોર્ટ આપવો પડે કે ગુરુએ આપેલી સાધના તમે ઘૂંટી એ પછી તમને કેમ રહ્યું. તમે કેમ આ રીતે સાધના નથી લેતા એનું કારણ સમજાવું કે તમારી સાધના આત્મસંતુષ્ટિનું કારણ છે. અષ્ટપ્રકારી પૂજા કરી, બે સામાયિક કર્યા, બે ટાઇમનું પ્રતિક્રમણ કર્યું, તિથીએ આયંબિલ-ઉપવાસ કરી લીધો. આપણી સાધના પૂરી થઇ. પૂરી નથી થઈ. શરૂ એ નથી થઈ ભાઈ. પુરીની ક્યાં માંડે છે! સાધના શરૂ પણ નથી થઈ.
કારણ સાધના તમે કરો છો એ માર્ગ છે. સાધ્ય શું છે તમારું? શંખેશ્વરમાં ત્રીસમી એ શિબિર પૂરી થશે. પછી ક્યાં જવાનું એ નક્કી ખરું? મુંબઈ જવાનું છે, અહિયાં જવાનું છે. નક્કી ખરું ને? એમ તમે સાધના કરો છો, સાધ્ય શું? તો શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું, “તહ તહ પવ્વટીઅવ્વં રાગદોષા વિલીજ્જંતિ” તમે પ્રોપર સાધનામાર્ગ ઉપર છો કે નહિ એ તમારે જાણવું હોય તો એક રસ્તો છે. તમારે એ જોયા કરવું જોઈએ કે તમારો રાગ પહેલા હતો એના કરતા ઘટ્યો કે વધ્યો? સામાયિક કર્યા, દ્વેષ ઘટ્યો, કેટલો ઘટ્યો? તમારો અહંકાર ઘટ્યો, કે હું પાંચ સામાયિક કરું છું નો અહંકાર આવ્યો? એક કરોડનું દાન આપો તો પણ તમને અહંકાર આવ્યો. પાંચ સામાયિક કરો તો પણ તમને અહંકાર આવે! કોઈ જો વાત કરે ને કે મારે તો રોજના ત્રણ સામાયિક છે. અને તમે પાંચ કરતા હોવ તો શું કરો? મૌન બેઠા રહો? ટપકું મુક્યા વગર રહો જ નહિ! હું તો પાંચ કરું છું! પણ તારે કોનું સર્ટિફિકેટ લેવું છે એ તો કહે? શું લોકોનું સર્ટિફિકેટ તમારે લેવું છે સાધનામાર્ગમાં? કે પ્રભુનું કે સદ્ગુરુનું લેવું છે? કોનું લેવું છે?
તો “તહ તહ પવ્વટીઅવ્વં રાગદોષા વિલીજ્જંતિ, એષા જિણાણમાણા” આ પ્રભુની આજ્ઞા છે. તો તમે પણ જોઈ શકો કે તમારી સાધના પ્રોપર્લી ચાલે છે કે નથી ચાલતી. રાગ ઘટ્યો? આયંબિલની ઓળી કરી સરસ. ધન્યવાદ હું તમને આપું. તમારી ઉપબૃંહણા કરું. બહુ સરસ કરી. પણ તમારે એ જોવું છે કે ખાવાનો રસ ઘટ્યો ખરો? ૬૦મી ઓળી કરી એનો વાંધો નહિ. એ ઓળી પૂરી થઈ. પારણું આવ્યું, ને દુધમાં ખાંડ નથી તો શું કરવાનું? પી જવાનું દૂધ એમને એમ બોલોને! અને કદાચ ચા માં સાકરને બદલે મીઠું પડી ગયું હોય તો પણ પી લો. બરોબરને? શું..? ૬૦મી ઓળીનો કેફ પારણાના દિવસે ન રહે? કેમ ચાલે આ? ઓળી કરી. સ્વાદેન્દ્રીયનો વિજય મેળવ્યો?
એક શિષ્ય ગુરુ પાસે આવ્યો. ફાગણ મહિનો હતો. વર્ષીતપની હવા ચાલતી હતી. તો એણે કહ્યું ગુરુદેવ હું વર્ષીતપ કરું? કારણ કે આજ્ઞા વગર તો કશું કરી શકાય નહિ. એ વખતે ગીતાર્થ ગુરુ કેવી રીતે સાધના આપે છે તમે જુઓ. શિષ્ય પૂછે છે, હું વર્ષીતપ કરું ગુરુદેવ? ત્યારે ગુરુ પૂછે છે, તારી વર્ષીતપની કલ્પના શું છે? હવે એ તો આપણને ખબર છે. વર્ષીતપ શું છે? ઉપવાસ-બિયાસણું, ક્યારેક છઠ્ઠ આવે. ગુરુ પૂછે છે તારી કલ્પના શું છે વર્ષીતપની? બે ઉપવાસ વચ્ચે બિયાસણું કે બે બિયાસણા વચ્ચે ઉપવાસ. બંને કલ્પના હોઈ શકે. આજે બેસણું કરીશું. સવારે ઠાઠમાઠથી સાંજે આપણે બરોબર કરી લઈશું. ઠીક છે વચ્ચે એક ઉપવાસ આઈ જાય. પેટ-બેટ ઠીક થઈ જાય. પરમદિવસે પાછું બેસણું. પારણું પાછું. એ ભાવ છે? આજે પણ ઉપવાસ! ઉપવાસ… પ્રભુની નજીક રહેવાનું. મારી જાતની નજીક રહેવાનું. વાહ! કેવી દિવ્ય ક્ષણો! પરમદિવસે પણ પાછો ઉપવાસ. ઠીક છે વચ્ચે શરીરને ભાડું આપવા માટે એકાસણું કે બિયાસણું કરી લઈશ. કેટલો ફરક પડી ગયો બોલો? તમે વર્ષીતપ કરો એમાં સ્વાદેન્દ્રીયનો વિજય થાય ખરા?
શિષ્ય ચમકી ગયો. સાહેબ વાત તમારી ખરી છે. મારા મનમાં આ જ વાત જતી. આજે બેસણું કરશું ઠાઠમાઠથી બે ટાઇમ. વચ્ચે ઉપવાસ આવશે. ઠીક છે પેટ-બેટ સાફ થઈ જશે. પરમદિવસે પાછું બેસણું. સાહેબ આ તો બકરું કાઢતા ઊંટ પેસી ગયું. તપસ્યા કરવા જાઉં છું અને આહારસંજ્ઞાને વધુ પોષીશુ. આમ સવારે ખાલી દૂધ-ખાખરો હશે તો ચલાવી લઈશ. પણ વર્ષીતપનું બેસણું હોય તો? રોટી-દાળ-ભાત-શાક જોઈએ સવારે. તો તો આહારસંજ્ઞાને પુષ્ટ કરીશું. તો ગુરુદેવ મારે શું કરવું? અને ગુરુએ કહ્યું, આયંબિલની ઓળી કર.
તમારે જોવું છે કે જેમ-જેમ તમે સાધના કરતા ગયા એમ તમારાં રાગ-દ્વેષ અને અહંકાર તમારા ઓછા થયા? એટલે આ વાત બરોબર સમજી લો. એક ગીતાર્થની સાધનાયાત્રા. બીજી ગીતાર્થગુરુની નીશ્રાની સાધનાયાત્રા. જે પણ જ્ઞાની ગુરુદેવ ઉપર તમારી શ્રદ્ધા છે, તમારું સમર્પણ છે એ ગુરુદેવ તમારાં સાધનાદાતા ગુરુદેવ છે. એ ગુરુદેવને કહેવાનું, કે સાહેબજી મને ચાર કલાક મળે છે, પાંચ કલાક મળે છે. મારે શું સાધના કરવાની? પછી એ ગુરુદેવ કહે એ સાધનાને તમારે ચાર કલાક કે પાંચ કલાકમાં ઘૂંટવાની છે. ફરી પાછુ છ મહીને જવું છે. તમારું result કેવું છે. ફરી ગુરુ સાધનામાં ફેરફાર કરી આપે. એ પ્રમાણે આગળ ચાલવું છે. અમારે ત્યાં અમે workshop ના રૂપમાં કામ કરતા. શિષ્યો ઉપર પણ, સાધકો ઉપર પણ. આટલું હોમવર્ક આપ્યું. કરીને આવો. ફરી જોઈ લઈએ. ફરી બીજું હોમવર્કમાં આપીએ. એમ એક workshop અમે ચલાવતા. જેમાં સાધકને ક્યાંથી ક્યાં પહોચાડવો? એ ગુરુના લક્ષ્યમાં રહેતું.
સદ્ગુરુ face reading ના માસ્ટર હોય છે. તમારાં ચહેરાને જોઇને તમારી અત્યારની સાધનાની ભૂમિકાનો એમને ખ્યાલ આવે છે. તમને અહીંથી ઊંચકીને ક્યાં સુધી પહોંચાડી શકાય એ પણ સદ્ગુરુને ખ્યાલ આવે છે. અને એટલે સદ્ગુરુ એક-એક વ્યક્તિ ઉપર આ કામ કરવા માટે તૈયાર હોય છે. એક વાત બરોબર યાદ રાખો સાધનાની વાતો સમુહમાં કરી શકાય. Mass માં કરી શકાય. સાધના personally જ આપી શકાય. સાધનાને સમુહમાં ન આપી શકાય. આ સાધકની આખી અત્યારની સ્થિતિ અલગ છે. આ સાધકની મનોભૂમિકા અલગ છે. તો દર્દ અલગ છે, દર્દીની સ્થિતિ અલગ છે, દવા એક ન હોઈ શકે. એટલે જ જ્ઞાની ગુરુ તમારી બધાની personal care કરવા માટે તૈયાર હોય છે. ગુરુની પ્રેમની નદીને તો કિનારો નથી. ગુરુ તો સતત તૈયાર છે. તો તમારે નક્કી કરવું છે કે તમારી સાધના ગુરુદત્ત જ હોય. સદ્ગુરુની નિશ્રામાં જ તમારી સાધના ઘૂંટાઈ રહેલી હોય.
નહીતર શું થશે તમને સમજાવું. અગણિત જન્મોની સફરમાં પ્રભુશાસન તમને નહિ મળ્યું હોય એમ માનો છો? આ સાધનાઓ તમે નહિ કરી હોય એમ માનો છો? Result કેમ નહિ મળ્યું? મારો પણ સંસાર ચાલુ છે હજુ. તમારો સંસાર ચાલુ છે. Where is the fault? તકલીફ ક્યાં થઈ? ગરબડ ક્યાં થઈ? ક્રિયા કરી. શા માટે કરી આપણને ખ્યાલ જ નહોતો. કાં તો હું જૈન છું. મારે આટલું કરવું જોઈએ આ રીતે કર્યું. ક્યારેક સ્ટેટસ સિમ્બોલ તરીકે સાધના કરી. લોકો મને ધર્મિષ્ઠ માને છે તો મારે આવું કરવું જોઈએ. પણ આત્મનિર્મલીકરણ માટે તમે કેટલી સાધના કરી? એટલે આત્મસંતોષ માટેની સાધના આવતાં જન્મમાં તમારી સાથે નથી આવવાની અને આ જન્મની અંદર પણ તમારાં રાગ-દ્વેષ-અહંકારની કિલ્લાની કાંકરી પણ ખેરવી શકશે નહિ. તમારે શું કરવું છે એ નક્કી કરો. અનંતા જન્મમાં જેમ સાધના કરી એવી જ સાધના આ જન્મમાં કરવી છે? કે એવી સાધના કરવી છે, અસ્તિત્વના સ્તર ઉપર એ સાધના આવી જાય અને તમે આવતાં જન્મમાં કે એના પછીના જન્મમાં આ સાધનાને ઘૂંટતા જ જાઓ, ઘૂંટતા જ જાઓ, આગળ વધતા જાઓ એવું કરવું છે? અત્યારની તમારી સાધના માત્ર કોન્શિયસ માઈન્ડના લેવલની છે. અને કોન્શિયસ માઈન્ડના લેવલની સાધના હોય તો શું થાય તમને કહું.
એક ભાવક મારી પાસે આવેલો. અમદાવાદથી આવેલો. એમના સંઘની અંદર એક ભક્તિનો મજાનો કાર્યક્રમ હતો. સવારે ૫ થી ૮. ત્રણ કલાકનો મજાનો કાર્યક્રમ. ભક્તિ સંગીત મજાનું, સંવેદના પણ મજાની. ત્રણ કલાક સુધી હજારો લોકો એકદમ સ્તબ્ધ થઈને બેસી ગયા. એ ભાઈ પણ ભાવવિભોર બની ગયા. આઠ વાગે કાર્યક્રમ પૂરો થયો ને ઘડિયાળ જોઈ ત્યારે ખ્યાલ આવ્યો અરે! આઠ વાગી ગયા છે! ત્રણ કલાક વીતી ગયા! એટલી સરસ રીતે સમય પસાર થયેલો. કહો કે એમાં ડૂબી જવાયેલું હતું. આઠ વાગે કાર્યક્રમ પૂરો થયો. જાહેરાત થઈ. બાજુના હોલમાં નવકારશી નો બધા લાભ આપીને પધારશો. એમને એમ કોઈ જશો નહિ. આ ભાઈ ત્યાં ગયા. ખુરશી પર બેઠા, કપ રકાબી આવ્યા, ચા આવી, ચા સીપ કરે છે. એક ઘૂંટડો ભર્યો, ઠંડી ચા, બેસ્વાદ ચા. વેઈટર ને કંઇ ખ્યાલ ન હોય. ઠંડી અને બેસ્વાદ ચા. એક ઘૂંટડો ભર્યો. એક ઘૂંટડો ભરતાંની સાથે ત્રણ કલાકની ભક્તિની મજા છૂ! આ તમારી હાલત છે અત્યારની. આ લોકોનું કાંઈ ઠેકાણું છે?! આવા વેઈટરો રાખ્યા છે! ખબર નથી પડતી! ગરમાગરમ ચા આપવી જોઈએ, આમ કરવું જોઈએ- તેમ કરવું જોઈએ. પણ તો પણ એ ભાઈ ખરેખર જાગૃત હતો. 5-૧૦ સેકન્ડ મુડલેશ થઈ ગયો, પણ તરત એને થયું. આ તો કેમ ચાલે? ત્રણ કલાક ભક્તિની ધારામાં હું વહેલો. હું ભીંજાઈ ગયેલો, પલળી ગયેલો, ડૂબી ગયેલો. અને ખાલી એક ચા ના ઘૂંટડાએ એ આખી મજાને કીર-કિરા કરી નાંખી! કંઇ સમજાયું નહિ. કારણ એને ખ્યાલ હતો. પોતાનું ઘર સાવ નજીક છે. કાર લઈને આવેલો. ડ્રાઈવ કરીને જાય. ત્રણ મિનિટમાં ઘરે પહોંચવાનો હતો. ગરમાગરમ બાદશાહી ચા અને નાસ્તો લઇ શકે એમ હતો. તો પછી મુડલેશ થવાની જરૂર જ ક્યાં હતી? ચાનો કપ મૂકી દેવો હતો, ઘરે ચાલ્યા જવું હતું, પણ ભક્તિની ધારામાં જ રહેવું હતું ને. આ ભક્તિની ધારા ખંડિત કેમ થઈ?
એ મારી પાસે આવેલા. મને કહે સાહેબ શું થયું? મેં કહ્યું, ભક્તિની ધારામાં તમે ભીંજાયા વાત સાચી પણ એ ભીંજામણ કોન્શિયસ માઈન્ડના લેવલની હતી. ઉપરના મનના લેવલની. જ્ઞાતમનના લેવલની. તમારાં અજ્ઞાતમનમાં- અનકોન્શિયસ માઈન્ડમાં માત્ર સંજ્ઞાઓનું જ સામ્રાજ્ય છે. એટલે વિજય કોનો થયો? જે અસ્તિત્વના સ્તરે સંજ્ઞા બેઠેલી છે એનો. ભક્તિની મજા કોન્શિયસ માઈન્ડમાં હતી. પેલું અસ્તિત્વના સ્તરનું છે. અને અસ્તિત્વના સ્તરનું છે એ જોરદાર નીકળ્યું. એને હુમલો કર્યો એટલે પાંચ સેકન્ડમાં ત્રણ કલાકની મજા ખતમ કરી નાંખી.
તો હવે તમે સમજો કે રાગ-દ્વેષ અને અહંકાર ક્યાં છે? તમારાં અસ્તિત્વની ધરાતરુ પર. કારણ કે અનંત જન્મોથી તમે એને સાથે લઈને નીકળ્યા છો. હવે તમે સાધનાને ક્યાં મુકો છો? કોન્શિયસ માઈન્ડમાં. અને કોન્શિયસ માઈન્ડમાં રહેલી સાધના અસ્તિત્વમાં રહેલાં દોષોને દુર કરી શકશે ખરી? હું ઘણીવાર કહું, દુશ્મન બંકરમાં હોય, ભોંયરામાં અને સૈનિક બહાર ભડાકા કરે તો શું થાય? બહાર ભડાકા કરે તો શું થાય? એને ત્યાં જઈને એની છાતી પર બંદુક ભરાવવી પડે ને? એમ દુશ્મન છે અસ્ત્તિત્વના ધરાતરુ ઉપર. તમે સાધનાને કોન્શિયસ માઈન્ડના લેવલ ઉપર મૂકી. શરીરથી સામાયિક વિગેરે કર્યું, મનથી ક્યાં કર્યું છે? પ્રવચન સાંભળ્યું, તમારાં કાને સાંભળ્યું, બહુ બહુ તો થોડો વિચાર કર્યો તો કોન્શિયસ માઈન્ડ આવ્યું. અનકોન્શિયસ માઈન્ડમાં ક્યાં સ્પર્શ થયો છે?
એટલે જ ઉપાધ્યાય યશોવિજય મહારાજે એક બહુ જ સરસ વાત શીતલનાથ પ્રભુના સ્તવનમાં કરી. “વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા” ગુજરાતી ભાષામાં એટલી સરસ સ્તવનાઓ છે જેમાં સાધનાનું નિષ્કર્ષ મુકાયો છે. “વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા” આસક્તિની ધારા આપણી પાસે છે. આસક્તિની આગ, રાગની આગ આપણી ભીતર ઉઠેલી છે. એના માટે કરવાનું શું? “વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા” તમારી જે વિતરાગદશા છે ભગવાન એનો અનુભવ મને આંશિકરૂપે થશે ત્યારે જ આ રાગની અગ્નિ શાંત પડશે. તો શું કહ્યું? તુમ ગુણ અનુભવ ધારા, તુમ ગુણ શ્રવણ ધારા નહિ. તુમ ગુણ ચિંતન ધારા નહિ. તુમ ગુણ અનુભવ ધારા. હવે બોલો, પ્રભુનું દર્શન કર્યું. પ્રભુના કેટલા ગુણોનો અનુભવ થયો છે? આજે આપણે સપ્તપદીની યાત્રાએ નીકળ્યા છીએ. એ સપ્તપદીનું છેલ્લું ચરણ છે. ‘જીનગુણ અનુભૂતિ’ એટલે આપણે ત્રીસમી તારીખ સુધીમાં તમને, મારી ઈચ્છા છે કે જીનગુણ અનુભૂતિ સુધી પહોંચાડી દઉં. એટલે અસ્તિત્વના સ્તરે જે દોષો પડેલા છે એ દોષો પર સીધો અટેક થઈ જાય. બે વાત કરી. યા તો ગીતાર્થની સાધનાયાત્રા. યા ગીતાર્થની નીશ્રાની સાધનાયાત્રા.
તો ગીતાર્થ મુનિ હતા. એકાકી વિહાર કરતા હતા. એક ગામમાં ગયા. સાહેબ વહોરવા પધારો. મારે ઉપવાસ છે. બીજા દિવસે વિહાર. બીજા ગામમાં. સાહેબ વહોરવા પધારો. મારે ઉપવાસ છે આજે. વિહારની અંદર માસક્ષમણ ચાલી રહ્યું છે. ત્રીસમાં દિવસે એક ગામમાં આવ્યા. લોકો તો ભક્તિવાળા હોય જ. સાહેબ વહોરવા પધારો. આજે મારે ઉપવાસ છે. લોકો શું સમજે? મહારાજ સાહેબ છે. તપસ્વી હોય જ. તિથી નથી આજે સહસ્ત્રકૂટ ચાલતો હશે, બીજું કંઇક ચાલતું હશે, વીસસ્થાનક ચાલતું હશે. બન્યું એવું કે ત્રીસમાં દિવસે મહારાજ સાહેબ જ્યાં છે ને ત્યાં દશેક વાગ્યા સુધી દેરાસરમાં એમણે ભક્તિ કરી. સાત-સાડાસાત-આઠ વાગે ગામમાં આવ્યા. ભેટ છોડીને સીધા દેરાસર ગયા. બે કલાક પ્રભુની ભક્તિ કરી. દસ, સાડા-દસે દેરાસરમાંથી ઉપાશ્રય તરફ આવે છે. એ જ ગામમાં એક બહુ જ મોટી હસ્તિ મરી ગયેલી. એની પ્રાર્થના સભા હતી. એટલે બધા જ જ્ઞાતિનાઓ હજારોની સંખ્યામાં ત્યાં આવેલા. અને ખુલ્લાં ચોરા ઉપર પ્રાર્થનાસભા ચાલતી હતી. ત્યાં આ મુનિભગવંતને લોકોએ જોયા. ને બન્યું એવું આ જે જ્ઞાતિ હતી ને એ જ જ્ઞાતિના ગામમાંથી મહારાજ સાહેબ ત્રીસે ત્રીસ દિવસ પસાર થયેલા. એકે કહ્યું કે મારે ત્યાં આવેલા ત્યારે મહારાજ સાહેબને ઉપવાસ હતો, બીજો કહે અમારે ત્યાંય ઉપવાસ, ત્રીજો કહે અમારે ત્યાં ઉપવાસ. અંકોળો મેળવ્યો ત્યારે ખબર પડી કે ત્રીસ દિવસથી તો ઉપવાસ ચાલે જ છે. એની આગળ તો આપણા ગામોમાં ન હોતા. બીજા કોઈ ગામોમાં હતા. બીજી જ્ઞાતિ હતી ત્યાં જૈનોની. એટલે ત્યાંનું આપણને ખબર નથી. ઓછામાં ઓછી ત્રીસ દિવસથી તો એમને ઉપવાસ ચાલી રહ્યાં છે. માસક્ષમણ હશે. અને માસક્ષમણ હોય, કાલે રોકાય તો આપણને ભિક્ષાના દાનનો લાભ મળી જાય. મહારાજ સાહેબના કાન ઉપર આ એક ભરક આવી. કે લોકોને ખ્યાલ આવી ગયો છે કે મહારાજ સાહેબને કદાચ ઉપવાસ હશે ત્રીસમો. માસક્ષમણ હશે. કદાચ એકત્રીસમાં દિવસે ત્યાં રહેવાના હોય ને તો પણ આ સાંભળ્યા પછી એકત્રીસમાં દિવસે સવારે વિહાર કરીને જાય છે. મારે મારી સાધનાને ગુપ્ત રાખવી છે. આ જાગૃતિ શેની હતી? અહંકારને દબાવવા માટેની, કે ક્યારેય પણ અહંકાર ઉછળે નહિ.
એના સંદર્ભમાં એક મજાની વાત કરું. કે જે નિરહંકારી ચેતના બની ગઈને એની પાસે એક પ્રબળ ચુંબકીય આકર્ષણ હોય છે. કલાપૂર્ણસૂરી દાદાના આંતરવૈભવનો ખ્યાલ તો ઓછાને હોય પણ બાહ્યવૈભવોનો ખ્યાલ તો ઘણા બધાને છે. સાહેબનું એક ચુંબકીય આકર્ષણ. એકવાર લોકો દર્શન કરે પછી બસ વારંવાર દર્શન કરવા આવવાનું મન થાય. કુદરતી ખેંચાણ રહ્યા કરે. આ જે ચુંબકીય આકર્ષણ હતું ને એ સાહેબની નિરહંકાર દશાને કારણે હતું. એમનું વ્યક્તિત્વ અસ્તિત્વના મહાસાગરમાં ડૂબી ગયું; બસ ત્યાં અસ્તિત્વનો જ મહાસાગર રેલાય છે વ્યક્તિત્વ તો છે જ નહિ.
સાહેબના જીવનની એક સરસ ઘટના તમને કહું. સાહેબ એક જગ્યાએ અંજનશલાકા પ્રતિષ્ઠા માટે ગયેલાં. મોટો સમારોહ હતો. સાહેબની નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા હતી. એક જ વ્યક્તિએ દેરાસર બનાવેલું અને એક વ્યક્તિ તરફથી આખો મહોત્સવ હતો. જે દિવસે અંજનશલાકા કરવા રાત્રે સાહેબને જવાનું હતું. એ દિવસે બપોરે પેલા ભાઈ આવેલા. આયોજક શ્રાવક. સાહેબે એમની બહુ જ ઉપબૃંહણા કરી, અનુમોદના. તમે બહુ સરસ કર્યું, દેરાસર પણ બહુ જ સરસ બની ગયું છે, મહોત્સવ પણ બહુ સારો થયો. પ્રદ્યુમ્નસૂરીજી એ મહોત્સવમાં હતા. અને પ્રદ્યુમ્નસૂરી મહારાજ સાહેબને મળવા, વંદન કરવા, શાતા પૂછવા, કંઇક પૂછવા આવી ગયેલા. તો ત્યાં એમણે આ વાર્તાલાપ સાંભળ્યો. એ ભાઈ તો ખુશ થઈને ગયા. પછી પ્રદ્યુમ્નસુરિ અને સાહેબ બે જ બેઠેલા. બીજું કોઈ નહિ. સાહેબના રૂમમાં. તો પ્રદ્યુમ્નસૂરી મહારાજે કહ્યું સાહેબ મને નવાઈ લાગે છે આપને તો આવવા પ્રસંગો રોજ રહેતા હોય છે. ગામડાના ગામમાં જાઓ તો પણ ભવ્ય પ્રસંગો આપની નિશ્રામાં હોય જ છે. અને આપ કોઈની આ રીતે ઉપબૃંહણા કરતા પણ નથી. બહુ બહુ તો વાસક્ષેપ આપી દો, સ્મિત આપી દો, શબ્દો દ્વારા કદાચ એકાદ શબ્દ આપી દો- બહુ સરસ. પણ એથી વધુ આપને ઉપબૃંહણા કરતા જોયા નથી. આજે મને નવાઈ લાગી. એ વખતે સાહેબે જે કારણ કહ્યું ને પ્રદ્યુમ્નસુરિજીની આંખો ભીંજાઈ ગઈ. સાહેબે કહ્યું પ્રદ્યુમ્નસૂરી વાત એવી છે. મેં બે દિવસ પહેલા આયોજક એ પરિવારને એક સુચના કરેલી. સામાન્ય સુચના હતી. અને હું તો આગ્રહી માણસ છું પણ નહિ. મારે તો કોઈ આગ્રહ હોતો પણ નથી. યોગીપુરુષો નિરાગ્રહશીલ જ હોય. ક્યારેક તમને સુચના આપી દે એટલું જ. તો મેં એને સુચના આપેલી, અને મારા મનમાં એના કલ્યાણની જ ભાવના હતી. પાછળથી મને ખ્યાલ આવ્યો કે મેં જે કહ્યું એના કારણે એને સહેજ મન દુ:ખાયું છે. એટલે આજે આવેલો અચાનક તો મને થયું હું એકલો છું એટલે પ્રસંશા એવી રીતે કરું કે એના મનમાંથી મારા પ્રત્યે સહેજ પણ અપ્રીતિ થઈ હોય તો નીકળી જાય. કારણ આજે મારે પ્રભુની અંજનશલાકા માટે જવાનું છે. અને હું પ્રભુની અંજનશલાકા ત્યારે જ કરી શકું જયારે હું સંપૂર્ણ નિરહંકારી ચેતના હોઉં. સંપૂર્ણ રાગ અને દ્વેષથી પર થયેલી ચેતના હોઉં. તો જ હું પરમ ચેતનાને મૂર્તિમાં લાવી શકું.
આપણે ત્યાં પહેલા પ્રાણપ્રતિષ્ઠાઓ RERAST OF RARE થતી હતી. ૧૦૦-૨૦૦ વર્ષે. કોઈ હેમચંદ્રાચાર્ય , કોઈ હીરવિજય સૂરી આવે અને પ્રાણપ્રતિષ્ઠા થઈ જાય. બાકી સામાન્યતયા પ્રાણપ્રતિષ્ઠા થતી નહિ. કારણ આમાં ખાલી મંત્રો બોલવાના નથી, અને ખાલી મુદ્રાઓ કરવાની નથી. એ જ આચાર્ય ભગવંત આ કરી શકે. જેમનું જીવન અત્યંત પવિત્ર છે અને જેમનો વૈશ્વિક ચેતના સાથે તાર જોડાયેલો છે. તો વૈશ્વિક ચેતના સાથે જેનો તાર જોડાયેલો હોય, એ જ એ વૈશ્વિક ચેતનાને ત્યાંથી ઉઠાવીને મૂર્તિમાં મૂકી શકે.
પ્રદ્યુમ્નસૂરી મહારાજે આ સાંભળ્યું. એમણે મને વાત કરેલી. મને કહે યશોવિજય મહારાજ શું એ વિભૂતિ હતી કહે છે. એમને ખ્યાલ આવ્યો કે મેં પ્રેમથી એને સુચના આપેલી એ એને ગમી નથી. આટલું જ ખાલી. સાહેબ મીઠા જ વચનો બોલતા. એકદમ હળવાશથી અને સ્મિતપૂર્વક કહેતાં. છતાં પેલાને નહિ ગમ્યું. આટલું ખ્યાલ આવ્યો. તો સાહેબને અભાવ નથી થતો. ઉપરથી મારા પ્રત્યેની તેની અપ્રીતિ કાઢી નાખું એમ વિચાર આવી ગયો. આ ક્યારે બને? તમારો ‘હું’ વિલીન થયેલો હોય ત્યારે.
તો બોલો શું કરીશું? ‘હું’ ને રાખવું છે કે કાઢવું છે બોલો હવે? તમારે મૌન છે ભલે બોલશો નહિ. પણ તમારાં ચહેરા ઉપરથી હું ઉત્તર કલ્પી લઈશ. ‘હું’ ને રાખવું છે કે કાઢવું છે? પણ ‘હું’ ને કાઢવું છે એવું ખરેખર ક્યારે તમે કહી શકશો? જયારે ‘હું’ ની પીડા અનુભવી હશે ને ત્યારે. અત્યાર તો મારા પ્રવચનના સંમોહનમાં આવી ગયા હોવ તો હા પાડી દો. પ્રવચનની એટલી અસર તો હોય જ કે તમને થોડી ક્ષણો તો ભાવભીના બનાઈ નાંખે. પણ ખરેખર ‘હું’ ની પીડા તમને સમજાય છે? કોઈકે કંઇક કહ્યું અને તમને પીડા થઈ. એ પીડા કોકના કારણે નહિ તમારાં ‘હું’ ના કારણે થઈ એવું તમને સ્પષ્ટ સમજાયું છે ક્યારેક? એવું સમજાયું હોય તો જ ‘હું’ ને કાઢવાની કોશિશ ચાલે.
એના માટે આપણે ભેદજ્ઞાનના અભ્યાસની વાત કરી. “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે” તમારો ‘હું’ આનાથી જ બનેલું છે. આ શરીર, આ નામ, આ મન આ બધાના મિશ્રણો ઉપર તમે ‘હું’ ની પટ્ટી ચીપકાઈ દીધી છે. આ તમારો ‘હું’ છે. આ ‘હું’ ની પીડા અનુભવાય છે? એક વાત તમને કહું, જ્યાં સુધી રાગ-દ્વેષ કે અહંકાર ખટકશે નહિ, ડંખશે નહિ, એની પીડા અનુભવાશે નહિ. ત્યાં સુધી જવાના નથી. ૧૦૦ નહિ ૨૦૦ પ્રવચનો સાંભળી લેશો. રાગ પર કે અહંકાર ઉપર, તમારો રાગ એવો ને એવો જ રહેવાનો છે. કે પ્રવચન પૂરું થયું. ઘરે ગયા. ચા આવી. ટેસ્ટી આવી એટલે રાગ થવાનો જ છે પાછો. રાગ ખટક્યો ક્યાં છે? કદાચ દ્વેષ ખટકશે તમને. ગુસ્સો ખટકશે કદાચ. રાગ ખટકે છે? રાગ તો મીઠું ઝેર છે. દ્વેષ તો કડવું ઝેર છે. ખબર પડી જાય. ગુસ્સે થાઓ અહિયાં ધમધમાટ આવે. હાઇપર ટેન્શન થોડું થઈ જાય.
એક જગ્યાએ એક ભાઈ વારંવાર જતા હતા. સંબંધીને ત્યાં. એ સંબંધીના ફ્લેટની બાજુમાં એક પતિ-પત્ની રહેતા. બંને ગરમ સ્વભાવના. તો સવારથી સાંજ સુધી એમનો વરઘોડો ચાલતો જ હોય. ગ્લાસ આમથી આમ કેમ મુક્યો, એના પર અડધો કલાક ભાષણ ચાલે. અને એ ભાષણ પૂરું થાય એટલે પેલીનું ભાષણ ચાલુ થયું. એકવાર પેલો ભાઈ ગયો. અને બાજુના ફલેટમાંથી કોઈ અવાજ જ નથી આવતો. શાંતિ. નિરવ શાંતિ. એણે પોતાના જજમાન ને પૂછ્યું, વાત શી છે? આ લોકો ફ્લેટ છોડીને બીજે રહેવા ગયા? કહે ના એ તો અહિયાં જ છે. અરે પણ અહિયાં છે, હું કલાક થયો ને અવાજ નથી આવતો. એકેય બોમ્બ ફૂટ્યો નહિ હજુ. તો કહે એવું બન્યું, કે ભાઈને એક રાત્રે એકદમ હાર્ટનો સિવિલયર એટેક આવેલો. ઠીક છે, શહેર હતું. તરત જ ambulance મળી ગઈ. હોસ્પિટલમાં લઇ ગયા. તાબડતોડ સ્ટેન્ડ મુકાવવામાં આવ્યું. અને જીવી ગયા છે. પણ ડોકટરે કહ્યું છે, ગુસ્સો-બુસ્સો કર્યો તો મર્યા પછી. અને બહેનને હાઇપર ટેન્શન થઈ ગયેલું. ૨૦૦-૨૨૫ સુધી પહોંચી ગયેલું. ડોકટરે કહ્યું, ૨૨૫ સુધી તમારું B.P ? માંડ-માંડ-માંડ એને કંટ્રોલમાં લીધું. અઠવાડિયા સુધી હોસ્પીટલમાં રાખીને. પણ કહ્યું કે હવે જો ગુસ્સો કર્યો તો અમારી પાસે આવતા નહિ. ઘરે ને ઘરે જ રહેજો પછી. એટલે બંને ડોક્ટરની આજ્ઞામાં રહીને શાંત થઈ ગયા છે.
તો દ્વેષ કદાચ તમને ખટકે છે, રાગ ખટકે છે? SWEET POISON છે. અહંકાર ખટકે છે? કોઈ તમારી પ્રશંસા કરે એ તમને ઝેર જેવી લાગી ક્યારેય? જે વ્યક્તિ મારી પ્રશંસા કરી, મારા ગુણની પ્રશંસા કરી કદાચ તરી જશે. હું ડૂબી જઈશ એનું શું? અને ક્યારેય તમે કહ્યું ખરું? વિચાર્યું પણ ખરું? કે આ પ્રશંસા મારી નહિ મેં કરેલી સાધનાની છે. મેં જે સાધના કરી એની આ પ્રશંસા છે. સાધનાના દાતા પ્રભુ છે, સદ્ગુરુદેવ છે તો CREDIT ત્યાં જાય, મારે શું? અમારે ત્યાં એટલી સરસ પરંપરા છે. અમે લોકો અમારા શિષ્યને સૂત્ર આપીએ ને યોગોદ્વહનની પ્રક્રિયામાં. ત્યારે અમે લોકો એક વાત કહેતા હોઈએ છીએ કે હું આ સૂત્ર તને નથી આપતો પરંતુ ગુરુઓની પરંપરા તને આ આપી રહી છે. શ્રમણાણ હત્થેણ. આ હું નથી આપતો. આ ગુરુઓની પરંપરા તને આપે છે. પરંપરા દ્વારા મને મળ્યું માટે જ હું તને આપી શકું છું ને. આ પરંપરા જે છે એનો હું ઋણી છું.
તો આપણી આ પરંપરા છે. જેમાં રાગ-દ્વેષ-અહંકાર ખટકવા જોઈએ. ખટક્યા અને ધીરે-ધીરે-ધીરે શિથિલ થયા. ભેદ્જ્ઞાનનો અભ્યાસ થઈ ગયો. એક વાત સમજી લો. આપણી સાધનાના અવરોધો ત્રણ. મુખ્ય અવરોધો, રાગ-દ્વેષ અને અહંકાર. પણ એમાં સેન્ટર પોઈન્ટમાં અહંકાર છે. કેન્દ્રમાં તમારો ‘હું’ છે. તમારાં ‘હું’ ને જે ગમે છે ત્યાં તમે ગમો કરો છો. તમારાં ‘હું’ ને જે નથી ગમતું ત્યાં તમારો અણગમો થાય છે. સેન્ટર પોઈન્ટમાં તમારો ‘હું’ છે. એટલે અગણિત જન્મોની તમારી સાધનાને શૂન્યમાં ફેરવનાર કોઈ હોય તો તમારો ‘હું’ છે. આ ‘હું’ તમારો શત્રુ ગણાય કે મિત્ર ગણાય બોલો? કેટલાય માસક્ષમણ કર્યા. એક નહિ, કેટલાય કર્યા..! બધા માસક્ષમણ નું ફળ શું? અહંકાર અને ઉત્તેજના. લોકોએ કહ્યું વાહ તમે માસક્ષમણ કર્યું! તમે ફુલાઈ ગયા…! પૂરી થઈ ગઈ વાત. બધી જ સાધના શૂન્યમાં પરિણમી. માત્ર તમારાં અહંકારના કારણે. હવે સાધના કરી, result લેવું હોય તો અહંકારને કાઢવો જ પડે.
આપણા શરીરમાં રોગના અણુઓ હોય તો શું થાય? તમે દૂધ લો, ઘી લો. પણ એ રોગના અણુઓ જે છે એ લઇ લે. તમારાં શરીરની પુષ્ટિ ન થવા દે. એમ તમારી બધી જ સાધના અહંકાર લઇ લે છે. બે કરોડનું દાન કર્યું. સારું કર્યું. પણ પહેલા જ પૂછ્યું, તકતી મારી કેવડી લાગશે એ પહેલા બોલો? કેટલા બાય કેટલા ફૂટની? અક્ષર કેટલા ઇંચના? સોનેરી કે રૂપેરી? બધી સ્પષ્ટતા કરો પછી પૈસા આપું. આ દાન કર્યું કે વેપાર કર્યો બોલો? આ તો ‘હું’ નો વેપાર કર્યો તમે. પેલા કહે અમારે પૈસા જોઈએ, આ કહે મારે મારી પ્રશંસા જોઈએ. બે વચ્ચે ખેલ શરૂ થઈ ગયો. આમાં દાન ક્યાં છે? દાન તો એ હોય તમે કેટલું આપ્યું મહત્વનું નથી. પણ દાન આપતા આંખો ભીની બને. મારા પ્રભુએ મને આ ધર્મ બતાવ્યો અને એના કારણે હું આપી શકું છું. બસ મારી પાસે છે, મારે આપવું છે. પણ કોઈ ન જાણે એ રીતે મારે આપવું છે.
તો ભેદજ્ઞાનનો અભ્યાસ કરશો તેમ ‘હું’ તમારો સ્પષ્ટ થશે. કાઢવાની વાત તો જુદી છે. હમણાં કાઢવાની પળોજણમાં પડવાનું નથી. ‘હું’ ને સ્પષ્ટ કરો. આ ‘હું’. અહિયાં ‘હું’ આવ્યો, અહિયાં ‘હું’ આવ્યો, અહિયાં ‘હું’ આવ્યો. આ સાલી ખબર જ પડતી નથી, ક્યાં ‘હું’ આઈ ગયો? સ્પષ્ટ રીતે ‘હું’ દેખાવો જોઈએ. ‘હું’ દેખાય ને પકડી પાડો. આંતરનિરીક્ષણ થી દોષ પકડાય. બરાબર સમજી લો. રોજ તમે આંતરનિરીક્ષણ કરશો તો દોષ પકડાશે. ક્યારે અહંકાર આવ્યો? ક્યારે શું થયેલું? ક્યારે શું થયેલું? પછી સંકલ્પ કરો કે હવે આ દોષ મારી ભીતર રહેવો ન જોઈએ. એ પછી જાગૃતિ આવે. કે જયારે એવો પ્રસંગ આવે ત્યારે તમે જાગૃત થઈ જાઓ. નહિ અહંકારમાં મારે જવાનું નથી. આત્મનિરીક્ષણ-સંકલ્પ અને જાગૃતિ આ ત્રિપદી તમારી પાસે આવી જાય તો તમે અહંકારને સમજી શકશો, રાગ-દ્વેષને સમજી શકશો. એ સમજાશે તો જ ‘હું’ શિથિલ બનશે.
ભેદજ્ઞાનનો અભ્યાસ એટલે શું? ‘હું’ એટલે આ નહી, ‘હું’ એટલે આનંદઘન આત્મા. આટલું જ છે. શબ્દમાં કેટલું સરળ છે બોલો? હું આનંદઘન આત્મા છું. તમને કહું તો એક માળા ફેરવી નાંખશો આજે જ. પણ એ હોઠ માળા ફેરવે એથી મને શું મળે કે તમને શું મળે? મનમાં નક્કી થવું જોઈએ. આ ‘હું’ આવ્યો, આ ‘હું’ આવ્યો ‘હું’ ન ચાલે. તમને મૌનમાં રાખ્યા છે. એમાં પણ ‘હું’ માં જવાની શક્યતા બહુ ઓછી થઈ ગઈ. કારણ કે સીધું નિમિત્ત ‘હું’ ને પ્રબળ થવાનું કટ થઈ ગયો. તમે કંઇક બોલો, સરસ બોલો પેલો ખુશ થાય, તમારો અહંકાર વધે. એટલે તમે ઉસ્તાદ માણસો છો. ભલે ને સાત જાતનું મૌન મારી પાસે હોય. મેમરી તો મારી પાસે છે ને. સ્મરણ તો મારી પાસે છે. સ્મરણમાં નહિ આવી શકો. પેલાને આમ કીધુ ને પેલાને આમ કીધેલું.
એક બહુ મજાની વાત કરું. તમે એકલા ક્યારેય પડતા જ નથી તમને થાય કે રૂમમાં તમે એકલા છો. અહિયાં કેટલાને ભરીને બેસો છો. પછી એકલા બેઠા હોવને બધા હાજર થઈ જાય છે. પેલાએ આમ કર્યું ને પેલો આવો છે ને પેલો આવો છે. તમે એકલા ક્યારેય હોવ છો? જાગૃત થઈ જાઓ. માત્ર જાગૃતિથી જ હું પકડાશે. THERE IS NO OTHER WAY. બીજો કોઈ માર્ગ છે જ નહિ. એને પકડવા માટે બીજું કોઈ પાંજરું નથી. એક જ માત્ર રસ્તો, જાગૃતિ. ‘હું’ આવ્યું, પકડો. ‘હું’ આવ્યું, પકડો. તમને હસવું આવશે. આમાં ‘હું’ આવ્યું?! અરે છે શું આમાં પણ?! કદાચ એવું પણ બને એ તમારી ખુશામતી કરતો હોય. એને તમારી પાસેથી કંઇક લેવું છે એટલે એ પોર્સન લગાડતો હોય. તમે સમજો કે મારા ગુણની પ્રસંશા એ કરે છે.
ખરેખર જેને આપણે ગુણાનુરાગ કહીએ ને એ પણ એક ભ્રમણા જ છે આપણી. આપણે કહીએ મને ગુણાનુરાગ છે બરોબર. પેલા ભાઈના ગુણો બહુ સારા, પેલા બહેનના ગુણો બહુ સારા. ઊંડાણથી જુઓ એ ગુણો કેમ ગમ્યા? એ વ્યક્તિ ગમે છે માટે. એવા જ ગુણો બીજામાં છે એ તમે જોતા નથી. એનાથી વધારે પણ ગુણો છે બીજામાં એ પણ તમે જોતા નથી. એમાં રહેલાં તમને ગુણો દેખાય. એ ગુણો દેખાય સારું કર્યું. પણ એક મૂળ પકડો કે એ ગુણનો અનુરાગ તમારો સાચો છે? એ ગુણ કેમ ગમ્યા? એ વ્યક્તિ તમને ગમે છે માટે ગુણો ગમ્યા. હવે ઊંડા ઉતરો. વ્યક્તિ કેમ ગમી તમને? એ તમારાં અહંકારને પંપાળે છે માટે. છે શું આમાં? ગુણાનુરાગ છે કે તમારા અહંકારનો અનુરાગ છે? આ રીતે ‘હું’ ને સમજો ખાલી. જાગૃત થઈ જાઓ. ‘હું’ ને સમજો. જ્યાં ‘હું’ શિથિલ થયું પેલો ‘હું’ પકડાઈ જશે. ‘હું’ તો આનંદઘન ચૈતન્ય છું. આની જોડે મારે કોઈ લેવાદેવા નથી. આ ભેદજ્ઞાનનો અભ્યાસ કરીશું. એટલે આપણે આગળ ચાલીશું. હવે પ્રેક્ટીકલ.