Maun Dhyan Sadhana Shibir 12 – Vanchan 6

1 View
41 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : દ્રષ્ટાભાવ

પરસંગ ત્યાગ લાગ નિજ રંગે. પરના સંગનો ત્યાગ = પરમનો સંગ. અને પરમના સંગ દ્વારા નિજનો રંગ, નિજની અનુભૂતિ. એ નિજનો રંગ, એ સ્વાનુભૂતિનો taste કેવો છે? આનંદ વેલી અંકુરા. સ્વાનુભૂતિસંપન્ન મહાપુરુષોમાં જે પણ આનંદ બહાર દેખાય એ આનંદની અંદર, એ આનંદની વેલડીની નીચે અંકુરા તરીકે, બીજ તરીકે હોય છે એમની એ સ્વાનુભૂતિ.

તમે જ્ઞાતા અને દ્રષ્ટા બન્યા એનો મતલબ શું થયો? તમે કર્તા નથી. તમારું જ્ઞાન અત્યાર સુધી જ્ઞેયો તરફ ફંટાયેલું છે – પદાર્થો તરફ, વ્યક્તિઓ તરફ, પર એવા આ શરીર તરફ. તમારું એ જ્ઞાન જ્ઞાતા તરફ જાય, જ્ઞાયક તરફ જાય એ જ્ઞાતાભાવ કહેવાય. દ્રષ્ટાભાવ એટલે કે હું માત્ર જોનાર છું. તમે માત્ર જાણનાર છો, જોનાર છો; વિભાવની અંદર થઇ રહેલી કોઈ પણ ક્રિયાના કર્તા તમે નથી.

દ્રષ્ટાભાવનું સૂત્ર એ છે કે તમે પદાર્થને માત્ર જુઓ. એ સારો છે કે ખોટો છે – એ રીતે ન જુઓ. પદાર્થને સારો કે ખરાબ તમે માનો છો એટલે રાગ-દ્વેષ થાય છે. અને એ રાગ-દ્વેષ તમારી ભીતર કર્મબંધને ઉત્પન્ન કરે છે. તમે માત્ર દ્રષ્ટા બની જાવ. આ બધું જ દ્રશ્યજગત જે છે, એને માત્ર જોવાનું છે; એમાં રાગાત્મક કે દ્વેષાત્મક રૂપે ક્યાંય તમારે જવાનું નથી.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના

પૂજ્યપાદ કલાપૂર્ણસૂરિદાદા જેવા સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષનું જ્યારે પણ દર્શન થતું; દર્શક અવાક્ થઇ જતો. આ સ્મિત! આ મુક્ત હાસ્ય! એની પાછળનો આનંદ કેવો તો અદ્ભુત હશે! ક્યારેક એવી ક્ષણોમાં એ આનંદનું પગેરું લેવાનું મન થાય કે આવો દિવ્ય આનંદ જે પુરા અસ્તિત્વમાં વિલસી રહ્યો છે. Bodyથી, ચહેરાથી જે અભિવ્યક્ત થઇ રહ્યો છે, એ કઈ રીતે મળેલો?

મહોપાધ્યાય યશોવિજય મહારાજે એક પદની અંદર આની બહુ જ મજાની અભિવ્યક્તિ આપી છે. “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા, નિજ અનુભવ રસ લાગે મીઠો, જિમ ઘેબર મેં છુરા” પહેલા પદનો સામાન્ય અર્થ કરીએ, પછી થોડાક ઊંડાણમાં જઈએ, પરસંગ ત્યાગ લાગ નિજ રંગે – પરના સંગને છોડીને સત્વના-પોતાના રંગમાં જવું છે. એ પોતાની અનુભૂતિ કેવી છે? “આનંદ વેલી અંકુરા” આનંદની જે વેલડી બહાર પણ દેખાઈ રહી છે, એના અંકુરા રૂપ એ અનુભૂતિ છે, સત્વની. અને એટલે જ કહ્યું, નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છુરા” સ્વાનુભૂતિનો રસ એકદમ મીઠો મીઠો છે. કેવો મીઠો? ઉપમા આપે છે – ‘જિમ ઘેબર મેં છુરા’ ઘેબર બહુ મોટું આવતું. એ મીઠાઈ છે. ચાસણીથી લદોલદ ભરાયેલ હોય, એ મોટું ઘેબર હોય, એક વ્યક્તિ તો એને ખાઈ શકે નહિ, ટુકડા કરવા પડે એના. એ ટુકડા કરવા માટે છરી અંદર નાંખો. તો છરી પણ ચાસણીથી એટલે કે ઘી અને સાકરથી એકદમ લતપત થઇ જાય. તો પોતાનો અનુભવરસ સ્વાનુભૂતિનો રસ એટલો તો મીઠો છે, કે ઘેબરની અંદર છુરો નાંખીએ અને એ છરો જે રીતે મીઠાશથી ભરપુર થઇ જાય છે એમ ચૈતન્ય અનુભૂતિના રસમાં જ્યારે ઝબોળાય છે ત્યારે પૂરું ચૈતન્ય એકદમ અલગ આસ્વાદવાળું બની જાય છે. આ એનો સામાન્ય અર્થ થયો.

હવે જોઈએ આપણે.. પદને ખોલીએ. “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે” ભક્તના સ્તર પર આ સુત્રનો અનુવાદ એવો થશે, કે પરના સંગનો ત્યાગ, બરોબર પરમનો સંગ. અને પરમના સંગ દ્વારા નિજનો સંગ. એટલે પરસંગ ત્યાગ એનાથી પરમસંગની અનુભૂતિ, અને પરમસંગની અનુભૂતિથી નિજ અનુભૂતિ. જેમ-જેમ આપણી ચેતના પરના રસમાંથી મુક્ત થતી જાય, તેમજ આપણી એ ચેતનાને પરમના રસમાં મૂકી શકીએ.

મહોપાધ્યાય યશોવિજયજીની એક મજાની સ્તવના છે અને એ સ્તવનાના પ્રારંભમાં એ મજાની કેફિયત આપે છે, “મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરન રાગ” એ કહે છે મને મારા ભગવાનથી પૂર્ણ રાગ થઇ ગયો છે. પૂછીએ એમને કે પૂર્ણ રાગ એટલે શું? તો એ કહેશે, કે તમારી ચેતના, પુરી ને પુરી ચેતના, પ્રભુના ગુણોમાં અથવા પ્રભુના સ્વરૂપમાં એકદમ ઊંડે ઉતરી ગયેલી હોય તો જ તમે પ્રભુના પૂર્ણ રાગમાં કહેવાઓ. પ્રભુનો રાગ એ અલગ વસ્તુ થઇ. પ્રભુનો પૂર્ણ રાગ એ અલગ વસ્તુ થઇ. મને પ્રભુ ગમે છે પણ મને બીજું બધું પણ ગમે છે. તમે જ્યારે એવું કહો છો ત્યારે તમારી ચેતના કદાચ ૨-૫% પ્રભુમાં હોય, ૯૫% પરમાં હોય. પણ “મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરન રાગ” એનો અર્થ શું થયો? કે ભક્તની પુરી ની પુરી ચેતના પ્રભુની અંદર પહોંચી ગઈ છે. એટલે એ ભક્ત પણ ખાય છે, પીએ છે, શરીર છે માટે, પણ એનું શરીર ખાઈ લે છે, એનું શરીર પાણી પી લે છે, એનો ઉપયોગ, એની પુરી-પુરી ચેતના પરમાત્માની અંદર જ છે. પછી એ પરમાત્માના ગુણોમાં હોય કે પરમાત્માના સ્વરૂપમાં હોય. અને આ રીતે પુરી ચેતના જ્યારે પભુમય બને ત્યારે શું થાય? બહુ મજાની વાત પછી કરે છે, “પૂરણ મન સબ પૂરણ દિસે, નહિ દુવિધાકો લાગ, પાઉ ચલત પનહિ જ પહેરે, તસ નહિં કંટક લાગ.” જે ક્ષણે ઉપાધ્યાયજી ભગવંત કહે છે; મારી ચેતના પરમમય બની ગઈ, એ ક્ષણે મારી ચેતના પૂર્ણ આનંદમય બની ગઈ. પૂરન મન – હવે મારા મનમાં કોઈ અપૂર્ણતા ન રહી. પણ તમારું મન પૂર્ણ થયું કે નહિ, તમને ખબર શું પડે? તો કહે છે, પૂરન મન, પૂરન સબ દિશે. હવે બધું મને પૂર્ણ લાગે છે.

શ્રીપાળજીને ધવલશેઠ પણ પરિપૂર્ણ કેમ લાગેલા? એમની ચેતના પ્રભુમય થયેલી માટે. બહુ પ્યારી એ ઘટના છે, જે આપણે દર વર્ષે નવપદ ઓળીમાં સાંભળતા હોઈએ છીએ. શ્રીપાળ અને ધવલની. ક્યારેક ધવલશેઠને જેલમાં પૂરવા માટે રાજસેવકો લઇ જતા હોય. શ્રીપાળ એ જોઈ જાય, તરત કહી દે, એમને છોડી દો. એ મારા ઉપકારી છે. તમને ખ્યાલ આવે કે ધવલશેઠે શ્રીપાળ ઉપર કયો ઉપકાર કર્યો હશે? શ્રીપાળ રાજસેવકોને કહે છે, એમને છોડી દો, મુક્ત કરી દો, એ મારા ઉપકારી છે ને શ્રીપાળનો પ્રભાવ હતો ત્યાં… રાજસેવકો છોડી દે છે. પણ સવાલ એ છે કે ધવલશેઠે શ્રીપાળ ઉપર ઉપકાર શું કરેલો? કદાચ તમે એમ કહી દો, કે એમના વહાણમાં આવેલા ને, ચાલો ભાઈ accept કર્યું. એથી આગળ… મજાની વાત તો બહુ સરસ છે, શ્રીપાળ કુમારને થયેલું કે આ જન્મ માત્ર ને માત્ર સ્વાનુભૂતિ માટે છે. તમે તો નક્કી નથી કર્યું હજી સુધી હો…! આ જન્મ શેના માટે? સ્વાનુભૂતિ માટે.

લોકમાન્ય તિલકે ગર્જના કરેલી: સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ અધિકાર છે. તમે પણ કહી શકો, આ સ્વાનુભૂતિ, આ સમ્યગ્દર્શન એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. હું એને મેળવીને જ રહીશ. તો શ્રીપાળ કુમારને થયું, કે સ્વાનુભૂતિ જ મેળવવી છે. પણ હું સ્વાનુભૂતિની નજીક પહોચ્યો કે નહિ, ખબર શું પડે? જ્ઞાની ભગવંત હોય તો એમને ખ્યાલ આવે, મને શું ખ્યાલ આવે…? પણ એમને ખ્યાલ હતો, કે સ્વાનુભૂતિ જેમ-જેમ પ્રબળ થતી જાય, તેમ સમભાવ પણ પ્રબળ થતો જાય. તો હવે એ વિચાર કરે છે કે મારામાં સમત્વ કેટલું છે? અને એમાં પેલી ઘટના ઘટી, ધવલશેઠે વહાણમાંથી દરિયામાં એમને ફેંક્યા. શ્રીપાળકુમાર તો કાંઠે આવી ગયા. રાજાને ત્યાં નજીકમાં જ્યાં રાજ્ય હતું ત્યાં અધિકારી થઈને બેસી ગયા અને ધવલશેઠ ફરતાં-ફરતાં ત્યાં આવે, બંદર પર વેપાર કરવો છે, રાજાની અનુમતિ લેવા ગયા, જ્યાં રાજાની પાસે ગયા, રાજાની બાજુમાં જ અધિકારી તરીકે શ્રીપાળ બેઠેલા. ધવલશેઠના પેટમાં તેલ રેડાળું. આ માણસ ક્યાંથી આવી ગયો અહીંયા…?

પણ એ વખતે શ્રીપાળકુમારને ધવલશેઠને જોતા સહેજ પણ તિરસ્કાર આવતો નથી. આંખની અંદર લલાશનો ટીસ્યો પણ ફૂટતો નથી. અને ત્યારે શ્રીપાળકુમારને થયું, કે મારામાં થોડું પણ સમત્વ છે કે નહિ, એની પરીક્ષા ધવલશેઠે કરી, માટે મારા ગુરુ થઇ ગયા એ. આપણી પરીક્ષા કરે આપણા ગુરુ જ કહેવાય ને…? તમારા ગુરુ કેટલા? કોઈ કડવું વચન કહે, તમે ગુસ્સે ન થાવ, તમારો ગુરુ થઇ ગયો એ. કે મારામાં સમત્વ છે કે નહિ, એની પરીક્ષા એણે કરી. એમાં હું પાસ થઇ ગયો. તો શ્રીપાળકુમારની પાસે આ એક વાત હતી, પણ એનાથી ઉલટી બીજી વાત હતી, ધવલશેઠ પોતાના ઉપકારી છે, ગુરુ છે અને તમે એનું સન્માન કરો ત્યાં સુધી પણ વાત ઠીક છે. શ્રીપાળ એથી પણ આગળ વધ્યા. ચૈતન્યનો એમણે સમાદર કર્યો. Reverence for the life. જ્યાં ચેતના છે ત્યાં મારો આદર પહોંચવો જોઈએ. ત્યાં મારો મૈત્રીભાવ પહોંચવો જોઈએ.

આપણા યુગના સાધના મહિષી પંન્યાસજી ભગવંતે આપણને કહ્યું, કે આપણે પ્રભુના બે મોટા અપરાધ કર્યા છે. પહેલો અપરાધ તો એ, કે ચૈતન્યનો અનાદર કર્યો. જીવસત્તા જોડે આપણે દુશ્મની કરી. અને બીજી વાત એ કે જડની સાથે આપણે રાગ કર્યો. આ બે આપણે કરેલા પ્રભુના સૌથી મોટા અપરાધો છે. તો એનું પ્રાયશ્ચિત શી રીતે કરવું? જડ સાથે ઉદાસીનભાવ. ન રાગ, ન દ્વેષ. માત્ર દ્રષ્ટાભાવ જેને આપણે કહીએ તે… અને ચૈતન્યની સાથે મૈત્રીભાવ. જ્યાં ચેતના છે, ત્યાં તમારો મૈત્રીભાવ પહોંચવો જોઈએ. અને એમાં પછી મૈત્રીભાવ પછી પ્રમોદભાવ આવશે. જેટલા તમારા પરિચિત છે, મનુષ્યો કે સાધકો એ બધા પર તમને પ્રમોદભાવ આવે, એટલા માટે કે એ બધામાં રહેલા ગુણો તમને બહુ સારા દેખાય છે. બીજા બધા જ આત્માઓ ગુણવાન છે. બિલકુલ નિર્ગુણ હોય તો માત્ર એક હું છું. આ ભૂમિકા આવે ત્યારે જ પ્રભુના શાસનનો નિશ્ચયથી સ્પર્શ થાય. કારણ કે અનંતા જન્મોમાં એક જ વાત ઘૂંટી છે હું સારો, હું superior, હું શ્રેષ્ઠ. પછી બીજાને તમે સારા તો માન્યા, પણ ક્યારે માન્યા? તમારા ‘હું’ ની આરતી ઉતારનારા સારા. તમે આખી માણસ જાતને બે છાવણીમાં વહેંચી નાંખી. સારા, ખરાબ. સારા કયા? તમારા અહંકારને થાબડે તે. અને તમારા અહંકારને ખોતરે તે ખરાબ. તમને કયો right છે આ? તમે ક્યાં પૃથ્વીનું કેન્દ્રબિંદુ થઇ ગયા કે તમારા આધારે આખી જ મનુષ્યજાતનું વર્ગીકરણ થઇ શકે! તો આ જ આપણે ભૂલ કરી, હું સારો, હું સારો, હું સારો… પ્રાયશ્ચિત એનું એ છે, કે સૌથી અધમ હોય તો હું છું. અને બીજા બધા જ મારાથી અધિક ગુણવાન છે. તો આ reverence for the life. ચેતના પ્રત્યેનો આદર. એ આપણને મળે છે ક્યારે? આપણી ચેતના પ્રભુમય થાય છે ત્યારે. અને એટલે કહ્યું, “પૂરણ મન સબ પૂરણ દિસે, નહિ દુવિધાકો લાગ” કોઈ વ્યક્તિ તમને અપૂર્ણ લાગતી જ નથી હવે. લાગે છે?

કોઈનામાં કોઈ દોષ તમને દેખાય ને તો એ તમારા દ્રષ્ટિબિંદુની કચાશ છે. તમારી દોષદ્રષ્ટિને કારણે તમને બીજામાં દોષ દેખાય છે. હકીકતમાં એ વ્યક્તિ અનંતગુણોથી યુક્ત છે. મારા ચશ્માના ગ્લાસમાં ડાઘ હશે, તો મને સામે રહેલી વ્યક્તિના શર્ટ ઉપર પણ ડાઘ દેખાશે. નીચેની ફર્સ ઉપર પણ ડાઘ દેખાશે. પણ એ ડાઘ ત્યાંના નથી. મારા ચશ્માનાં ગ્લાસના છે. હું એ ગ્લાસને લુછી નાંખું, તો ક્યાંય ડાઘ છે નહિ, આપણી દોષદ્રષ્ટિને કારણે આપણે બીજા બધાના દોષોને જોઈએ છીએ.

દરેક વ્યક્તિ ભવિષ્યની સિદ્ધ છે. તમને કંઈ ખ્યાલ નથી કે આ ભવી છે કે અભવિ છે… આ મોક્ષમાં નથી જનારો. આપણે વ્યવહારથી બધાને ભવ્ય માનીએ. તો દરેક વ્યક્તિ ભવિષ્યમાં સિદ્ધ થવાની છે, તો એ ભવિષ્યના સિદ્ધને નમસ્કાર નહિ કરીએ…?! ભૂતકાળના સિદ્ધ ભગવંતોને નમસ્કાર. વર્તમાનકાળમાં મહાવિદેહમાંથી સિદ્ધિપદ પામે એમને નમસ્કાર અને ભવિષ્યમાં સિદ્ધિપદને પામનારા છે એમને? એમને પણ નમસ્કાર. પણ એ ક્યારે થાય? આપણી દ્રષ્ટિ પૂર્ણ બની જાય તો.. એટલે હવે કરવું છે શું? બીજી બધી જ વ્યક્તિઓ અનંત ગુણોથી યુક્ત છે. એટલે એના ભવિષ્યના પર્યાયને જોવો છે. અને આપણા વર્તમાન પર્યાયને જોવો છે કે હું દોષોથી યુક્ત છું. આ રીતે કરશું તો જ આપણી સાધના સમ્યક્ રીતે ચાલશે નહિતર તમને બીજાના દોષો દેખાયા કરશે. તમે એ ચેતના ઉપર દ્વેષ કર્યા કરશો. જે ચૈતન્ય સાથે તમારે મૈત્રીભાવથી જોડાવાનું છે આ જનમમાં, અનંતા જન્મોમાં એ ચૈતન્ય તત્વ સાથે માત્ર દ્વેષ, તિરસ્કાર ધિક્કાર જ કરેલો છે. એનું પ્રાયશ્ચિત આ જન્મમાં કરવાનું છે એ પણ તમે નહિ કરી શકો. તો આ જન્મમાં એક જ કામ કરવું છે, બધાને પૂર્ણરૂપે જોવા છે. પણ હા, તમે પાછા નહિ હો…! તમારી જાતને તમારે અપૂર્ણ તરીકે જોવાની જ છે.

એક સાધકે કહેલું, એક મુમુક્ષુને કે તું દોષ જોવે છે ને, હા સાહેબ દોષ જોવાઈ જાય છે. કઈ વાંધો નહિ, દોષ જોવા હોય તો જો તારી અંદર રહેલા દોષોને જો, હું ના નથી પાડતો. દોષો જ જોવા છે ત્યારે દોષોની ખાણ તું જ છે. તારામાં કયા દોષો નથી ભાઈ…! તારા દોષને જોઈ લે ભાઈ… બીજાના દોષને જોવા જવાની તારે જરૂરિયાત ક્યાં છે પણ…? અને બોલો બીજાના દોષને જોવો તો શું થાય? એક સાધક હોય, તપસ્વી હોય, જ્ઞાની પણ હોય, તમારા સંઘમાં એ એકદમ આગળ પડતાં સ્થાને પણ હોય. અને એનામાં ગુસ્સો બહુ હોય, બની શકે કે કોઈ નબળાઈ હોય, કોઈનામાં પણ હોય. કર્મના કારણે… તમે એ નબળાઈ જોશો, તમે એને શું કહેશો? હવે આટલા મોટા જ્ઞાની છે! આટલા તપસ્વી છે, આટલા સાધક છે! આટલા તો પ્રવચનો સાંભળ્યા, તો ય ગુસ્સો હોય એમનામાં… તો આપણામાં હોય તો નવાઈ શું પછી…! આ તમે મેળવ્યું! તમે પ્રાપ્ત શું કર્યું બોલો…? કોઈના પણ દોષ જોશો તમને શું મળશે બોલો…? તમને કંઈ મળવાનું નથી. એટલે કોઈના પણ દોષને જોવા નથી. બધાના ગુણને જ જોવા છે.

અને એ ગુણદ્રષ્ટિ આવી, ગુણાનુરાગ આવ્યો, તો જ સાધનાનો પ્રારંભ થયો. નહિતર પહેલી દ્રષ્ટિ પણ આવતી નથી. આપણે સ્વાનુભૂતિના અરુણોદયમાં પહેલીથી ચોથી દ્રષ્ટિ સુધીનો તબક્કો પકડ્યો છે. પણ જો ગુણાનુરાગ તમારી પાસે નથી. તો તમારી પાસે પહેલી દ્રષ્ટિ – મિત્રા દ્રષ્ટિ પણ નથી. ગુણાનુરાગ, આપણે ગુણી નથી, કોઈ વાંધો નથી. ગુણાનુરાગી હોઈએ તો પતી ગયું. અને એ ગુણોનો અનુરાગ જે છે ને એ તમને ગુણી બનાવી દેશે. પણ ગુણાનુરાગ અઘરામાં અઘરી ચીજ છે. અને એટલે જ પંચસૂત્રમાં લખ્યું, “होउ मे एसा अणुमोअणा ॥ जिणामणुभावओ |” પ્રભુની કૃપાથી આ ગુણાનુરાગ મને મળ્યો. બીજામાં રહેલા ગુણોની, ધર્મની, સાધનની હું અનુમોદના કરું એ પણ પ્રભુની કૃપા હોય તો થાય, બાકી શક્ય નથી. “होउ मे एसा अणुमोअणा ॥ जिणामणुभावओ |” અને પછી તો કહે છે, ‘होउ मे एसा सुपत्थणा |’ મને ગુણદ્રષ્ટિ મળો. એવી પ્રાર્થના પણ પ્રભુની કૃપાથી થશે. તમે આવી પાર્થના કરી ક્યારેય? કે પ્રભુ! એવી દ્રષ્ટિ મને આપી દે, કે બીજામાં રહેલા ગુણો જ માત્ર મને જોયા કરે. એ જ હું દેખ્યા કરું… અને એટલે જ અનુમોદના ધર્મ અઘરામાં અઘરો છે.

બહુ મજાની વાત છે અનુમોદના ધર્મ અઘરામાં અઘરો. પણ અનુમોદના ધર્મ અસીમ છે. તમારા ધર્મકરણને સીમા છે. કરી-કરીને કેટલો ધર્મ કરો..? એક દિવસમાં ચોવિહારો ઉપવાસ તપમાં, સ્વાધ્યાયમાં પાંચ-છ-સાત-આઠ કલાક સ્વાધ્યાય કર્યો. અનુપ્રેક્ષા કરી, ભક્તિ કરી. પણ સીમા આવી ગઈ. એ જ રીતે ધર્મ કરાવણ, તમે શ્રીમંત છો, પાંચ-દસ સાધર્મિકોને તમે કહી દો છો, કે તમે ચિંતા નહિ કરતાં આજીવિકાની, તમે આરાધના કરો મને એનું ફળ મળશે. પાછલા બારણેથી સહાય તમારા ત્યાં આવી જશે. પણ એની પણ સીમા છે. અનુમોદનાને કોઈ સીમા નથી. મહાવિદેહમાં રહેલા લાખો-કરોડો સાધુ ભગવંતોના સંયમની અનુમોદના આપણે કરી શકીએ. અહીં બેઠા-બેઠા, ભારતવર્ષમાં આપણે ત્યાં રહેલા, મહાવિદેહમાં રહેલા લાખો-કરોડો સાધુ-સાધ્વીજી ભગવંતોની સંયમ સાધનાની અનુમોદના આપણે કરી શકીએ. હવે બોલો મારી પણ કરણની સીમા છે, એક દિવસમાં હું શું કરીશ..? સંયમજીવનની કદાચ સારી સાધના કરીશ. કોકને કદાચ સાધનામાર્ગ બતાવીશ હું. તો સીમા આવી ગઈ. અનુમોદના ધર્મમાં હું જાઉં તો? ખાલી પાંચ મિનિટ અનુમોદનામાં ગયા, કેટલો અસીમ એ ધર્મ થઇ ગયો. પણ અઘરો છે. અઘરો કેમ છે? તમારા અહંકારને એ ચીરે છે માટે…

તકલીફ ક્યાં છે? ચેન્નાઈમાં કોઈએ અટ્ઠાઈ કરી કે કોઈએ માસક્ષમણ કર્યું કે છ મહિનાના ઉપવાસ કર્યા, તમે અનુમોદના કરશો. તમારી તકલીફ ક્યાં છે તમારી બાજુવાળાએ કર્યું, ત્યાં જ તકલીફ છે. તમારી તકલીફ ક્યાં બોલો…? ચેન્નાઈમાં કોઈ સાધર્મિક રહે છે ને તમારો પરિચિત નથી, તમારે એની જોડે કોઈ દુશ્મનાવટ નથી. અમેરિકામાં ઘણા બધા જૈનો રહે છે, તમારે કોઈની જોડે દુશ્મનાવટ નથી. તમારે દુશ્મનાવટ હોય તો કોની જોડે બોલો…? તમારી નજીકમાં રહેલા છે એમની સાથે… ક્યારેય વિચાર્યું ખરું… કે પેલા જોડે નથી, આના જોડે છે કારણ શું? એકદમ logically પ્રશ્ન થાય એવો છે ને, એ લોકોને હું ઓળખતો નથી. એમની જોડે મારે દુશ્મનાવટ નથી. આમની જોડે દુશ્મનાવટ કેમ થઇ મને…? કારણ શું…? કારણ એક જ છે. કે પેલા લોકો પાસે તમારી કોઈ અપેક્ષા નથી. તમે એમને ઓળખતાં જ નથી ને. તમારી આજુબાજુવાળા છે એમની પાસે તમારી અપેક્ષાઓ છે. અને એ અપેક્ષાઓ પુરી નથી થતી. માટે તમને દ્વેષ આવે છે. હું આમ શ્રેષ્ઠ માણસ છું. હું શ્રેષ્ઠ સાધક છું. મારી ઈજ્જત આ લોકો ન કરે! હું આવ્યો પાછળ તો કહે કે પાછળ બેસો. મારી ઈજ્જત નહિ કરી! હું આટલો ધાર્મિક માણસ, દસ-દસ સામાયિક કરનારો, મારે પાછળ બેસવાનું મોડો આવ્યો તો..! અપેક્ષા એ હતી કે મને આગળ બેસાડે. અપેક્ષા આવી બીજા બધા પ્રત્યે દ્વેષ થઇ ગયો. તો ત્યાં દ્વેષ કરાવનાર તમારી અપેક્ષા છે નહિ કે પેલા માણસો. એ તો logically સમજાય ને… કે પેલા અમેરિકાવાળા જોડે દુશ્મનાવટ નથી. ચેન્નાઈવાળા જોડે દુશ્મનાવટ નથી. બેગ્લુંરવાળા જોડે નથી. તો આની જોડે કેમ છે? ત્યાં ઓળખતાં નથી, ત્યાં કોઈ અપેક્ષા નથી, અહીં અપેક્ષા છે.

તમારી અપેક્ષાઓ તો એટલી બધી છે, તમે જેટલાને ઓળખો છો એ બધા માટે તમે નક્કી કરી નાંખો છો આણે આમ કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ…આણે આમ કરવું જોઈએ… પણ તમને કોણે monitor તરીકે મુક્યા છે આમાં..?. તમે તમારા ઘરમાં પણ નિયંત્રણ રાખી શકતાં નથી. અપેક્ષાશૂન્ય જો બની ગયા તમે તો મજા જ મજા. તો અનુમોદના ધર્મ સરળ. એટલે જ પંચસુત્ર કહે છે, કે ગુરુની સાથે તમે પ્રેમ કરો, કે ગુરુની ભક્તિ કરો, એ પણ નિરપેક્ષ જોઇશે. સસંગ પ્રતિપત્તી નહિ ચાલે, અપેક્ષા સાથેની ભક્તિ નહિ ચાલે. હું આવ્યો ને સાહેબે મને જોયો ય નહિ. મેં તો સાહેબની નિશ્રામાં સંઘ કાઢેલો, બે કરોડ રૂપિયા ખર્ચેલા, બે કરોડ ખર્ચ્યા તો ખર્ચ્યા, પણ સાહેબને શું છે એમાં…?! એને ને સાહેબને શું લેવા-દેવા? હું ગયો તો મને આમ માન-સન્માન પણ નહિ આપ્યું! આ ગુરુની સાપેક્ષ ભક્તિ થઇ. સદ્ગુરુની પણ ભક્તિ નિરપેક્ષ ભક્તિ જોઇશે. અને પ્રભુની ભક્તિમાં પણ આ નિરપેક્ષતા જોઇશે.

આપણી ઈચ્છા હોય પ્રભુ પાસે કે પ્રભુ મને આ આપો. ભક્તિથી મળે બધું જ… જે ભક્તિથી મોક્ષ મળે, એ ભક્તિથી બીજું શું ન મળે…! બધું જ મળે. પણ તમારી ઈચ્છા ન હોવી જોઈએ. ઈચ્છા સાથેની પ્રભુ ભક્તિને દેવચંદ્રજી મહારાજે સવિષ પ્રીતિ કહી છે. સવિષ પ્રીતિ. ઝેર સાથેનું દૂધ. અને એટલે પહેલા સ્તવનમાં એમણે કહ્યું, “કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાંખે હો, કહો બને બનાવ” પ્રભુ! અત્યાર સુધી મેં અનંતા જન્મોમાં મેં તારી ભક્તિ કદાચ કરી, પણ એ સવિષ પ્રીતિ હતી. ઈચ્છાનું ઝેર અંદર પડેલું હતું. હું તારી ભક્તિ કરું, તું મને આ આપ. આ તો સોદાબાજી થઇ કે બીજું કંઈ…! આ ભક્તિ છે કે વેપાર છે? તો કરવી નિર્વિષ પ્રીતડી – પ્રભુ હવે તારી સાથે નિરપેક્ષ પ્રીતિ કરવી છે, નિરપેક્ષ ભક્તિ કરવી છે, એનો માર્ગ તું મને બતાવ.

યથાખ્યાત ચારિત્ર જ્યારે આવે છે ને ત્યારે મોક્ષની પણ ઈચ્છા નીકળી જાય છે. અને એટલે કુમારપાળ રાજાએ આત્મનિંદા દ્વાત્રિંશીકામાં કહ્યું; ‘र्मोक्षेप्यनिच्छो भवितास्मि नाथ!’ પ્રભુ હું મોક્ષને વિશે પણ ઈચ્છા વગરનો ક્યારે થઇ જઈશ? કશું જ જોઈતું નથી. પ્રભુ તું મળ્યો મારે બીજું શું જોઈએ…?!

ધનપાલ કવિએ તો ત્યાં સુધી કહ્યું; ઋષભ પંજાશિકામાં, કે પ્રભુ તારી ભક્તિથી મોક્ષ મને મળશે, પણ મને થાય છે કે મુક્તિમાં આવ્યા પછી તારી ભક્તિ નહિ થાય. તારી ભક્તિ છૂટી જશે. “હોહી મુઉચ્છીઓ, તો સેવાએ ધૂહત્થી નંદામિ જં પુણ તત્થ ન વંદીઅવ્વો તેણ પુણ જિઝ્જામિ” માત્ર ભક્તિ. અને આને હું devotion for devotion કહું છું. Love for love. devotion for devotion. ભક્તિ માટેની ભક્તિ. તમે કશા માટેની ભક્તિ કરતાં નથી. ભક્તિ વિના રહેવાતું નથી માટે ભક્તિ કરો છો. કોઈ માણસ દૂધ પીએ ને તો એમાં કારણ હોય, દૂધ કેમ પીઓ છો? કેલરી મળે, તાકાત મળે, તાજગી મળે. કોઈ બે-બે કલાકે ચા પીતો હોય ને એને પૂછો તો…? ચા વિના રહેવાતું નથી યાર… એમ ભક્તિ વિના રહેવાય નહિ આ વાત આવે ત્યારે ઉપાધ્યાયજી કહે છે એ ભૂમિકા મળી; “પૂરન મન, પૂરન સબ દિશે, નહિ દુવિધા કો લાગ”

તો આપણી ચેતના પૂર્ણતયા પ્રભુમય બનવી જોઈએ. એના માટે આપણને સૂત્ર આપ્યું, ‘પરસંગ ત્યાગ લાગ નિજ રંગે’ તું પરના સંગને છોડી દે. પરમની પ્રીતિમાં ડૂબી જા. અને પરમની પ્રીતિ એટલે શું? આમ જુઓ ને પરમની પ્રીતિ કહો કે સ્વની પ્રીતિ કહો કોઈ ફરક નથી. કારણ, તમારું નિર્મળ સ્વરૂપ અને પ્રભુનું નિર્મળ સ્વરૂપ બેઉ સરખાં જ છે. એટલે તો ભક્તો કહે છે પ્રભુ સત્તા રૂપે તું અને હું સમાન જ છીએ. બસ તારા આવરણો તૂટી ગયા, તારા અનંત ગુણો ખુલ્લા થયા, મારા એ ગુણો ઢંકાયેલા છે, બાકી સત્તા રૂપે આપણામાં અને પ્રભુમાં કોઈ ફરક નથી. એટલે પરમની પ્રીતિ કહો કે સ્વની પ્રીતિ કહો, પરમની પ્રાપ્તિ કહો કે સ્વની પ્રાપ્તિ કહો, પરમની અનુભૂતિ કહો કે સ્વની અનુભૂતિ કહો બેઉ એક જ છે. ભક્ત કહે છે પરમતત્વની અનુભૂતિ થઇ. સાધક કહે છે મેં સ્વાનુભૂતિ કરી. વાત એકની એક જ છે. શબ્દોની કહેવાની જ રીત જુદી છે. તો ‘પરસંગ ત્યાગ લાગ નિજ રંગે’

મજાની વાત તો એ છે કે પરના સંગમાં કશું જ નથી. કંઈ જ નથી. સુખાભાસ છે. સુખ પણ નથી. આનંદ પણ નથી. સુખાભાસ છે. પણ શું થયું, તમને option નથી મળ્યો. You have no option. જ્યાં સુધી વિકલ્પ નહિ મળે ત્યાં સુધી તમે શું કરો? ખીટી ન હોય કોટને ટીંગાળવા માટે તો માણસ ટેબલ ઉપર મુકશે. કે સાઇકલના હેન્ડલે લટકાળશે. Option તો જોઈએ ને… પરના સંગને છોડો, છોડો તો ખરા શું મળે પછી…? option નહોતો, એટલે અનંત જન્મોની અંદર you had no option. તમારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો. આ એક જન્મ અદ્ભુત છે, જેમાં પ્રભુ તમને વિકલ્પ આપે છે કે પરનો સંગ તોડ, મારી પ્રીતમાં આવ, હવે મારી પ્રીતમાં આવીને તારી પ્રીતમાં જતો રહે. અને એકવાર તમારા આનંદનો અનુભવ કરો. વિષયો દ્વારા મળતું સુખ તો કૂચાં છે કૂચાં.

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, ‘रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते’ ઇન્દ્રિયોનો રસ તમારી પાસે છે. જે ક્ષણે આ પરમ રસનો આસ્વાદ મળશે, બધા રસો તમારા છૂટી જશે. એટલે એક પરમરસનો આસ્વાદ તમને કરાવવો છે. અને એ પરમરસનો આસ્વાદ થઇ જાય, અને એ પરમરસનો આસ્વાદ થઇ જાય; પરરસ છૂટી જાય, એને છોડવો પણ ન પડે. હું મારી પાસે આવનાર મુમુક્ષુઓને કહું, કે સંસાર છોડવાનો નથી, સંસાર છૂટી જવો જોઈએ. સંસાર છોડ્યો છે કે છૂટી ગયો છે? કારણ મેં સંસાર છોડ્યો એમ કહે ને, તો છોડનારો પાછો બાકી રહી જાય! મેં છોડ્યો હતો! કરોડો રૂપિયા મારી પાસે હતા ને મેં છોડ્યા હતા! અરે હરામખોર પણ તું તો બાકી રહી ગયો પાછો! પછી છોડનારને લાકડી મારીને કાઢવો પડે પાછો, છૂટી જાય તો… એટલે જ્યાં તમારી ભીતરનો રસનો આસ્વાદ તમને થોડો લાગશે, પર છૂટી જશે. પરમાં કંઈ છે જ નહિ. ખરેખર તો તમે સ્વાનુભૂતિ સંપન્ન ઘણા મહાપુરુષોને જોયા, એમને સાંભળ્યા પણ ખરા, પણ એમની ઈર્ષ્યા તમને ક્યારે આવે નહિ…

મુક્તિદર્શનસૂરિ મ.સા. મુંબઈમાં ખુબ વિચર્યા, તમને લોકોને ખુબ જ લાભ આપ્યો, તમે એમને સાંભળવા માટે દોડતા હતા સવારના પહોરમાં, ગાડીઓની ગાડીઓ ઠલવાતી, એમની વાચના સાંભળવા માટે… એમને સંભાળનારા અહીંયા ઘણા છે. એમનું દર્શન કરનારા અહીંયા ઘણા છે. પણ એમને પૂછું કે સાહેબની ઈર્ષ્યા તમને આવેલી ખરી? તમે સાહેબને ક્યારેય કહેલું, કે તમારી પાસે છે એ આપી દો ને… આ ક્યાં સુધી ધક્કા ખવડાવશો…? ઘરેથી અહીં, અને અહીંથી ઘરે… ક્યારેય કહ્યું હતું તમે? સાહેબ દર્શન કરવાની ચીજ છે? સાહેબ સાંભળવાની વસ્તુ છે બરોબર…? અટકી ગયા ત્યાં! પરમાત્મામાં પણ ત્યાં જ અટકી ગયા છો તમે.. પરમાત્મા એટલે દર્શન કરી લેવાના, “કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ, પ્રભુસ્તુલ્ય મનો:વૃત્તિ” પ્રભુ આવા આવા હતા, પણ તારે શું થવું છે એ તો બોલ…? તું પ્રભુનું દર્શન કરવા આવ, તારે શું જોઈએ છે?

એટલે આવતીકાલથી આપણે જે ચરણો શરૂ કરીએ છીએ, એ જિનગુણ દર્શનથી શરૂ થાય છે. શરૂઆતમાં આપણે સ્વાનુભૂતિના અરુણોદયની વાત ચર્ચી રહ્યા છીએ આજ સુધી. કે ભેદજ્ઞાનનો અભ્યાસ. પછી દ્રષ્ટાભાવનો અભ્યાસ, નિર્વિકલ્પદશાનો અભ્યાસ. કારણ આ અભ્યાસ નહિ થાય ને ત્યાં સુધી તમે પ્રભુનું દર્શન કરી શકશો નહિ. તો સંતોનું દર્શન કર્યું, પણ તમે ખરેખર દ્રષ્ટા તરીકે નથી. દ્રષ્ટાભાવમાં નથી. દ્રષ્ટાભાવમાં એ હોય, જેનું દ્રશ્યોમાંથી દ્રશ્યજગતમાંથી રસ ઉડી ગયેલો હોય. અને દ્રશ્યજગતમાંથી રસ ઉડી ગયો હોય, તમે અહીંયા તરત દોડવાના જ છો. તમને ઈર્ષ્યા થવાની જ છે. મહાત્માઓ પ્રત્યે અહોભાવ તમને બધાને છે no doubt. ઈર્ષ્યા કેટલાને છે બોલો..?વિજયભાઈ હવે ઈર્ષ્યા આવી ગઈ? ક્યારે મળશે આ? ‘ક્યારે બનીશ હું સાચો રે સંત’ ક્યારે..? ક્યારે..? ક્યારે…? સદ્ગુરુ પાસે જાવ ત્યારે આમ આંખમાં આંસુ સાથે પૂછો સાહેબ ક્યારે? ક્યારે મને છોડાવશો આમાંથી? અને સદ્ગુરુની એક જ કસરત છે, તમને પરમાંથી મુક્ત કરવા. એટલે પરરસથી મુક્ત થવું છે. એટલે થોડો પણ સ્વનો રસ ચખાઈ જાય, તમે પરરસમાંથી મુક્ત બની જાવ.

એટલા માટે સૂત્ર આપ્યું, પરસંગ ત્યાગ લાગ નિજ રંગે – એ નિજ રંગ કેવો છે? એ સ્વાનુભૂતિનો રંગ કેવો છે? ઉપાધ્યાયજી મહારાજ એટલે ભગવાનના સેલ્સમેન. તમે બધા ભગવાનના સેલ્સમેન. અમારે પુરવઠો પ્રભુ પાસેથી જ લેવાનો હોય છે, અમારા ઘરનું કાંઈ નથી. માત્ર સેલ્સમેન છીએ. પ્રભુએ કહ્યું, કે સિદ્ધિ જેને થઇ છે એને વિનિયોગ કરવો જ જોઈએ. અને એટલે બોલવું પડે છે. બોલવાનું કારણ એક જ છે, કે ભગવાનની આજ્ઞા. જેને-જેને સિદ્ધિ થઇ છે, પ્રભુની આજ્ઞા એને મળે છે. તું વિનિયોગ કર. બીજાને આપ. પણ બીજાની વાતો માત્ર શબ્દો દ્વારા સ્પર્શતી નથી. અમે બીજાને ઘણું બધું કહ્યું છે, તમને ખુબ કહ્યું છે પણ માત્ર શબ્દો દ્વારા એ વાત સ્પર્શશે નહિ. એટલે અમે લોકો શું કરીએ છીએ, એક જે સદ્ગુરુ હોય છે ને.. એક પ્રબળ throwing કરે છે, તમે recorded પ્રવચનો પણ મારા સાંભળી શકો છો, પણ recorded પ્રવચનોમાં અને અત્યારે સાંભળો છો એ પ્રવચનમાં ઘણો બધો ફરક પડી જાય, અત્યારે એક સદ્ગુરુ ચેતના તમારી સામે છે, અને સદ્ગુરુ ચેતના પોતે throwing કરી રહી છે. મારે શબ્દોને તમારા unconscious mind સુધી પહોંચાડી દેવાના છે. અને ઠેઠ ઊંડે સુધી ઘુસાડવા છે શબ્દોને, એટલે throwing હું પ્રબળ રીતે કરતો હોઉં છું. એક મારું ચારિત્ર્ય, મારી ભક્તિ, મારી પ્રાર્થના આ બધાના બળ ઉપર હું એક throwing કરું છું. કોઈ પણ સદ્ગુરુ પાસે તમે જશો, એ જીવંત સદ્ગુરુના શબ્દો તમે સાંભળશો અને એ વખતે તમે જો ખરેખર પરમાંથી થોડા મુક્ત થયેલા હશો એ શબ્દો તમને અસર કરી જશે. એટલે પહેલાંના સંતો તો એમનેમ શબ્દો આપતા પણ નહિ.

એક સંતની વાત આવે છે, સાધક એમની પાસે આવ્યો, એને પાછા ફરવાની ઉતાવળ પણ હતી. ૧૦-૧૫ મિનિટનો સમય હતો. ગુરુના ચરણોમાં ઝૂક્યો. એને કહ્યું ગુરુદેવ! ૧૦-૧૫ મિનિટ ખાલી મારી પાસે સમય છે. આપ મને કંઈક અમૃત વચનો પ્રભુના સંભળાવો. ગુરુ બોલતાં નથી. એટલે બળજબરી ગુરુ ઉપર થોડી કરાય કે બોલવું જ પડશે તમારે… પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ ગુરુ નહિ બોલ્યા. પેલો ફરી ચરણોમાં ઝૂકીને વિદાય લે છે. ગુરુ કેમ નહિ બોલ્યા…? ગુરુ બોલવા તૈયાર હતા, પણ ગુરુને એક appropriate time જોઈતો હતો. યોગ્ય સમય. કે એ યોગ્ય સમયે એનું મન એકદમ સ્થિર થયેલું હોય અને બે શબ્દો મુકાય એના unconscious સુધી પહોંચી જાય. તો અમારું throwing unconscious સુધી પહોચે એવું ખરું, પણ તમારી receptivity કેવી છે સામે? પેલાની receptivity ખરેખર સારી, ગુરુ નથી બોલ્યા તો પણ નિરાશ નથી થયો. એને એમ જ માન્યું ચાલો સદ્ગુરુના ચરણોમાં બેઠો, એમની aura તો મને મળી જ છે. તો કદાચ ગુરુ એમ કહેવા માંગતા હશે કે મારી aura થી જ તને મળી રહ્યું છે તો શબ્દોનું શું કામ છે? એકદમ અહોભાવથી યુક્ત બની ગયો એ, જાય છે, પંદર એક ડગલાં ગયો હશે, અને ગુરુએ કહ્યું, ઉભો રહે પાછો ફર. ઉભો રહે, પાછો ફર… પહેલા તો સાધક સમજ્યો ગુરુ મને ફરીથી બોલાવી રહ્યા છે, એ માણસ જઈ રહ્યો છે, ગુરુ શું કહે છે? ઉભો રહે, પાછો ફર. પણ પાછો ફર્યો, તો ગુરુના ચહેરા સામે જોયું, ગુરુનું સ્મિત જોયું, એને ખ્યાલ આવી ગયો ગુરુએ શું કીધું મને… ત્યાં એને ધન્યવાદ માંગ્યો, સાહેબ આપનો ધન્યવાદ, ઋણી આપે બહુ સરસ મને આપી દીધું. ગુરુએ શું કહ્યું, ઉભો રહે, તું વિભાવમાં જાય છે ત્યાં ઉભો રહે. રાગમાં, દ્વેષમાં, ઈર્ષ્યામાં ક્યાંય પણ પરભાવમાં જાય છે ઉભો રહે. પાછો ફર.

આપણું પ્રતિક્રમણ એટલે શું? પાછા ફરવાનું. પ્રતિક્રમણ એટલે શું? પાછા ફરવાનું. સવ્વસવિ સૂત્ર બધાને આવડે છે ને નાનકડું સુત્ર… એ બોલતી વખતે તમારી આંખોમાંથી આંસુ આવવા જ જોઈએ. સાંજે તમે બોલો સવ્વસવિ દેવસિઅ દુચિંતિઅ દુબ્ભાસિઅ દુચ્ચિટ્ઠીઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ હે ગુરુદેવ દિવસ દરમિયાન ખોટું વિચારાઈ ગયું. ખોટું બોલાઈ ગયું, ખોટું કરાઈ ગયું હું શું કરું ગુરુદેવ? આંખમાં આંસુ હોય, ત્યારે ગુરુદેવ પ્રેમથી કહે છે પડીક્કમેહ… તું પાછો ફરી જા. ખોટું થઇ ગયું એ થઇ ગયું. પાછો ફરી જા. તારા તરફ જતો રહે. સ્વ તરફ જતો રહે.

એક વાત તમને by the way પૂછું, ગુરુની કરુણાનો સ્પર્શ તમને ક્યારેય થયો છે? ૨૦ વર્ષથી પ્રતિક્રમણ કરતા હોવ તમે, રોજ સાંજે સંઘમાં આવતાં હો, અને તમારો પ્રતિષ્ઠિત સંઘ હોય, બારેય મહિના મહાત્મા રહેતા હોય, તમે રોજ જે મહાત્મા આવે એને પૂછો સવ્વસવિ દેવસિઅ દુચિંતિઅ દુબ્ભાસિઅ દુચ્ચિટ્ઠીઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્? ભલે મહાત્મા બોલતા હોય પ્રતિક્રમણમાં, પણ મનમાં તો બોલો ને તમે…? તમારી વાત તો હોય જ ને… એક પણ મહાત્માએ તમને કહ્યું ખરું, ભાઈ શું માંડ્યું છે આજે, આ શું માંડ્યું છે પણ… કેટલા વર્ષથી પ્રતિક્રમણ કરે છે? ૨૦ વર્ષથી, ૨૦ વર્ષથી પ્રતિક્રમણ કરે છે, ગુરુએ કીધું નથી પડીક્કમેહ… આજ ફરીથી પૂછવા આવ્યા છો! પણ ગુરુ એટલા જ પ્રેમથી તમને કહે છે, પડીક્કમેહ… બેટા તું પાછો ફરી જા. તો ગુરુએ બે શબ્દો આપ્યા, ઉભો રહે, પાછો ફર. તમને મળી ગયું આજે બધું…? તમે જઈ રહ્યા છો પર તરફ ઉભા રહી જાવ… પાછા ફરી જાવ સ્વ તરફ…

તો સદ્ગુરુ એક પ્રબળ throwing કરવા માંગે છે, પ્રક્ષેપણ જોરથી કરવા માંગે છે. રોકેટને છોડવું હોય જ્યારે ત્યારે એ રોકેટને છોડનાર જે યંત્ર હોય છે એમાં પ્રક્ષેપણ શક્તિ બહુ જ જોરદાર હોય છે. એટલું જોશથી એને ફેંકવામાં આવે, કે સીધું એ ભ્રમણ કક્ષામાં પહોંચી જાય. ગુરુત્વાકર્ષણની પેલે પાર પહોંચી જાય. તો આના માટે પ્રબળ throwing હોય છે. એવું જ પ્રબળ throwing ગુરુ પાસે છે. કે તમને સીધા જ સ્વની ભ્રમણ કક્ષામાં મૂકી દે. પણ એ ગુરુનું throwing જે છે એની સામે તમારી receptivity જોઈએ.

તો પરસંગ ત્યાગ, લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા’ એ નિજનો રંગ કેવો છે? એ સ્વાનુભૂતિનો taste કેવો છે? આનંદ વેલી અંકુરા…. દુનિયામાં જે પણ આનંદ દેખાય, બહાર એ આનંદની અંદર એ આનંદની વેલડીની નીચે અંકુરા તરીકે, બીજ તરીકે કોણ હોય છે સ્વાનુભૂતિ. અને એટલે જ સ્વાનુભૂતિમય વ્યક્તિઓ સદાને માટે પ્રસન્ન હોય. સદાને માટે.

‘નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છુરા’ તો આપણે દ્રષ્ટાભાવના અભ્યાસની વાત કરવી છે. ભેદજ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખવાનો છે. એક વાત તમને કહું, હું એટલે શરીર એવું ગોખાઈ ગયું છે, કે હું એટલે શરીર નથી એનો પ્રતિ અભ્યાસ જોરદાર જોઇશે. તો પાછું હું એટલે શરીર આવી જવાનું છે, મને કીધું પેલાએ… તને ક્યાં કીધું છે પણ…! કદાચ એવું થઇ જાય કે એક મન કહી દે કે મને કીધું તરત દ્રષ્ટા રૂપે થયેલું મન એવું કહી દે, અરે તને ક્યાં કહ્યું છે? તારા શરીરને કહ્યું છે. આવી એક સીસ્ટમ તમારી ભીતર ઉભી કરવી પડશે. આ જે દ્રષ્ટાભાવ છે, એ દ્રષ્ટાભાવ આવે, તો દ્રશ્યજગત જોડેનો, રાગાત્મક, દ્વેષાત્મક સંબંધ દૂર થઇ જાય. એટલે આપણે ત્યાં બે શબ્દો આપ્યા જ્ઞાતાભાવ- દ્રષ્ટાભાવ.

સ્વાનુભૂતિનો જ્યારે સૂર્યોદય થાય. સ્વાનુભૂતિ તમને મળે ત્યારે શું થાય… જ્ઞાતાભાવ મળે,  દ્રષ્ટાભાવ મળે. જ્ઞાતાભાવ એટલે શું સમજી લો. તમારું જ્ઞાન અત્યાર સુધી જ્ઞેયો તરફ ફંટાયેલું છે. પદાર્થો તરફ, વ્યક્તિઓ તરફ, આ પર એવા શરીર તરફ, હવે તમારું જ્ઞાન જ્ઞાતા તરફ જાય, જ્ઞાયક તરફ જાય એ જ્ઞાતાભાવ કહેવાય. ઉપાધ્યાયજીએ સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું; ‘જ્ઞાયક ભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે’ જ્ઞાતા બની જાવ. હું જાણનાર છું માત્ર, હું માત્ર જાણનાર છું. દ્રષ્ટા એટલે હું માત્ર જોનાર છું. હું જાણનાર છું, હું જોનાર છું. વિભાવની અંદર કોઈ પણ ક્રિયાઓ થઇ રહી છે, એનો કર્તા હું નથી. તમે જ્ઞાતા અને દ્રષ્ટા બન્યા એનો મતલબ શું થયો? તમે કર્તા નથી. એટલે આપણે ત્યાં એક સરસ વાત લખી, કે શ્રાવક કે સાધુ કાર્ય કરે, પણ એ કાર્ય કર્તૃત્વથી મુક્ત હોય. શિષ્ય પણ ગુરુની સેવા કરશે. શિષ્ય ભિક્ષાએ પણ જશે, બધું જ કરશે. પણ એ શિષ્ય કરે છે કાર્ય, કર્તૃત્વ એની પાસે નથી. અને એટલે જ સંપ્રતિના પૂર્વ જન્મની વાત આવે, ભિક્ષુકે કહ્યું મહાત્માને કે મને ભિક્ષા આપો, હું ભૂખ્યો છું. એ મહાત્માએ કહ્યું, ભાઈ અમે તો ભિક્ષાને collect કરનારા માણસો છીએ, ભેગી કરનારા, આ ભિક્ષા ઉપર અધિકાર અમારો નથી. અધિકાર અમારા ગુરુનો જ છે. ગુરુ ઈચ્છે તો તને આપી શકે. તો કાર્ય હતું, કર્તૃત્વ નહોતું. સાધુપણાની સૌથી મજાની વાત આ છે. કે સારા કાર્યો તમારી પાસે ખુબ છે. કર્તૃત્વ તમારી પાસે નથી. કર્તૃત્વ આવશે તો શું થશે? અહંકાર પાછો આવી જવાનો. મેં કર્યું..! વર્ષીતપ મેં કર્યો…! ભાઈ! તે કર્યો કે પ્રભુએ કરાવરાવ્યો? કોણે કર્યો? તે કર્યો?

ઉપાધ્યાયજી ભગવંતે અરનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું; ‘તપ, જપ, મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે’ પ્રભુ! સંસારમાં હતો તો મારી પાસે અહંકાર હતો, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું.. સાધનામાર્ગમાં આવ્યો, તપ કર્યો, અહંકાર આવ્યો મેં તપ કર્યું. કરોડોનો જપ કર્યો ને અહંકાર આવ્યો કે મેં જપ કર્યો. શું શબ્દો વાપર્યા છે એમણે..! ‘તપ, જપ, મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે’ પ્રભુ! આ તપનો અહંકાર આવી ગયો, એવું તોફાન ઉપડ્યું, મારા મનની અંદર અહંકારનું, એ સાધનાની નાવને આમાં કેમ ચલાવવી મારે? ‘તપ, જપ, મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે’ પણ પછી પ્રભુ પર શ્રદ્ધા છે, અને એટલે કહે છે ‘પણ નવિ ભય મુજ હાથો હાથે, તારે તે છે સાથે રે’ મારો હાથ પકડીને તારનાર તું છે. મારી નાવમાંથી હું પડી ગયો તો ય વાંધો નથી. તું મને તારી લઈશ. પણ તપનો પણ અહંકાર આવ્યો તો શું થાય…? આપણે હારી જઈએ.

આપણે ગુજરાતીમાં એક કહેવત છે, જુના જમાનાની.. ‘કબાટ કરતાં ઉલાળો ભારે’ ઉલાળા હોય ને પહેલાં… હવે તો લોકોને ખ્યાલ પણ ના આવે. બારણું બંધ હોય એને ખોલવા માટે નીચેથી આખી વ્યવસ્થા હોય છે એને ઉલાળો કહે છે. તો કબાટના વજન કરતાં ઉલાળાનું વજન વધી જાય છે. એમ સાધના કરતાં અહંકાર વધી જાય. સાધનામાં કંઈ દમ ના હોય ને અહંકાર એથી વધારે હોય. પણ જો જ્ઞાતાભાવ ને દ્રષ્ટાભાવ આવે તો શું થાય? સમ્યગ્ રીતે આપણી સાધના ચાલે. ત્યાં અહંકાર હશે નહિ. કાર્ય હશે પણ કર્તૃત્વ મુક્ત કાર્ય હશે.

તો અરુણોદયની અંદર ત્રણ વસ્તુ આપણે જોવાની હતી, ભેદજ્ઞાનનો અભ્યાસ. નિર્વિકલ્પદશાનો અભ્યાસ. અને દ્રષ્ટાભાવનો અભ્યાસ. ભેદજ્ઞાનના અભ્યાસ માટે સૂત્ર આપ્યું, ‘દેહ, મન, વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે’ નિર્વિકલ્પદશાના અભ્યાસ માટે આજે સવારે બે સુત્રો આપ્યા, વિચારથી વિચારને કાઢો, અને તમે વિચારના દ્રષ્ટા બની જાવ.

અને દ્રષ્ટાભાવનું સૂત્ર આ છે, કે માત્ર તમે પદાર્થોને જુઓ. સારો છે કે ખોટો છે એ રીતે ન જુઓ, પદાર્થ પ્લેન પદાર્થ છે. ટેબલ માત્ર ટેબલ છે. એ સારો પણ નથી, ખરાબ નથી. સારું કે ખરાબ તમે માનો છો. અને એના કારણે તમે રાગમાં આવો છે. ટેબલ રાગ કરાવતું નથી, તમે રાગ કરો છે. ટેબલ તો ટેબલ જ છે. કોકને ખરાબ લાગશે તો એના ઉપર અણગમો થશે. કોક કહે કે બહુ સરસ તો રાગ થશે. ટેબલ એમનેમ બેઠું છે. એ કશું કરાવતું નથી. તમારો રાગ અને દ્વેષ તમારી ભીતર કર્મબંધને ઉત્પન્ન કરે છે. એટલે માત્ર દ્રષ્ટા બની જાવ. આ બધું જ દ્રશ્યજગત જે છે, એ જોવાનું છે એમાં રાગાત્મક રૂપે કે દ્વેષાત્મક રૂપે ક્યાંય તમારે જવાનું નથી. તો આ આપણી સ્વાનુભૂતિનો અરુણોદય થયો.

આવતી કાલથી આપણે સ્વાનુભૂતિના સૂર્યોદયના પાંચ ચરણોને જોવાના છે. સ્વાનુભૂતિ તમને મળે એના માટે પાંચ ચરણો છે. અને પાંચ ચરણોમાં ચાલશું. જો કે actually આ કોર્સ તો બહુ લાંબો છે. Work shop ના રૂપમાં કરાવું ને તો બીજો કોર્સ તમને તરત આપું નહિ આમાં… જ્યાં સુધી અભ્યાસ તમારો ઘૂંટાયેલો ન હોય ત્યાં સુધી આગળના ચરણો અપાય નહિ. પણ અત્યારે તો એક સમજુતીના લય ઉપર તમને આપી દઈશ. પણ તમને એ શ્રદ્ધાથી આપું છું, કે તમે ઘરે ગયા પછી પણ આ ચરણોને બરોબર ઘૂંટશો. Practical સાધના શરૂ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *