Anandghanji Ne Sathvare – Vachana 35

619 Views 24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સુહગુરુજોગો

સદ્ગુરુના શબ્દો તો માત્ર ઈંગિત છે; એમણે જે કહેવાનું છે, એ અશબ્દમાં કહેવાનું છે. તમારી સાધના, તમારી ભક્તિ જેટલી જેટલી ઊંચકાય, એટલા અંશે મહાપુરુષની ભાવદશાનો તમને ખ્યાલ આવે.

જીવંત સદ્ગુરુ facial expression દ્વારા પોતાની વાત કહેતા હોય છે; એમના ચહેરા પરથી તમે એમની ભાવદશા ને જોઈ શકશો.

સૌથી જે સૂક્ષ્મ છે, એ સદ્ગુરુની ઊર્જા. તમે સદ્ગુરુથી ભૌગોલિક રૂપે ગમે એટલા દૂર હોવ, તો પણ એમની ઊર્જાને માણી શકો છો. આ યુગમાં પણ એવા સદ્ગુરુઓની aura ને અનુભવી છે, જેની range અડધો-અડધો કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે!

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આંતરયાત્રામાં ઉતરેલા મહાપુરુષની આ અભિવ્યક્તિ. એ અભિવ્યક્તિને સમજવા માટે પણ આપણે આંતરયાત્રામાં જવું પડશે. સદ્ગુરુના શબ્દો સામાન્ય તયા ખોલવા અઘરા હોય છે. જ્યારે પરાવાણી વહેતી હોય છે, ત્યારે એ પરાવાણી ના ઈંગિતોને સમજવા અઘરા હોય છે. સદ્ગુરુ શબ્દોમાં તો ક્યારેક જ પ્રગટ થાય છે. બાકી ઈંગિતોમાં, આકારોમાં અને ઉર્જામાં પોતાની વાતને એ સ્પષ્ટ કરે છે.

Facial expression- સદ્ગુરુના ચહેરા પરની ભાવધારા, expression એને જોઈએ અને આપણે સમજી જઈએ કે સદ્ગુરુ મને શું કહેવા માંગે છે.

પ્રભુની દેશનામાં એક જ સરખા શબ્દો હોવા છતાં દરેકને એવી feeling થાય કે પ્રભુ personally for me કહી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની સાધના ના સ્તર પર એ અર્થનો અનુવાદ કરે છે. તમારી સાધના પ્રારંભિક સ્તરે પહોંચી છે, તો તમે આ પંક્તિનો અર્થ કરો કે આનંદઘનજી ભગવંતને ઋષભદેવ પ્રભુ બહુ જ પ્યારા હતા. ઊંચકાયેલા સાધકને ખ્યાલ છે કે આનંદઘનજી ભગવંતની ભાવદશા શું હતી. એ પ્રભુ માટે કેટલું રડ્યા છે. સવારે આનંદઘનજી ભગવંત ઉઠે, ત્યારે literally એમના સંથારાને નીચોવી શકાય એ હદે એ પ્રભુ માટે રડ્યા છે. અને ત્યારે એમને પ્રભુ મળ્યા છે.

મીરાંને આજ વાત પૂછવામાં આવેલી કે બેટા! તું આટલી નાનકડી દીકરી તને પ્રભુ શી રીતે મળ્યા? ત્યારે એણે કહેલું કે “अंसुवन सींच सींच प्रेम बेली बोई”.  “अंसुवन सींच सींच प्रेम बेली बोई”  – મીરાં કહે છે કે આંસુના ઘડેઘડા ઠાલવ્યા છે, ત્યારે પ્રભુ મળ્યા છે.

એક ભક્તે મીરાં ને આગળ સવાલ કરેલો – કે ચાલો ઘડેઘડા, આંસુઓથી પ્રભુ રીઝે છે. પણ કેટલા ઘડા આંસુ જોઈએ…. મારે પ્રભુને રીઝવવા છે, કેટલા ઘડા આંસુ મારે સારવા જોઈએ? એ વખતે મીરાં એ કહ્યું કે જેટલા ઘડા આંસુથી તમારો હું ભૂંસાઈ જાય, એટલા જ ઘડા આંસુની જરૂરિયાત છે, એ પછી એક અશ્રુબિંદુ ની પણ જરૂરિયાત નથી.

પ્રભુ પાસે પ્રાર્થનાના લયમાં આપણે રડીએ છીએ ત્યારે શું થાય છે…અહંકારનો ગટ્ઠો ઓગળીને બહાર નીકળે છે. અનંત જન્મોથી એ આપણી ભીતર છે અને એથી અહંકાર ગંઠાઈ ગયો છે. એનો ગટ્ઠો થઇ ગયો છે,જામી ગયેલો. પણ આંખોમાંથી, હૃદયમાંથી જ્યારે આંસુની ધારા નીકળે છે, ત્યારે એ ગટ્ઠા ને પણ પીગળવું પડે છે. તમે ઓગળી જાવ… પીગળી જાવ… -પ્રભુ આ રહ્યા.

તો ઉંચકાયેલો સાધક આનંદઘનજી ભગવંતની ભાવદશાને જાણે છે. એટલે તમારી સાધના, તમારી ભક્તિ જેટલી જેટલી ઉંચકાય એટલા અંશે એવા મહાપુરુષની ભાવદશાનો તમને ખ્યાલ આવે. શબ્દ તો માત્ર ઈંગિત છે -ઈશારો. એમને જે કહેવાનું છે, એ અશબ્દમાં કહેવાનું છે. અશબ્દને તમે કઈ રીતે ખોલી શકો.

જે મહાપુરુષ અત્યારે વિદ્યમાન છે. એના તો ચહેરા પરથી તમે એમની ભાવદશા ને જોઈ શકશો. પણ જે મહાપુરુષ ગયા, વિદેહ થયા. એમની ભાવદશાને શી રીતે જાણવી? તમારી સાધનાનું સ્તર અને એ મહાપુરુષના શબ્દો, આ બે નું મિલન થાય અને બે ના મિલનને કારણે તમને એમની ભાવદશાનો ખ્યાલ આવતો જાય.

તો જીવંત સદ્ગુરુ facial expression દ્વારા પોતાની વાત કહેતા હોય છે. પાલીતાણામાં પૂજ્યપાદ કલાપૂર્ણસૂરિ દાદાને પીધેલા. એકવાર વાચનામાં એક ભક્તે પૂછ્યું, કે ગુરુદેવ આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે. અમને પ્રભુનો સાક્ષાત્કાર કરાવો ને… પ્રભુ ક્યાં છે. એ વખતે ગુરુદેવે પોતાનો હાથ હવામાં હુલાવ્યો, ઝુલાવ્યો અને કહ્યું પ્રભુ આ રહ્યા. એ વખતે એમના જે facial expression હોય, એ તમે જુઓ તો તમને પ્રભુ મળી જાય! તો facial expression; તમને પ્રભુ આપી શકે. જોઈએ ને પ્રભુ…?

પછી ઈંગિત – નાનકડી ચેષ્ટા. એક સદગુરૂએ પૂનમની રાત્રે ૧૨ વાગે મજાનો અનુભવ કર્યો. પ્રકૃતિના પરિબળો પણ ધ્યાનમાં, ભીતર જવામાં સહાયક બને છે. પૂનમની રાત, ૧૨ વાગેલા, ચાંદનીમાં ગુરુ બેઠેલા, ઝરૂખામાં ઉપાશ્રયના, અને એક વિશિષ્ટ અનુભવ થયો. ગુરુને ખ્યાલ આવી ગયો કે આ અનુભવની પાછળ આ કાળનું મહત્વ છે. આપણે કલ્યાણકની આરાધના કરીએ ને…. હજારો વર્ષ પહેલાં પ્રભુનું જન્મ કલ્યાણક થયેલું, આજે તમે એની આરાધના કરો. કેમ…. ‘કાલ’ બહુ મજાનું ફેકટર છે.

કલ્પસૂત્રની અંદર કોઈ સાલ સંવત નહિ આપી…. માત્ર ચંદ્રમાં આ નક્ષત્રમાં આવેલો હતો, આ દિવસ હતો, અને નિરોગી એવા માતાએ પુત્રને જન્મ આપ્યો. કોઈ સાલ – સંવતનું મહત્વ છે જ નહિ. ૨૦૦૦ વર્ષ પહેલાં ઘટના ઘટી કે ૫૦૦૦ વર્ષ પહેલાં ઘટના ઘટી, એનું કોઈ મહત્વ નથી. પણ એ દિવસ, એ ઘડી, જ્યારે ફરીથી આવે, ત્યારે એ વખતે જે ઘટના ઘટેલી અને આંદોલનો વહેલા, કાળે એ આંદોલનોને સ્વીકારેલા. એ આંદોલનો તમને આજે મળી શકે.

પણ તમે ક્યાં ચુકી જાવ ખબર છે..? પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક ઉજવવા વારાણસી પહોંચી જાવ કે શંખેશ્વર પહોંચી જાવ, આખો દિવસ તમે જાપ કરો. રાત્રે સૂઈ જાવ. પવિત્ર કલ્પસૂત્ર ખાસ ભાર મુકે છે, ‘पुवरत्ता अवरत्ता कालम्मि’ મધ્યરાત્રિએ આ ઘટના ઘટી છે, તો સૌથી મજાનો કાળ મધ્યરાત્રિ છે. એ મધ્યરાત્રિએ તમે જાગતાં હોવ, તમે જાપમાં કે ધ્યાનમાં એકાગ્ર બનેલા હોવ, તો તમને કોઈ અતીન્દ્રિય અનુભવ થઇ શકે.

જેમ વૃક્ષ પ્રભુના કલ્યાણક વખતના આંદોલનો ને receive કરે છે, પછી આપે છે. એ જ રીતે પૃથ્વી. પ્રભુનું દીક્ષા કલ્યાણક, કે કેવલજ્ઞાન કલ્યાણક જે ધરતીમાં થયું, એ ધરતી પાસે આજે પણ vibrations છે. ઋજુવાલિકા ને કાંઠે આપણે કેમ જઈએ છીએ… ત્યાં દેરાસર છે માટે નહિ. પ્રભુની કેવલજ્ઞાનની ભૂમિ છે માટે જઈએ છીએ. તો કૈવલ્ય ના પ્રાગટ્ય વખતે જે આંદોલનો વિખેરાયેલા એ આંદોલનો ધરતીએ પણ પી લીધા છે. અને તમે જો ત્યાં જઈને ધ્યાનમાં બેસો, ચિત્તને એકાગ્ર કરી દો. તો એ વખતે જે આંદોલનો છુટેલા એનો અનુભવ તમે આજે કરી શકો.

એક યાત્રિક સમેતશિખર જતો હતો. એણે મને કહ્યું કે સાહેબ! ખાસ શું કરવું જોઈએ… ત્યારે મેં એને કહ્યું કે ઋજુવાલિકા ને કાંઠે જો ૪ – ૫ કલાક તને મળે, તો બે કલાક તું ધ્યાનમાં ચિત્તને એકાગ્ર કરીને બેશજે. ૨૬૦૦ વર્ષનો સમય. એ બહુ મોટો ગાળો નથી. કાળના મહાસાગરમાં એક tiniest portion છે. એક ચમચી જેટલો. તો ૨૬૦૦ વર્ષ પહેલાં જે ઘટના ઘટી, અને જે આંદોલનો વિખેરાયા, એ આંદોલનોને તું પ્રાપ્ત કરીશ.

શું મજાની પરંપરા આપણને મળી છે. કોઈ પણ તીર્થનું મંદિર જે છે ને એ vibrations ની જગ્યાએ બનાવવામાં નહિ આવતું. Vibrations અડધો કિલોમીટરના diameter માં ચાલી રહ્યા છે. તો એનાથી થોડે દૂર દેરાસર બનાવવામાં આવતું. કેમ… એ દેરાસર તમને પરિચય આપે કે આજુબાજુમાં vibrations વાળું કોઈ સ્થળ છે.. પછી તમે આજુબાજુમાં ફરો, અને જ્યાં પેલા આંદોલનો પકડાય ત્યાં તમે બેસી જાઓ. તો જે રીતે ધરતીની પાસે આંદોલનો ને accept કરવાની કળા છે. વૃક્ષ પાસે છે, એ જ રીતે કાળ પાસે છે. કાળમાં પડી સંગ્રહિત થઇ ગઈ. અને એ દિવસ આવ્યો, ચંદ્રમાં એ નક્ષત્ર નો યોગ થયો, એ સમયે તમે બરોબર ચિત્તને એકાગ્ર કરીને બેઠેલા હોવ તો એ આંદોલનો ને તમે પ્રાપ્ત કરી શકો.

તો ગુરુ મધ્યરાત્રિએ જુએ છે કે આજે આ કાળને કારણે વિશિષ્ટ આંદોલનો નીકળી રહ્યા છે. એટલે ગુરુએ શિષ્યને જગાડ્યો. કહ્યું ઉઠ… શિષ્ય આંખો ચોળતો ઉભો થયો. એ વખતે ગુરુ બોલી પણ શકતા નથી વધુ… એવો એક પ્રચંડ અનુભવ હોય છે. કે જ્યારે શબ્દો છું થયેલા હોય છે. તમે બોલી શકો નહિ. અનુભૂતિવાન વ્યક્તિને શબ્દોની તળેટીએ આવવું બહુ જ આઘરું પડે છે. તો ગુરુ ચંદ્રની સામે આંગળી તાકે છે. કે ત્યાં જો તને કંઈક અનુભવ થશે. શિષ્યએ ગુરુની આંગળી જોઈ. કે સાહેબ તમારી આંગળી બહુ ચમકે છે. ગુરુ કહે, ડફોળ! અડધી રાત્રે તને મારી આંગળી બતાવવા માટે જગાડ્યો છે! આંગળી તકાય છે, એ દિશામાં જો.

તમને પૂછું સદ્ગુરુ ના શબ્દોનું સંમોહન તમારી પાસે હોય છે, પણ એ શબ્દો જે દિશામાં તકાય રહ્યા છે, એ દિશા તરફ નજર રાખી? ભક્તિ સભર વાચના સાંભળ્યા પછી એવું કંઈક થયું ભીતર કે સીધા જ દેરાસરે ગયા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. પ્રભુ આજે જ મને ખ્યાલ આવ્યો કે તે મારી personal care આટલી બધી કરી છે. હું નરક અને નિગોદમાં હતો ત્યાંથી પણ તારી કરૂણા મને ઊંચકીને અહીં સુધી લાવી પ્રભુ તું મારી આટલી બધી personal care કરે છે. તારે અસંખ્ય, અગણિત બાળકો છે, અને છતાં તે મારી પણ personal care કરી! અને મને અહીં સુધી લાવીને મૂકી દીધો! એક વાચના સાંભળ્યા પછી પ્રભુ પાસે જઈ, અને હૃદયના ભાવો અભિવ્યક્ત કરવાનું મન થાય કે પ્રભુ આજ સુધી મૂર્તિને જોયેલી આજે હું તારું દર્શન કરું છું. અને એક વાત તો સ્પષ્ટ છે જ્યાં સુધી સદ્ગુરુ તમારા દિવ્ય નેત્રને ખોલી ન આપે, ત્યાં સુધી તમે પ્રભુનું દર્શન કરી શકતા નથી.

બીજા સ્તવનમાં આનંદઘનજી ભગવંતે કહ્યું, ‘નયણ તે દિવ્ય વિચાર,’ દિવ્ય નયન- શ્રદ્ધાથી ઉઘડેલું, સમર્પણથી ઉઘડેલું, સદ્ગુરુ દ્વારા ઉઘડેલું, એના દ્વારા જ પ્રભુનું દર્શન થઇ શકે. તો ગુરુ શબ્દ દ્વારા તો બહુ ઓછું આપે. Facial expression દ્વારા આપે. આવી કોઈ ચેષ્ટા, ઈશારા દ્વારા આપે. અને સૌથી સૂક્ષ્મ જે છે એ સદ્ગુરુની ઉર્જા…. તમે સદ્ગુરુ પાસે બેસો. ૧૦ ફૂટ દૂર હોવ, ૨૦ ફૂટ દૂર હોવ કંઈ ફરક પડતો નથી. સદ્ગુરુની aura range મોટી હોય છે.

એવા સદ્ગુરુઓની aura ને અનુભવી છે. કે અડધો – અડધો કિલોમીટર સુધી એમની aura range ફેલાયેલી હોય છે. આ યુગની અંદર.. તો સદ્ગુરુની ઉર્જા દ્વારા તમે પ્રભુને મેળવી શકો મેં આ વાત એક વાચનામાં કહેલી. કે તમે સદ્ગુરુથી ભૌગોલિક રૂપે ગમે એટલા દૂર હોવ પણ તમે સદ્ગુરની ઉર્જાને માણી શકો છો. અમેરિકાના ૨ – ૪ ભક્તો આવેલા એ કહે કે સાહેબ એ વાચના સાંભળી અને એટલો બધો સંતોષ થયો… પહેલા અમને હતું અમેરિકામાં રહ્યા છીએ, હમણાં ભારત આવવાની કોઈ શક્યતા નથી. વર્ષે – બે વર્ષે આવી જઈએ પણ સદ્ગુરુ દૂર હતા. આ એક જ તમારી વાચના સાંભળી, હવે લાગ્યું સદ્ગુરુ આ છે, આ રહ્યા..

ન્યૂ જર્સીના એક ભક્ત છે. એમણે હમણાં ઉપધાન પણ કર્યા. એમણે મને કહ્યું સાહેબ! આપ મને દૂર ક્યારે પણ લાગતા નથી. ભલે હજારો કિલોમીટર દૂર છું. પણ જ્યાં આંખો બંધ કરું, તમે હાજર હોવ છો. તો સદ્ગુરુ શબ્દો દ્વારા પ્રભુ આપે. facial expression દ્વારા પ્રભુ આપે. ઈશારા દ્વારા પ્રભુ આપે. અને ઉર્જા દ્વારા પણ પ્રભુ આપે. સદ્ગુરનું કામ શું છે… તમને પ્રભુની પ્યાસ નથી જાગી… તો પ્યાસ જગવી દેવી. એ સદ્ગુરુનું કામ. અને પ્યાસ જાગેલી છે. તો પ્રભુ સાથે મિલન કરાવી દે- એ સદ્ગુરુનું કાર્ય. અમે તૈયાર છીએ. અત્યાર સુધીની આપણી વાચનાઓમાં કેન્દ્રસ્થાને પ્રભુ મિલનનો જ વિચાર રહ્યો છે. કે પ્રભુને કેવી રીતે મળવું.

આનંદઘનજી ભગવંતની જે વેદના હતી… “અભિનંદન જિન દરિશન તરસીયે.” તરસીયે – દર્શનનો તલસાટ.. એક તડપન.. પ્યાસ.. એક તરસ.. ભયંકર ગરમી હોય, તમે રણની મુસાફરીમાં હોવ, પાણી ખતમ થયેલું હોય, એક ટીપું પાણી માટે તમે ટળવળતા હોવ, એ વખતે તરસ કેટલી ઘનીભુત થયેલી હોય. એવી તરસ આનંદઘનજી ભગવંત પાસે હતી. એમનેમ પ્રભુ નથી મળ્યા એમને… “અભિનંદન જિન દરિશન તરસીયે, દરિશન દુર્લભ દેવ” પ્રભુ તારું દર્શન દુર્લભ છે, પણ એ સ્તવનમાં છેડે કહ્યું – “દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ” હું કરવા જાઉં પ્રભુ તારું દર્શન તો એ દુર્લભ છે. તું કરાવે તો આ રહ્યું, દર્શન તારું. તમે પ્રભુને કહો… કે પ્રભુ તારું દર્શન કરવું છે. પ્રભુ તમારી પાસે સદ્ગુરુને મોકલે છે. તમને ખ્યાલ છે, સદ્ગુરુનો પ્રવેશ તમારા જીવનમાં કોનાથી થાય છે? પ્રભુથી. પ્રભુ સદ્ગુરુ આપે એટલું જ નહિ. સદ્ગુરુઓ તો ઘણા બધા મળ્યા અતિતની યાત્રામાં. આપણે ઝુકી શક્યા નહોતા. તો એ સદ્ગુરુઓ આપણા ઉપર કામ ન કરી શક્યા. સદ્ગુરુ પણ પ્રભુ આપે. અને એ સદ્ગુરુના ચરણોમાં ઝુકાવી પણ પ્રભુ આપે.

આ જ વાત રોજ તમે જયવીયરાય માં માંગો છો ‘સુહગુરુ જોગો’ – ‘સુહગુરુ’ ન કહ્યું. પ્રભુ તું મને સદ્ગુરુ આપ એમ નથી કહ્યું. તું મને સદ્ગુરુ યોગ આપ. હું સદ્ગુરુના ચરણોમાં ઝુકી શકું, એવું બળ તું મને આપ. કારણ કે અહંકાર એટલો બધો પ્રબળ છે આપણી પાસે કે હૃદય ક્યારેય પણ ઝૂકવા તૈયાર થતું નથી. ગુરુદેવ પાસે જાઓ, વંદન કરો, માથું ઝુકે. બરોબર. હૃદય પણ ઝુકે…? બોલો તો… હૃદય ક્યારે ઝુકી શકે… તમે નથી અને સદ્ગુરુ છે. તો જ ઝૂકવાની ઘટના ઘટિત થાય. જ્યાં સુધી તમારો હું કેન્દ્રમાં છે ત્યાં સુધી ઝૂકવાની ક્રિયા બહારના સ્તર પર છે. હૃદયના સ્તર પર નથી.

તો આ જન્મમાં સદ્ગુરુ યોગ જોઈએ છે. સદ્ગુરુના ચરણોમાં આપણે ઝુકી જઈએ. પછી સદ્ગુરુ કહી દે કૂવામાં પડ… તો વિચારવાનું ન હોય પછી. ન બુદ્ધિ. ન અહંકાર. માત્ર સમર્પણ. એક સમર્પણ તમને મળે. મોક્ષ આ રહ્યો. અને એક સમર્પણ નથી તો કેટલાય વર્ષોની સાધના નિષ્ફળ. અને આ જન્મની પણ સફળ થશે કે નહિ, એ તમારા સમર્પણ પર આધારિત છે.

લોકો મને ઘણીવાર પૂછે…. સાહેબ તમે તો આસાનીથી વાત કરો છો આમ… હસતાં હસતાં…. સમર્પિત થઇ જાવ. એમ તો સમર્પણ કેમ થાય… ત્યારે હું કહું કે તમારે સમર્પણ શેનું કરવાનું એ તો બોલો… છે શું તમારી પાસે… વધુમાં વધુ પ્રિય આ શરીર છે. Lux અને લીરેલ થી નવડાવી નવડાવીને થાકી જાવ તો ય પરસેવાની બદબૂ વહાવે એવું આ શરીર છે. રાગ અને દ્વેષ જેમાં ખદબદી રહ્યા છે, અહંકાર જેમાં ઉછળી રહ્યો છે, એવું મન તમારી પાસે છે. છે શું તમારી પાસે… શું સમર્પિત કરવાનું છે તમારે… આ કચરો તમે સમર્પિત કરો. અને સામે સોનું તમને આપવામાં આવે. આવી grand exchange offer ક્યાંય નહિ મળે. કચરો તમારે આપવાનો સામેથી સોનું આપવામાં આવે.

તો ‘સુહગુરુ જોગો.’ કદાચ તમને જયવીયરાય સૂત્રનો અર્થ આવડતો હશે. આવડે છે ને… સૌથી પહેલાં ચૈત્યવંદન સૂત્રોના અર્થ જાણી લો. એ જયવીયરાય નો અર્થ તમારા ખ્યાલમાં હોય, રોજ તમે બોલતા હોવ, ‘સુહગુરુ જોગો.’ પ્રભુ તને ઠીક લાગે એ સદ્ગુરુના ચરણોમાં મને ઝુકાવી આપ. આટલા વર્ષો થયા, પ્રાર્થના કરી. સદ્ગુરુ યોગ નથી થયો. તમે ક્યારેય પ્રભુની પાસે દર્દીની આંખે રડ્યા, કે પ્રભુ આટલા વર્ષોથી તને પ્રાર્થના કરું છું. તું કેમ મારી પ્રાર્થના ને સાંભળતો નથી. મને સદ્ગુરુના ચરણોમાં ઝુકાવી આપ.

કહ્યું છે કોઈ વાર… હવે કહેવાના… આજથી શરૂ થઇ જશે… મને એકવાર, એક ભાઈ મળેલા. મને કહે સાહેબ એક પ્રશ્ન હોય, એમાં બે આચાર્ય ભગવંતો આમ કહે, બે આચાર્ય ભગવંતો આમ કહે… અમારે કઈ રીતે માનવું..? opinion difference આચાર્ય ભગવંતોમાં પડે છે. મેં એ ભાઈને પૂછ્યું – કે અમારો opinion difference એ તમારી સાધનામાં અવરોધ રૂપ છે કે તમારી ઈચ્છા નથી એ અવરોધ રૂપ છે?

પછી મેં એ ભાઈને પૂછ્યું – અમદાવાદમાં રહેતા… મેં કહ્યું અમદાવાદમાં ડોક્ટર કેટલા? હજાર… તમારા દીકરાને પેટમાં દુખાવો ઉપડ્યો એક ડોકટર કહે છે, આમાં કંઈ છે નહિ. ખાલી સામાન્ય દુખાવો છે. Pain killer આપશું મટી જશે. બીજો એ જ સોનોગ્રાફી નો રીપોર્ટ જોઇને કહે છે, એપેન્ડીક્સ છે,immediate operation કરવું પડશે. ત્રીજા ડોક્ટરને વાત કરી, ત્રીજી વાત કરે છે. મેં કહ્યું ડોકટરોમાં opinion difference આવે જ છે, એટલે તમે બેસી રહો છો પછી … તમને જે ડોક્ટર પર શ્રદ્ધા છે, એની પાસે તમે જાઓ છો, અને એ કહે એ પ્રમાણે તમે કરી લો છો. એટલે ડોકટરોનો opinion difference તમને ક્યાંય અવરોધ રૂપ નીવડતો નથી. તો અમારો opinion difference તમને ક્યાં નડશે. પણ સાધના કરવાની ઈચ્છા ન હોય, તો આ એક સરસ  issue છે. સાહેબ શું કરીએ હવે… બે સાહેબ આમ કહે ને બે સાહેબ આમ કહે. બે સાહેબ આમ કહે. આપણે તો આમ બેઠા છીએ… ‘

સુહગુરુ જોગો’ ભગવાનને કહેશો… પ્રભુ જ સદ્ગુરુ આપશે. અને પ્રભુ જ એ સદ્ગુરુના ચરણોમાં તમને ઝુકાવી આપશે. પ્રભુ તૈયાર છે. તમે તૈયાર થાઓ એટલી જ વાર છે. એ રાહ જોઇને બેઠા છે. કે આને કયા ગુરુ સાથે જોડું… નક્કી કરીને બેઠા છે.

તો સદ્ગુરુ આ રીતે પ્રભુ સાથે તમને જોડે. એ જ લયમાં આપણે આંતરદીપની વાત જોતા હતા. કે ભીતરનો દીપ કેવી રીતે પ્રજ્વલિત થાય. અંધારામાં યાત્રા કરવી છે. તો દીપ જોઈશે. તો અંદરની યાત્રામાં આંતરદીપ જોઇશે. અંદરનો દીવો… તો એના માટેની વાટ કઈ કઈ? “મનસા પૂરન બાતી.” ‘પૂર્ણ મન’- એ વાટ.

અને મહોપાધ્યાય યશોવિજયજી એ કહ્યું, “પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ” –  “પૂરન મન પૂરન સબ દિશે” જે ક્ષણે તમારું મન પૂર્ણ થયું; બધું જ પૂર્ણ છે. પ્રભુની કૃપા મારા ઉપર ઉતરી. અને પૂર્ણ મન મને મળ્યું, એ પછી એક પણ વ્યક્તિ પર ક્યારે પણ તિરસ્કાર આવી શકતો નથી. બધા જ પૂર્ણ લાગે છે. તમે બધા જ ‘નમો સિદ્ધાણં’ આવો છો. અમે આમને અને આમને તો વંદન કરીએ છીએ. “નમો લોએ સવ્વસાહુણં” પણ તમારા ભવિષ્યના પર્યાયને પણ વંદન કરીએ છીએ. ‘નમો સિદ્ધાણં’.

સિદ્ધત્વનો જે પર્યાય તમારો ખુલવાનો છે, એને પણ અમારો નમસ્કાર છે. “પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ” પછી કોઈ દ્વિધા રહેતી નથી. આ માણસ આવો છે, તો શું કરું… આ માણસ આવો છે તો શું કરું … અરે બધા પૂર્ણ જ છે. બધા સારા જ છે. અને એક appropriate ઉદાહરણ આપ્યું, “પાઉં ચલત પનહી જો પહેરે, તસ નવિ કંટક લાગ” કોઈ દલીલ કરે, સાહેબ કોઈ ગુંડો હોય, તો એના ઉપર ‘નમો સિદ્ધાણં’ નો ભાવ કેવી રીતે આવે… એટલું સરસ ઉદાહરણ આપ્યું કે કાંટા થી એકદમ ઘેરાયેલો રસ્તો હોય, એના ઉપર તમારે જવાનું હોય. પણ તમે જૂત્તા પહેર્યા છે, તો તમને શો ડર છે… એમ તમારું મન પૂર્ણ થઇ ગયું, પછી દુનિયા પૂર્ણ જ છે. અપૂર્ણ ક્યારે પણ રહી શકે નહિ.

મહાબોધિસૂરીજી એ એકવાર ગીતાર્થ મૂર્ધન્ય જયઘોષ સૂરિ દાદાને પૂછેલું ,કે આપ શ્રાવકોને વાસક્ષેપ આપો ત્યારે આપના મનમાં કઈ ભાવના હોય છે? મેં જ્યારે આ પુસ્તક વાંચ્યું, મહાબોધિસૂરિનું…. હું પણ આશ્ચર્યચકિત થઇ ગયો. કદાચ કોઈ ગુરુએ ન આપ્યો હોય, એવો ઉત્તર સાહેબજીએ આપ્યો. સાહેબજી એ કહ્યું કે શ્રાવક અને શ્રાવિકા વ્યવહારથી સમ્યગ્દ્રષ્ટિ હોય છે. ખરેખર સમ્યગ્દર્શન બહુ અઘરું છે. પણ વ્યવહારથી સમ્યગ્દર્શન તમારામાં છે, એમ કહી શકાય. આપણે “અરિહંતો મહ દેવો” કહીએ છીએ ને, એ તો સમ્યગ્દર્શન આવ્યા પછીની અભિવ્યક્તિ છે. એ સમ્યગ્દર્શન નથી. સમ્યગ્દર્શન શું છે…

પદ્મવિજય મહારાજે સમ્યગ્દર્શન પદની પૂજામાં સમ્યગ્દર્શન ની વ્યાખ્યા આપી. “આતમ જ્ઞાન કો અનુભવ દરિશન, સરસ સુધારસ પીજે” આત્મજ્ઞાન, આત્મગુણો, એનું અનુભૂતિના સ્તર ઉપર જઈને જે અનુભવ કરવો; એનું નામ સમ્યગ્દર્શન. સમભાવનો વિચાર તો કરો. વિચારથી શું… કરેમિ ભંતે આપણે લીધું. એટલે સમભાવનો વિચાર કરવાનો.. સમભાવ ઉપર પ્રવચન આપવાનું… કે સમભાવનો અનુભવ કરવાનો…?

તો સમ્યગ્દર્શન એટલે આત્માનો અનુભવ. એ આવે એટલે ત્યારે એકદમ અહોભાવ ના લયમાં કહે છે – આવા પરમાત્મા મને મળ્યા. આવા સદ્ગુરુ મળ્યા. આવી સાધના મને મળી.

તો જયઘોષસૂરિ દાદાએ કહ્યું કે વ્યવહારથી એ સમ્યગ્દ્રષ્ટિ છે. તો સિદ્ધચક્રપૂજનમાં જે રીતે સમ્યગ્દર્શન પદની પૂજા કરતી વખતે ભાવ હોય, એવો ભાવ એક શ્રાવક, એક શ્રાવિકાને વાસક્ષેપ આપતા મને થાય છે. આ શું હતું; પૂર્ણ મન.

હિંદુ calendar પ્રમાણે આજે રક્ષાબંધન નું પર્વ. એક બહુ સરસ વિભાવના. રક્ષાબંધનના પર્વની છે. જે આપણી ભારતીય સંસ્કૃતિ, જે આપણી હિંદુ સંસ્કૃતિ. બહેન ભાઈને રાખડી બાંધે છે. સૂતરની રાખડી, કે રેશમની બનેલી રાખડી પણ એમાં બહેનનો ભાવ પૂરાય છે. મહત્વ સૂતરની કે રેશમની રાખડીનું નથી. મહત્વ બહેનના ભાવનું છે. એ બહેનનો એ ભાવ છે કે મારો ભાઈ, આ જગતમાં ક્યાંય ભૂલો ન પડે. પ્રભુએ એના માટે જે આજ્ઞા આપી છે, એ આજ્ઞાથી એ કયારેય ચ્યુત ન થાય. બહેનનો આ નિર્મળ ભાવ. અને આ નિર્મળ ભાવની આટલી તાકાત છે. કે એક ભાઈને એ કોઈ પણ ખોટા રસ્તે જતાં રોકી શકે. આ રાખડી. ક્યાંક ખોટે રસ્તે જવાનો વિચાર આવ્યો રાખડી અહીંયા દેખાય મારી બહેનની શું ભાવના છે. હું કોઈ ગલત માર્ગે ન જાઉં. એ રાખડી, પવિત્ર રાખડી, અપવિત્ર માર્ગે જતા તમને રોકે. ભાવ.

એક ભાવ આપો, કુટુંબમાં પણ એકબીજાને એકબીજા ભાવ આપો. પતિ – દીકરાઓ પત્ની માટે ભાવ આપે. એમનું કલ્યાણ થાઓ. પત્ની પતિ અને દીકરાઓ આપે. દીકરાઓ માત – પિતા પ્રત્યે રાખે. તો રક્ષાબંધન નું પર્વ ભાવોના આદાન – પ્રદાનનું પર્વ છે. અહીંયા આટલી બધી સાધ્વીજી ભગવતીઓ છે. એમાં મુખ્ય સાધ્વીજી અમારા બેન મહારાજ છે. મોક્ષ્રરસાશ્રીજી અને બીજા બેન મ.સા. સાંઘાણી માં ભાઈ મ.સા જોડે ચોમાસું છે. આજે અહીં આવી ગયા છે.

તો સદ્ગુરુ દ્વારા સદ્ગુરુના પવિત્ર ભાવો દ્વારા તમે પ્રભુ સુધી જઈ શકો છો. મારા શબ્દો ભલે યાદ ન રહે, વાંધો નથી. મારા ભાવો યાદ રહેવો જોઈએ.

મને પ્રભુ મળ્યા છે. અને તમને મળે એટલી જ મારી ઈચ્છા છે. અને એ ઈચ્છા તમારા મનમાં પ્રબળ બને. પ્રભુ દૂર નથી…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *