વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : જિનગુણ રુચિ
ક્યારેક તમે પ્રભુનું દર્શન કરો છો, જિનગુણ દર્શન કરો છો. એ ક્ષણોમાં ભાવવિભોર પણ બની જાઓ છો. પણ બહાર નીકળ્યા અને સામાન્ય વાતોમાં તમારું ચિત્ત પરોવાઈ ગયું; પછી પેલી મોટી સંઘટના તમારા હૃદયમાં રહેતી નથી. એ ટકી રહે, એ માટે આ બીજું ચરણ જિનગુણ રુચિ જરૂરી છે.
પ્રભુનો જે ગુણ જોયો એ મનની અંદર વસી જાય. પ્રભુની ઉદાસીનતા જોઈને બહાર નીકળ્યા, એટલે પંદર દિવસ, મહિનો, બે મહિના સુધી એ મનમાંથી ખસે જ નહિ; મનમાં સતત એ જ રહ્યા કરે – આ રુચિ.
એ જ રીતે પ્રભુએ કહેલી સમર્પણની વાત તમે સદ્ગુરુના મુખે પ્રવચનમાં સાંભળી. પછી જ્યાં સુધી એ કાર્યાન્વિત ન થાય, ત્યાં સુધી મનમાંથી ખસે નહિ – આ રુચિ. અને જો મહિનાઓ સુધી એ સમર્પણની વાત તમારા મનમાં ગુંજ્યા કરતી હોય, તો સમર્પણ આવી જ જવાનું છે; સમર્પણ ક્યાં અઘરું છે!
મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના – ૧૧
પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબની સ્તવનાઓની એક વિશેષતા એ છે કે એમની એક-એક સ્ત્વનામાં ભક્તિ અને સાધનાનું સાયુજ્ય હોય – જોડાણ હોય છે. એટલે બહુ મજાની વાત એમણે એ કરી કે જે ભક્તિ ધારા ગળથૂથીમાંથી આપણને મળી છે એ ભક્તિધારામાં થઈને આપણને એ સ્વાનુભૂતિના શિખર સુધી લઇ જવાની એક યાત્રા શરૂ કરાવે છે. એટલે કે આપણા વ્યવહારના પુરા માળખાને રાખીને આપણે નિશ્ચયમાં જવાનું છે. આપણું નિશ્ચયનું સ્ટ્રક્ચર તો અદ્ભુત્ત છે જ વ્યવહારનું પણ આટલું અદ્ભુત્ત સ્ટ્રક્ચર દુનિયામાં ક્યાંય નથી. સાધુવર્ગ પાસે અને શ્રાવક વર્ગ પાસે આચારનું જે બળ છે એ બળ જોતા લાગે કે આટલું મજાનું સ્ટ્રક્ચર કદાચ દુનિયાની કોઈ સાધના પાસે વ્યવહાર પક્ષમાં નથી.
તો આપણી વ્યવહારસાધના પણ શ્રેષ્ઠતમ છે, આપણી નિશ્ચયની સાધના પણ શ્રેષ્ઠતમ છે. તો વ્યવહારની સાધનાથી શરૂઆત કરાવીને દેવચંદ્રજી મહારાજ સાહેબ નિશ્ચયની ભૂમિકા ઉપર આપણને સ્થિર કરી દે છે. પ્રભુની ભક્તિ એ તો આપણા અસ્તિત્વમાં વસેલી ચીજ છે. ગળથૂથીમાંથી પ્રભુની ભક્તિ આપણને મળેલી છે. એ જ ભક્તિધારાથી દેવચંદ્રજી મહારાજ સાહેબ સ્વાનુભૂતિની યાત્રા શરૂ કરાવે છે. સ્વાનુભૂતિના સુર્યોદયમાં પાંચ ચરણો આપણે જોવાના છે. પહેલું ચરણ આપણે જોઈ રહ્યા હતા. જિનગુણ દર્શન. આપણે બરરોબર એને જોઈ લીધું કે વિચારોની ભૂમિકાથી ઉપર તમે ઊઠેલા હોવ. અહોભાવની એક સશક્ત ધારા તમારી પાસે હોય. અને તમે પ્રભુનું દર્શન કરો, પ્રભુના કોઈ પણ ગુણનું તમે દર્શન કરો એ પહેલું ચરણ જિનગુણ દર્શન છે. એના માટેની તમારી સજ્જતા કેટલી થઇ? કે અત્યારે કદાચ માત્ર વિચારના સ્તર ઉપર દર્શન થઈ રહ્યું છે, વિચારો પણ ચાલુ છે, મંદિરમાં પણ પહોંચી ગયા છો, ચૈત્યવંદન પણ થઈ રહ્યું છે, વિચારો પણ ચાલી રહ્યા છે. એ ક્રિયાને આપણે સ્ટોપ કરવ પડે, વિચારો બિલકુલ નહિ. અને તમે પગથિયાં ચડતા હોવ દેરાસરના ત્યારથી એક અહોભાવની ધારા તમારી પાસે હોય. મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન…
હું ઘણી વાર કહું છું કે મંદિરમાં તમે પ્રવેશો ને, દેરાસરમાં તમે જાઓ. ત્યારે શરૂઆતની પંદર મિનીટ સુધી કદાચ તમે અને પ્રભુ બે હોઈ શકો. બે જ હો ત્રીજું કોઈ નહિ, દેરાસરમાં ગયા પછીની શરૂઆતની પંદર મીનીટમાં તમે અને ભગવાન બે હોવ છો. સોળમી મીનીટે તમે છુ થઈ જાઓ છો. તમારું હું પ્રભુના એ અસ્તિત્વની ધારામાં વિગલિત થઈ જાય છે અને સોળમી મિનિટે માત્ર પ્રભુ રહે છે ભક્ત રહેતો નથી. પણ પંદર મિનીટ સુધી પણ તમે અને પ્રભુ બે જ. ત્રીજું કોઈ નહિ. કદાચ દસ મિનીટ થઈ અચાનક શરીરના કોઈ કારણોસર બહાર નીકળવું પડ્યું. કોઈક પૂછે સિદ્ધચક્રપૂજન ભણાય છે દેરાસરમાં કેટલા લોકો બેઠેલા છે? એ વખતે તમારો જવાબ એ હોય મને તો કોઈ ખ્યાલ નથી. હું તો દેરાસરના પગથિયાં ચડતો હતો જ્યાં પ્રભુનું રૂપ દેખાણું હું પ્રભુના રૂપમાં ડૂબી ગયેલો હતો. મારી પૂરી-પૂરી ચેતના, મારું પૂરું મન પ્રભુમાં ડૂબી ગયેલું હતું. હવે મને ક્યાંથી ખ્યાલ આવે કે પૂજનમાં કોણ બેઠું હતું? તમે અને ભગવાન બે જ પંદર મિનિટ સુધી. સોળમી મિનિટે તમે ગયા.
રામકૃષ્ણ પરમહંસ પ્રભુના બહુ મોટા ભક્ત. એકવાર ગળાનું કેન્સર એમને થયું છે. આ એવા પ્રભુના સમર્પિત ભક્ત હતા કે કેન્સર આવ્યું કે ન આવ્યું ખબર કોને છે? કેન્સર આવ્યું, શરીરને આવ્યું મારે શું છે? શિષ્યોએ એકવાર આંખમાં આંસુ સાથે કહ્યું, ગુરુદેવ આપને માટે જ કંઇ ફરક પડતો નથી કેન્સર હોય કે નિરોગી શરીર હોય. અમારે માટે બહુ ફરક પડે છે. કારણ, આપનું હોવું અમારી સાધના માટે જરૂરી છે. શિષ્યોની વાત પણ બહુ મજાની છે. ગુરુનું ઉપનિષદ, ગુરુનું ઓરાફિલ્ડ એ પણ સાધનાને ઊંચકવા માટે બહુ જ જરૂરી છે. સદ્ગુરુએ સાધના આપી અને પછી સદ્ગુરુના ઓરાફિલ્ડમાં તમે સાધનાને ઘૂંટો છો ત્યારે એ સાધના સીધી જ uplifted થઈ જાય છે. તો શિષ્યોની ઈચ્છા છે કે ભગવાનને તમે કહી દો. તમે તો બહુ મોટા સંત છો. કેન્સર તમારું નાબૂદ થઈ જાય. શરીર આપનું સ્વસ્થ હોય, આપ વધુ લાંબો સમય આ પૃથ્વી ઉપર રહો. અમારી સાધનાને એથી વધુ સારો વેગ મળશે. આપ ન બોલી શકો તો ય વાંધો નહિ. ગળાનું કેન્સર હતું. ન બોલી શકો તો ય વાંધો નથી. પહોંચેલા શિષ્યને કે પહોંચેલા સાધકને ગુરુના શબ્દોની જરૂરિયાત હોતી નથી. માત્ર સદ્ગુરુની ઓરા, સદ્ગુરુની બોડીમાંથી જે સાધનાપુત આંદોલનો નીકળી રહ્યા છે એ આંદોલનો ઝીલાય. તમારી સાધના ઉંચકાઇ જાય. તો ગુરુદેવ આપ ન બોલી શકો તો પણ અમને વાંધો નથી. માત્ર આપનું હોવું અમારી માટે જરૂરી છે. અને એના જ અનુસંધાનમાં એક વાત કહું, કે ગુરુ જાય કદાચ. શરીર રૂપે ગુરુ ન પણ રહે, પણ ઓરા રૂપે ત્યાં રહેતા હોય છે. આપણે ત્યાં સદ્ગુરુઓના સમાધિ મંદિરોની વાત આ સંદર્ભમાં જ છે. કલાપૂર્ણસૂરી દાદાનો અંતિમસંસ્કાર અહીં થયો. અને અહીં જ આ ભવ્ય સમાધિમંદિર બન્યું. એક જ કારણ છે આનું કે ગુરુદેવના બોડીની જે ઉર્જા હતી એ ઉર્જાને પકડી રાખી. બોડી જે છે એ આગમાં કદાચ ભસ્મીભૂત થઈ ગયું, ઓરા તો અકબંધ છે. એ ઓરાને અહી પકડી લો. એ ઓરા નીચે પાદુકા છે ત્યાં સંગ્રહિત થયેલી છે. તમે એ ચરણપાદુકાને સ્પર્શ કરો, કે ચરણપાદુકાને તમારું મસ્તક ટેકવો તમને રીતસર ફીલિંગ થશે કે સદ્ગુરુની ઓરા તમને મળી રહી છે. એટલે જીવંત સદ્ગુરુ હોય એ પણ ઓરા આપે છે અને વિદેહ ગયેલા ગુરુ પણ ઓરા આપણને આપે છે. એટલે હકીકતમાં કોઈ ૮૦-૯૦ કે ૧૦૦ વરસના ગુરુ હોય. શરીરથી એટલાં આસક્ત હોય કે વાસક્ષેપ પણ તમને ન આપી શકે એમ હોય. મંગલાચરણ પણ તમને સંભળાવી ન શકે. પણ એ ગુરુનું હોવું એટલા માટે જરૂરી છે કે એ ગુરુ પોતાની ઓરા દ્વારા તમારા ઉપર કામ કરે છે. તો શરીરમાં છે ગુરુદેવ, તો પણ કામ શેનાથી કરે છે? ઓરાથી. શરીર છૂટી જશે. ઓરા રહી જશે તો ઓરાથી કામ થશે. હીરવિજયસૂરી દાદાનું સમાધિ મંદિર ઉનામાં છે. એક રાત મેં ત્યાં ગાળેલી. અને એટલો સરસ અનુભવ થયો લાગ્યું કે દાદા અહી હાજરાહજુર છે. સિદ્ધિસૂરી મ.સા. – બાપજી મ.સા. અમદાવાદમાં વિદ્યાશાળામાં રહેલાં. એમને શરીરની તકલીફને કારણે વર્ષો સુધી એક જગ્યાએ રહેવું પડ્યું, આપણા માટે જલસો થઈ ગયો. એમની ઓરા એક જગ્યાએ સંગ્રહિત થઈ ગઈ. આજે એ ગુરુ સદેહે નથી વિદેહે ત્યાં જ છે. ઓરા રૂપે એ ગુરુ અત્યારે એ જ કામ કરી શકે છે જે જીવંત હતા ત્યારે કરતા હતા. પણ શિષ્યોની ઈચ્છા એ છે કે ગુરુદેવ વધુ સમય અમારી જોડે રહે અને એ રીતે અમે અમારી સાધનાને uplifted કરી શકીએ.
તો ગુરુને વિનંતી કરી કે સાહેબ પ્રભુને પ્રાર્થના કરો ને, તમારું શરીર સ્વસ્થ બની જાય. ગુરુ હસે છે. બે-ચાર દિવસ થયા. ફરી શિષ્યોએ ગુરુને પૂછ્યું, સાહેબ પ્રભુને અમારી વાત પહોંચાડી કે નહિ? ગુરુ હસે છે. ગુરુ કહે છે કે મારું મન totally પ્રભુમાં ડૂબી ગયેલું છે. એ મન ત્યાંથી ઉપાડીને મારા શરીર પર ફોકસ કઈ રીતે કરું હું? હું મારા શરીરને જ ભૂલીને જાઉં છું ત્યાં તો કેન્સર મુક્તિની વાત કરું કઈ રીતે? હું શરીર રૂપે ત્યાં હોતો જ નથી. અને મારું મન સંપૂર્ણતયા પ્રભુમાં ડૂબી ગયેલું હોય છે. આ વાત છે આપણી પહેલા ચરણની, જિનગુણદર્શન. પુરેપુરા મનને પ્રભુના રૂપમાં પહેલા ડુબાડ્યું. અને પ્રભુના રૂપમાં ડુબાડ્યા પછી હવે પ્રભુના ગુણમાં ડુબાડવું છે. એ પ્રભુની વિતરાગદશા, એ પ્રભુની પરમ ઉદાસીનદશા. તમે ભલે મોતીનો મુગટ પહેરાવ્યો કે હીરાનો મુગટ પહેરાવ્યો છે. તમારી બાજુએ છે. ભગવાનની બાજુએ કશું નથી. સમવસરણ, ૬૪ ઇન્દ્રો, પ્રાતિહાર્યો એ બધું આપણી તરફ છે. એમની તરફ તો માત્ર એમની સ્વાનુભૂતિ જ છે. પ્રભુ તરફ કશું જ નથી. અને આ જ લય જિનગુણ દર્શન દ્વારા જોઇને જિનગુણ સ્પર્શનની ભૂમિકાએ આપણે અનુભવવાનો છે. અને એ ગુણને આપણે અનુભવીએ તો સ્વગુણાનુભુતિ આપણને મળેલી કહેવાય.
અનુભૂતિના બે પ્રકાર છે. એક સ્વગુણાનુભૂતિ, એક સ્વરૂપાનુભુતિ. પ્રભુનું નિર્મળ સ્વરૂપ છે. એ નિર્મળ સ્વરૂપની અનુભૂતિ તમે કરો ત્યારે સ્વરૂપાનુભૂતિ થઈ. પ્રભુની એ પરમ ઉદાસીનતા રૂપી જે ગુણ છે એની અનુભૂતિ કરી તો ગુણાનુભૂતિ થઈ. તો પહેલા ચરણે દર્શન છે, અને પાંચમાં ચરણે અનુભૂતિ છે. હવે આપણે ક્રમ એવી રીતે જોવો છે પકડવો છે કે આપણને પણ અનુભૂતિ થઈ જ જાય.
શંખેશ્વરદાદા અહીંયા જ છે. મંદિરમાં છે એમ નહિ અહિયાં છે ઓરા રૂપે. અત્યારે આપણી જોડે છે ભગવાન, એ દાદાને આપણે એક જ પ્રાર્થના કરીશું કે દાદા તારે સ્વાનુભૂતિ અમને આપવી પડશે. અમારે બીજું કંઈ જોઈતું જ નથી. માત્ર સ્વાનુભૂતિ અમને આપી દે. હવે બોલો એક મજાનો સવાલ તમને કરું. દાદા સ્વાનુભૂતિ આપવા તૈયાર નથી કે તમે લેવા તૈયાર નથી? સાચું કહેજો. ગરબડ ક્યાં છે? Where is the fault? દાદા આપવા તૈયાર નથી? એ કહે છે જો મેં તો અનંત લોકોને મુક્તિમાં પહોંચાડી દીધા. તું સ્વાનુભૂતિની વાત કરે છે અહિયાં. મેં તો સ્વાનુભૂતિનું શિખર, મોક્ષ આપી દીધું. અને અનંતઆત્માઓને આપ્યું છે. હું તને આપવા તૈયાર છું. તું લેવા તૈયાર છે?
તો આજે આપણે કહી દઈએ પ્રભુ લેવા તૈયાર થઈ ગયો છું. અને સાંજે પ્રભુનું દર્શન કરવા જઈએ ત્યારે કહી દઈએ કે પ્રભુ હવે હું તૈયાર છું તું મને આપી દે ચાલ. IT IS SO EASY. અમારો આ LOGO છે. IT IS SO EASY. સ્વાનુભૂતિ બહુ જ સરળ છે. અઘરી છે જ નહિ. પરની અનુભૂતિ અઘરી છે. પરમાં ગયા કેટલી પીડા મળી મને કહો તો ખરા? એક ચીજ મનગમતી ન મળી, પીડા જ પીડા. ગમતી ચીજ મળી ગઈ, એના રક્ષણની ચિંતા. પીડા જ પીડા પર દ્વારા તમને મળે છે. અને સ્વાનુભૂતિમાં માત્ર અને માત્ર આનંદ છે. NOW CHOICE IS YOURS. પીડા જોઇએ કે આનંદ જોઈએ છે. પરના અનુભવથી પીડા, સ્વના અનુભવથી આનંદ. તો પ્રભુ તૈયાર છે. અને પ્રભુએ જ મને મોકલ્યો છે કે આ લોકોને તૈયાર કરી દે ચાલ.. ગુરુચેતના છે ને પરમ નિષ્ક્રિય છે. ઘણીવાર કહું છું, પરમચેતના પરમ સક્રિય. ગુરુચેતના પરમ નિષ્ક્રિય. સદ્ગુરુને પોતાના તરફથી કશું જ કરવું નથી. એની કોઈ ઈચ્છા નથી. માત્ર પ્રભુની આજ્ઞા છે. તું આ લોકોને આ આપ, આપી દેશે. પણ એ આપશે પ્રભુની આજ્ઞાથી, નહિ કે પોતાની ઈચ્છાથી. કોઈ પણ પહોંચેલા સદ્ગુરુને તમને બોલાવવાની ઈચ્છા હોઈ શકે જ નહિ. તમે મારા પ્રવચનોમાં આવો એવું કોઈ પણ સદ્ગુરુ ઈચ્છે નહિ મનથી. પણ તમે આવી જાઓ તો પ્રભુની આજ્ઞા છે એમ માનીને સદ્ગુરુ તમને જરૂર વચનામૃત પ્રભુનું આપે. સદ્ગુરુ એટલે TOTALLY CHOICELESS થયેલી સંઘટના છે. એને અંદર જવા સિવાયનો કોઈ માર્ગ જ નથી. બહારની કોઈ ઈચ્છા છે જ નહિ. માત્ર પ્રભુની આજ્ઞા છે કે ભાઈ તમારે આ કામ કરવાનું છે. ઓકે સર. અમે તૈયાર છીએ. એટલે ગુરુચેતના પરમ નિષ્ક્રિય છે. પરમ ચેતના પરમ સક્રિય, ગુરુચેતના પરમ નિષ્ક્રિય. અને વચલી ચેતનાઓ જે છે ને એ સક્રિય હોય કે નિષ્ક્રિય કોઈ મતલબ નહિ. તમે એક્ટીવેટ હોવ કે અનએક્ટીવેટ હોવ કોઈ મતલબ નથી. એટલે પરમચેતનાની પરમ સક્રિયતા ગુરુ પાસે છે. અને એ જ પરમ સક્રિયતા તમારે લેવાની છે. ગુરુ TOTALLY VACANT થયેલી ઘટના છે. TOTALLY ખાલી થયેલી ઘટના છે. અને સદ્ગુરુ TOTALLY VACANT થયેલી ઘટના છે માટે જ એ ઘટનામાં પરમચેતનાનું અવતરણ થાય છે. EVEN બાઈબલમાં પણ ઈશુ એ કહ્યું. Empty thy vessel and I will fill it. Empty thy vessel and I will fill it… તું માત્ર તારા હૃદયને ખાલી કરી નાંખ હું એને ભરી આપીશ. તો તમે કદાચ વિભાવથી ખાલી નથી બની શકતા. તો પણ વાંધો નથી. ગુરુ ચેતના આવી જાય છે ચાલ હું તને ખાલી કરી આપું. પણ ગુરુચેતનાને સ્પષ્ટ ખ્યાલ છે કે ગુરુચેતનાનું કામ માત્ર તમને વિભાવશૂન્ય બનાવવાનું છે. તમને ખાલી કરવાનું કામ ગુરુચેતનાનું છે. તમને ભરવાનું કામ પ્રભુનું છે. એ પ્રભુની કરુણા સતત વરસી જ રહી છે. એ કરુણા તમે ઝીલી શકતા નહોતા. હું ઘણીવાર કહું. ગ્લાસ ટોચ સુધી ધૂળથી ખરડાયેલો હોય, ભરેલો હોય, તમે પાણી નાંખો તો થાય શું? એમ તમારાં હૃદયનું પાત્ર રાગ-દ્વેષ ને અહંકારથી છલકાતું હોય ત્યાં પ્રભુની કૃપાનું બુંદ પડશે તો પણ શું થશે? એટલે સદ્ગુરુ ચેતના શું કરે છે? તમારાં હૃદયના પાત્રને સ્વચ્છ બનાવવાની કોશિશ કરે છે. અને આ કોશિશ સેંકડો જન્મોથી ચાલુ છે. ગુરુ ચેતના સેંકડો જન્મોથી, કો’કે હજારો જન્મોથી તમારાં ઉપર આ કામ કરી રહી છે. તમારાં હૃદયને સ્વચ્છ બનાવવાનું કાર્ય. ગુરુચેતનાને ખ્યાલ છે. મારે માત્ર આની ચેતનાને સ્વચ્છ બનાવવાની છે. જ્યાં સ્વચ્છ ચેતના થઈ, પ્રભુ તો વરસી જ રહ્યા છે અને સ્વાનુભૂતિ એને મળી જશે. પણ સ્વાનુભૂતિમાં અવરોધરૂપ શું છે? પરનો રસ. આ પદાર્થ ગમે છે ને આ ગમે છે. પેલો ગમે છે ને પેલો ગમે છે. આમાં ભગવાન ક્યાંથી ગમવાના હવે? આમાં સ્વાનુભૂતિ ગમવાની ક્યાંથી? આ રાગ-દ્વેષ-અહંકાર તમારાં હૃદયમાંથી જતા રહે એના માટે ગુરુ કોશિશ કરે. અને જે ક્ષણે તમે ખાલી થયા એટલે પ્રભુ તમને ભરી દે છે. જે ક્ષણે તમે ખાલી થયા. એ જ ક્ષણ, બીજી ક્ષણ નહિ. તમે ભરાઈ જશો. કચરાથી ખાલી થવાનું છે અને હિરા-મોતીથી ભરાવાનું છે. બોલો, સમજી ગયા. છોડવાનું શું છે? તમારો કચરો. રાગ અને દ્વેષ પણ by – product છે. મૂળ વાત તમારાં અહંકારની છે. અહંકાર એટલે શું? કચરો. આ ગંદુ શરીર એટલે હું. આ માન્યતા કચરા જેવી તમને લાગતી નથી? આ નામ જે મળ્યું છે ને નષ્ટ થવાનું છે એ ‘હું’ એવું તમે માનો એ તમને બરોબર લાગે છે ખરું? તમારો અહંકાર એટલે તમારો કચરો. કચરો આપી દો અને સ્વાનુભૂતિનો હીરો લઇ લો. આવી grand exchange offer હું નથી માનતો દુનિયામાં કોઈએ કરી હોય. એક ટીવી નું ડોગલું લાવો અને નવું ટીવી ઓનિડા નું લઇ જાઓ આવી exchange offer તમે સાંભળેલી છે. પણ તારો કચરો મને આપી દે અને હું તને હિરા-મોતીથી ભરી દઉં આ offer તો પ્રભુની જ છે. તો સ્વીકારવી છે offer? એના માટે આપણે હવે ચરણોની યાત્રા શરૂ કરીએ. પહેલું ચરણ જિનગુણદર્શન બરોબર. અહોભાવના સ્તર ઉપર એ પ્રભુની પરમ ઉદાસીનતા જોઈ. વાહ, કેટલી સરસ છે. પછી તરત જ બીજું સ્તર આવે છે. બીજું ચરણ – જિનગુણરુચિ. આ એક બહુ મહત્વનું ચરણ છે. ક્યારેક તમે પ્રભુનું દર્શન કરો છો. એ ક્ષણોમાં ભાવવિભોર બની પણ જાઓ છો. પણ મંદિરની બહાર નીકળ્યા, સામાન્ય વાતોમાં તમારું ચિત્ત પરોવાઈ ગયું ત્યારે પેલી મોટી સંઘટના તમારાં હૃદયમાં રહેતી નથી. કરવું છે એ કે પ્રભુના ગુણનું જે દર્શન કર્યું છે એ દર્શન અઠવાડિયું-૧૦ દિવસ- ૧૫ દિવસ સુધી તમારાં મનમાંથી જાય નહિ.
એક કાશ્મીર ફરીને આવેલો માણસ હોય, અઠવાડિયા સુધી વાતો કરે એની. રહેતો હોય મુંબઈમાં અને વાત કરે કાશ્મીરની. એમ તમે રહો તમારાં ઘરમાં કદાચ. અહીંથી જઈને ફ્લેટમાંરહેશો. વાત કોની હશે? શંખેશ્વરદાદાનું રૂપ. શંખેશ્વરદાદામાં મેં આ જોયું. તો જિનગુણદર્શન કદાચ થઈ જાય. એના પછી તરત જિનગુણ રુચિ કરવી પડશે. અને બહુ મહત્વની વાત આ ચરણની છે. આ ચરણ નથી મળ્યું એટલે કદાચ દર્શન પણ થયું. જિનગુણ શ્રવણ પણ થયું. પાછળથી એની અસર ન રહી. દા.ત. આજ સીરીજમાં આપણે સમર્પણની વાત જોરશોરથી કહેલી. તમે એને સાંભળેલી. અને સ્પષ્ટતયા આપણે વાત કરેલી અને સમજેલી કે સમર્પણ ન હોય તો સાધના છે જ નહિ. અત્યાર સુધીની સાધનામાં આપણે માનતા હતા મેં સાધના કરી. માત્ર મીંડા જ કરેલા એકડો હતો જ નહિ. એટલે સમર્પણ જ્યાં સુધી નથી ત્યાં સુધી સાધના શરૂ નથી થતી. આવું તમે એકવાર નહિ, બે વાર નહિ કદાચ પચ્ચીસ વાર સાંભળ્યું હશે. સાંભળ્યું હશે ત્યારે તમને ગમ્યું હશે. પણ પછી એ વિચાર તમારાં મનમાં ચાલતો નથી લાંબો. એ વિચારને ચલાવવો પડે આગળ. સાલો આ તો ધ્રુજી ગયો. આટલી બધી સાધના મેં કરી? આટલા સામાયિક કર્યા? આટલું આ કર્યું. પ્રભુની આજ્ઞાને સમર્પિત થાઉં, સદ્ગુરુદેવના ચરણોમાં સમર્પિત થાઉં તો જ મારી સાધના વાસ્તવિક છે. નહી તો સાધના છે જ નહિ. એક વાત તમને કહું પ્રભુની આજ્ઞા તમને વાયા ગુરુ જ મળી શકે. તમે અંગ્રેજીના નિષ્ણાંત હોવ તો ભારતના બંધારણની કલમોનો અનુવાદ તમે કરી શકો? અને એને સાચો માને કોઈ? ભારતના બંધારણોની કલમોનો જે અર્થ થાય છે એ સુપ્રીમકોર્ટની ન્યાયમૂર્તિઓની છેલ્લી બેચ નક્કી કરે એ જ નક્કી કહેવાય. એ જ રીતે અંગ્રેજી તમે ગમે તેટલું ભણેલાં હોવ. મેડિકલ શાસ્ત્ર વાંચી કાઢો અને તમે તમારાં હાથે ટ્રીટમેન્ટ શરૂ કરો બની શકે ખરું? તમારે દવા ડોક્ટર પાસેથી જ લેવી પડે. ડોક્ટર તમને પ્રિસ્ક્રાઈબ કરે અને તમે એ દવા લો. આ જ વાત અહિયાં છે. ગુરુ જ તમને સાધના પ્રિસ્ક્રાઈબ કરી શકે. તમે તમારી મેળે શી રીતે સાધના નક્કી કરી શકો? હું આ કરીશ, હું આ કરીશ. એટલે સદ્ગુરુ પ્રભુની આજ્ઞાને વફાદાર છે. તમારે સદ્ગુરુની આજ્ઞાને વફાદાર રહેવું છે એટલે વાયા-વાયા તમારો હાથ પ્રભુને ટચ થઈ ગયો. આખી શ્રુંખલા છે આપણે ત્યાં. એક ગીતાર્થ ગુરુ હોય ને એ પ્રભુની આજ્ઞાને વશ હોય, સમર્પિત હોય, એ ગીતાર્થ ગુરુની આજ્ઞામાં એમનાં આચાર્યો હોય, પંન્યાસો હોય, એ આચાર્યના શિષ્યો હોય એ આચાર્યને સમર્પિત હોય અને આચાર્ય ગીતાર્થને સમર્પિત છે, ગીતાર્થ પ્રભુને સમર્પિત છે. એટલે આજે જેણે દીક્ષા લીધી એ નુતનદીક્ષિત શિષ્યનો હાથ પ્રભુને ટચ થાય. વાયા-વાયા. તો પ્રભુની આજ્ઞા તમે સીધી જ તમારાં માટે સ્વીકારી શકતા નથી. કઈ રીતે સ્વીકારો? તમને કયો દોષ પીડે છે એ તમે ઊંડાણથી તમારાં માટે જોઇ પણ નહિ શકો. આપણે ડોક્ટરને ક્યારેય કહીએ ખરા? સાહેબ, શું વાત કરો છો તમે હવે? શરીર મારું અને ખબર તમને પડે? હું પચાસ વરસથી આની જોડે રહું છું મને ખબર ન પડે તમે નવા નવા આવ્યા x-ray પાડ્યું. આ કર્યું ને તે કર્યું. તમને ખબર પડી જાય એમ? ગુરુને આ ખબર પડે. તમારાં મનની. તમારાં ચિત્તના સ્તર પર કયા-કયા દોષો છે એનો ખ્યાલ ગુરુને આવશે. અને પછી એ દોષોને દુર કરવા માટે ગુરુ સાધના આપશે. આપણે ત્યાં કહ્યું, ‘યોગ અસંખ્ય જિનવર કહ્યા’ પ્રભુએ આપેલી સાધના કેટલી? તો કહે અગણિત. એક નહિ, બે નહિ, પચ્ચીસ-પચ્ચાસ નહિ. અગણિત. તો પૂછ્યું, સાધના અગણિત કેમ? તો કહ્યું; સાધકો અગણિત છે માટે. એક-એક સાધક માટે અલગ સાધના હોઈ શકે, અને ગુરુએ જ એને compose કરીને આપવાની છે. તમારાં માટે અલગ જ કમ્પોઝીશન કરવું પડે. તમારાં માટે સ્વાધ્યાય. સ્વાધ્યાય પણ કયો? સ્વાધ્યાય કેટલો સમય? પ્રભુભક્તિ કેવી રીતે કરવાની? અને કેટલો સમય? સામાયિક કરવાનું. કેટલા કરવાના? આ રીતે કરવાના. આખું જ કમ્પોઝીશન સાધનાનું તમને સદ્ગુરુ આપી શકે. હવે એ સદ્ગુરુને તમે સમર્પિત થાવ નહિ. તમે કહો સાધના કરી. આ એકડા વગરના મીંડા થયા કે નહિ બોલો? પેલો કેમિસ્ટ હોય એ કહી દે ડોક્ટરને શું સાહેબ તમે આ દવા આપો છો. આ તો કેટલીય વાર મેં લઇ લીધી. કેટલીય વાર લીધી છે બરોબર છે. પણ એની જોડે જે દવા આપી છે એની જોડે તે લીધી નથી. આ બેનું કોમ્બીનેશન કરવાનું હતું. એકલી દવા ન ચાલે. આ ડોક્ટરને જ ખ્યાલ આવી શકે. એ જ સામાયિક ગુરુ આપવાના છે. એ જ પ્રતિક્રમણ ગુરુ તમને આપવાના છે. એ જ પ્રભુપૂજાની સાધના તમને આપવાના છે. માત્ર સ્વાધ્યાયમાં થોડો ફરક કરી આપશે. કે તમારે કયો સ્વાધ્યાય કરવો, કયો નહિ. પણ એ ગુરુ જે સાધના આપશે ને એ સાધના એવી હશે જે પ્રોપર્લી તમારાં દોષોને નષ્ટ કરવા તરફ જશે. નહીતર વિચાર ન આવે? એક-એક પ્રભુની સાધના અદ્ભુત્ત. તમારી સાધનાને uplifted કર્યા વગર રહે જ નહિ. કેમ સાધના ત્યાં ને ત્યાં અટકી ગઈ છે? કારણ શું? ૧૦ વરસ પહેલા હતા ત્યાં ને ત્યાં છો તમે અત્યારે. કારણ શું? What’s the reason? કારણ આ જ છે. કે સદ્ગુરુ પાસેથી સાધના લેવી પડે અને પછી દર છ મહીને એ સદ્ગુરુ પાસે follow up કરાવવું પડે. ડોક્ટર પાસે ફરી જવું પડે. આ દવા લીધી, આટલું થયું, આટલું ન થયું. અને એ રીતે તમે સાધના કરો તો શું થાય? તમને સાધનાનું રીઝલ્ટ આપવા માટે ગુરુ જવાબદાર છે. પણ તમારી પાસે સમર્પણ નથી. તો ગુરુ શું કરી શકે? ત્યારે ગુરુના હાથ બંધાયેલા છે. એ વખતે ગુરુ તમને માત્ર શબ્દો આપી શકે છે સાધના આપી શકતા નથી અને મને લાગે છે કે હજુ સુધી તમે લોકો પ્રવચનોમાં માત્ર ગુરુના શબ્દો લેવા જ ગયા છો. સાધના લેવા ગયા છો?
તમને ખ્યાલ છે? પ્રભુ મહાવીરદેવની પહેલી દેશના નિષ્ફળ ગઈ. નિષ્ફળ કેમ ગઈ બોલો? બધા જ દેવો સાંભળનાર હતા. મનુષ્યો કોઈ હતા નહિ. અને દેવોને વિરતિનો પરિણામ ન થાય. એ સમ્યગ્દ્રષ્ટિ સુધી કદાચ હોઈ શકે ચોથા ગુણઠાણે. શ્રાવકપણું એમની પાસે હોઈ શકે જ નહિ. પચ્ચક્ખાણ એમના માટે શક્ય જ નથી. તો કોઈને પણ વિરતિનો પરિણામ ન થયો, કંઇક છોડવાની ઈચ્છા ન થઈ અને એને કારણે પ્રભુની દેશના નિષ્ફળ બની. અને એટલે જ આપણે ત્યાં એક પરંપરા છે કે પ્રવચન પૂરું થાય એટલે પચ્ચક્ખાણ લો. તમે એકાસણું-આયંબિલ કર્યું હોય તો એ પચ્ચક્ખાણ લો. તમે નવકારશી કરીને આવેલા હોયને તો પણ તમે પચક્ખાણ લઇ શકો. આજે એક નિયમ હું બરોબર પાળીશ. જેમ કે મૌનનો નિયમ તમે પાળો એ પણ પચ્ચક્ખાણ એ પણ વિરતિ થઈ ગઈ. એટલે અહિયાં આપણે પ્રવચન સાંભળીએ તો પચ્ચક્ખાણ લેવું જ પડે. એ પણ સાધના થઈ ગઈ. એટલે પ્રવચનને અંતે સાધના તમને મળવી જ જોઈએ. પણ આ આખો concept ભુલાઈ ગયો. માત્ર શબ્દો લેવા માટે તમે દોડો છો.
અમદાવાદના પાલડી વિસ્તારમાં પાંચ-પાંચ મિનિટના વોકિંગ ડીસ્ટન્સ ઉપર ઉપાશ્રયો છે. એક ભાઈ મને મળેલાં, પાલડીમાં જ રહેતા હતા. મને કહે સાહેબ ચોમાસું શરૂ થાય, અને પ્રવચનો શરૂ થાય રોજ બે-એક પ્રવચનને એટેન્ડ કરી લઉં. રોજ. એક શરૂઆતથી સાંભળું, એક છેલ્લે સાંભળી લઉં. એમ દસ-વીસ-પચ્ચીસ પ્રવચનો સાંભળ્યા પછી જ્યાં મજા આવે ત્યાં આખું ચોમાસું પૂરું કરી લઉં. મેં એને પૂછ્યું, કે સરસ પ્રવચનની તારી વ્યાખ્યા શું? એ મને કહે. વીસ પ્રવચનો સાંભળ્યા પછી જે પ્રવચનકાર મહાત્માનું પ્રવચન બહુ જ સારું હોય ત્યાં તું આખું ચોમાસું જાય. મારે તને પૂછવું છે કે સરસ પ્રવચનની તારી વ્યાખ્યા શું? એ શરમાઈ ગયો. એને ખ્યાલ આવી ગયો કે માત્ર બુદ્ધિને તૃપ્ત કરવા માટે, માત્ર મનોરંજન માટે હું પ્રવચન સાંભળવા માટે જાઉં છું. મજા આવે. આ કોઇ entertainment માટેની પ્રક્રિયા નથી પ્રવચન. પ્રવચન શ્રવણને અંતે ધ્રુજારી થવી જોઈએ. ડોક્ટર પાસે ગયા. થોડી તકલીફ છે તમને. ગયા. ડોકટરે બધું જોયું. ડોક્ટરને થોડી શંકા જાય છે. એ કહે બાયોપ્સીનો test તો જરા કરાવી લો તમે… જ્યાં સુધી રીપોર્ટ ન આવે, રીપોર્ટ નીલ પણ આવી શકે. ડોક્ટરને કંઇ ખબર પડવાની નથી. ખાલી એટલું કહે છે બાયોપ્સીનો રીપોર્ટ જરાક કરાવી લો ને તમે. શું થાય સાચું કહેજો? એ ડોક્ટરનું ચેમ્બર છોડતા શું થાય? પગ ધ્રુજતા હોય. બાયોપ્સી? કેન્સર આવશે? શું થશે? કેન્સર આવશે મરી જઈશ, હવે એ તો આવશે તો. અહિયાં તો નક્કી જ છે. તમને રીપોર્ટ આપી દઈએ છીએ તમે ક્યાં છો? ધ્રુજારી થાય છે ક્યારેય? આટલા જન્મોની અંદર પ્રભુની સાધના મળી. રીઝલ્ટ મળ્યું નહિ. નક્કી કરો આ જનમમાં રીઝલ્ટ મળવું જ જોઈએ. તો સદ્ગુરુ ચેતના, હું એક નહિ. તમામ ગુરુઓ બંધાયેલા છે તમને રીઝલ્ટ આપવા તૈયાર. એક ગુરુને પકડી લો સાધના ગુરુ તરીકે. અને એ કોઈ પણ સાધનાગુરુ હશે તમને વચન આપી દેશે હું બંધાયેલો છું તને રીઝલ્ટ આપીને જ રહું. ગુરુ તૈયાર છે. તમારી એક તૈયારી જોઈએ. રીઝલ્ટ મેળવવું જ છે. નહીતર શું થાય? સાધના આટલી દિવ્ય, અદ્ભુત્ત. આવી વ્યવહાર સાધના પણ દુનિયામાં ક્યાંય નથી. એટલી અદ્ભુત્ત સાધના અને તમારી જોડે નિશ્ચયનું અનુસંધાન નથી. વ્યવહાર સાધના તમે કરો છો. પણ એ વ્યવહાર સાધનાનું ફળ પણ તમને મળવું જોઈએ ને, એ પણ નથી મળતું. કારણ શું? આત્મસંતુષ્ટિ માટે આ સાધના થઈ. અત્યારે તમારી સાધનાનો ઉદેશ્ય શું છે? આત્મસંતુષ્ટિ.
બે પ્રતિક્રમણ કર્યા, બે સામાયિક કર્યા, અષ્ટપ્રકારી પૂજા કરી, તિથિએ એકાસણું કર્યું. બસ ભયો-ભયો. પૂરું થઈ ગયું. ગંગાજીમાં નાહિ લીધું જાણે. પૂરું થઈ ગયું. પૂરું નહિ, શરૂ નથી થયું એમ બોલ. એટલે જ હું આ બીજું ચરણ આપું છું રૂચિ. કે શ્રવણ તો તમે કર્યું અત્યારે પાછું ભૂલી જવાના. સદ્ગુરુ સમર્પણ ન હોય તો બધી જ સાધના માત્ર અને માત્ર શૂન્ય જ છે. આ વાત સાંભળ્યા પછી પણ જો સદ્ગુરુ પાસે ન જવાય, સાધના ન લેવાય તો માનવું પડે કે વાત સાંભળી લીધી પણ એ શ્રવણ રૂચિમાં ફર્યું નથી. તો દર્શન એ વખતે કર્યું મનથી તમે, પ્રભુના ગુણનું. એ જ રીતે પ્રભુના શબ્દો સાંભળવાના છે. અમે બધા તો પોસ્ટમેન છીએ. ખાલી મીડિયમ છીએ. અમારે પ્રભુની જ વાતો કરવાની છે. અમારા ઘરનો એક પણ શબ્દ અમારે કહેવાનો નથી. તો પ્રભુના જ શબ્દો તમે સાંભળી રહ્યા છો. પણ એ સાંભળતી વખતે કદાચ તમે સારી રીતે સાંભળી રહ્યા છો પણ પછી શું? તો બીજું ચરણ આવ્યું, રૂચિ. એક વાત જે આપણા મનમાં બેસી ગઈ, એ પંદર દિવસ, મહિનો, બે મહિના સુધી જ્યાં સુધી એના કાર્યાન્વિત ન કરી શકીએ ત્યાં સુધી મનમાંથી ખસે નહિ એ બીજુ ચરણ છે. પ્રભુનો જે ગુણ જોયો એ મનની અંદર વસી જાય. પછી એ વખતે ઉદાસીનતા જોઈને બહાર નીકળ્યા એટલે છુ પાછું. એમ નહિ. એ મનમાં જ રહ્યા કરે સતત. કેવું સરસ, કેવું સરસ, કેવું સરસ. કોકનો સરસ બંગલો જોઇને આવ્યા એકદમ. મુંબઈ જેવામાં બંગલો એટલે બહુ અઘરી વાત ગણાય. છતાં ૨૦૦-૫૦૦ કરોડની જમીન લઇ અને એને બંગલો બનાવ્યો છે. તમે જોવા ગયા કદાચ. એ જોઇને તમારાં ફ્લેટમાં આવશો ખરા. શરીર ફ્લેટમાં હશે ને મન બંગલમાં હશે. બને ને? આ બીજું ચરણ છે. કે તમે તમારાં ઘરમાં છો. તમારું મન આ પ્રભુના શબ્દોમાં છે કે પ્રભુના કોઈ ગુણમાં છે? મારા પ્રભુ એમ કહે છે કે તું આ રીતે સાધના કરીશ તો જ સફળ નહીતર નિષ્ફળ. અરે મારે મારી સાધનાને સફળ બનાવવી જ છે. તો મારા પ્રભુ કહે છે એ રીતે મારે મારી સાધનાને સફળ બનાવવી છે. આ વાત સંભળાય છે. નીકળી જાય છે. બીજું ચરણ જિનગુણ રુચિ. પંદર દિવસ, મહિનો, બે મહિના. સાચું કહેજો શંખેશ્વરદાદાનું આવતીકાલે પણ તમે પૂજા વિગેરે કરશો. કાલે બપોરે તમને ૧૧-૧૨ વાગે છુટ્ટી મળી જશે. તમારે પૂજા-બુજા બધું જ થઈ શકશે. પણ એ શંખેશ્વરદાદાનું દર્શન કરશો. આજે પણ કરશો. પણ એ દાદા મનમાં ક્યાં સુધી રહેવાના? મારે તો એટલું જ કરવું છે કે એ દાદા તમારાં મનનો કબજો લઇ લે. પછી શું થશે? શરીરના સ્તર ઉપર બધી ક્રિયાઓ થશે અને મનના સ્તર ઉપર પ્રભુ હશે. કેટલી મજા આવે બોલો પછી… અત્યારે શું થાય છે? શરીરના સ્તર ઉપર પૂજા થાય. શરીર કટાસણા ઉપર બેસે. મન ક્યાંય દોડતું હોય, આપણે ઊંધું કરી નાંખીએ. શરીર ભલે ખાય-પીએ વાંઘો નથી. ખાવાનું જ છે. મન પ્રભુમય હોય. મન માત્ર પ્રભુમાં હોય. તો સમર્પણ વિગેરેની વાતો સાંભળીએ-વાંચીએ. હૃદયમાં એ બરોબર ઠસી જવી જોઈએ.
એકલવ્યની વાત હું ઘણીવાર કહેતો હોઉં છું. મને એનું સમર્પણ એટલે બહુ જ શ્રેષ્ઠકોટિનું લાગે છે. મહાભારતની આપણી પ્યારી એ કથા. એકલવ્ય જંગલમાં રહેનાર. ભીલનો દીકરો. ગુરુ દ્રૌણ યુધિષ્ઠિર વિગેરે રાજકુમારોને લઈને જંગલમાં ધનુર્વિદ્યા વિગેરેનું પ્રશિક્ષણ આપવા માટે આવ્યા છે. જંગલમાં છાવણીઓ નાંખી દીધી છે. અને જંગલમાં જ જે છે ને ધનુષવિદ્યા શીખી શકાય, બાણ છોડી શકાય. એકલવ્યને ખ્યાલ આવ્યો. એને થયું આટલા બધા રાજકુમારોને શીખવાડે છે હું એક ભેગો ભળી જવું તો શું વાંધો? પણ ગુરુને પૂછ્યા વગર તો જવાય નહિ. એકલવ્ય ગુરુદ્રૌણ પાસે ગયો. ગુરુના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરી અને કહ્યું કે ગુરુદેવ મને ધનુર્વિદ્યા શીખવાડો ને. ગુરુએ ના પાડી. ગુરુએ ના પાડી. શું એનું સમર્પણ હશે વિચાર કરો. સમર્પણનો મતલબ એ જ થયો કે એ વખતે એની પાસે બુદ્ધિ કે અહંકાર ન હતા. બોલો, બુદ્ધિ અને અહંકાર હોત તો એ શું વિચાર કરત. ભાઈ, ગુરુ ના જ પાડે ને. એ રાજકુમારોને ભણાવે તો એમને કીર્તિ મળે. મારા જેવા ભીલના દીકરાને ભણાવે તો એમને શું મળવાનું? એટલે આપણી બુદ્ધિ અને આપણો અહંકાર ગુરુને પણ સ્વાર્થી બનાવી નાંખે. મને શું કરવા ભણાવે? એ તો એને ભણાવે. મને ભણાવે તો ગુરુને મળે શું? કદાચ આપણી પાસે પણ સામાન્યથી આવો વિચાર ઝબકી જાય. ગુરુએ ના કેમ પાડી? એણે – એકલવ્યએ ગુરુની ના નો સ્વીકાર કર્યો છે. પ્રેમથી.. Guru is the supreme boss. ગુરુએ હા પાડવી કે ના પાડવી એ ગુરુ જાણે તમે શું જાણો? ગુરુથી ના ન પડાય એવું તમે માનો, તમે દાદા ગુરુ બની ગયા. પરમગુરુ. બરોબરને. ગુરુથી આમ કરાય અને ગુરુએ આમ ન કરાય આવું માને એ કોણ કહેવાય? ગુરુનો ગુરુ. બરોબરને. આવો તો વિચાર પણ કેમ કરી શકાય કે ગુરુએ કેમ ના પાડી એમ? જે ક્ષણે વિચાર કરું હું કેમ ના પાડી એ જ ક્ષણે મારું શિષ્યત્વ તો ગયું. હવે શિષ્ય જ નથી ગુરુની વાત ક્યાં રહી પછી. શિષ્ય હોય તો જ ગુરુની શોધ થાય ને. શિષ્ય જ નથી ગુરુ હોય તોય શું કરવાનું? ગુરુની ના નો એણે સ્વીકાર કર્યો. ઘરે ગયો. એક ભીની માટી લાવ્યો. એક પુતળું બનાવ્યું માટીનું અને આ ગુરુદ્રૌણ છે એવું એણે ભાવથી સ્વીકાર્યું. પછી રોજ સવારે એ મૂર્તિના ચરણમાં ફૂલ વિગેરે મુકે છે. અને પ્રાર્થના કરે કે ગુરુદેવ મને શીખવાડો. અને પછી એ જંગલમાં જઈ અને ધનુષ્યબાણ છોડવા લાગ્યો. મહિના પછી એવી ઘટના ઘટી કે એક બાણ એવી રીતે મારેલું એકલવ્યે. એકદમ વિશિષ્ટ. સાદો કોઈ ધનુર્ધર એવું બાણ લગાવી ન શકે. એવી રીતે લક્ષ્યને વીંધેલુ હતું. એ બાણ ત્યાં હતું જ. અને અર્જુન ફરવા માટે નીકળેલો છે. ૧૦૫ રાજકુમારોમાં, ૧૦૦ કૌરવો અને ૫ પાંડવો. એ ૧૦૫માં તેજસ્વી ધનુર્ધર અર્જુન હતો. અર્જુન ફરવા નીકળ્યો. અને એણે આ લક્ષ્ય વિંધાયેલું જોયું. નવાઈમાં પડી ગયો. મેં આ લક્ષ્ય વીંધ્યું નથી. આવું લક્ષ્ય બીજુ કોણ વીંધી શકે? મને પણ કદાચ અઘરું પડે એવું આ લક્ષ્ય વેધ છે. આ કોને વીંધ્યું હશે? કોણ હશે? એ ગુરુને પૂછે છે, ગુરુને ખ્યાલ છે. ગુરુને કહે છે એકલવ્યે એ લક્ષ્ય વીંધેલુ છે. તમે લોકોએ છે ને મહાભારતની કથા કદાચ સાંભળી હશે. પણ સાંભળ્યા પછી interpretation સાચું થયું નથી. Interpretation બહુ મજાનું છે આ કથાનું. ગુરુએ ના કેમ પાડી? ગુરુ સ્વાર્થી હતા માટે નહિ. સ્વાર્થી હોય તો ગુરુ કહેવાય જ નહિ. જે પ્રભુમય ચેતના ન હોય એ ગુરુ બની શકે જ નહિ. અન્યમય ચેતના એ સંસારી માણસ. પ્રભુમય ચેતના એ સદ્ગુરુ. તો ના શા માટે પાડેલી? એમણે એક વિશિષ્ટ પાઠ આપણી સમક્ષ મુકવાનો હતો. અને એ પાઠ જે એમણે મુક્યો છે ગુરુદ્રૌણે, આપણા હૃદયમાં ઉતરે ને તો આપણને થાય કે ગુરુ દ્રૌણે તો કમાલનો પાઠ આપ્યો. ગુરુદ્રૌણે એ કહ્યું કે અર્જુન પાસે જીવંત દ્રૌણ હતા. છતાં અર્જુન જે નથી મેળવી શક્યો એ માટીના દ્રૌણ પાસેથી એકલવ્ય મેળવી શક્યો છે. આ પાઠ એમણે આપ્યો. અદ્ભુત્ત છે આ વાત. જીવંતગુરુ દ્રૌણ અર્જુન પાસે છે. પણ જીવંત ગુરુ પાસેથી અર્જુનને જે નથી મળ્યું એ માટીના, મૂર્તિ રૂપે સ્થપાયેલા ગુરુદ્રૌણ પાસેથી એકલવ્યને મળ્યું છે. એટલે ગુરુનું હોવું, ન હોવું એટલું મહત્વનું નથી. તમારું હોવું, શિષ્યનું હોવું મહત્વનું છે. આ વાત ગુરુએ પ્રસ્થાપિત કરી છે. તમે જ ન હો, ગુરુ હો તો મતલબ શું? ગુરુનું ગુરુત્વ તમારાં સંદર્ભમાં જ ખુલે છે બાકી ગુરુ પોતાની તરફ તો પરમાત્મામાં ભળી ચૂકેલ વ્યક્તિત્વ છે. ક્યાં ગુરુત્વ છે? ગુરુ પાસે ગુરુત્વ પોતાના માટે છે જ નહિ. એ તો માત્ર ને માત્ર પ્રભુમાં ડૂબી ગયેલ વ્યક્તિત્વ છે. તમારાં તરફ ગુરુત્વ ખરું પણ એ ગુરુત્વ ક્યારે? તમે શિષ્ય હોવ ત્યારે. એક ડોક્ટર છે ને તમારો મિત્ર હોય. અને તમે મિત્રાચારીથી એની ખબર પૂછવા જાઓ તો એ ડોક્ટર નથી. કારણ, તમે પેશન્ટ નથી માટે. એ ખરેખર ડોક્ટર ક્યારે બને? તમે પેશન્ટ હોવ ત્યારે. એમ ગુરુ ખરા ગુરુ ક્યારે? તમે શિષ્ય હોવ ત્યારે. એટલે અત્યાર સુધીમાં ગુરુની પરંપરામાં અગણિત સદ્ગુરુઓ થયા. શિષ્યો જેટલા થયા એટલા ગુરુને પામીને પહોંચી ગયા. આપણે શિષ્ય ન બની શક્યા ને આપણે લટકી ગયા. એટલે ગુરુની શોધ કરવા આપણે નથી જવાનું. શિષ્યત્વની શોધ કરવાની છે. કે સમર્પણ મારામાં કેટલું છે? તો ગુરુદ્રૌણે કેટલી મજાની વાત આપણને કહી કે, હું હોઉં, હું ન હોઉં, ગુરુ હોય કે ન હોય એ મહત્વનું નથી. તમારાં મનમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, ગુરુ પ્રત્યેની ભક્તિ કેવી છે એ મહત્વનું છે. અર્જુન પાસે ગુરુની ભક્તિ હતી એના કરતાં એકલવ્યની ગુરુ ભક્તિ વધારે હતી માટે એને વધારે મળ્યું અને એટલે જ ગુરુ આપે છે એમ નહિ. ગુરુ તો આપતા જ હોય છે પણ શિષ્ય ક્યારે ઝીલી શકે છે? એનામાં શિષ્યત્વ નીખરેલું હોય છે ત્યારે. બાકી ગુરુનું દાન ચાલુ હોય. શિષ્યને મળે પણ નહી. શિષ્ય ત્યારે જ મેળવી શકે, એની પાસે શિષ્યત્વ નીખરેલું છે ત્યારે. અને પછીની એકલવ્યની સમર્પણની ભૂમિકા કેવી છે, ગુરુદ્રૌણ ગયા એકવાર એના ત્યાં, અને એકલવ્યના આનંદનો પાર ન રહ્યો, ગુરુ મારે ત્યાં… શાષ્ટાંગ દંડવત્ થઇ ગયો ધૂળની અંદર, ગુરુ, ગુરુ, ગુરુદેવ… એક નાનકડા લાકડાના આસન ઉપર બેસાડ્યા ગુરુને, અને શું આંખમાંથી આંસુ વહે, ગળે ડૂસકાં મારે ત્યાં ગુરુદેવ પધાર્યા, મારે ત્યાં ગુરુદેવ પધાર્યા. બોલો આ ગુરુએ એને શું આપ્યું છે? તમે છે ને સદ્ગુરુને બુદ્ધિ અને અહંકારના ચશ્માથી જ જોયા છે.
હું ઘણીવાર કહું છું, તમારી પાસે છે ને બુદ્ધિની અને અહંકારની એક ફ્રેમ છે. ફ્રેમ તમારી સાંકડી છે નક્કી થઇ ગયું છે. ગુરુનું ચિત્ર બહુ મોટું છે, પણ મારે મારી ફ્રેમમાં ચિત્ર સમાવવાનું છે. ચિત્ર કાપો કહે છે. તમારી બુદ્ધિની અવધારણામાં શું તમે ગુરુ તત્વને લાવી શકો? એ beyond the expectation છે. તમારી કલ્પનાની પણ બહારની વસ્તુ છે. એ તમારી બુદ્ધિમાં તમે કેમ સમાવી શકો? એકલવ્યની પાસે સમર્પણ છે. નથી બુદ્ધિ નથી અહંકાર. એટલે ગુરુદેવ શું આપને સમર્પિત કરું હું? આપે મને ખુબ આપ્યું. શું આપ્યું? બોલો… આ એની ભક્તિ બોલે છે, આપે મને ખુબ આપ્યું ગુરુદેવ, જીવન આપ્યું, વિદ્યા આપી, હું આપને શું આપી શકું? અને એ વખતે ગુરુ કહે છે, તારા ડાબા હાથનો અંગુઠો મને આપી દે, અંગુઠો જાય એટલે ધનુર્ધર તરીકે મૃત્યુ થઇ જાય માણસનું, એ અંગુઠાથી જે પકડવાનું હોય છે, એ પકડી જ ન શકે. તારો અંગુઠો આપી દે, ભીલનો દીકરો, ચપ્પુ જોડે જ હોય, ચપ્પુ કાઢ્યું, ફટ કરતો અંગુઠો કાપીને આપી દીધો ગુરુના ચરણોમાં. તો આમાં પણ તમે સામાન્ય બુદ્ધિથી વાંચો ઘટના તો એમ લાગે કે ગુરુને પણ અર્જુન ઉપર પક્ષપાત હતો, અને એકલવ્ય આગળ ન વધી જાય, એટલે અંગુઠો લઇ લીધો. વાત આ છે જ નહિ, ગુરુને વળી પક્ષપાત હોય? તમારી બુદ્ધિમાં પક્ષપાત હોય. તમારામાં હોય, ગુરુમાં હોય જ નહિ. જ્યાં પ્રભુમય અસ્તિત્વ છે ત્યાં બીજું શું હોઈ શકે. તો ગુરુએ એક બીજો પાઠ આપણને આપ્યો, કે સાધનો તમારી પાસે ઓછા-વત્તા હોય તો પણ ચાલશે, માત્ર પ્રભુ અને ગુરુ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા, ભક્તિ હશે તો ઓછા સાધન દ્વારા પણ તમે કરી લેશો. ક્રિયા ઓછી હોય આપણી ભાવ વધારે આવી ગયો. એક કેવો માણસ છે કે જેને પેટ ભરવા માટે પણ ૧૨ કલાક મહેનત કરવી પડે છે. પાંચ-છ કલાક સૂઈ જાય નહિ, તો એ મહેનત મજુરી કરી શકતો નથી. એકાદ કલાક એને મળતો હોય, એમાં સામાયિક કરતો હોય ભાવથી તો એની એ દ્રવ્ય ક્રિયા નાનકડી ગણાય, પણ એ વખતે જો ભાવ એનો જો અપાર હોય, તો એ નાનકડી ક્રિયા દ્વારા પણ બહુ મોટું result પ્રાપ્ત કરી શકે છે. એટલે ગુરુએ એ કહ્યું, કે એકલવ્યની પાસે અંગુઠો ગયો અને છતાં એકલવ્ય અર્જુન કરતાં પણ સારો ધનુર્ધર પાછળથી પણ રહ્યો છે. આ ગુરુની કૃપાને એકલવ્યે ઝીલી. પણ ગુરુની કૃપાને ઝીલી ક્યારે? ભક્તિ હતી ત્યારે. તો બોલો આ વાત તમે ઘણીવાર સાંભળી હશે.
હવે બીજું ચરણ આવી જાવ રૂચિ. પ્રભુનો ગુણ જોયો. ગમી ગયો, મહિનાઓ સુધી એ ગુણ મનમાં રહે. આવી સમર્પણની પ્રભુએ કહેલી વાત તમે સાંભળી, અને મહિનાઓ સુધી એ સમર્પણની વાત તમારા મનમાં ગુંજ્યા કરતી હોય તો સમર્પણ આવી જ જવાનું છે. સમર્પણ ક્યાં અઘરું છે… તમારી ભીતર જ સમર્પણ છે. ભીતર જ છે બહારથી કંઈ લાવવાનું નથી. તરત મળી જાય.
તો પહેલું ચરણ જિનગુણ-દર્શન. બીજું ચરણ જિનગુણ-રૂચિ. પછી બે ચરણો વચ્ચે આવે છે બપોરે જોઈશું. અને પાંચમાં ચરણે સ્વાનુભૂતિ. બરોબર. આજે સ્વાનુભૂતિ કરી લેવી છે ને… નક્કી છે? એટલે સ્વાનુભૂતિ મળી જાય ને પછી પ્રભુ પાસે દીક્ષા લેવા જતા રહેવાનું. પ્રભુ સ્વાનુભૂતિની દીક્ષા આપી દો હવે. રજોહરણ પછી લઈશ, પણ સ્વાનુભૂતિની દીક્ષા મને આપી દો. હવે practical.