Maun Dhyan Sadhana Shibir 12 – Vanchan 8

1 View
42 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : જિનરૂપ-દર્શનથી જિનગુણ-દર્શન

સ્વાનુભૂતિના સૂર્યોદયની યાત્રા છે જિનગુણ-દર્શનથી જિનગુણ-સ્પર્શન સુધી. અહોભાવના સ્તર ઉપર જિનગુણનું દર્શન છે અને શુદ્ધના સ્તર ઉપર સ્પર્શન છે. પ્રભુના જે ગુણનું દર્શન કર્યું એ ગુણનો આંશિક સ્પર્શ અંદર થયો અને એ રીતે પ્રભુના એ ગુણનો, એ વીતરાગદશનો, પ્રશમરસનો આપણે અનુભવ કર્યો.

જિનગુણ-દર્શન માટે અહોભાવની ભૂમિકા જોઇશે. વિચારોના સ્તર ઉપર આ દર્શન થઈ શકતું નથી. વિચારો જ્યાં stop થઈ ગયા છે, અહોભાવની ધારા જ્યાં ચાલી રહી છે, ત્યાં જ તમે પ્રભુનું દર્શન કરી શકો છો. આવું જિનગુણ-દર્શન પણ અઘરું પડે, તો શરૂઆત આપણે જિનરૂપ-દર્શનથી કરીશું.

પ્રભુનું લોકોત્તર રૂપ… કોટિ દેવ મિલકર ન કર સકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ, એસો અદ્ભુત રૂપ તિહારો… રૂપની પરાકાષ્ઠા, રૂપની છેલ્લી સરહદ – એવા પરમાત્મા… પ્રભુના રૂપનું દર્શન કરવા માટે પણ આવી અહોભાવની ભૂમિકા જોઇશે.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના

પરમપાવન કલ્પસૂત્રનો એક મજાનો પ્રસંગ. સૌધર્મેન્દ્ર પોતાના અવધિજ્ઞાનથી જંબુદ્વીપને નિહાળી રહ્યા છે. અને એમાં ભરતક્ષેત્રને જોઈ રહ્યા છે. એ વખતે પરમાત્મા મહાવીરદેવ દેવાનંદા માતાની કુક્ષિમાં પધારેલા છે. જ્યાં પોતાના જ્ઞાનથી સૌધર્મેન્દ્રે દેવાનંદા માતાની કુક્ષિમાં રહેલાં પ્રભુને જોયા. એકદમ ઉભા થઈ ગયા. આશ્ચર્ય સાથે. પ્રભુ જે દિશામાં બિરાજમાન, એ દિશામાં સાત-આઠ ડગલાં ગયા. અને ભાવપૂર્વક શક્રસ્તવને બોલે છે. વિચાર આવે ૮૨ દિવસનો ગર્ભકાળ થયેલો છે. કદાચ પરમાત્માના શરીરના અંગોપાંગો પણ પરીષ્ફૂટ થયા નથી. પણ ભક્તની નજરમાં એ ભગવાન છે. એટલે પ્રભુને જોવાને માટે ભક્તની આંખો જોઇશે. ભક્તની આંખ વિના પ્રભુનું દર્શન શક્ય નથી. આપણે બધા જ પરમાત્માની પાસે જઈએ છીએ. પરમાત્માના રૂપને આપણે જોવું છે. પણ એ રૂપને આપણે જોશું શી રીતે?

Shakespeare નું પ્રસિદ્ધ નાટક છે Romeo and Juliet. Romeo એક રાજઘરાનાનો છોકરો છે. Juliet નામની એક સામાન્ય સ્ત્રીના પ્રેમમાં એ પડેલો છે. રાજાને કહેવામાં આવ્યું કે તમે જરા Romeo ને સમજાવો. રાજાએ ખુબ સમજાવ્યો એને, એ સમજવા તૈયાર નથી. ત્યારે રાજાને થયું કે આટલો તેજસ્વી છોકરો જેના પ્રેમમાં પડ્યો છે એ દીકરી કેવી છે એ તો જોઈ લઉં. Juliet ને જોઈ, સાવ સાદી સ્ત્રી લાગી એને. સામાન્ય છોકરી. હવે રાજાએ Romeo ને કહ્યું, આમાં શું છે? આમા તું કેમ મોહાયો છે? અને એ વખતે Romeo એ કહ્યું, સાહેબ Juliet ને જોવા માટે Romeo ની આંખો જોઇશે. તમે તમારી આંખે Juliet ને જોઈ ન શકો.

એમ પ્રભુનું રૂપદર્શન કરવા માટે આપણી પાસે કઈ આંખો જોઇશે? આપણી એક મજાની પ્રાર્થના છે. “તમને નીરખું નાથ નિરંજન એવી આપો આંખો”  પ્રભું હું તને જોઈ શકું એવી આંખ મને આપ. અને એ જ સંદર્ભમાં ‘નમુત્થુણંનું ચક્ખુદયાણં’ પદ છે. પ્રભુને જોવા માટેનું ચક્ષુ પ્રભુ દ્વારા આપણને મળે. જરૂર. પ્રભુની આજ્ઞાથી સદ્ગુરુ એ કામ કરે, પણ credit તો પ્રભુને જ જવાની છે. તો તમને નીરખું નાથ નિરંજન એવી આપો આંખો. એ આંખ સદ્ગુરુ કઈ રીતે ખોલે છે?

આનંદઘનજી ભગવંતે પંદરમાં સ્તવનમાં લખ્યું, “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, પેખે પરમ નિધાન, હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન” જે ક્ષણે સદ્ગુરુ તમારાં હૃદયમાં પ્રવચન અંજન આંજે છે. એ જ ક્ષણે. On that very moment. તમે હૃદયની આંખોથી પ્રભુને જોઈ શકો છો. હૃદય નયણ નિહાળે જગધણી. પણ આનંદઘનજી ભગવંતે એક કમાલ કરી છે એ રચનામાં. એમણે પહેલા જ ચરણમાં લખ્યું કડીના, ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે.’ પ્રવચન અંજન ગુરુએ કરી દીધું. તો તો no doubt એ જ ક્ષણે હૃદયની આંખથી પેલી વ્યક્તિ પ્રભુને જોશે. પણ ગુરુ અંજન આંજે તો. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે. ઘણીવાર મારી સભામાં હું શ્રોતાઓને પૂછું, કે સદ્ગુરુ conditionally ખૂલી શકે ખરા? હું કદાચ અંજન આંજું પણ ખરો, કદાચ ન પણ આંજુ. સદ્ગુરુ conditionally ખૂલી શકે? સદ્ગુરુએ તો unconditionally વરસી જવું જોઈએ. આવી જા. શક્તિપાત કરી દઉં. પણ મજાની વાત. અને ઊંડી વાત એ છે કે પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે – કડીમાં આપણને લાગે કે ‘જો’ સદ્ગુરુ તરફ ગયો છે. હકીકતમાં ‘જો’ ઉછળીને આપણા તરફ આવે છે. સદ્ગુરુ તૈયાર છે, પ્રવચન અંજન માટે. પણ આપણે તૈયાર નથી. સદ્ગુરુ કોઈ પણ હોય, પહોંચેલા કોઈ પણ સદ્ગુરુ હોય શક્તિપાત કરી દે. તો શક્તિપાત કરે એટલે? વર્ષોની એમની સાધના જે છે ને એ એક ક્ષણમાં તમારામાં એ ઊંડે લઇ ગયા. આને આપણે ત્યાં શક્તિપાત કહેવાય છે.

કલાપૂર્ણસૂરી દાદાએ વર્ષો સુધી જે ભક્તિ કરી. વર્ષો સુધી જે સાધના કરી, એ શક્તિપાત કરે એટલે શું થાય? એમની બધી જ સાધના આપણામાં સંક્રાંત થઈ શકે. અને એમની પોતાની સાધના ઓછી ન થાય પાછી. અને એટલે જ શક્તિપાતને હું લિફટનું પાંજરું કહું છું. લિફટમાં ગયા. મુંબઈમાં છો. ૩૫માં માળે જવું છે. બટન દબાવ્યું. લિફ્ટ ૩૫માં મળે. પણ ઈલેક્ટ્રીસીટી ફેઈલ થયેલી હોય તો? ૩૫ દાદર ચઢતાં નાકે દમ આવી જાય. એમ આપણી સાધનાને uplifted કરવા માટે માત્ર અને માત્ર ગુરુનો શક્તિપાત જરૂરી છે. અનંતા જન્મોની અંદર આપણે રખડ્યા. સાધના ન મળી, કેમ? સવારે કહ્યું હતું એમ. આપણી પાસે સદ્ગુરુ સમર્પણ ન આવ્યું અને સમર્પણ ન આવ્યું માટે ગુરુ શક્તિપાત કરી શક્યા નહિ. આ સામસામે છે. તમારું સમર્પણ-ગુરુનો શક્તિપાત.

 Guru is ever ready. સદ્ગુરુ હંમેશ માટે તૈયાર છે. તમે ક્યાં તૈયાર છો? તમે સમર્પિત થયેલા હોવ તો જ ગુરુની શક્તિને તમે પકડી શકો. ગુરુ તો બધા ઉપર શક્તિપાત કરી દે પણ એ શક્તિને ઝીલનાર કોણ? એટલે શક્તિપાત કરનાર છે, શક્તિને ઝીલનાર નથી. એટલે ઝીલનારો આપણે પેદા કરવો પડશે. અને શક્તિપાત ને ઝીલવા માટે તમારી કોઈ સજ્જતા નથી બીજી, માત્ર સમર્પણ. પછી સદ્ગુરુ તૈયાર છે. પ્રવચન અંજન, પછી જો નીકળી ગયું, સદ્ગુરુ કરે. તમારું સમર્પણ નથી ત્યાં સુધી જ જો છે. તમારામાં સમર્પણ આવી ગયું જો નીકળી ગયું. એક સમર્પણના અભાવે અનેક સદ્ગુરુઓ શક્તિપાત કરવા તૈયાર હતા, આપણે ઝીલી શક્યા નહિ. ગુરુ ચેતનાનો એક પ્રવાહ છે. ગુરુ વ્યક્તિ તો મેં પહેલા કહ્યું હતું એમ માત્ર તમને બહારથી દેખાય. બાકી આખો ગુરુચેતનાનો એક પ્રવાહ છે.

પરમચેતના સદ્ગુરુની ભીતર ઉતરે ત્યારે એ ગુરુ, ગુરુચેતના થઈ જાય છે. એટલે સદ્ગુરુ પોતાના હૃદયને totally vacant કરી નાંખે છે. Totally ખાલી કરી નાંખે છે. અને એમાં પરમચેતના આવી જાય છે. એ પરમચેતનાનો પ્રવાહ ગુરુચેતના રૂપે આપણી સમક્ષ આવ્યા કરે છે. પરમચેતનાનો પ્રવાહ સુક્ષ્મ છે. એનો અનુભવ તમે નહિ કરી શકો. પણ ગુરુચેતનામાં જે પરમચેતના આવેલી છે એનો અનુભવ તમે કરી શકો છો. એ ગુરુચેતના અગણિત વર્ષોથી આપણા ઉપર કામ કરવા તૈયાર છે. પણ આપણે તૈયાર થતા નથી. હજારો જન્મોથી ગુરુચેતનાનું કામ આપણા ઉપર ચાલુ જ છે. ગુરુચેતના થાકવાની પણ નથી. પ્રભુની આજ્ઞા છે, કરવાનું છે. પણ વિવશતા આટલી જ છે ગુરુચેતનાની, કે તમે સમર્પિત ન થાઓ ત્યાં સુધી… તમારી પાસે પાત્ર જ ન હોય તમને કઈ રીતે આપી શકાય? લૂઝ દૂધ લેવા, તાજું દૂધ લેવા કોઈ ભરવાડને ત્યાં જાય. કે મારે પેક દૂધ નથી જોઈતું, તાજું દૂધ જોઈએ છે. ભરવાડને ત્યાં ગયો. બે લિટર દૂધ આપ. ભરવાડ એની સામે જુવે છે. આ શેઠ બરણી લાવ્યા નથી, તપેલી લાવ્યા નથી. શેમાં આપું? સાહેબ, શેમાં આપું કહે છે? અમૂલનું પેક પકડાવાનું હોય તમારાં હાથમાં પકડાઈ દે. લૂઝ દૂધ તમને કઈ રીતે આપે? પાત્ર ન હોય તો.

એમ તમારી પાત્રતા ન હોવાના કારણે અનંત સદ્ગુરુઓનો શક્તિપાત તમારી ઉપર કામ ન કરી શક્યો. એટલે પ્રભુને જોવા માટેની આંખ સદ્ગુરુ દ્વારા આપણને મળે. અને પછી હૃદય નયણ નિહાળે જગધણી. આ આંખોથી નહિ અંદરની આંખોથી, પૂરા અસ્તિત્વની આંખોથી આપણે પ્રભુને નિહાળવાના છે. આ બે આંખો તો બહુ ઓછી પડે ને? ભગવાનને જોવા માટે.

સુરદાસજીએ કહેલું કે પ્રભુ તું રૂપરાશી, તું રૂપનું extreme point અને તને જોવા માટે મારી પાસે બે જ આંખો છે અને એ આંખો પણ કેવી? વારંવાર બંધ થતી આંખો. અને એ વખતે સુરદાસજી કહે છે, પ્રભુ! તારી પાસે એક જ વસ્તુ માંગવાનું મન થાય. શું મન થાય? તમારી કલ્પનામાં આ વાત નહિ આવે, એવી પ્રાર્થના એમણે કરી છે. સુરદાસજી કહે છે, ‘લોચન રોમ-રોમ પ્રતિ માંગું’. લોચન રોમ-રોમ પ્રતિ માંગું. પ્રભુ મારે બીજું કંઇ જ ન જોઈએ. એક-એક રૂંવાડે એક-એક આંખ પ્રગટી જાઓ. બસ તને જોયા કરું જોયા કરું જોયા કરું…

આપણે સ્વાનુભૂતિના સુર્યોદયમાં પાંચ ચરણો જોવાના છે. અને પહેલું ચરણ છે જીનગુણ-દર્શન. પણ એના માટે અહોભાવની ભૂમિકા જોઇશે. વિચારોના સ્તર ઉપર આ દર્શન થઈ શકતું નથી. વિચાર જ્યાં stop થઈ ગયા છે, અહોભાવની ધારા જ્યાં ચાલી રહી છે, ત્યાં જ તમે પ્રભુનું દર્શન કરી શકો છો. પણ જીનગુણ-દર્શન હજુ અઘરું છે. તો શરૂઆત આપણે જિનરૂપ-દર્શનથી કરશું. પ્રભુનું આ લોકોત્તર રૂપ…  કેવું રૂપ? કોડી દેવ મિલકર ન કર શકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ, એસો અદ્ભુત્ત રૂપ તિહારો, માનું વર્ષત અમૃત કે બુંદ. કરોડો દેવો ભેગા થાય, પોતાના રૂપના જથ્થાને એકટ્ઠો કરે તો પણ પ્રભુના ચરણના અંગુઠા જેટલું રૂપ થતું નથી. આવી રૂપની છેલ્લી સરહદ એ પરમાત્મા. એ પરમાત્માના રૂપનું દર્શન કરવા માટે પણ એક અહોભાવની ભૂમિકા જોઇશે.

આપણે દર્શન, યા તો વિચારની ભૂમિકા ઉપર યા તો વિચારશૂન્યતાની ભૂમિકા ઉપર કર્યા છે. આપણી મોટી ગરબડ આ થઇ છે. અહોભાવના સ્તર ઉપર આંખોમાંથી આંસુની ધારા નીકળતી હોય અને પ્રભુનું દર્શન તમે કર્યું હોય. કેટલા દર્શન એવા થયા? એક સવાલ તમને પૂછું, કોરી-કોરી આંખે પ્રભુનું દર્શન થઈ શકે ખરું? કોરી આંખે પ્રભુનું દર્શન થઈ શકે? ભીની આંખ સિવાય પ્રભુનું દર્શન થઈ શકે નહિ. અત્યારસુધી આંખો કેવી રહી? આજુબાજુ વાળાઓનો ખ્યાલ આવે પાછો. બાજુમાં કોણ બેઠું છે?

જંબુવિજય મહારાજ સાહેબ આ જ શંખેશ્વરમાં બિરાજમાન. અને એક મહાત્મા અમદાવાદથી આવવાના હતા. તો જંબુવિજયજી મહારાજ સાહેબને એમને મળવું હતું. તો આપણા ભાગ્યેશસૂરી અહિયાં જ હતા. તો જંબુવિજય મહારાજે કહ્યું કે ભાગ્યેશવિજય, એ પેલા મહારાજ અમદાવાદથી આવે ને તો મને કહેજે. મને મળી જાય. એમાં સાહેબને અચાનક એ દિવસે જવાનું થયું. વિહાર કરવાનું. તો સાંજે છ વાગે વિહાર હતો. ચાર વાગે સાહેબ દહેરાસરમાં પહોંચ્યા. ચારથી છ – સવા છ સુધી દર્શન કર્યા. પછી બહાર નીકળ્યા. અને પછી વિહાર કર્યો. બાજુના આદરીયાણા ગામે પહોંચ્યા. ભાગ્યેશવિજય ફરી ત્યાં ગયા આદરીયાણા. સાહેબે યાદ કર્યું, ભાગ્યેશવિજય પેલા મહાત્મા આવ્યા હતા શંખેશ્વરમાં? અને ભાગ્યેશવિજય નવાઈમાં ડૂબી ગયા. કહે સાહેબ આપે જે દિવસે વિહાર કર્યો એ જ દિવસે આવી ગયેલા. પણ થોડા મોડા આવેલા. થાકેલા હતા. તો કહે સાહેબને સાંજે મળીશું. એમાં એમને ખબર પડી કે સાહેબનો વિહાર છે સાંજે. અને સાહેબની ભક્તિ ચાર વાગે છે. એટલે આપ ભક્તિ કરતા હતા ત્યારે આપની બાજુમાં જ આવીને બેસી ગયેલાં. બે કલાક આપની જોડે જ બેઠેલા. ત્યારે જંબુવિજય મહારાજ સાહેબે કહ્યું: પણ હું તો બાજુવાળા ને જોઉં કે સામેવાળાને જોઉં. હું કોને જોઉં? તો આપણું પહેલું ચરણ છે જિનગુણ-દર્શન. એટલે વિતરાગતા, પ્રશમરસ જે પ્રભુના મુખ પરથી વહી રહ્યો છે એનું દર્શન કરવું છે. અને એ પણ વિચારોના સ્તર ઉપર નહિ, એકદમ અહોભાવના સ્તર ઉપર. કારણ કે આપણી યાત્રા શુભથી શરૂ થવાની છે પછી એમાં શુભનો વેગ આવશે અને પાંચમું ચરણ આવશે સ્પર્શન. જિનગુણ-સ્પર્શન. ત્યાં અનુભૂતિ થશે આપણને. એટલે શુભ, શુભનો વેગ અને શુદ્ધ. આ આખી આપણી જૈન સાધના છે. આપણી બધી જ  સાધના શુભથી શરૂ થશે. શુદ્ધ સીધું પહોંચી ન શકાય. શુદ્ધમાં સીધા તો ૨-3 ટકા જ જઈ શકે આરાધકો કે જેમણે શુભને ઘૂંટેલુ છે ગયા જન્મોમાં. બાકી ઇનિશ્યલ સ્ટેજવાળો સાધક શુભથી જ શરૂઆત કરી શકે. એટલે અહોભાવથી શરૂઆત કરવાની છે. અહોભાવમાં વેગ આવશે એકદમ અને તમે શુદ્ધમાં પહોંચી જશો. શુદ્ધ એટલે શું? તમારાં ગુણોનો અનુભવ, તમારાં નિર્મલ સ્વરૂપનો અનુભવ, તમારું તમારામાં હોવું એ શુદ્ધ. અને એ શુદ્ધ તરફ તમને લઇ જાય એ શુભ. એટલે આપણે તો ન્યાલ થઈ ગયેલા માણસો છીએ. કે શુભ માટેના એટલા સરસ માધ્યમો મળેલાં છે. એ શુભને ઘૂંટીને સીધા જ આપણે શુદ્ધમાં જઈ શકીએ.

આખો એક proper ક્રમ આપણી પાસે છે. કે જિનગુણ-દર્શનથી જિનગુણ-સ્પર્શન સુધી આપણે શી રીતે પહોંચી શકીએ. અહોભાવના સ્તર ઉપર જિનગુણ દર્શન છે અને શુદ્ધના સ્તર ઉપર સ્પર્શન છે. કે પ્રભુના જે ગુણોનું દર્શન કર્યું એ ગુણનો આંશિક સ્પર્શ અંદર થયો અને એ રીતે પ્રભુના એ ગુણનો સ્પર્શ આપણે પોતે માણ્યો, feel કરી. પ્રભુની એ વિતરાગદશાને આપણે અનુભવી, પ્રભુના એ પ્રશમરસને આપણે અનુભવ્યો. આ આખી યાત્રા આપણે કરવાની છે. પણ જિનગુણ-દર્શન પણ કદાચ અઘરું પડે, આપણે શરૂઆત જિનરૂપ-દર્શનથી કરીએ છીએ. કે પ્રભુને જોતા તમને શું થાય છે?

માનવિજય મહારાજ સાહેબે એક સરસ સ્તવના આપણને આપી છે જેમાં ઇન્દ્રિયો પ્રભુમાં કઈ રીતે ડૂબી શકે એની વાત છે. આપણી ઇન્દ્રિયો અનંતકાળ સુધી પરમાં ડૂબી છે એને પરમમાં ડુબાડવી છે. તો પરમમાં કઈ રીતે ડૂબે એની વાત એમણે એક સ્ત્વનામાં મુકેલી છે. શીતલનાથ પરમાત્માનું સ્તવન છે. શરૂઆત આંખથી કરે છે. “તુજ મુખ સન્મુખ નિરખંતા, મુજ લોચન અમીય ઠરંતા.” શરૂઆત છે એમની કે પ્રભુ તારા મુખને જોઉં ત્યારે મારી હાલત શું થાય? શું થાય ખબર છે? પ્રભુના મુખનું દર્શન કર્યું, શું થાય એવું? અંદર દાદાનું પ્રતિબિંબ આવી ગયું? કેમેરામેન હોયને એ કેમેરા લઈને છોકરાઓને ખુશ કરવા ફ્લેશ પાડ્યા કરે ખાલી. ખાલી ફ્લેશ દબાવ્યા કરે. અંદર કચકડા ઉપર કંઇ ઉભરવાનું નથી. તમે ખાલી ફ્લેશ પાડ્યા કર્યો છે હજુ સુધી. અંદર પ્રભુતાની છબી આવી છે? નથી આવી. તો પ્રભુને જોતા શું થાય એની વાત કરે છે. “તુજ મુખ સન્મુખ નિરખંતા, મુજ લોચન અમીય ઠરંતા.” પહેલી વાર મેં આ સ્તવના વાંચી મને થયું કંઇક misprint છે. છાપ ભૂલ છે કાંઈ. તુજ મુખ સન્મુખ નિરખંતા મુજ લોચન અમીય છલકંતા હોય. તારા મુખને જોયું ને મારી આંખોમાંથી આંસુનો પ્રવાહ નીકળી પડ્યો. તો તુજ મુખ સન્મુખ નિરખંતા,  મુજ લોચન અમીય છલકંતા હોવું જોઈએ. એના બદલે પાઠ શું છે? મુજ લોચન અમીય ઠરંતા. ખ્યાલ નહિ આવ્યો. મે પ્રભુને જ પૂછ્યું, પ્રભુ! આ શું? આપણે ત્યાં એક મજાની પરંપરા છે કે, પ્રભુને ગુરુ પણ બનાવી શકાય. સિદ્ધર્ષિ એ કહ્યું ઉપમિતિમાં. સિદ્ધસેનદિવાકરસૂરી એ શક્રસ્તવમાં કહ્યું: “ત્વં મે માતા પિતા નેતા, દેવો ધર્મો ગુરુ: પર:. તમે જ મારા ગુરુ છો. કારણ પ્રભુ કદાચ દૂરની ઘટના લાગે. ગભારામાં બેઠેલા ભગવાન છે. સદ્ગુરુ તો એકદમ નજીક બેઠેલા છે. આપણે એમના ચરણો પાસે બેઠા  છીએ. તો પ્રભુને સદ્ગુરુ તરીકે પણ કલ્પવાની એક પ્રાચીન પરંપરા છે. તો મેં પ્રભુ ને  પૂછ્યું ગુરુ તરીકે, પ્રભુ! આ પાઠ બરાબર છે? પછી હું ગયો ઉપાશ્રય. ઉપાશ્રય ગયો. ઈરિયાવહિયા કરીને મારા આસન ઉપર બેઠો. એ વખતે એક શ્રાવિકા માતા વંદન કરવા માટે આવી. નાનકડો બાબો જોડે હતો. દોઢેક વર્ષનો. વંદન કરવું હતું માં ને. દીકરાને નીચે મુક્યો. શિયાળો હતો. ફરસ હતી ઠંડી. એ બાબલાને શું થાય આમ? કે સિંહાસન પરથી રાજા પદભ્રષ્ટ થઈ ગયો. ક્યાં માની હુંફાળી ગોદ અને ક્યાં ઠંડી ફરસ. તરત જ એણે રડવાનું શરૂ કર્યું. આંખમાં આંસુ આવી ગયા. ત્યાં જ માનું વંદન પૂરું થયું. માં એ બાબાને તેડી લીધો. હવે? માં એ તેડી લીધો એટલે અંદરથી પીડા છે જ નહિ, હવે અંદર આનંદ છે. એટલે આંસુનો ફોર્સ હવે પાછળથી આવવાનો નથી. એટલે આંસુની ધારા વહેવાની નથી. પણ બે આંસુ તો આંખમાં આવેલા જ છે. એ આંખમાં આવેલા બે આંસુ ફ્રીઝ થઈ ગયા. મને થયું વાહ! પ્રભુએ જવાબ આપી દીધો. તુજ મુખ નિરખંતા મુજ લોચન અમીય ઠરંતા. મારી આંખોના આંસુ ફ્રીઝ થઈ ગયા. કારણ, જોયા પ્રભુને એક વિરહ વેદના થઈ. મારા ભગવાન મારાથી બહુ દુર છે..  બહુ દુર છે… બહુ દુર છે… ભગવાને કહ્યું, હું તો અંતર્યામી છું. તારી અંદર બેઠેલો હું છું. અને બસ આપણી પીડા જતી રહી. આંખના આંસુ ફ્રીઝ થઈ ગયા. આવું ક્યારેય બન્યું છે આમ? પ્રભુને જોતા ભાવાવેશ ક્યારેય છલકાયો છે?

ત્રણ રીતે પ્રભુનું દર્શન થાય છે. એક તો તમે કરો છો એ રીતે કોરી કોરી આંખે. બીજું ક્યારેક તમે કરો છો એ ભીની આંખે. પણ ક્યારેક એક પઝલ ઉભી થાય. તમારી આંખ કોરી છે અને પરમાત્માનું ભીનું દર્શન તમારે કરવું છે. ત્યારે તમે શું કરો? એ વખતે કલાપૂર્ણસૂરી દાદા જેવા સદ્ગુરુની આંખમાં તમે જુઓ તો એ આંખની ભીનાશ ઉપર તરવરતા પ્રભુ તમને દેખાય.

એકવાર દાદા પ્રવચન આપતા હતા. કલાપૂર્ણસૂરી દાદા. એક ભક્તે પૂછ્યું: સાહેબ, આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે. પરમાત્મા ક્યાં છે? અને કલાપૂર્ણસૂરી દાદા. એમને તો પુરા બ્રહ્માંડમાં પ્રભુ દેખાય છે. અને સુક્ષ્મ પરમ ચૈતન્ય જે છે એમની જોડે એમનું અનુસંધાન હતું. તો પ્રશ્નકર્તા એ પૂછ્યું, પ્રભુ ક્યાં છે? દાદાએ કહ્યું આ રહ્યાં. પછી મેં પાછળથી કહેલું મારી એક વાચનામાં કે, આવા મહાપુરુષો જયારે હાથ આમ કરે ને ત્યારે એમની આંગળીઓ સામે આપણે જોવું નથી, આપણે એમની આંખોમાં જોવાનું છે. અને એમની આંખોમાં આપણને પ્રભુ દેખાશે. તો તુજ મુખ સન્મુખ નીરખંતા, મુજ લોચન અમીય ઠરંતા.

પછી કાન માટે પણ પ્રભુ. બધી ઇન્દ્રિયો માટે પ્રભુ જ છે. આ એક બહુ મજાનો લય છે. આ લય પણ જો પકડી રાખશો ને આગળની યાત્રા સરળ બની જશે. કાન માટે શું થશે? ‘તુજ નામ સુણ્યું જબ કાને, હૈયું હુંઉ તબ સાને, મુર્છાયો માણસ વાટે, સજ્જ હુએ અમૃત છાંટે.’ આપણી સ્તવનાઓમાં કેટલા બધા ભાવો ભરેલા છે. સંસ્કૃત ન આવડે તો વાંધો નહિ. પ્રાકૃત ન આવડે તો વાંધો નહિ. ગુજરાતી તો આવડે છે તમને? હા, તમને જ આવડે છે હોં. તમારી next generation ને આવડવાની નથી. તમને તો આવડે છે. એક-એક સ્તવનાઓમાં કેટલો ભાવ ભર્યો છે. ‘તુજ નામ સુણ્યું જબ કાને. જ્યાં તારું નામ સાંભળ્યું, શું થયું? હૈયું હુંઉ તબ શાને. હું ભાનમાં આવ્યો. હું બેભાન હતો, બેહોશ હતો. માત્ર તારું નામ સાંભળ્યું, હું હોશમાં આવી ગયો. Example આપે છે. ‘મુર્છાયો માણસ વાટે, સજ્જ હુએ અમૃત છાંટે. કોઈ માણસ ચાલતો હોય, ગરમીની અંદર રસ્તામાં. બેભાન થઈને ઢળી પડે. ઠંડુ પાણી છાંટીએ. અને એકદમ ભાનમાં આવે એ રીતે હું સંસારમાં ચાલતો હતો. બેહોશ થયેલો હતો. અને બેહોશીને કારણે રાગ-દ્વેષ-અહંકાર કરતો હતો. માત્ર પ્રભુ તારું નામ સાંભળ્યું હું હોંશમાં આવી ગયો છું. પ્રભુનું નામ સાંભળો તો શું થાય?

ચૈતન્યદેવ શિક્ષાષ્ટકમાં કહે છે:

नयनं गलदश्रुधारया वदनं गद् गद् – रुद्धया गिरा l

पुलकैर्निचितं वपु: कदा तव नाम – ग्रहणे भविष्यति ll

પ્રભુ એવો સમય મારા માટે ક્યારે આવશે? તારું નામ લઉં કે તારું નામ સાંભળું, આંખમાંથી આંસુની ધાર વહે, ગળે ડૂસકાં જ ડૂસકાં હોય અને શરીરે રોમાંચ હોય. માત્ર તારું નામ સાંભળતા. અને આપણા રામવિજય મહારાજ એથી પણ આગળ ગયા એમણે કહ્યું, ‘સુણતા જનમુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ધાત’ પ્રભુની વાત હું સંભાળતો હોઉં ત્યારે માત્ર આંખ માંથી આંસુ ઝરે એમ નહિ, માત્ર ગળેથી ડૂસકાં વહે એમ નહિ, માત્ર શરીરે રોમાંચ થાય એમ નહિ. હરખે મારા સાતે ધાત… મારા લોહી, માંસ, ચરબી અને હાડકાં સુધી સુખની અનુભૂતિ થઈ છે. આ અહોભાવની દશા ન મળે ને ત્યાં સુધી શુદ્ધમાં કઈ રીતે જઈ શકાય? અને તમે શુદ્ધમાં વાયા શુભ જ જવાના છો. શુભને ઘૂંટો પહેલા. એક પ્રભુનું નામ સાંભળો શું થાય?

રામકૃષ્ણ પરમહંસના જીવનની ઘટના આવે છે. સવારે નદીએ સ્નાન કરવા ગયેલા હોય પછી આશ્રમમાં આવે. આશ્રમમાં આવ્યા પછી એ મંદિરમાં જાય. પછી સમયનું કોઈ ભાન હોય જ નહિ એમને. બે કલાક થાય, ચાર કલાક થાય, છ કલાક થાય, કે આઠ કલાક પણ થઈ જાય. એટલે જે ભક્તો રાત્રે આવેલા હોય અને જેમને  સવારની ગાડીમાં પાછું રવાના થવું હોય. એવા સેંકડો ભક્તો શું કરે? સંત નદીએથી નાહીને આશ્રમ તરફ આવતા હોય ત્યારે રસ્તામાં લાઈનબદ્ધ ઉભા રહે. દર્શન કરી લે અને પછી રવાના થઈ જાય. તો એક વખત સંત આવી રહ્યા હતા નદીથી. સેંકડો લોકો હારબદ્ધ ઉભેલા દર્શન કરવા માટે. ત્યાં આશ્રમના લાઉડસ્પીકર ઉપરથી એક સુચના વહેતી થઈ કે સંત તમારી બાજુમાંથી પસાર થાય ત્યારે તમારે ભગવાનના નામનો જયઘોષ નહિ કરવાનો. સંતે છે ને પોતાના નામની જયઘોષણા ઉપર પ્રતિબંધ મુકેલો કે મારું જય બોલાવવાની જ નહિ. લોકો પ્રભુનો જય પોકારે. પણ આશ્રમનું લાઉડસ્પીકર એ વખતે કહે છે કે સંત તમારી બાજુમાંથી પસાર થાય ત્યારે   તમારે પ્રભુની જય પણ બોલવાની નહિ. એક જણાને નવાઈ લાગી. દર્શન તો કરી લીધું. ઓફિસમાં ગયો. Office bearers ને પૂછ્યું, કે કેમ તમે ના પાડો છો. એ વખતે ઓફીસ બેરરે કહ્યું, આ સંતને તમે ઓળખતા નથી ને, પ્રભુનું નામ સાંભળે ને એટલી ભાવદશા આવે છે કે એમને શરીરનું ભાન રહેતું નથી. એટલી ભાવદશામાં, એટલી પ્રભુમયતામા જતા રહે છે કે શરીરનું ભાન પણ એમને એવખતે હોતું નથી. અને એમણે કહ્યું કે ગઈ કાલે જેવું બનેલું કે સંત આવતા હતા નદીએથી નાહીને. અને એક-બે શિલા હતી – ભેખડ. ત્યાં ચાલતાં હતાં, એક ભક્ત જોરથી કહ્યું ત્યાં,  ભગવાનનો જય પોકાર્યો ત્યાં જ સંત ભાવદશામાં આવ્યાં, ઢળી પડે છે એકદમ. સારું થયું બે-ચાર સેવકો હતા, ભક્તો હતા. એમને ઝીલી લીધા, નહીતર એ પથ્થર ઉપર પડયા હોત તો શું થાત? માત્ર પ્રભુનું નામ સાંભળે છે. એટલી ભાવદશા આવે છે કે શરીરનું ભાન રહેતું નથી. આપણને આવા સંતોની ઈર્ષ્યા પણ આવે છે? તમે સંતોને જોઈલો છો. એકેય સંતની ઈર્ષ્યા તમને નહી આવી. કેમ? ઈર્ષ્યા ક્યાં આવે? સરસ ફ્લેટ જોવો ત્યાં. પોશ એરિયામાં લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ છે. નજર ક્યાં જાય? એકદમ ઇમ્પોર્ટેડ હોન્ડા કાર છે, બહુ સરસ હો એકદમ, બ્લેક છે પણ સરસ લાગે છે આમ. નજર ક્યાં જાય છે? ઈર્ષ્યા કોની આવે છે? અહીંયા જોઈએ છીએ પણ ઈર્ષ્યા નથી થતી. કારણ શું? માત્ર જોવું છે આપણે લેવું નથી. બરોબર સમજ્યા તમે? ઈર્ષ્યા ક્યાં આવે બોલો? મારે જોઈએ છે ત્યાં. આમાં તો એકદમ નિસ્પૃહી માણસો છો. સાહેબ પાસે છે એ બધુ ભલે રહ્યો ખજાનો, સાહેબ પાસે જ રહેવા દો. કેમ બરોબરને? જયેશભાઈ બરોબરને? અમારો ખજાનો અમારી પાસે કેમ? ક્યાં ઈર્ષ્યા આવી તમને?  હું ઘણીવાર કહું છું, સંતોને જોતાં No doubt તમારી આંખોમાં અહોભાવ ઉભરાય છે. હવે એક સ્ટેપ આગળ વધો. ઈર્ષ્યા આવવી જોઈએ. મને આવું ક્યારે મળશે? હું પ્રભુનો ભક્ત આવો ક્યારે બનીશ?

પછી ધ્રાણેન્દ્રીયના સ્તર ઉપર પ્રભુની વાત કરે છે. બહુ અદ્ભુત્ત છે. ‘શુભ ગંધને તરતમ યોગે’ આ આખું સ્તવન બધાએ મોઢે કરવા જેવું છે. બહુ મજાનું છે. ‘શુભ ગંધને તરતમ યોગે, આકુલતા હુઈ ભોગે, તુજ અદ્ભુત દેહ સુવાસે, તેહ મિટી રહત ઉદાસે.’ અદ્ભુત્ત વાત છે. શુભ ગંધને તરતમ યોગે- એક દુન્યવી સારી ગંધો અને એક પ્રભુના દેહની સુગંધ. બે ના વચ્ચેનો ફરક બતાવે છે. શુભ ગંધને તરતમ યોગે. એક ફૂલની ગંધ હતી, એક અત્તરની સુગંધ હતી. થોડો ફરક પડ્યો. અત્તરની સુગંધ વધુ સારી છે. કારણ કે ફૂલોનો અર્ક એમાં લીધેલો હોય છે. પણ એથી થયું શું? એ ફૂલની સુગંધથી કે અત્તરની સુગંધથી થયું શું? આકુલતા હુઈ ભોગે. ભોગની અંદર આકુલતા થઈ. એની સામે તુજ અદ્ભુત્ત દેહ સુવાસે તેહ મિટી રહત ઉદાસે. તારા અદ્ભુત્ત દેહની સુવાસ જયારે મને મળી ત્યારે ભોગની આકુલતા ગઈ અને ઉદાસીનદશા મને મળી. પ્રભુના દેહની સુગંધ ક્યારેય માણી છે? મંદિરમાં મૂર્તિ નથી, ભગવાન છે. પરમચૈતન્ય છે. આપણે છે ને, આપણને મંદિરની વિધીનો પણ ખ્યાલ નથી આપણને.

એક વાત તમને પૂછું, આપણે ત્યાં ઘંટનો અવાજ કરવામાં આવે છે મંદિરમાં. ઘંટનો જ અવાજ કેમ? બીજો કોઈ અવાજ નહિ. એટલાં માટે, આપણી ભીતર એક અનાહત નાદનું ગુંજન ચાલે છે. બે જાતના નાદ, એક આહત એક અનાહત. તમે દંડીકાથી ઢોલને ટીપો અને અવાજ આવે આહત. તમે ટીપ્યું છે, બે નો સંયોગ થયો છે, બે નો સંયોગ ન હોય પણ કુદરતી જે સંગીત ચાલે એને અનાહત નાદ કહેવાય છે. એટલે તમારી ભીતર આ અનાહત નાદ ચાલતો હોય છે પણ તમે એકદમ સ્થિર બનો મનથી ત્યારે તમને એ સંભળાય. તો જે મહાપુરુષોએ અનાહત નાદને સાંભળેલો એમણે બહાર Similar નાદની શોધ કરી. એમાં એમને ઘંટનો નાદ પકડાયો. ઘંટના નાદમાં પણ ઘંટના પેન્ડુલમને આપણે દીવાલ સાથે અથડાવીયે અને અવાજ થાય એ નહિ. પેન્ડુલમ વચ્ચે આવી ગયું પછી જે રમ-રમ-રમ… ઝીણો જે અવાજ આવે છે ને એ અવાજ જે છે એ અનાહત નાદને એકદમ મીલતો ઝૂલતો છે. એટલે એવું બને કે ભક્ત એકદમ એકાગ્ર બનેલો હોય અને એ નાદ પકડાઈ જાય તો એ નાદના પગથીયે પગથીયે એ અનાહત નાદને ટચ કરી શકે. એટલે એ પ્રક્રિયાને નાદાનુસંધાન કહેવામાં આવે છે.

હિંદુ પરંપરા પ્રમાણે ૐ નો એક વૈશ્વિક નાદ ચાલી રહ્યો છે. ૐ. પણ એ નાદ કઈ રીતનો છે? ૐ તો ખરો. આપણને સંભળાય શું? ૐ..મ મ મ… પાછળથી જે એકદમ મ બોલીએ ધીરે ધીરે ધીરે ધીરે. એવો એક વૈશ્વિક નાદ ચાલી રહ્યો છે. એક તો ભીતરી નાદ અનાહત નાદ. એક વૈશ્વિક નાદ. આ બંને નાદ સાથે તમે તમારી જાતનું અનુસંધાન કરી શકો છો. એટલીબધી સુક્ષ્મ પરંપરાઓ આપણે ત્યાં હતી. પણ પરંપરાઓનું જ્ઞાન આપણી પાસે રહ્યું નહિ. એટલે પરંપરા રહી ગઈ. એ પરંપરા દ્વારા પ્રાપ્ત કરવાનું હતું એ રહી ગયું. મંદિરમાં આપણે અમુક જ જાતની સુગંધ મૂકીએ  કેમ? ધૂપની જ સુગંધ. બસ એ ધૂપની સુગંધે સુગંધે પ્રભુના દેહની સુવાસ સુધી તમે ચાલ્યા જાવ. અને એ દેહની સુગંધ જો પકડાઈ જાય. ભલે એ સુક્ષ્મ છે એકદમ. પણ પકડાઈ જાય તો શું થાય? ઉદાસીનદશામાં તમે આવી જાઓ. પ્રભુ વિચરતા હતા ત્યારે પણ પ્રભુના દેહની સુવાસ એટલી બધી અદ્ભુત્ત હતી. વિતરાગસ્તોત્રમાં લખ્યું, કે ભમરાઓ ત્યાં આગળ ગુંજન કરતા હતા. એટલું બધું સરસ, સુગંધ હતી કે ભમરાઓ ત્યાં આગળ આવ્યા કરતા હતા. એટલી સરસ સુગંધ પ્રભુના દેહની હતી. તો આપણે કલ્પના પણ કરી શકીએ કે પ્રભુના દેહની સુગંધ કેવી હશે? અને એ સુગંધના કદાચ અનુસંધાનમાં આપણે પહોંચીએ તો શું થાય? આકુલતા આપણી ભોગની મટી જાય. ઉદાસીનદશા આપણને મળી જાય.

પછી રસનેન્દ્રીયને પકડે છે. પાંચે પાંચ ઇન્દ્રિય ઉપર પરમાત્માને કેવી રીતે બેસાડવા એની વાત કરે છે. ‘તુજ ગુણ સંસ્તવને રસના, છાંડે અન્ય લયની ત્રસના.’ બસ પ્રભુ તારા ગુણને સ્તવવાનું ચાલુ કર્યું. બીજું બધું જ છૂટી ગયું. બીજું બધું જ બોલવાનું છૂટી ગયું. મીરાંએ પણ કહેલું: બોલ મા, બોલ મા, બોલ મા. રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા. ભાઈ બીજું કોઈ બોલ નહિ. મારે કાઈ સાંભળવું નથી. મારે તો બોલવું નથી બીજું કાઈ, મારે તો સાંભળવું પણ નથી. તું બોલીશ પણ નહિ બીજું કાઈ. એક નાદ આવી ગયો તમારી ભીતર તો પછી બીજું કાઈ તમને ગમતું નથી. પ્રભુ ગમ્યા છે એ ક્યારે કહેવાય? પ્રભુને ગમે છે એ તમને ગમે તો.

હું ઘણીવાર એક સૂત્ર આપું છું. બહુ નાનકડું છે યાદ રહી જાય તેવું. મને ગમે તે કરવું એ સંસાર. મને ગમે તે કરવું એ સંસાર અને માં ને ગમે તે કરવું એ સાધના. આપણી માં તો એક જ છે પ્રભુમાં. મને ગમે તે કરવું એ સંસાર, માં ને ગમે તે કરવું એ સાધના. બહુ મજાની વાત એ થાય કે પ્રભુમાં ને ગમે એવું જ મારે કરવું છે. પણ હું તો અજ્ઞાની છું. મને ખ્યાલ નથી કે પ્રભુને શું ગમશે? ત્યાં ગુરુચેતના જોડે આપણો વાસ્તવિક સંબંધ સર્જાય છે. તમે ગુરુતત્વની પીછાણ ખરેખર કરેલી ક્યારે કહેવાય? જયારે પ્રભુમાં ને રીઝવવી છે. પ્રભુમાંને ગમે એ જ તમારે કરવું છે. તો તમે ગુરુદેવ પાસે આવશો કે ગુરુદેવ! હું જે કરું છું એ પ્રભુને ગમે એવું ખરું? અથવા મારી લાઈફસ્ટાઇલમાં પ્રભુને ન ગમે એટલું શું? મને બતાવો. ક્યારેય ગયા ગુરુદેવ પાસે આ રીતે? પ્રભુને ન ગમે એવું મારે કરવું નથી. તો જ પ્રભુ તમને ગમ્યા કહેવાય. ‘હું પ્રભુ તારો, તું પ્રભુ મારો’ બોલવાથી પ્રભુ આપણા થવાના નથી. કંડીશનલી વાત મૂકી છે. તમે પ્રભુના થાવ તો પ્રભુ તમારાં છે. ‘હું પ્રભુ તારો તો તું પ્રભુ મારો.’ તમે પ્રભુના તો પ્રભુ તમારાં. તમે સંસારના તો? તો મને ગમે તે કરવું એ સંસાર, માં ને ગમે તે કરવું એ સાધના. કેટલી easy સાધના છે બોલો? એટલે હું એને easiest કહું છું. Easiest, shortest, sweetest. પ્રભુની સાધના એટલે Easiest – સરળતમ. બસ એને ગમે એ કરવું એ સાધના. Shortest – એકદમ short journey છે. એકદમ short. અનંત જન્મો સુધી આપણે રખડ્યા. પ્રભુ મળ્યા આ જનમમાં, એક જ જન્મમાં આપણું ઉર્ધ્વીકરણ શરૂ થઈ જાય. હું ઘણીવાર કહું, એક માણસ અમદાવાદથી નીકળે મુંબઈ એને જવું છે. વડોદરા, સુરત એ રીતે જશે. પણ ખોટી દિશા પકડાઈ ગઈ. મહેસાણા. મહેસાણાથી આગળ નીકળે છે. દિલ્લી તરફ. અને પૂછે છે, મુંબઈ કેટલું દુર? પેલો સામેવાળો કહે તમારે મુંબઈ જવું છે? હા, મુંબઈ જવું છે. યાર તમે તો ક્યાંથી નીકળ્યા? અમદાવાદ થી. અમદાવાદથી નીકળ્યા અને તમારે મુંબઈ જવું છે. ખોટો હાઇવે પકડ્યો તમે આ તો. નેશનલ હાઇવે-૮ ખરો પણ ઉંધો હાઈવે પકડ્યો તમે. એટલે બેક ટુ હોમ પાછા અમદાવાદ જાવ, પછી ત્યાંથી journey શરૂ કરો. ભગવાન ક્યારેય કહેતા નથી કે અનંતા જન્મોમાં તે ખોટી જર્ની કરી બેક ટુ હોમ પહેલા આવ પછી હું તને ઉપાડું. નહિ… જે ક્ષણે આપણે કહીએ પ્રભુ હું ભૂલ્યો છું. મને માર્ગ આપો. એ ક્ષણે પ્રભુ આપણને ઉપાડી લેશે. ગુરુને મોકલશે. શક્તિપાત કરાવશે. બધું જ પ્રભુ કરશે. પ્રભુ તૈયાર છે. Shortest journey. Sweetest… ચાખો તો ખબર પડે એ તો. સ્વીટેસ્ટ. દુનિયામાં કોઈ ચીજ એવી મીઠી નથી જેવી પ્રભુની સાધના મીઠી છે. એટલે જ કહું છું. સંતોના ચહેરાઓને જુઓ. એ ચહેરાની મસ્તી જુઓ. ક્યારેય પૂછવાનું મન નથી થતું કે, સાહેબ! આટલા બધા ever fresh, ever green કેમ છો?  શું છે તમારી પાસે? તો ‘તુજ ગુણ સંસ્તવને રસના, છાંડે અન્ય લયની ત્રસના.’ બસ બીજું બધું છૂટી ગયું પછી. હવે બસ પ્રભુનું ગુણગાન કરવાનું છે. બાકી મૌન રહેવું છે. બીજું કશું બોલવાનું ગમતું જ નથી.

પછી કહે છે, ‘પૂજાએ તુજ તનુ ફરસે, ફરસન વિકસિત થઈ ઉલસે.’ જયારે પૂજા કરું છું ત્યારે મારી આંગળીઓ, મારી સ્પર્શેન્દ્રિય પ્રભુ તને ટચ થાય છે. અને એ વખતે મને જે આનંદ થાય છે, જે રોમાંચ થાય છે. એવો રોમાંચ ક્યારેય પણ મને થયો નથી.

મયણાસુંદરીએ પણ આ જ વાત કહેલી. પ્રભુની પૂજા કરીને ગયા પછી. એક કલાક પછી એમને કહેલું ‘આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ, ખીણ-ખીણ હોવે પુલક નીકારણોજી.’ પૂજામાં એવો ભાવ આવેલો, એવો ભાવ આવેલો. પ્રભુનો સ્પર્શ કર્યો. એટલી હદે પ્રભુમાં ખોવાઈ ગઈ છું કે એક કલાક થઈ ગયો પ્રભુના સ્પર્શને અને છતાય મારું એક પણ રૂંવાડું બેસવાનું નામ લેતું નથી.

શંખેશ્વરદાદાની પૂજા તમે કરી… ખરેખર તમે કરી? મારે પૂછવું છે. તમારી આંગળીએ કરી? તમારાં કોન્શિયસ માઈન્ડે કરી? કે તમે પોતે કરી? કોન્શિયસ માઈન્ડ પણ તમે નથી. એટલે અહોભાવ માત્ર કોન્શિયસ માઈન્ડમાં હોય તો એ ચાલે નહિ. અસ્તિત્વના સ્તર પર સ્પર્શ જોઈએ છે. અને એ અસ્તિત્વના સ્તરનો સ્પર્શ કેમ મળે? એની વાત આપણે કાલે જોઈશું. કારણ કે થોડીક ઊંડી વાત છે. પ્રભુનો સ્પર્શ રોજ તમે કરો છો. ખરેખર પ્રભુનો સ્પર્શ થતો નથી. પ્રભુનો સ્પર્શ થાય તો કેટલી હદે બદલાહટ આવે એની આપણે કલ્પના ન કરી શકીએ. અને વરસોથી તમે પૂજા કરો છો બદલાહટ આવતી નથી. એટલે, there is some fault. ક્યાંક ગરબડ છે. કઈ ગરબડ છે એ આપણે જોવી પડશે. આ રીતે આપણે પહેલા અહોભાવના સ્તર ઉપર ચાલીએ છીએ. અને પછી આ પ્રભુના રૂપનું દર્શન કર્યા પછી આપણે સીધા જ જિનગુણ દર્શનમાં જવાનું છે. પણ ત્યાં પણ અહોભાવનું સ્તર છે. અને એ અહોભાવના સ્તરથી ઉંચકાતા-ઉંચકાતા આપણે જિનગુણ સ્પર્શની ભૂમિકાએ પ્રભુમાં જે ગુણ છે તેનો સ્પર્શ આપણે કરવાનો છે. પ્રભુના ગુણની અનુભૂતિ આપણને થાય તો જ આપણે આ લયને પ્રાપ્ત કરેલો કહેવાય. એટલે થીયરીકલી અને પ્રેક્ટીકલી બેઉ રીતે આપણે આ કરવાનું છે. આ શિબિરમાં તમને બોલાવવાનો અર્થ એક જ છે. આખો દિવસ તમે અહિયાં હોવ. સતત સાધનામય વાતાવરણ હોય. શરીરને ઠીક છે ભાડું આપી દીધું. બાકી સતત તમારા મનમાં આવો નાદ ગુંજતો હોય. એટલે થીયરીકલ થોડું મળે તો પણ એ અંદર વધારે ઉતરે. અને એક વાત કહું, મૌનની આધારશીલા જેટલી મજબુત તમારી હશે ને એટલા જ આ પ્રભુના શબ્દો અંદર જવાના છે. આપણે ત્યાં સ્તવનમાં એક વાત લખી, ‘તેલ બિંદુ જીમ વિસ્તરેજી, જલ માંહિ ભલી રીતિ.’ પાણીની સપાટી છે ઉપર તેલ થોડું નાંખો તો શું થશે? તેલ સ્પ્રેડ આઉટ થઈ જશે? પણ રેતમાં તમે તેલ નાંખો તો? એમ તમે જયારે આઉટડોર પેશન્ટ તરીકે આવતા ત્યારે અમારી તકલીફ આ હતી. અડધો કલાક- પોણો કલાક આવ્યા. મંગલાચરણ શરુ થયું. પછી પા કલાક- અડધો કલાક આવ્યા. સર્વમાંગલ્ય શરુ થયું, પહેલા નાઠા. અમારી પકડમાં જ તમે નહોતા આવતા. શું નાંખીએ તમારામાં અમે? હવે એક લય પ્રાપ્ત થઈ શકે કે આ પ્રભુના શબ્દો તેલના બિંદુ જેવા છે એ તમારાં મનની જલની સપાટી પર સ્પ્રેડ આઉટ થાય. અને એટલે જ સ્વાધ્યાય કેટલો કરો છો એની મહત્તા નથી, એનું અનુપ્રેક્ષણ કેટલું કર્યું એની જ મહત્તા છે. રોજ બે કલાક વાંચ્યું, સારું છે. પણ બે કલાક વાંચ્યા પછી અનુપ્રેક્ષા કેટલી કરી? સાધકોને તો હું ખાસ કહું છું. વાંચવાનું થોડું કરો. વિચારવાનું ઘણું કરો. કારણ, વાંચવાનું કે સાંભળવાનું પહેલા ક્રમ ઉપર. પછી વિચારવાનું બીજા ક્રમ ઉપર. તો અનુભૂતિ ત્રીજા ક્રમ ઉપર આવશે ને. માત્ર સાંભળવા કે વાંચવાના સ્તર પરથી તમે અનુભૂતિના સ્તરે કુદી શકતા નથી. વચ્ચે ચિંતનનું સ્તર છે, અનુપ્રેક્ષાનું. એ અનુપ્રેક્ષા પણ એ રીતે કરવી છે કે હું આનો અનુભવ શી રીતે કરી શકું? જેમ કે ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું કે, ૪૫ આગમનો સાર શું? શ્રીપાલ રાસમાં એમણે કહ્યું, ‘આગમનો આગમ તણો, ભાવ તે જાણો સાચો રે આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે’ તમને પણ અર્થ ખ્યાલ આવી ગયો. આત્મભાવમાં સ્થિર થવું અને પરભાવમાં જવું નહિ. એટલે રાગમાં-દ્વેષમાં-અહંકારમાં જવું નહિ. પરપદાર્થો વપરાય પણ પરભાવમાં ન જવાય. પણ આ સ્વાધ્યાય થયા પછી ચિંતન ઘેરું જોઇશે. મારે પરભાવમાં નથી જવું તો મારે શું કરવું જોઈએ? ખાતી વખતે મને રાગ થાય છે. તો તમે તપાસ કરો. કયા-કયા પદાર્થોમાં વધારે રાગ થાય છે? જે પદાર્થો ખાતા વધારે રાગ થાય છે એ પદાર્થોને તમારી ભોજનની થાળીમાંથી કાઢી મુકો. પરભાવમાં મારે જવું નથી. આ ચિંતન થશે ને તો જ અનુભૂતિ આવશે. એમનેમ અનુભૂતિ નહિ આવે. એટલે માત્ર સાંભળવાથી કે માત્ર વાંચવાથી અનુભૂતિ તમને મળશે નહિ. વચ્ચે તમારું પોતાનું ચિંતન જોઇશે.

અહિયાં એક ભૂમિકા સર્જાય કે તમે આ શબ્દોને વાગોળી શકો, એના ઉપર ચિંતન કરી શકો. જેમ કે ગઈ કાલે તમે કદાચ introspection કર્યું પણ હશે કે ભેદજ્ઞાનનો અભ્યાસ મારે કેમ કરવો? આજે વિચારજો કે પ્રભુનું દર્શન ખરેખર મારે કેવી રીતે કરવું જોઈએ? અને પ્રભુના શબ્દોને મારે કેવી રીતે સાંભળવા જોઈએ? આ પ્રભુના શબ્દો, યશોવિજ્યના શબ્દો નથી પ્રભુના શબ્દો છે. અને એ અસ્તિત્વના સ્તરે પહોંચશે તો જ કામ આવશે.. માત્ર કાનની ડેલીએ અથડાઈને પાછા ફર્યા, કાંઈ નહિ થાય, conscious mind ની ડેલીએ અથડાઈને પાછા ફર્યા, કાંઈ નહિ થાય. અસ્તિત્વના સ્તર ઉપર આ શબ્દો પહોંચવા જોઇશે. એના માટે મૌન જોઇશે. તમારું પોતાનું ચિંતન જોઇશે. જેટલું હોમવર્ક વધારે હશે, એટલા જ આ શબ્દો ઊંડાણમાં જશે. એટલે સદ્ગુરુઓ ખુબ જ મહેનત કરવા તૈયાર છે. તમે જુવો છો. દરેકે દરેક શહેરમાં કેટલા બધા પ્રવચનકાર મહાત્માઓ, એટલા સરસ પ્રવચનો આપે છે. તમે ઉનાળામાં એમની હાલત જોઈ હોય એ પ્રવચનકાર મહાત્માની. તમે તો ભીના થાઓ કે ન થાઓ literally એમનું શરીર ભીનું થઈ જાય.

એક પ્રવચનકારે મને કહેલું, કે શિબિરમાં વચ્ચે હું ઉઠું, અને મારી રૂમમાં આવું  ત્યારે મારા કપડાં literally નીચોવાય એવા હોય છે. આટલી હદે તમારાં માટે ભીંજાય છે. તમે કેટલા ભીંજાણા? તો ભીંજાવું છે હવે? અહીંથી બીજું બધું યાદ નહિ રહે કદાચ પણ એક ભીંજાઈને જવું છે. શંખેશ્વરદાદાના દરબારમાં આવ્યા અને ભીંજાયા વગર કોરા-કોરા જઈએ તો કેમ ચાલે? તો શુભના સ્તરની ભીંજામણ અને શુદ્ધના સ્તરનો પ્રભુના ગુણનો સ્પર્શ આ બંને લઈને આપણે જવુ છે એટલે આપણે પ્રેક્ટીકલમાં એ પ્રેક્ટીકલ ઘુંટીએ છીએ કે શુભનો કદાચ શરૂઆતમાં આપણે આશ્રય લઈને શુદ્ધમાં કઈ રીતે જવું. ક્યારેક આ ચાર ચરણોને ખોલીને બતાવીશ તમને કે ચાર ચરણો કઈ રીતે ખુલે છે. પ્રેક્ટીકલ તમે કરો છો પણ ખરેખર કઈ રીતે ખુલે છે? પહેલા તમને શ્વાસનું અવલંબન આપ્યું, પછી શબ્દનું આપ્યું. પછી માનસ જાપ કરાવ્યો અને એ રીતે તમને ધીરે ધીરે ધીરે સુક્ષ્મમાં લઇ જવાની કોશિશ ચાલે છે. સ્થૂળમાંથી સુક્ષ્મમાં લઇ જવાની. શ્વાસ rhythmically કરવો એટલાં માટે જરૂરી છે કે શ્વાસ rhythmically ન થાય ત્યાં સુધી મન સ્થિર થાય જ નહિ. મન અને શ્વાસને સંબંધ છે. કાયોત્સર્ગમાં આપણે ત્યાં શ્વાસ ઉપર જ આધાર મુક્યો છે. ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી લોગસ્સ કેમ કરવાનો? પૂરો કેમ નહીં? એના માટે કે ૨૫ શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ છે. તમે બહાર ગયા પૌષધમાં કદાચ સહેજ વિભાવમાં આવી ગયા, તો વિભાવમાંથી સ્વભાવમાં આવવા માટે શું કરવાનું? ૨૫ શ્વાસોશ્વાસ તમારે શુદ્ધમાં રહેવાનું. તો વિભાવમાંથી સ્વભાવમાં તમે આવી જાવ. એટલે વિભાવમાંથી સ્વભાવમાં આવવા માટેની બારી ઈરિયાવહિ છે. અને એના માટે આ કાયોત્સર્ગ છે. તો પહેલા શ્વાસ rhythmically એટલા માટે કે મન rhythmically થાય. મન rhythmically થઇ ગયું. પછી શબ્દ આપીએ, એ શબ્દના આધારે આધારે તમે મનને એકાગ્ર બનાવો. અને એ પછી શબ્દનો આધાર પણ જતો રહે. અને તમે તમારી અંદર રહેલા ગુણનો સહેજ સ્પર્શ કરી શકો. આપણે થીયરીકલી આ વાત ચર્ચવાની છે કે જિનગુણ-સ્પર્શ એ સ્વાનુભૂતિ. અને જિનગુણ-સ્પર્શ દ્વારા નિજગુણ-સ્પર્શ આપણે કરવાના છે. આ જ નિજગુણ-સ્પર્શ માટે આપણે રોજ practical કરીએ છીએ. Practical ચાલુ. 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *