વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : નિર્વિકલ્પ દશાનો અભ્યાસ
સીધો મનોવિજય નહિ; પહેલા શરીરવિજય, પછી વચનવિજય અને પછી મનોવિજય. નિર્વિકલ્પ બનવા માટે, વિચારો પર આપણું પ્રભુત્વ લાદવા માટે પહેલા કાયાને સાધવી પણ જરૂરી છે. કાયાને સ્થિર રાખતા શીખી જાઓ. શબ્દોનું મૌન તમારી પાસે હોય. એ પછી વિચારોના મૌન તરફ જવું છે.
વિચારોના મૌન માટે પહેલો માર્ગ છે કે વિચારોથી વિચારોને કાઢો. ભૂતકાળની ઘટના ક્રમબદ્ધ પર્યાય મુજબ ઘટિત થઇ ગઈ એ રીતે વિચારીને એનો સ્વીકાર કરી લો, પછી એ ઘટનાનો વિચાર ક્યાંથી આવે? એ જ રીતે ભવિષ્યકાળના પર્યાયો પણ જેવા ખુલવાના છે એ જ રીતે ખુલવાના છે આવું વિચારો, તો પછી ભવિષ્યકાળનો કોઈ વિચાર પણ ક્યાંથી આવે? અને વર્તમાનની ક્ષણમાં તો કંઈ વિચારવાનું છે જ નહિ. તમે માત્ર બેઠા છો; વિચાર શેનો હોય!
બીજો ઉપાય એ છે કે તમે વિચારોના દ્રષ્ટા બની જાઓ અને વિચારોને દ્રશ્ય કોટિમાં મૂકી દો. વિચાર તમે નથી; તમે માત્ર દ્રષ્ટા છો. You are only the observer. દ્રષ્ટા તરીકે તમે વિચારોને માત્ર જોઈ રહ્યા છો. પછી તમને જે ઠીક લાગે, એ વિચારનો તમે સ્વીકાર કરો છો અને ન ઠીક લાગે, એ વિચારનો અસ્વીકાર કરો છો.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના – ૫
રાજગૃહી નગરીમાં દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુનું સમવસરણ રચાતું ત્યારે ધન્નામુનિ અને શાલીભદ્રમુનિ એમની વૈભારગીરીની ગુફામાંથી બહાર નીકળી પ્રભુના સમવસરણમાં આવતા. પ્રભુના ચરણકમળમાં વંદના કરીને પ્રભુના શબ્દ-શબ્દને પીવાની કોશિશ કરતા. પ્રભુની દેશના પૂરી થાય ધન્નામુનિ અને શાલીભદ્રમુનિ તરત જ પોતાની વૈભારગીરીની ગુફા તરફ ચાલવા માટે નીકળી પડે છે. સેંકડો નહિ હજારો આંગળીઓ એમના તરફ તકાઈ રહી છે. ઘણા લોકોને ખ્યાલ તો હોય ધન્નાજીએ આ રીતે દીક્ષા લીધી, શાલીભદ્રજીએ આ રીતે દીક્ષા લીધી પણ ઘણા નામથી જ ઓળખતા હોય, દેહથી ઓળખતા ન હોય. જે લોકો ઓળખી રહ્યા છે એ લોકો બતાવે છે, જો આગળ જાય એ ધન્નામુનિ, પાછળ જાય એ શાલીભદ્રમુનિ. હજારો આંખો એમને જોઈ રહી છે. હજારો આંગળીઓ એમના તરફ તકાઈ રહી છે. એ બધાથી બેપરવાહ એ બંને મુનિવરો ઈર્યાસમિતિને પાળતા પોતાની ગુફામાં આવે. ઈર્યાવહિયા કરીને બેસે અને સીધું જ ધ્યાનદશામાં જઈને પ્રભુએ થીયરીકલ ફોર્મમાં જે આપ્યું છે એને પ્રેક્ટીકલ ફોર્મ માં ફેરવવાની કોશિશ કરે. તમારાં માટે પણ આ એક અવસર મજાનો છે. ધ્યાનની પૃષ્ઠભૂમિકા ઉપર તમે પ્રભુના પ્યારા-પ્યારા શબ્દોને પીવો છો. અને પછી પણ એ ધ્યાનની દશા તમારી પાસે હોય છે. જેમાં તમે આ થીયરીકલ ફોર્મ ને પ્રેક્ટીકલ ફોર્મ માં ફેરવી શકો.
ભગવદ્ગીતામાં એક સરસ શબ્દ છે. બુદ્ધિયોગ. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે ददामि बुद्धियोगं ते. હું તને બુદ્ધિ આપું છું એમ શ્રી કૃષ્ણ નથી કહેતા. છે ददामि बुद्धियोगं ते. તને હું બુદ્ધિયોગ આપું છું. બુદ્ધિયોગ એટલે શું? જે બુદ્ધિ દ્વારા સાધક, ભક્ત પ્રભુને પામી શકે, પ્રભુ સાથે સંબંધ બાંધી શકે એ બુદ્ધિયોગ. આવો જ એક મજાનો શબ્દ આપણી પરંપરામાં છે. શ્રવણયોગ. શ્રવણ કદાચ તમારી પાસે હશે. શ્રવણ યોગ તમારી પાસે ખરો? શ્રવણયોગ એટલે શું? સદ્ગુરુના મુખેથી પ્રભુના જે પ્યારા-પ્યારા શબ્દો નીકળી રહ્યા છે. એમને અસ્તિત્વના સ્તર ઉપર ઝીલવા એ શ્રવણ યોગ છે.
ભગવાન બુદ્ધ એકવાર બેઠેલા. એક મુમુક્ષુ આવેલો. એની પ્રબળ ઝંખના હતી, ભગવાન મને કંઇક કહે. અને બુદ્ધ જેવા સંબુદ્ધ વ્યક્તિત્વ માટે કોઈ ફરક નથી પડતો કે સામે એક વ્યક્તિ છે કે હજાર વ્યક્તિ છે. મુમુક્ષુ હતો. બુદ્ધ એ એક વ્યક્તિની સામે ઉપદેશની ધારા વહાવે છે. પણ અચાનક એક ક્ષણે અડધા વાક્યે બુદ્ધ બોલતા બંધ થઈ ગયા. પેલાને નવાઈ લાગી. ભગવાને મને આટલું આપ્યું એ જ ખરેખર તો બહુ મોટી વસ્તુ હતી. અને વાક્ય પૂરું થયું હોત તો એમ માનત કે બસ પ્રભુએ ઘણું આપી દીધું. પણ અડધા વાક્યે બુદ્ધ ઉભા રહ્યા, મૌનમાં જતા રહ્યા. પેલા સાધકને થયુ, મારી કંઇક ભૂલ થઈ ગઈ લાગે છે. ચરણોમાં પડ્યો. પૂછ્યું, ભગવંત મારી કોઈ ભૂલ થઈ ગઈ? આપ કેમ બોલતા અટકી ગયા? અને બુદ્ધ કહે છે હા અત્યાર સુધી મેં જોયું તું એકીટશે કાયાને પણ સ્થિર રાખીને મને પીતો હતો. પણ હમણાં મેં જોયું, તારા જમણા પગનો અંગુઠો સહેજ હલતો હતો. અને એટલે મેં બોલવાનું બંધ કર્યું. તારા જમણા પગનો અંગુઠો હલ્યો કેમ? સહેજ પણ તારો ઉપયોગ ત્યાં ફંટાયો તો જ શરીરમાં હલન-ચલન થઈ શકે.
મેં પહેલા પણ કહેલું, યોગો પ્રવાહિત થાય છે માત્ર ને માત્ર ઉપયોગથી. તમે તમારો ઉપયોગ શરીર તરફ ન મુકો તો હલન-ચલન ન થઈ શકે. તમે તમારો ઉપયોગ વાણી ઉપર ન મૂકો તો બોલવાનું શક્ય ન બને. અને તમારો ઉપયોગ તમે ન મુકો તો વિચારવાનું પણ શક્ય નથી. તો તારો ઉપયોગ સહેજ ફંટાઈ ગયો માટે મેં બોલવાનું બંધ કર્યું.
હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહું, કે હું જો આ નિયમ લઉ ને, તો મારે મંગલાચરણ અને સર્વમંગલ બેય સાથે થઈ જાય. તમે લોકો ધ્યાનમાં સ્થિર બેસી શકો છો. શ્રવણયોગ વખતે કેમ સ્થિર નહિ? યાદ રાખો, કાયા સધાય, વાણી સધાય અને વિચાર સધાય. આ ત્રણે પર તમારું પ્રભુત્વ આવે, એ ત્રણે પર તમારું આધિપત્ય આવે તો જ તમે શ્રવણયોગમાં જઈ શકો. ત્રણ ગુપ્તિની વાત કદાચ જૈન પરંપરા એ જ આપણને આપી છે. ઘણી બધી પરંપરામાં મનને નિર્વિકલ્પ બનાવવાની વાત છે. પણ કાયાને ગુપ્ત કરવાની, વચનને ગુપ્ત કરવાની વાત માત્ર ને માત્ર જૈનદર્શને આપણને આપી છે. તો કાયાને સાધતા શીખો પહેલા. મૌનમાં તો અત્યારે છો જ તમે. મૌન છે તમારી પાસે શબ્દોનું. કાયાને તમે સાધતા શીખી જાઓ તો મનને સાધવાનું શક્ય બનશે.
આપણે આજે નિર્વિકલ્પદશાના ચરણોને જોવાના છે. સ્વાનુભૂતિનો અરુણોદય એ આપણો વિષય છે અત્યારે. કે સ્વાનુભૂતિની પહેલા આપણી પાસે શું હોવું જોઈએ? દેવચંદ્રજી મહારાજે કહ્યું, પરરસથી મુક્તિ. તો પરરસથી મુક્તિ માટે આપણે ત્રણ વસ્તુ જોઈ રહ્યા છીએ. ભેદજ્ઞાનનો અભ્યાસ, નિર્વિકલ્પદશાનો અભ્યાસ અને દ્રષ્ટાભાવનો અભ્યાસ.
તો નિર્વિકલ્પ આપણે બનવું છે, વિચારો પર આપણું પ્રભુત્વ લદાય એવું આપણે કરવું છે, મનની તમામ switches તમારા હાથમાં આવી જાય એવું આપણે કરવું છે. પણ એના માટે કાયાને સાધવી પણ જરૂરી છે. સ્થિરાસને બેસતા શીખી જ જવું પડે. અમે લોકો પ્રાયશ્ચિતમાં જેમ સ્વાધ્યાય આપીએ, ધ્યાન આપીએ, એમ સ્થિરાસન આપીએ છીએ. અને તમને કદાચ ખ્યાલ નહિ હોય. આપણા બાહ્યતપમાં આસનજયની વાત છે. કાયકિલેસ નામનો જે બાહ્ય તપ છે એમાં આસનજયની વાત છે. લોચાદિક કષ્ટને સહન કરવાની વાત તો છે જ. પણ એની સાથે આસન સિદ્ધીની વાત ત્યાં કરે છે.
આસનો બહુ જ મજાની વસ્તુ છે. નમુત્થુણં તમે બોલો છો. ઢીંચણ તમે વાળેલો છે. ત્યારે શું થશે? પગની પિંડી ઉપર તમારા શરીરનું પૂરું વજન જશે. તો નમુત્થુણં બોલતી વખતે, ચૈત્યવંદન કરતી વખતે આ મુદ્રાની જરૂર શું? પગની આ પોઝીસન્સની જરૂર શું? તો યોગાચાર્યો કહે છે કે પગની પિંડીની અંદર એ glands છે એ ગ્રંથિઓ કે જે દબાય તો અહોભાવ તમારો નિખરે. હવે બીજી કોઈ રીતે એ પગની પિંડીમાંથી glands દબાવાની નથી. તમે તમારાં શરીરનું પૂરું વજન ત્યાં મૂકી દો એટલે પગની પિંડીમાં રહેલી glands દબાશે, દબાશે એટલે અહોભાવની વૃદ્ધિ થશે.
એ જ રીતે આપણે ત્યાં ગોદોહાસનનો મહિમા છે. ગોદોહાસન એટલે શું? ભરવાડ ગાયને દોહવા માટે બેસે અને એ વખતે એના શરીર જે પોઝીશન હોય તો એને ગોદોહાસન કહેવામાં આવે છે. તો એ જયારે ગાયને દોહે ત્યારે કઈ રીતે મુદ્રામાં હોય છે? કે એના પગની પાની ઉંચકાયેલી હોય છે અને પગના અંગુઠા અને આંગળીઓ ઉપર પુરા શરીરનું વજન આવે છે. આ બહુ જ મજાનું આસન છે. પગના અંગુઠા અને પગની આંગળીઓમાં કામના વિજય માટેની ગ્રંથિઓ છે. અને એ ગ્રંથિઓ દબાય તો sex પર તમે વિજય પ્રાપ્તિ કરી શકો. અને એટલે જ આ વંદિતુ સૂત્ર તમે બોલો ત્યારે તમારે અર્ધગોદોહાસન મુદ્રામાં બેસવાનું હોય છે. તો આસન સિદ્ધી બહુ મહત્વની વસ્તુ છે.
અને પહેલા જ મેં તમને કહેલું કે આમ ટટ્ટાર બેસશો એટલે શું થશે? મેરુદંડ તમારો ટટ્ટાર રહેશે. Spinal cord ટટ્ટાર રહેશે. અને મેરુદંડ ટટ્ટાર રહેવો બહુ જરૂરી છે. કારણકે કુંડલીની જયારે ઉર્ધ્વારોહણ કરશે ત્યારે ચક્રો બધા પાછળ જ છે. તો કાયાને સાધો. કલાક બેસો પ્રવચનમાં, બે કલાક બેસો, સ્થિરાસન જ. બને તો મુખ પણ ફેરવવું નથી. આંખ બંધ હશે તો પણ ચાલશે. સદ્ગુરુને પીવા છે. આંખ ખુલ્લી હોય તો પણ વાંધો નથી. પણ શરીર બિલકુલ સ્થિર જોઈએ.
ચંદ્રગુપ્તમૌર્યએ પાટલીપુત્ર પર હુમલો કર્યો. સીધુ જ પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો. નંદરાજા સામે હતો. એનું કેળવાયેલુ સૈન્ય સામે આવી ગયું. ચંદ્રગુપ્તનો પરાજય થયો. આખી એની સેના તિતર-બિતર થઈ ગઈ. ચંદ્રગુપ્ત એકલો ઘોડા ઉપર ભાગી છૂટ્યો. અને એક ગામમાં આવ્યો છે. પહેલા તો ભાગી જ છૂટ્યો. ભાગો. એકાદ દિવસ ભાગ્યા પછી બીજા દિવસે એક ગામ આવ્યું. ત્યાં રોકાયો. જમવાનો ટાઇમ થયો છે ભૂખ લાગી છે. પણ રાજવંશી માણસ છે. એમ કંઈ માંગે તો નહિ ખાવાનું. ખાલી ફરે છે ગામમાં. એક માજીની નજર પડી. બેટા અહીં આવ મારે ત્યાં જમવા માટે. માજીએ ચંદ્રગુપ્તને જમવા માટે બોલાવ્યો. એકલો ચંદ્રગુપ્ત છે. ઘેંસ બનાવેલી બાજરીની. ગરમાગરમ હતી. થાળીમાં કાઢીને આપી. ચન્દ્રગુપ્ત ભૂખ્યો થયેલો. સીધો જ એણે થાળીની વચમાં હાથ નાંખ્યો. હાથ દાઝી ગયો. ત્યારે માંજી કહે છે, તું પણ પેલા ચંદ્રગુપ્ત જેવો જ લાગે છે. ચંદ્રગુપ્તને થયું કે માજીની વાતમાંથી હું કેમ હાર્યો એનો કલુ મળી શકે એમ છે. તો કહે માજી! ચંદ્રગુપ્તે શું કર્યું? તો કહે એણે હરામખોરે સીધો પાટલીપુત્ર પર હમલો કર્યો. જેમ તે સીધો જ વચમાં હાથ નાંખ્યો એમ. તારે પણ કોરે-કોરેથી ખાવું જોઈએ. કોરથી ઘેંસ ઠંડી થતી જાય તું ખાતો જા, ખાતો જા, ખાતો જા, એમ વચલી ઘેંસ આવવાની જ છે ને. એમ એણે પણ પહેલા નાના-નાના ગામડાઓને સાધવાના હતા. લાખો લોકો જે નંદરાજાના સામ્રાજ્યથી ખરેખર ત્રાસી ગયેલા એમને પોતાના વશમાં લેવાના હતા. અને લાખો લોકોને વશમાં લીધા હોત અને પછી પાટલીપુત્ર ઉપર હમલો કર્યું હોત તો એનો વિજય થાત. ચંદ્રગુપ્ત ને કલુ મળી ગઈ અને પછી વિજયી પણ બન્યો છે.
આપણા માટે કલુ આ છે કે સીધો મનોવિજય નહિ. પહેલા શરીર વિજય, પછી વચન વિજય, અને પછી મનોવિજય. તો કાયાને સ્થિર રાખતા શીખી જાઓ. મૌન તમારી પાસે શબ્દોનું છે. હવે આપણે વિચારોના મૌન તરફ જવું છે. એના માટે ઘણા બધા માર્ગો છે. ચાર માર્ગો છે.
પહેલો માર્ગ તો એ કે વિચારથી વિચારને કાઢો. આપણે ત્યાં એક કહેવત છે, કાંટાથી કાંટો નીકળે. રસ્તામાં તમને કયાંક કાંટો વાગી ગયો. ધૂળમાં દટાયેલો. ચીપિયો નથી કે સોંય નથી. બીજો કાંટો લેશો તમે અને કાંટાથી કાંટો કાઢી નાંખશો. એમ વિચારોથી વિચારોને કાઢો. અને આ એક બહુ જ મહત્વની વાત છે. તમે વિચાર કયા-કયા કરો બોલો? તમારાં વિચાર યા તો ભૂતકાળના હશે યા ભવિષ્યકાળના હશે. વર્તમાનની તો એક ક્ષણ છે. એમાં કંઇ વિચારવાનું છે નહિ. તમે બેઠા છો. વિચાર શેના આવે? યા ભૂતકાળના, યા ભવિષ્યકાળના. ઘટના ઘટી ગઈ. હવે તમે ગમે તેટલા વિચારો કરશો. હવે ઘટના જે રીતે ઘટી ગઈ એમાં સુધારો-વધારો થવાનો છે ખરો? એ ઘટના ઘટી જ ગઈ છે. તમે શું કરી શકશો? એના સ્વીકાર સિવાય તમારી પાસે કોઈ માર્ગ રહેતો જ નથી. એક વ્યક્તિએ તમને કંઇક કહ્યું, તો એ ક્રમબદ્ધ પર્યાય હતો. એનો પણ ક્રમબદ્ધ પર્યાય હતો તમારો પણ ક્રમબદ્ધ પર્યાય હતો. તો એણે એના ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે તમને કહ્યું, તમે એ રીતે સાંભળી લીધું. હવે એ પર્યાય જતો રહ્યો. હવે તમે વિચારશો. આ આમ કેમ બોલ્યો? એનાથી આમ બોલાય જ કેમ? વિચાર કરશો. વિચાર દ્વારા ગુસ્સાને લાવશો. આ બધું સાર્થક ખરું? મારે તમને પૂછવું છે? આ બધાનો ઉપયોગ શું બોલો? ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ.
મયણાસુંદરીની વાત આપણે ત્યાં આવે. રૂપરૂપના અંબાર સમી મયણાસુંદરી. કોઢથી જેની કાયા છલકાતી એવા શ્રીપાળરાજા. મયણાસુંદરી શ્રીપાળરાજાની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે. એ વખતે મયણાસુંદરીના મનની હાલત કઈ છે? એમના મુખની હાલત કઈ છે? શ્રીપાળ રાસકારે મજાનો કેમેરા ફેરવીને શબ્દોનું મજાનો સ્નેપ્સ આપણને આપ્યો છે. “મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ” મયણાના મુખની એક રેખા બદલાતી નથી. જે કોઢિયાની સાથે, જેની કાયામાંથી દુર્ગંધ નીકળી રહી છે એ જોતા એક ક્ષણ બેસી શકાય નહિ. એની જોડે આખી જીંદગી પસાર કરવાની? પણ આ ઘટનામાં જોડાયેલી ઘટના એ છે કે મયણાસુંદરી એકદમ ઘટનાથી અપ્રભાવિત છે. “મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ” મુખની રેખા બદલાતી નથી. હૃદયમાં વિષાદ આવતો નથી. કારણ શું? કારણ શું…? ‘જ્ઞાનીએ દીઠું હુવે રે’ અનંત કેવળજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જે ક્ષણે જે પર્યાય ખૂલતો જોયેલો હશે. એ ક્ષણે એ જ પર્યાય ખુલવાનો છે. આવી શ્રદ્ધા મયણાસુંદરીની હતી. તમને છે બોલો?
તમારાં જીવનમાં આજે સાંજે ચાર વાગે કોઈ ઘટના ઘટિત થવાની હોય. તમને એનો ખ્યાલ નથી. પણ અનંત કેવલજ્ઞાની ભગવંતોએ આ ઘટનાને પોતાના જ્ઞાનમાં ઘટિત થતી જોયેલી કે નહિ બોલો. કેવલજ્ઞાન. ત્રણે કાળની બધી જ ઘટનાઓને એક સાથે જોનારું જ્ઞાન. તો તમારાં જીવનમાં જીવનના અંત સુધીમાં જેટલી ઘટનાઓ ઘટવાની છે એ બધાનો ખ્યાલ કેવલજ્ઞાની ભગવંતોને છે. તો તમારાં જીવનમાં આજે જે ઘટના ઘટવાની છે, તમને ખ્યાલ નથી. અનંત કેવલી ભગવંતોને એ ઘટનાઓનો ખ્યાલ ખરો કે નહિ બોલો? ખ્યાલ છે. હવે એ વખતે ઘટના ઘટી. તમારો પ્રતિભાવ શું હોઈ શકે? આ ઘટના ઘટવાની જ હતી અને ઘટી ગઈ. અનંત કેવલી ભગવંતોએ આ ઘટનાને ઘટિત થતી જોયેલી તો એ ઘટનાનો મારે સ્વીકાર કરવો જોઈએ. ઘટના માટે બે વસ્તુ કરી શકાય. યા તો ઘટનાનો સ્વીકાર અને યા તો ઘટનાનો અસ્વીકાર. બે જ વસ્તુ થઈ શકે. તો ઘટનાનો અસ્વીકાર કરો ત્યારે તમે અનંત કેવળજ્ઞાનીઓના જ્ઞાનનો અસ્વીકાર કરો છો એવું લાગે છે? તો પછી ઘટનાનો અસ્વીકાર કેમ થઈ શકે? રોગ આવ્યો, આવી ગયો. દાદરથી ઉતરતા હતા, પડી ગયા, એ પર્યાય ઘટી ગયો. જે પણ પર્યાય ખુલે એને જોવાનો. તમે માત્ર ને માત્ર મજામાં. પછી તમારાં આનંદને કોઈ છીનવી ન શકે. તમે આનંદઘન બની ગયા. તમે જ આનંદઘન છો પછી. માત્ર જે પર્યાયો ઘટી રહ્યા છે એને જોવાના છે.
આપણે ત્યાં બે વસ્તુ કહી છે. પર્યાયોને જોવાના, આત્મદ્રવ્યની ભીતર જવાનું. આપણે લોકો ઊંધું કરીએ છીએ આત્મતત્વને જોઈ લઈએ છીએ શબ્દો દ્વારા, વિચાર દ્વારા. અનુભૂતિ એની નથી. અને પર્યાયોમાં માથું મારીએ છીએ. એક-એક પર્યાયમાં ઊંડા ઉતરવાનું. આ કેમ આમ થયું? કારણ શું છે? ભાઈ કારણ કંઇ જ નહિ. એ ક્રમબદ્ધ પર્યાય હતો. એ સમયે ઘટના ઘટવાની હતી. ઘટી ગઈ. તો માત્ર બે માર્ગ છે ત્યાં. ઘટના ઘટી ગઈ પછી THERE ARE ONLY TWO WAYS. યા તો તમે ઘટનાનો સ્વીકાર કરી શકો, યા તો ઘટનાનો અસ્વીકાર કરી શકો છો.
હવે બોલો તમે અત્યારે ઘટનાના અસ્વીકારમાં છો, બરોબરને? મારે તમને સ્વીકારમાં લાવવાના છે. તો મારી તાકાત વધારે કે તમારી તાકાત વધારે હમણાં ખ્યાલ આવી જશે. તમે ઘટનાના અસ્વીકારમાં છો ને? ચલો ઘટનાનો અસ્વીકાર કર્યો. એથી શું મળે મને સમજાવો? એથી પીડા જ થવાની છે ને. કોઈએ તમને કડવા શબ્દો કહ્યા, ઘટના ઘટિત થઈ ગઈ. પછી તમારાં મનમાં શું આવશે ભાવ? આણે આમ કેમ કર્યું? તમારાં મનમાં ગુસ્સો છલકાશે, તમારાં મનમાં પીડા છલકાશે તો અસ્વીકાર તમે ઘટનાનો કરો તો પીડા જ આવે કે બીજું કંઇ આવી શકે ખરું? એની સામે ઘટનાનો સ્વીકાર કરો. મજા જ મજા. તો સવાલ ને બદલું. આનંદ જોઈએ કે પીડા જોઈએ? શું જોઈએ? આનંદ જોઈએ કે પીડા જોઈએ? આનંદ જોઈએ તો ઘટનાનો સ્વીકાર, પીડા જોઈએ તો ઘટનાનો અસ્વીકાર.
તમારી તો હાલત કેવી છે ખબર છે? એક ભાઈ હતો. ક્યાંક પડી ગયો. ક્રેક આવી પગમાં. ડોકટરે પ્લાસ્ટર માર્યું અને કહ્યું કે એકાદ મહિનો બેડરેસ્ટ તમારે લેવાનો છે. બિલકુલ બેડરેસ્ટ. ઊઠવાનું પણ નહિ. દશેક દિવસ થયા હશે. એના એક સંબંધીને ખ્યાલ આવ્યો કે મારો મિત્ર પડી ગયો છે. એ જમાનામાં કોમ્યુનીકેશનનો અભાવ હતો. દશ દિવસે સમાચાર મળ્યા. એ ખબર પૂછવા આવ્યો. અરે તમે પડી ગયા? શું થયું હતું? કેવી રીતે પડ્યા હતા? એટલે પેલાએ રીહર્સલ કરીને બતાવ્યું. ઉભો થયો, આમ પડ્યો. શું થાય પછી? ક્રેક પહોળી થઈ. ફરી ડોક્ટર પાસે. ફરી નવું પ્લાસ્ટર. ફરી પંદરેક દિવસ થયા. બીજો એક મિત્ર આવ્યો. કેમ કરતા પડેલા? રીહર્સલ. બોલો, તમે આવું ન જ કરો ને બોલો? તમે તો આવું ન જ કરો ને? કરો?
એક ઘટના ઘટી ગઈ. કોઈની સાથે તમારે બોલવાનું થઈ ગયું. વધારે પડતી વાત લંબાઈ ગઈ. ખોટી રીતે લંબાઈ ગઈ. પણ પૂરી થઈ ગઈ. બે-ચાર દિવસ થયા, ધીરે ધીરે ધીરે વાત વિસારે પડવા માંડી. અને ત્યાં તમારો કોઈ ભાઈબંધ આવે. અરે મેં તો હમણાં સાંભળ્યું, તમારાં જેવો સજ્જન માણસ, પેલો તમારાં માટે આવું બોલી ગયો. શું કહો છો? અરે હું તો ભડકે બળી ગયો, કહે છે સાંભળીને. અલ્યા, તું બળ્યો ત્યાં સુધી ઠીક છે, આને શું કરવા બાળવા આવ્યો છે! આ સાંભળતા શું થાય? તમે પણ એકધારામાં આવી જાવ પછી, હા, એને મને આમ કીધું, એને મને આમ કીધું. થાય શું? ઘા પહોળો થયો. થોડો રૂઝાવા આવેલો. પહોળો થયો. ફરી કોઈ આવે. ફરી રીહર્સલ. તો ઘટનાનો અસ્વીકાર અને સ્વીકાર બે જ બાબત છે. ઘટનાના અસ્વીકારના કારણે જે પીડા સર્જાઈ એનો અનુભવ છે?
હું તો ઘણીવાર કહું કે તમને ક્ષમાનો અનુભવ તો નથી. ક્રોધનો અનુભવ ખરો તમને? ક્રોધનો અનુભવ તો નથી તમને. તમે મુંબઈમાં જે સોસાયટીમાં રહો છો. ચોકમાં બ્લોક્સ બિડેલા છે. એક બ્લોક્સ ઉખડી ગયેલો છે. અંધારું હતું. તમે ચાલ્યા ત્યાં પગે ઠેસ વાગી. ઠેસ વાગી. પાટો પણ આવી ગયો. પણ તમને ખ્યાલ આવી ગયો કે અહિયાં બ્લોક ઉખડેલો છે. હવે શું થશે? તમે જયારે પણ ચાલશો. અંધારું હોય કે અજવાળું હોય. બાજુમા થઈને તમે ચાલી જશો. તમને ખ્યાલ આવી ગયો, આ બ્લોક્સ સાથે મારો પગ અથડાશે. તૂટેલા બ્લોક સાથે તો મને વાગશે. આ અનુભવ કહેવાય. ક્રોધ કર્યો, પીડા થઈ? જોરદાર ક્રોધ કર્યો પીડા થઈ? પીડા થઈ હોય તો ક્રોધ છૂટી જાય. એટલે ક્રોધનો પણ અનુભવ તમારી પાસે નથી. માત્ર ક્ષમાનો અનુભવ તો નથી જ. ક્રોધનો પણ અનુભવ તમારી પાસે નથી એટલે હું એક સૂત્ર આપું છું. ક્ષમા+ધ્યાન એ તો બરોબર. ક્રોધ+ધ્યાન. ક્રોધની ક્ષણો છે. અંદર ઉતરી જાઓ. મને જે પીડા થઇ રહી છે. એ બીજાના કારણે કે મારા કારણે? ક્રોધની ક્ષણોમાં જો તમે ધ્યાન કરી શકો તો તમને તમારી ભૂલ સમજાય. પેલી વ્યક્તિના શબ્દોને કારણે નહિ, તમારી ઉપાદાનની અશુદ્ધિને કારણે તમને ગુસ્સો આવેલો છે.
પેટ્રોલપંપ હોય. લખેલું હોય. NO SMOKING PLEASE. છતાંયે એક જણાને સિગરેટની તલપ લાગી. દીવાસળી સળગાવી. સળગતી દીવાસળી ફેકીય દીધી. પેટ્રોલપંપ ભડકતું બળવાય માંડ્યું. પેટ્રોલપંપ ભડકે બળે છે એમાં દિવાસળી નિમિત્ત જરૂર, પણ એક બીજી બાજુ એ છે કે દીવાસળી પેટ્રોલપંપને જ સળગાવી શકે છે. એ જ માણસ દીવાસળીનું બાકસ લઇ હોજના કાંઠે જાય. પાણી ભરેલો હોજ છે. એ દીવાસળી સળગાઈ-સળગાઈને હોજમાં નાંખતો જ જાય, નાંખતો જ જાય, શું થાય? એમ તમને ગુસ્સો આવ્યો, એમાં પેલાની દીવાસળી જવાબદાર કે તમારું પેટ્રોલપંપ જવાબદાર? બોલો? જવાબદાર કોણ? તમારું પેટ્રોલપંપ છે. પણ તમને પેલાની દીવાસળી દેખાય છે, તમારું પેટ્રોલપંપ દેખાતું નથી. હમણાં છે ને ગન્ના હાઇવે પર ચાલવાનું થયું. તો ઘણા બધા ટેન્કર્સ નીકળતા હોય. અને ઓઈલ ટેન્કરમાં પાછળ લખેલું હોય. હાઈલી ઇનફલેમેબલ. અત્યંત જવલનશીલ. મને એકવાર વિચાર આવેલો. એવા માણસ હોય. જેને નિમિત્ત મળે તો ય ગુસ્સે અને નિમિત્ત ન મળે તોય ગુસ્સે થતા હોય. કેમ છો મજામાં છો? કેમ તને શું લાગે છે મજામાં નથી એવું લાગે છે! આવા માણસોને પોતાના ઝભ્ભાની પાછળ એક સ્ટીકર ન લગાવવું જોઈએ? હાઈલી ઇન્ફ્લેમેબલ. કે ભાઈ અત્યંત જવલનશીલ છે આ.. તમે બોલ્યા નથી કે ભડકો થયો નથી.
તો ઘટનાનો સ્વીકાર અને અસ્વીકાર બે જ બાબત છે. ઘટનાના અસ્વીકારથી પીડા થઈ છે? તો ઘટનાના સ્વીકારમાં આવી જાઓ. ત્યાં સુધી કહ્યું, આનંદઘનજી ભગવંતે, “પર તણી છાંયડી જિહાં પડે, તે પરસમય નિવાસ રે” પૂછવામાં આવ્યું કે મિથ્યાત્વ એટલે શું? તો કહે તમે પર્યાયોની અસરમાં આવી ગયા તે મિથ્યાત્વ છે.
અધ્યાત્મસારમાં ઉપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું, “યે પર્યાય દ્રષ્ટય:, તે અન્ય દ્રષ્ટય:” પર્યાયમાં જવાનું જ નથી. પર્યાયને માત્ર જોવાનો જ છે. એ પર્યાય આવી ગયો, જોઈ લીધો. આગળ ચાલ્યો. તો ઘટના ઘટી ગઈ. અસ્વીકાર કે સ્વીકાર નક્કી કરો એક.
બીજી વાત ભવિષ્યના વિચારો આવી રહ્યા છે. ભવિષ્યના વિચારોનો કેન્દ્રમાં કોણ? નાયક કોણ? તમે. હું આમ કરીશ, ને હું આમ કરીશ. હવે ભવિષ્યના વિચારોનો જે મૂળનાયક છે એ મૂળનાયક કેટલો સમય રહેવાનો ખબર ખરી? તમે કેટલા સમય આ પૃથ્વી ઉપર રહેવાના છો? એ તમને ખબર છે? તો ભવિષ્યના વિચારોનું કોઈ પ્રયોજન ખરું? ભૂતકાળની ઘટના ઘટી ગઈ. વિચારોનું હવે પ્રયોજન નથી. ભવિષ્યકાળના પર્યાયો કેવા ખુલવાના તમને ખબર નથી. તમે ગમે તેટલા વિચારો કરો, તમારાં પર્યાયો ખુલવાના છે એ જ રીતે ખુલવાના છે. તો પછી વિચારની ભવિષ્ય માટે પણ આવશ્યકતા ખરી? હા, માત્ર શુભભાવ તમે ભાવી શકો છો. મારે આ સાધના કરવી છે, મારે તપશ્ચર્યા કરવી છે. એવો શુભભાવ તમે ભાવી શકો છો, કે કદાચ એ શુભભાવ પરિપૂર્ણ ન થાય તો પણ એનું પુણ્ય તમને મળી શકે છે. એમ નાગકેતુ ગયા જન્મમાં અઠ્ઠમ કરી ન શક્યા પણ એનું પુણ્ય એમને મળી ગયું.
તો ભૂતકાળના જે પણ પર્યાયો ખૂલી ગયા, વિચારોનું પ્રયોજન ખરું કોઈ એમાં? નહિ. ભવિષ્યકાળના જે પણ પર્યાયો ખુલવાના છે, વિચારોનું પ્રયોજન ખરું ત્યાં? તો તમારો જ વિચાર એમ કહે છે કે વિચારો નકામા છે. કાંટાથી કાંટો નીકળી ગયો. એક માર્ગ આ છે. માત્ર વિચાર કરો કે વિચારોનું પ્રયોજન શું છે? અને બુદ્ધિશાળી માણસ નકામી પ્રવૃત્તિ કરે નહિ.
એકવાત તમને પૂછું, આ જન્મમાં તમે જેટલા વિચારો કર્યા છે એ વિચારો દ્વારા તમારી ENERGY કેટલી વેસ્ટ થઇ? તમારો સમય કેટલો વેસ્ટ ગયો? હિસાબ તો લગાવો. અનંતા જન્મોની વાત તો પછી. આ જનમમાં. એક દિવસમાં વિચાર કેટલો સમય બોલો? જાગતા હોય ત્યારે વિચાર જ વિચાર. દસ-બાર કલાક તો વિચાર છે જ. ઊંઘમાં સપનું આવ્યું, એટલે પાછા વિચાર આવી ગયા. રોજના પંદર કલાકના વિચારો તમે ગણો. એથી ય વધારેના વિચાર છે. તો આખા વરસના કેટલો સમય વિચાર કર્યો? અને એ વિચાર સાવ નકામાં હતા. સાવ અપ્રસ્તુત હતા. એમાં તમારો આત્મ-ઉપયોગ કેટલો નકામો ગયો! જે આત્મ-ઉપયોગને તમે તમારી ભીતર લઇ જવા માટે કામમાં લેવાના હતા એને જ તમે બહાર જવા માટે ઉપયોગમાં લઇ લીધો. તો તમારી ઉપયોગ રૂપી energy વેસ્ટ થઈ. તમારો સમય વેસ્ટ થયો.
આજનો માણસ કહી દે મુંબઈમાં રહેનારો. સમયનો અભાવ છે. તો સમયનો અભાવ છે. વિચાર બંધ કર પહેલા. મેં હમણાં મારી એક વાચનામાં પૂછેલું? કે તમે જે વિચારો કરો છો એ પૈકીના વિચારો માટે આમ પૂછું કે ૯૯ ટકા નકામા કે ૧૦૦ ટકા નકામા? હમણાં જ મેં એક વાચનામાં પૂછેલું. જવાબ એ મળ્યો કે ૧૦૦ ટકા અમારા વિચારો નકામા છે. પણ ૧૦૦ ટકા વિચારો નકામા છે તો શા માટે કરો છો? તો પહેલા માર્ગ આ નિર્વિકલ્પ થવાનો. કે વિચારો દ્વારા વિચારોની બિનજરૂરીયાત ને સમજી વિચારોને રોકો. મારે તમને સ્વિચ આપવી છે કે વિચારને કેમ ઓફ કરી શકાય.
હકીકતમાં વિચાર તમારી પોતાની સંઘટના છે જ નહિ. તમે ચિદાકાશમાં છો, વિચારો ચિત્તાકાશમાં છે. તમારે વિચારને કંઇ લેવા-દેવા નથી. હકીકતમાં છે ને વિચાર ખરાબ નથી. વિચાર એટલે શું? મનોવર્ગણાના પુદ્ગલો. એ પુદ્ગલો તો પુદ્ગલ છે. જડ છે. તમે એમાં ભળો છો ત્યારે નુકશાન પેદા થાય છે. એ નુકશાન એનું નથી, નુકશાન તમારું છે. નુકશાન વિચારો પેદા નથી કરતા, નુકશાન તમે પેદા કરો છો. આ પરમાણુઓ જે છે એ તો ફર્યા જ કરતા હોય છે. કોઈ માણસ અહંકારી છે. એ અહંકાર કરી અને શાંત થશે ત્યારે અહંકારના જે વિચારો હતા; વિચારો વિખેરાશે. એ વિચારો વિખેરાયા એટલે એને આપણે મનોવર્ગણાના પરમાણુઓ કહીએ છીએ. એ મનોવર્ગણાના પરમાણુઓ તમારી આજુબાજુ ફરતા આવે. હવે તમે neutral હશો, તટસ્થ હશો, શાંત હશો તો એ પરમાણુઓ તમે નહિ પકડો. પણ તમે જો સહેજ અહંકારની મુદ્રામાં હશો તો પેલા પરમાણુઓને તમે પકડી લેશો.
એટલે આજના મનોવૈજ્ઞાનિકો કહે છે, આપણી આજુબાજુમાં બે ઊર્જાઓનો સમુદ્ર પડેલો છે. એક positive ઊર્જાઓનો સમુદ્ર. એક negative energy નો સમુદ્ર. લાખો-કરોડો નહિ, અબજો માણસો નિરાશ થયા છે. અને અબજો માણસોએ નિરાશાના વિચારો કરી-કરીને જે બહાર ફેંકેલા છે એને કારણે negative energy નો આખો એક સાગર ઉભરાઈ ગયો છે. અને અમારા જેવા સંતોએ જે positive ઉર્જા છોડેલી છે એના કારણે positive ઉર્જાનો પણ એક સાગર છે. તો હવે તમારે કઈ receive કરવી છે? જેમ તમારાં રેડીયોમાં, ટીવી માં વ્યવસ્થા છે કે volume ફેરવી તમે station બદલી શકો છો. એમ અહિયાં પણ volume જ બદલવાનો છે. તમે એકદમ અકારણ પ્રસન્ન બની ગયા, positive મુદ્રામાં આવી ગયા, તો તમારું મન જે છે એ positive energy ને પકડવા માંડશે. તમે અકારણ પણ નિરાશ થયા, પછી જોઈ લો નિરાશાનું આખું વર્તુળ ચાલ્યા કરશે.
તો વિચારો બહુ ખરાબ નથી. વિચારો સાથે તમારી સાંઠ ગાંઠ ખરાબ છે. વિચારોને પકડવા માટે તમે તો સ્વતંત્ર છો તો તમે કેવા વિચારોને પકડશો હવે? હવે સમજાઈ ગયું. Negative વિચારો પણ છે, positive વિચારો પણ છે. તો positive મનની મુદ્રામાં આવ્યા, તમારું મન જે છે positive વિચારોને જ પકડવાનું છે. તમે negative મનની મુદ્રાઓમાં આવ્યા તો તમારું મન negative વિચારોને જ પકડવાનું છે. Now choice is yours.
શંખેશ્વરમાં તમે હોવ, દાદાના દરબારમાં હોવ. અહિયાં હોવ. પરિસરમાં ફરતા હોવ. હું નથી માનતો કે તમને અશુભ વિચાર ક્યારેય પણ આવે? કારણ, દાદાની પાસે ગયા એકદમ વિચારો શુભ થઈ ગયા, મનનો એક લય પકડાઈ ગયો શુભનો અને મનનો શુભનો લય પકડાઈ ગયો તો શુભનો લય ચાલ્યા પણ કરે. તમારે કામ એક જ કરવું છે. કે તમારું મન સતત શુભયોગોમાં રહે. એ જ કામ માત્ર તમારે કરવું છે. બાકીનું કામ બધું પ્રભુ સાંભળી લેશે. એટલે જ હું કહેતો હોઉં છું. ૯૯%grace 1% effort. તમારો પ્રયત્ન માત્ર આટલો, મનને શુભયોગમાં રાખવાની કોશિશ કરો. અશુભ પ્રવૃત્તિ ભલે હોય મનને અશુભ બનાવવું નથી. કદાચ દુકાને પણ ગયા છો. ધંધો કરી પણ રહ્યા છો પણ મનમાં એ જ વિચાર હોય કે શ્રાવક છું અને કુટુંબનું પોષણ કરવાનું છે માટે મારે આ કરવું પડે છે પણ અનીતિ તો કરવા જેવી નથી જ. એ immorality તો હું કોઈ કાળે કરીશ જ નહિ. તો શું થયું? એ વખતે પણ તમે શુભભાવોને સાચવી રાખ્યા. તો પહેલી વાત આ, વિચાર દ્વારા વિચારોને જોવાના અને વિચાર દ્વારા વિચારોને કાઢી નાંખવાના.
બીજી વાત એ છે કે તમે દ્રષ્ટા બની જાઓ અને વિચારોને દ્રશ્યકોટિમાં મૂકી દો. વિચાર તમે નથી. તમે ચૈતન્યમૂર્તિ છો. તમે માત્ર દ્રષ્ટા છો. You are only the observer. તમે માત્ર ને માત્ર દ્રષ્ટા છો. અષ્ટાવક્રઋષિ કહે છે, તું માત્ર દ્રષ્ટા છે જનક. “एको दृष्टासि सर्वस्य मुक्तप्रयोऽसि सर्वदा । अयमेव हि ते बन्धो दृष्टारं पश्यसीतरम् ।। તું માત્ર દ્રષ્ટા જ છે. તારે માત્ર જોવાનું જ છે. પછી જનક રાજા અસ્ટાવક્ર ઋષિ ને પૂછે છે, તો પછી કર્મબંધ ક્યાંથી થાય છે? “अयमेव हि ते बन्धो दृष्टारं पश्यसीतरम् ।।” તું દ્રષ્ટા તરીકે તારા શરીરને કલ્પે છે, દ્રષ્ટા તરીકે તારા મનને કલ્પે છે. ‘હું’ નું પ્રતિરોપણ તું મનમાં કરે છે, ‘હું’ નું પ્રતિરોપણ તું શરીરમાં કરે છે. આના કારણે જ તું કર્મબંધ કરે છે. તું ચૈતન્યમૂર્તિ છે. તું માત્ર દ્રષ્ટા છે. તું વિચારોને પણ જોતો થઈ જા. શરીર દ્વારા થતી ક્રિયાઓને પણ જોતો થઈ જા.
સવારે નાસ્તો કોણે લીધેલો? હવે બોલવામાં જ ફરક પડી ગયો ને આમ? નાસ્તો કરવા જાઓને. હમણાં બોલવાનું તો નથી પણ વિચાર આવે ને કે શરીરને નાસ્તો આપવા જાઉં છું. ‘હું’ નાસ્તો કરવા જાઉં છું એમ બોલો? ‘હું’ ચા પીવા જાઉં છું, એમ બોલો? કે શરીરને પીવડાવવા માટે જાઉં છું એમ બોલો? મનમાં વિચાર શું આવે એ તો કહો? Thinking નહિ ફરે ને તમારું ત્યાં સુધી કામ નહિ આવે. ખાવાનું કોને જોઈએ? તમારે? સિદ્ધશિલા પર ખાવાનું જોઇશે પછી. તમે અણહાર દશામાં છો, તમારે ખાવાનું જોઈતું નથી. શરીરને ખાવાનું, શરીર ખાઈ લે.
હું ઘણીવાર કહું, તમે બોસ તરીકે ચેરમાં બેઠેલા છો, નોકરને કહ્યું પાણી લઇ આવ. એ ફ્રીઝ પાસે કે માટલી પાસે જશે. તમે પાછળ પાછળ જવાના? કેમ? નોકરનું કામ નોકર કરે. એમ શરીરને ખાવાનું કેટલું? શરીર ખાઈ લેશે. એમાં હું તમને ગેરંટી આપું. તમે કદાચ વાચનાના વિચારોમાં હોવ, કે દાદાના વિચારોમાં હોવ અને તમે ખાવા બેસો. મારી ગેરંટી. કોળિયો હાથમાં ભરાવાનો, મોઢામાં જ ઠલવાવાનો નાકમાં કે કાનમાં, આંખમાં નહિ જવાનો મારી ગેરંટી. હવે તમારે મનને ત્યાં હાજર રાખવાની જરૂર ખરી? શા માટે મનને ત્યાં હાજર રાખો છો? શરીર શરીરનું કામ કરી દેશે. તમે તમારું કામ કરો. Division પાડો.
“अयमेव हि ते बन्धो दृष्टारं पश्यसीतरम् ।।” તો તમે દ્રષ્ટા છો. હવે જુઓ. ચા પીધું શરીરે એના તો તમે દ્રષ્ટા ખરા. મનમાં વિચારો આવે ને તેના પણ દ્રષ્ટા તમારે બનવાનું છે. શરીરના ક્રિયાકલાપના દ્રષ્ટા તો તમે બની ગયા. મનમાં જે વિચારો આવે છે એના પણ તમારે દ્રષ્ટા બનવાનું છે. ચા પીતા હતા. ચા ટેસ્ટી હતી. તમારાં ટેસ્ટને અનુરૂપ હતી. બની શકે એક મન તમારું આસક્તિમાં ગયેલું પણ હતું. એ વખતે તમે પોતે દ્રષ્ટા તરીકે હાજર હતા ત્યાં? શરીર ચા પીએ છે એ પણ તમે જોતા હતા અને તમારું એક મન સંજ્ઞાવાસિત મન આસક્તિ કરે છે ચા માં એ પણ તમે જોતા હતા. આટલે સુધી division પાડવાનું છે. અને આસક્તિનો વિચાર તમારો વિચાર નથી, એ અનાદિની સંજ્ઞાથી પ્રદુષિત થયેલા મનનો વિચાર છે.
તો વિચાર થયો દ્રશ્ય, તમે થયા દ્રષ્ટા બરોબર? હવે દ્રશ્ય અને દ્રષ્ટા ક્યારેય એક થવાના ખરા? ટેબલ મારી સામે છે. ટેબલનો ઉપયોગ હું કરી શકું. ટેબલ એટલે ‘હું’ થવાનો ખરો? એમ વિચારો એટલે ‘હું’ એમ થવાનું ખરું? કદાચ શરીર એટલે ‘હું’ ની ભૂમિકા ઉપર તમે આવી શકશો. તમારાં વિચારો એ પણ તમે નથી જ.
અને એટલે હું બે મનની વાતો કરું છું. એક સંજ્ઞાવાસિત મન. એક આજ્ઞાવાસિત મન. સંજ્ઞાવાસિત મન તમારી પાસે છે, જે અનાદિકાળથી સંજ્ઞાઓથી પ્રદુષિત બનેલું છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા એ ભેગું કર્યા જ કરે પછી. શેના માટેનું? ખ્યાલ જ ન હોય પછી. શેના માટે? એનું ખ્યાલ જ નથી. ભેગું કર્યા જ કરું. અનાદિની સંજ્ઞા છે. એની સામે એક આજ્ઞાવાસિત મનને તૈયાર કરો. જે દ્રષ્ટા તરીકે ઉગેલો હોય. નહિ આ ન કરાય. આ વિચાર પ્રભુની આજ્ઞાને સંમત નથી, એટલે એક સાધક તરીકે મારું મન આ વિચારને કરી ન શકે. સાધકનું શરીર પ્રભુએ ન કહ્યું એવું કરી ન શકે, એમ સાધકનું મન પ્રભુએ કહ્યું ન હોય એવું વિચારી પણ ન શકે.
તો વિચારોથી તમારે છુટા પડવું છે. વિચારોના દ્રષ્ટા બનો. આ ચા પીતા સરળ બનશે. અને જમતા પણ સરળ બનશે. કારણ કે રાગની ધારામાં આવેગ એટલો પ્રબળ નથી હોતો કે તમે તમારી ચેતનાને એકાકાર કરીને બેસી ગયા હોવ. ત્યાં તમારી એક ચેતનાને છૂટી પાડી શકો છો. પણ જો તીવ્ર ક્રોધનો ઉદય આવશે અને એમાં તમે ભળી ગયા તો એ વખતે એ તીવ્ર ક્રોધના ઉદય વખતે તમે દ્રષ્ટા તરીકે કદાચ બહાર નહિ નીકળી શકો. પણ શરૂઆત કરો રાગથી. પછી તો સુક્ષ્મ પણ અહંકાર આવશે તમે જાતે પકડી લેશો. અહંકાર આવી ગયો, આ અહંકાર ન ચાલે, આ ક્રોધ ન ચાલે.
સ્વામી રામની વાતો હું ઘણીવાર કરતો હોઉં છું. સ્વામીરામ પોતાના શરીર માટે રામ શબ્દનો ઉપયોગ કરતા. રામ એટલે કોણ “આ”. લોકો રામ તરીકે એને બોલાવે છે. પણ ‘હું’ રામ નથી. ‘હું’ ચૈતન્યમૂર્તિ છું. એકવાર બહારથી આવેલા અને હસતા હતા. કોઈકે પૂછ્યું શું થયું? કહે આજ તો મજા આવી ગઈ કહે છે. એક જણો રામને ગાળો આપતો હતો, ‘હું’ જોતો હતો. રામને એ ગાળો આપતો હતો, ‘હું’ જોતો હતો. ગાળો આપનાર એક, ગાળો ખાનાર આ, ‘હું’ ખાલી જોનાર!
વિનોબાજીએ પણ છેલ્લા સમયમાં બહુ મજાની વાત કરી હતી. એમણે પોતાના માટે ‘હું’ શબ્દનો પ્રયોગ બંધ કરી નાંખેલો. ‘હું’ શબ્દ જ ન આવે એમના પ્રવચનમાં. આજ સુબહ બાબાને એસા સોચા થા. મેને સોચા થા એમ નહિ. બાબાને એસા સોચા થા. આજ બાબા એસા બોલ રહા હે. મૈ બોલ રહા હું એમ નહિ. તો આ ફાવશે? વિચારને જોવાનું?
બે માર્ગો આપણે જોયા. ગમી ગયા બે માર્ગો? ગમી ગયા ભાઈ? વિચારથી વિચારને કાઢવાનો એક. ત્યાં તમે પણ વિચારની ભૂમિકામાં છો. હવે ભૂમિકા બદલાઈ ગઈ. તમે દ્રષ્ટા બની ગયા, વિચાર દ્રશ્ય બની ગયું. તો દ્રષ્ટા તરીકે માત્ર તમારે વિચારોને જોઈ રહ્યા છો. તમને જે ઠીક લાગે એનો સ્વીકાર કરો છો, ન ઠીક લાગે એનો અસ્વીકાર કરો છો. એટલે કયા વિચારોને તમારે અંદર લેવા? કયા ન લેવા તમારાં હાથમાં છે.
રાત્રે તમે સૂતા હોવ તમારી રૂમમાં. પંખો ચાલુ હોય કે બારી ખુલ્લી હોય. સવારે ચાર વાગે ઠંડી વધી ગઈ એકદમ. પંખો ઓફ કરો અથવા બારી બંધ કરી દો. તો શું થયું? તમારાં હાથમાં એક નિયંત્રણ છે. તમે ધારો ત્યારે પવનને લાવી શકો. તમે ધારો ત્યારે પવનને બંધ પણ કરી શકો. પણ કોઈ તંબુમાં કે ફૂટપાથ ઉપર હોય તો શું કરે? એની પાસે કોઈ નિયંત્રણની અવસ્થા નથી. તમારી પાસે એક નિયંત્રણની વ્યવસ્થા મુકવી છે મારે. કે શુભ વિચારો આવે છે તો આવવા દો. ગરમી છે ઠંડક લાગે છે ભલે હવા ઠંડી આવતી વાંધો નહિ. જે ક્ષણે ઠંડી વધી ગઈ બારી બંધ કરી દો. તો શુભ વિચારો આવે છે આવવા દો. મોનીટરીંગ તમારાં હાથમાં જોઈએ. જે ક્ષણે શુભવિચારો, અશુભવિચારોમાં પલટાયો એ ક્ષણે સ્વિચ ઓફ કરી દો. આમાં અઘરું શું છે બોલો? કયો વિચાર શુભ, કયો અશુભ તમને ખ્યાલ છે.
અત્યારે તમે એમ કહો છો સાહેબ શું કરીએ? વિચાર આવી જાય છે, ઘુસી જાય છે. કારણ ફૂટપાથ ઉપર બેઠેલા છો. એ ગાય પણ આવી જાય, કુતરું આવી જાય, શું કરો તમે? ને મકાનમાં બેઠેલાં હોય તો શું થાય પછી? આ તો મકાનમાં બેસી જવું છે. આ દ્રષ્ટાભાવનું મકાન છે. વિચારો દ્રશ્ય છે. જે વિચારો સારા છે આવવા પણ દો. જે ક્ષણે વિચાર શુભમાંથી અશુભમાં ગયો. સ્વીચ ઓફ કરી દો .બારી બંધ. પણ ‘હું’ મન છું આ ભુમિકા ઉપર હશો તો તમે નહિ કરી શકો. તમે ફૂટપાથ ઉપર છો પછી. મારે તમને ફૂટપાથ પરથી મજાના લક્ઝુરીયસ ફ્લેટમાં લાવવા છે. તૈયાર છો? ભાઈ તૈયાર? કે ફૂટપાથ ગમી ગઈ છે બહુ? લક્ઝુરીયસ અપાર્ટમેન્ટ આપી દઈએ બોલો મજાનો. બધું જ તમારાં હાથમાં જ હોય. ઠંડી હોય તો ગરમી લાવી શકો અને ગરમી હોય તો ઠંડી લાવી શકો. બધું જ કરી શકો. તમારાં હાથમાં બધું. માત્ર જાગૃતિ. તો વિચારોના પણ તમે જોનાર બન્યા. પહેલામાં આપણે વિચારોથી વિચારને કાઢેલા.
બીજામાં શું થયું વિચારના આપણે દ્રષ્ટા બની ગયા. દાદાના દરબારમાં બેઠા છો. શુભભાવને આવવા છે આવવા દો કોણ ના પાડે છે? એકદમ શુદ્ધમાં તમારે જવાનું છે ત્યારે શુભ ઓટોમેટિકલી નીકળી જશે, શુભને કાંઈ કાઢવાની જરૂર હોતી નથી. હું પોતે વ્યવહારમાર્ગનો ચુસ્ત પક્ષધર માણસ છું. નિશ્ચયનો પારદ્રશ્વા છું પણ વ્યવહારનો ઊંડો સમર્થક માણસ છું. હું સ્પષ્ટ માનું છું કે આપણી જે સાધના પદ્ધતિ પ્રભુએ આપેલી છે. બેમિશાલ, લાજવાબ. વ્યવહાર અને નિશ્ચયનું આવું બેલેન્સીંગ દુનિયાની કોઈ સાધના પદ્ધતિમાં હજુ સુધી મેં જોયું નથી. મેં અનેક સાધના પદ્ધતિઓ મૂળમાં જઈને જોઈ લીધી. ક્યાંક નિશ્ચયની સરસ વાતો છે, ઊંડી વાતો છે. વ્યવહારનું ફોરમેટ નથી આપી શકતા એ લોકો, ક્યાંક વ્યવહારનું ફોરમેટ સારું છે પણ નિશ્ચયની વાતો જ નથી ત્યાં. આ વ્યવહાર શેના માટે એ તો નક્કી કરો.
પ્રભુની સાધના પદ્ધતિએ વ્યવહાર અને નિશ્ચયનું એક મજાનું ફોરમેટ, એક મજાનું બેલેન્સીંગ આપણને આપ્યું. અને મારે એ બેલેન્સીંગની વાત તમારી જોડે કરવાની છે. એ બેલેન્સીંગનું બહુ જ અદ્ભુત સૂત્ર સવાસો ગાથાના સ્તવનમાં ઉપાધ્યાય યશોવિજય મહારાજે આપી, “નિશ્ચયદ્રષ્ટિ હૃદયે ધરીજી જે પાળે વ્યવહાર”. નિશ્ચયની દ્રષ્ટિને હૃદયે રાખીને જે વ્યવહારમાર્ગને પાળે છે. “પુણ્યવંત તે પામશેજી ભવસમુદ્રનો પાર” મારે તમને પૂછવું છે, કે પ્રભુની સાધનાપદ્ધતિમાં નિશ્ચય અને વ્યવહારનું અજોડ બેલેન્સિંગ છે. તમારી પાસે એ છે?
એક જાગૃત સાધક તરીકે તમે તમારી જાતને પૂછો. કે તમારી પાસે આવું બેલેન્સીંગ છે? નિશ્ચય વ્યવહારનું? સામાયિક કર્યું. શેના માટે કર્યું? સમભાવ માટે સામાયિક કર્યું એટલે શું થયું? નિશ્ચય-વ્યવહારનું બેલેન્સીંગ થયું. પણ સમભાવ નથી આવતો એટલે સામાયિક છોડી દઉં. એ વાત ખોટી પાછી. ક્રિયામાર્ગને છોડવાનો નથી જ. ક્રિયામાર્ગને પરફેક્ટ કરવાનો છે. કપડાં ઉપર ડાઘ પડે તો કપડું સાફ કરવાનું છે, કપડું કાઢવાનું નથી કાંઈ. તમે કાઢીને ફરવાના નથી. નિશ્ચયનયાભાસવાળા તમને એ જ કહેશે. આટલી ક્રિયા કરી, તમે આટલા અનુષ્ઠાનો શું મળ્યું? છોડીએ. નહિ.. એક પણ ક્રિયા છોડવાની નથી. અનુષ્ઠાન ભગવાને એકદમ પ્રોપર્લી-પરફેક્ટ આપેલા છે. હવે એને પ્રોપર્લી કે પરફેક્ટલી કેમ કરવા એ આપણે જોવાનું છે. એટલે આપણી સાધનામાં વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સીંગ આવવું જોઈએ.
હું ઘણીવાર કહું છું કે ક્યાંક એવું બન્યું છે કે સીડી એ લોકોએ તોડી નાંખી છે. અને વાત કરે છે ફર્સ્ટ ફ્લોર ઉપર જતા રહો. ફર્સ્ટ ફ્લોર ઉપર બહુ મજા છે. અને સીડી તોડી નાંખી છે. ભાઈ સીડી વિના આટલો high jump કોણ લગાવી શકે…? કયાંક એવું બની ગયું છે કે સીડી છે અને પહેલો માળ પણ છે. મજાનો છે ફર્સ્ટ ફ્લોર. પણ અમુક માણસો સીડીમાં જ ઘર કરીને બેસી ગયા છે. મોટું પગથીયું આવ્યું ઘર આવી ગયું આપણું. મંઝીલ આવી ગઈ એ કહે છે. આપણી સાધનામાં આ ભૂલો નહિ ચાલે. સીડી એટલે વ્યવહાર. ફર્સ્ટ ફ્લોર એટલે નિશ્ચય. વ્યવહાર વિના નિશ્ચય નથી. પણ જો નિશ્ચય નથી. વ્યવહાર ક્યાંથી છે પછી? તમે સીડીમાં જ, પગથિયામાં ઘર કરીને બેસી ગયા. તો ફર્સ્ટ ફ્લોર તમને ક્યાંથી મળવાનો?
તો તમારી એક-એક ક્રિયાને આપણે સપ્રાણ બનાવવી છે. એટલે આપણે આ ચર્ચા હવે ભેગી જ રાખવાની છે કે આપણું એક-એક અનુષ્ઠાન સપ્રાણ કેમ બને. તમે કરેમિ ભંતે લીધું. ગુરુદેવે તમને કરેમિ ભંતે સૂત્ર ઉચરાવ્યું. અને એક શબ્દ શક્તિપાત મળ્યો. છતાં તમે એ અડતાલીસ મીનીટમાં પણ સમભાવમાં ન રહી શકો, વિભાવમાં જતા રહો એ ચાલી ન શકે.
એટલે હું ઘણીવાર કહું છું, કે બે જાતના સાધકો હોય છે. એક તો મંઝીલને સામે રાખીને ચાલનારા સાધકો. બીજા મોર્નિંગ વોક કરનારા સાધકો. ડોકટરે કહ્યું મોર્નિંગ વોક કરવાનું પાંચ કિલોમીટર. તો શું કરે? અઢી કિલોમીટર જાય અઢી કિલોમીટર બેક ટુ હોમ. પછી એમાં એને માર્ગ પસંદ કરવો નથી. આ માર્ગ સારો. જે રોડની સરફેસ સારી એ માર્ગ આપણો કહે છે. આપણે ક્યાં કઈ જગ્યાએ પહોંચવું જ છે. પણ જે નક્કી કરે કે મારે અહીયા જવું જ છે એ પછી એકદમ કાંકરાવાળો કે ખાડા-ખરબચડાવાળો રોડ હશે તો પણ જશે. કારણ, મારી મંઝીલ આ માર્ગ ઉપર મળવાની છે. તો તમે મોર્નિંગ વોક કરનારા સાધકો છો. કે મંઝીલને સામે રાખીને ચાલનારા સાધકો છો? તિથીએ એકાસણું-આયંબિલ કરી લીધા, બે સામાયિક કરી લીધા, સવાર-સાંજનું પ્રતિક્રમણ કર્યું. અષ્ટપ્રકારી પૂજા કરી. આ તો મોર્નિંગવૉક થઇ ગયું. મંઝીલ કઈ પકડાઈ આમાં? મંઝીલ કઈ પકડાઈ? યાદ રાખો, નિશ્ચય એટલે શુદ્ધદશા. શુદ્ધદશા એટલે તમારાં ગુણોનો સંસ્પર્શ. તમારાં ગુણોની અનુભૂતિ. સમભાવ તમારો ગુણ. વિતરાગદશા તમારો ગુણ. જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ તમારો ગુણ. એ ગુણ સાથે તમે જોડાવો. તો જ તમે નિશ્ચયમાં આવ્યા, શુદ્ધમાં આવ્યા. એટલે વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે. સાધન વગર સાધ્ય નકામું, સાધ્ય વગર સાધન નકામું.
અદ્ભુત સાધનાપદ્ધતિ આપણને મળી છે. એ સાધનાપદ્ધતિને પણ સમજવી છે અને આપણે આ નિર્વિકલ્પદશામાં કેમ જવું એના માટે પણ સમજવું. બે વાતો આજે બતાવી તમને, એને પ્રેક્ટીકલી ઘૂંટજો તમે. આજે જમવા જવાના છો હવે. અડધો પોણો કલાક ધ્યાન કરીને પછી ક્યાં જવાના? જમવા. એ વખતે ટ્રાય કરજો. આસક્તિ ન ઉઠે તો બેટર-બેસ્ટ. આસક્તિ ઉઠી ગઈ તો આસક્તિને જોનાર હું છું. હું જોઉં છું. આપણે પ્રેક્ટીકલ શરૂ કરીએ.