વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : आयओ गुरुबहुमाणो
હવે આપણે સ્વાનુભૂતિના સૂર્યોદયમાં જવાનું છે. એના પાંચ ચરણો છે: જીનગુણ દર્શન, જીનગુણ રૂચિ, જીનગુણ ઝંખના, જીનગુણ પ્રબળ ઝંખના અને જીનગુણ સ્પર્શ. સ્પર્શમાં આવશો, ત્યાં સ્વાનુભૂતિ થશે. પણ એ પહેલા ચાર ચરણોની યાત્રા કરવી પડે છે. અને એના માટે સમર્પણ નિતાંત જરૂરી છે; અહોભાવ અને બહુમાનભાવ નિતાંત જરૂરી છે.
आयओ गुरुबहुमाणो. ગુરુ સમર્પણ એ જ મોક્ષ. મોક્ષનો માર્ગ ગુરુને અધીન છે. એટલે તમારી પૂરી સાધના સદ્ગુરુના હાથમાં છે. પણ સદ્ગુરુના હાથમાં જે સાધના છે એને સ્વીકારવા માટેનો માર્ગ કયો? એક જ માર્ગ છે ત્યાં; સદ્ગુરુ સમર્પિતતા. તમે સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઇ ગયા, પછી સ્વાનુભૂતિ આપવાની જવાબદારી ગુરુની છે; તમને મોક્ષે પહોંચાડવાની જવાબદારી પણ ગુરુ ચેતનાની છે.
સમર્પણ કેમ નથી આવતું? અહંકાર પ્રબળ છે, માટે. એક બાજુ અહંકાર, બીજી બાજુ સમર્પણ. સમર્પણનો મતલબ એ છે કે તમારું વૈભાવિક હું રહ્યું જ નહિ. તમારું શરીર, તમારું મન, તમારું જે પણ હતું એ બધું ગુરુના ચરણોમાં ઢળી પડ્યું – એનું નામ સમર્પણ. તમે ન રહ્યા, તમારી ઇચ્છાઓ ન રહી, તમારી કોઈ કામના ન રહી – આ સમર્પણ.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના – ૭
પૂજ્યપાદ હરીભદ્રસૂરિ મ.સા એ પંચસુત્રમાં એક બહુ મજાનું સાધના સૂત્ર આપણને આપ્યું. બહુ જ નાનકડું, અને બહુ જ પ્યારું એ સાધના સૂત્ર છે; ‘आयओ गुस्बहुमाणो’ ગુરુ સમર્પણ એ જ મોક્ષ. મોક્ષનો માર્ગ ગુરુને અધીન છે. સામાન્ય તયા મોક્ષમાર્ગની આપણે ચર્ચા પણ કરી શકીએ. સ્વાનુભૂતિના માર્ગોની પણ આપણે ચર્ચા કરીએ છીએ. પણ એ તો માસમાં, સમૂહમાં. તમારી વ્યક્તિગત સાધનાના સંદર્ભમાં શું હોઈ શકે? તમે ક્યાં છો? અત્યારની તમારી સાધનાનું stand point શું છે? એ સદ્ગુરુ નક્કી કરે છે અને તમને સ્વાનુભૂતિના માર્ગ ઉપર કઈ રીતે ચડાવવા એ પણ સદ્ગુરુ નક્કી કરે છે.
એટલે તમારી પુરી સાધના સદ્ગુરુના હાથમાં છે. પણ સદ્ગુરુના હાથમાં જે સાધના છે એને સ્વીકારવા માટેનો માર્ગ કયો? એક જ માર્ગ છે ત્યાં; સદ્ગુરુ સમર્પિતતા. તમે સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઇ ગયા, પછી સ્વાનુભૂતિ આપવાની જવાબદારી ગુરુની છે. તમને મોક્ષે પહોંચાડવાની જવાબદારી પણ ગુરુ ચેતનાની છે. અત્યાર સુધી હું પણ મોક્ષમાં ન જઈ શક્યો, તમે પણ મોક્ષમાં નથી જઈ શક્યા. કારણ એક જ છે, આપણી પાસે સમર્પણ નહોતું. એક જ વાત આપણી પાસે ખૂટી. મેં પણ સાધના કરેલી ગત જન્મોમાં, તમે પણ સાધના કરેલી. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, અને સાધુધર્મ આ બધાની સાધના મેં પણ કરેલી, તમે પણ કરેલી, પણ આપણે ચુકી ગયા ક્યાં? We had not surrender. આપણી પાસે સમર્પણ નહોતું. અને સમર્પણ નહોતું માટે આપણે ચુકી ગયા. કારણ સાધના એવી વસ્તુ નથી, કે તમે ઈચ્છો, તમને ગમે એ તમે કરવા મંડી પડો.
મેડીકલ સ્ટોર તમારો પોતાનો હોય, તમે કેમીસ્ટ હોવ, છતાં તમને તકલીફ થઇ હોય કોઈ, તો ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર તમે કોઈ દવા લઇ શકતા નથી. અને કદાચ એવી દવા લેવાઈ પણ ગઈ, રીએક્શન આવે તો હોસ્પિટલાઈસ પણ તમારે થવું પડે છે. એ જ રીતે સાધનાને પણ તમે તમારી ઈચ્છા મુજબ કરી શકતા નથી. તમારી ધારા કઈ છે, તમે સાધના કઈ લો છો? કોણ નક્કી કરે છે આ…? પેલાનું દર્દ શું એ ડોકટર નક્કી કરે છે અને એ નક્કી કર્યા પછી એને દૂર થાય એવી દવા ડોકટર આપે છે. તમારું દર્દ કયું તમને ખબર નથી. રાગની માત્રા વધુ છે, દ્વેષની માત્રા વધુ છે, અહંકારની માત્રા વધુ છે અથવા બીજી કોઈ ગરબડ છે તમને ખબર નથી. તમારા રોગનું ડાયગ્નોસીસ પણ ગુરુ કરશે. અને એના માટેની appropriate દવા પણ સદ્ગુરુ જ આપી શકે. એટલે અત્યાર સુધી સાધના મેં પણ કરી, તમે પણ કરી. Result આપણને નહિ મળ્યું. એક જ સવાલ મારે તમને અત્યારે પૂછવો છે? આ જન્મમાં પણ જે સાધના તમે કરો છો, એનું result જોઈએ છે કે નિઃસ્પૃહ માણસો છો…? નિઃસ્પૃહ માણસો હોય ને એને કોઈ ઝંખના જ ન હોય પછી…. મળે તો ય ઠીક, ન મળે તો ય ઠીક. આ જન્મમાં જે સાધના કરો છો, એનું પરિણામ જોઈએ જ…? કે પરિણામ ન મળે તો પણ ચાલે એમ છે…?
જો સાધનાનું પરિણામ આપણને જોઈએ છે તો સદ્ગુરુ સમર્પણ વિના આપણને ચાલશે નહિ. અને એ પણ total surrender. આમાં ૯૯% પણ ચાલતું નથી. ગુરુદેવ ૯૯% તમારી આજ્ઞા મુજબ કરીશ. ૧% મારી ઈચ્છા મુજબ કરીશ. કોઈ સાધુ આવું કહી દે ને તો ગુરુ શું કહે? પ્રભુ શું કહે..? ભાઈ આ નહિ ચાલે. તું સો એ સો ટકા મારી આજ્ઞા સ્વીકારવા તૈયાર હોય તો જ હું તારા ઉપર કામ કરી શકું. દેખીતી વાત છે ને… ગમે એવી સારામાં સારી હોસ્પિટલ હોય, અને ગમે એવા નિષ્ણાંત ડોક્ટર હોય, તમે હોસ્પિટલમાં એડમીટ ન થાવ, ત્યાંના મેડીકલ સુપરવિઝનને શરણે તમે ન જાવ, ત્યાં સુધી તમારા ઉપર કામ શરૂ કઈ રીતે થઇ શકે? થઇ શકે જ નહિ. ત્યાં તમે totally surrender થઇ શકો છો, અહીંયા કેમ નહિ..?! માત્ર બુદ્ધિ અને અહંકારને કારણે અનંતા જન્મોમાં આપણે ચુકી ગયા છીએ. કચરા જેવી બુદ્ધિ, કચરાથી પણ ભયંકર અહંકાર એ બંનેના કારણે આપણે આપણી સાધનાના resultમાંથી ચુકી ગયા.
મૃગાવતીજીની વાત હું ઘણીવાર મારી વાચનામાં કહું છું. મૃગાવતીજી રાજરાણી હતા. ચંદનાજી ના એ શિષ્યા થયા. ગુરુણી એટલે મહાસમર્થ ચંદનાજી! એકવાર પ્રભુનું સમવસરણ હતું. અને મૃગાવતીજી સમવસરણમાં દેશના સાંભળવા માટે ગયેલા. એ દિવસે સૂર્ય, ચંદ્ર મૂળ વિમાને આવેલા પ્રભુની ભક્તિ કરવા. તો અજવાળું ખુબ હતું. સાંજનો સમય, પ્રભુની દેશના ચાલે, અંધારું થઇ ગયું, એ ખબર મૃગાવતીજીને ન પડી. સુર્યાસ્ત થઇ ગયો. અને સહેજ મોડા એ ઉપાશ્રયમાં આવ્યા. ચંદનાજીએ એમના ગુરુણીજીએ એમને આડે હાથ લીધા. શું સમજો છો તમે? તમારા જેવી ખાનદાન સાધ્વી આટલી મોડી આવે! અને એ વખતે મૃગાવતીજીની આંખમાં આંસુ છે, કેવા ગુરુણીજી મને મળ્યા છે! મારું કેવું યોગક્ષેમ કરે છે! સહેજ પણ મારી ભૂલ ચલાઈ લેવા એ તૈયાર નથી. અને એ ગુરુ સમર્પિતતા ને કારણે મૃગાવતીજીને પહેલાં કેવલજ્ઞાન થાય છે. ચંદનાજીને પછી કેવલજ્ઞાન થાય છે.
હું ઘણીવાર કહું, કે મારું અને તમારું કેવલજ્ઞાન અટકી ક્યાં ગયું? ક્યાં અટક્યું? બે બાબતમાં અટક્યું, બુદ્ધિમાં અને અહંકારમાં. પહેલા બુદ્ધિ આવી. આવું કંઈક કહે ગુરુ તો આપણે શું કહીએ, પણ, આમાં મારો વાંક શું? મને સાબિત તો કરી આપો. એમનેમ તૂટી પડો છો તમે! મારી પાસે કોઈ ઘડિયાળ નહોતી. સુર્યાસ્ત થઇ ગયો મને ખબર શી રીતે પડે…? ચંદ્ર અને સૂર્ય મૂળ વિમાને ત્યાં આવેલા હતા, પ્રકાશ ઝળહળાહળ ત્યાં આગળ… અને ભગવાનની દેશના ચાલતી હતી. પ્રભુના પ્યારા શબ્દો વહેતાં હતાં. હવે એમાં સમયનું ભાન ભુલી જવાય એમાં કોઈ નવી વાત છે? તો આમાં મારો અપરાધ કયો કે તમે મને આ રીતે કહો છો..! આ બુદ્ધિ આપણી પાસે આવી જાય. કદાચ આપણે red હેન્ડેડ પકડાઈ દઈએ ને તો અહંકાર આવે, ઠીક છે, મારી ભૂલ થઇ ગઈ. હું કબુલ પણ કરી લઉં પણ જાહેરમાં મને કેમ કહો છો? ખાનગીમાં મને કહો. મૃગાવતીજી પાસે બુદ્ધિ અને અહંકાર નહોતો. એ કેવલજ્ઞાની થઇ ગયા. આપણે બુદ્ધિ અને અહંકારને કારણે અટકી પડ્યા. હવે શું કરવું છે બોલો..? ભૂતકાળ તો ગયો. ગઈ તિથી જોશી એ ન વાંચે, આપણે ય નહિ વાંચીએ. હવે શું? હવે પણ એ જ ભૂલ ચાલુ રાખવાની છે ને…? સમર્પણ કેમ નથી આવતું બોલો…? અહંકાર પ્રબળ છે માટે. એક બાજુ અહંકાર, બીજી બાજુ સમર્પણ. સમર્પણનો મતલબ એ રહ્યો કે તમારું વૈભાવિક હું રહ્યું જ નહિ. તમારું શરીર, તમારું મન, તમારું જે પણ હતું એ બધું ગુરુના ચરણોમાં ઢળી પડ્યું. એનું નામ સમર્પણ. તમે ન રહ્યા, તમારી ઇચ્છાઓ ન રહી. તમારી કોઈ કામના ન રહી. આ સમર્પણ.
આ સમર્પણ જો થઇ જાય તો; સાધનાનું result આ રહ્યું. સમર્થ ગુરુ તમને કહી દે, લે સ્વાનુભૂતિ આપી દઉં. ઉપાધ્યાય યશોવિજય મહારાજે એક સ્તવનમાં મજાની વાત લખી છે, “શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે રે…” આપણે ગયા હોઈએ પ્રભુની પાસે ભક્તિ કરવા, ને પ્રભુ કહે છે લે આ મોક્ષ લેતો જા. કે મોક્ષ લેતો જા. એક શબ્દ ત્યાં વાપર્યો છે, ‘શિવ દિયે પ્રભુ સપરાણે રે’ આપણી ઈચ્છા એ નથી કંઈ આપણને ખ્યાલ પણ નહોતો… લે, આ મોક્ષ લેતો જા! પણ એ ક્યારે? શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને – તમે આત્મદ્રવ્યના ધ્યાનમાં ચાલ્યા ગયા. તમારા ગુણોના ધ્યાનમાં જતા રહ્યા. તમારા શુદ્ધ પર્યાયના ધ્યાનમાં ગયા, પ્રભુ કહે છે, મોક્ષ આ રહ્યો. અને સમર્થ ગુરુ તમને કહેશે, સ્વાનુભૂતિ આ રહી, લે લઇ જા. પણ ક્યારે? તમે સમર્પિત થયેલા હશો તો…
એક વાત તમને કહું, સમર્પણ પછી સિદ્ધિની વચ્ચે ફાસલો લાંબો નથી. સમર્પણ થઇ ગયું… ગુરુ નિષ્ણાંત છે. કઈ રીતે તમારા ઉપર કામ કરવું એમને ખબર છે, ફટાફટ કામ કરશે. સ્વાનુભૂતિ મળી જવાની. ધારો કે મોહનીયનો ક્ષયોપશમ નથી, તો મોહનીયનો ક્ષયોપશમ કરાઈ આપશે. બધું ગુરુ કરાઈ આપશે. તમારી પાસે જો સમર્પણ છે તો બધું જ ગુરુ કરવા, કરાવવા તૈયાર. તો અનંતા જન્મો મારા અને તમારા નકામા ગયા, મેં તો આ જન્મમાં સ્પષ્ટ કરી નાંખ્યું પહેલેથી કે સંપૂર્ણ સમર્પણ એટલે સંપૂર્ણ સમર્પણ. એક ટકો પણ મારો અહંકાર ક્યાંય ન રહી જાય એના માટે રોજ પ્રભુને કહું છું કે પ્રભુ! આ યશોવિજય ક્યાંય ન રહી જાય, એ જોજે.
મેં હમણાં જ કહ્યું, કે આ શરીરમાંથી કે આ હાથમાંથી વાસક્ષેપ ઝરે, પેલી વ્યક્તિ સાધનાના માર્ગે આગળ ચાલે એવું બની શકે. પણ એ ક્યારે? હું યશોવિજય ન હોઉં ત્યારે. જે ક્ષણે હું યશોવિજય તરીકે હોઉં, અને મારો અહંકાર જો મારી ભીતર હોય, કે હું વાસક્ષેપ આપું ને સામાનું કામ થઇ જાય. એ દિવસે મારા હાથમાંથી ચંદનની ભૂક્કી જ ખરે. એનર્જી-બેનર્જી કાંઈ નહિ. કલાપૂર્ણસૂરિદાદા આશીર્વાદ આપતાં અને એનર્જી ખરતી. એ એનર્જી પ્રભુની એનર્જી હતી. કારણ એ સદ્ગુરુ totally vacant થઇ ગયેલા. Totally અદ્રશ્ય થઇ ગયેલા. એમનું વ્યક્તિત્વ બિલકુલ વિલીન થઇ ગયેલું.
તો મેં તો નક્કી કરી નાંખ્યું છે, એક સમર્પણ જ માત્ર દ્વાર છે. બીજો કોઈ માર્ગ નથી, બીજું કોઈ દ્વાર નથી. અને સમર્પણ કરી દો એટલે પ્રભુની જવાબદારી છે મને મોક્ષે લઇ જવાની. ગુરુની જવાબદારી છે મને સ્વાનુભૂતિ આપવાની. અને બંને પોતાનું કામ કરી જ રહ્યા છે. ગુરુ ચેતનાનું એક વચન છે તમને ખબર છે…? ગુરુચેતના તમને વચન આપે છે, જે શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં મુક્યું. ‘योगक्षेमं वहाम्य्हम्’ આ ગુરુચેતનાએ આપેલું શિષ્ય ચેતના તરફનું વરદાન છે. ‘योगक्षेमं वहाम्य्हम्’ બેટા! તારું યોગ અને ક્ષેમ સંપૂર્ણતયા મારે આધીન આવી ગયો છે. યોગ એટલે જોડાણ. કોઈ પણ સાધનામાર્ગ સાથે તમને જોડી આપવા એ યોગ. અને એ યોગનું કામ ગુરુ કરે. તમારા માટે કઈ સાધના appropriate છે, અને કઈ સાધના તમને આપવી, તમને કઈ રીતે જોડી દેવા એ કામ ગુરુ કરે. અને પછી આવ્યું ક્ષેમ. તમારી જે સાધના તમને મળેલી, કદાચ થોડીક વિસ્મૃત થઇ છે, તો તરત જ એને સુદ્રઢ બનાવવી, એ પણ કામ સદ્ગુરુનું છે. તો સદ્ગુરુ તરફથી આ કોલ મળેલો છે. ‘योगक्षेमं वहाम्य्हम्’
તો એની સામે અર્જુને શું કહેલું ખબર છે…? અર્જુન એટલે શિષ્ય ચેતના. ભગવદ્ ગીતાના બહુ મજાના બે પ્રતીકો છે, અર્જુન. અર્જુન શબ્દ ઋજુ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. ઋજુ એટલે સરળ… જે એકદમ સરળ છે. જે સ્વચ્છ હૃદયનો છે એ શિષ્ય. શિષ્ય કે સમર્પિત સાધક હંમેશા ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ જોઈએ. ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ. સ્ફટિક જેવા પારદર્શી હૃદયવાળા. એના હૃદયમાં કોઈ પણ વિચાર ગુરુથી અણવંચાયેલો ન રહે. વિચાર, એક પણ વિચાર ગુરુને કહ્યા વગર એને ચાલે નહિ. બધું જ ગુરુને કહી દે છે. તો ઋજુ શબ્દ ઉપરથી અર્જુન શબ્દ આવ્યો છે. અર્જુન એટલે શિષ્ય ચેતના, જે સમર્પિત છે, જે સરળ છે, જે ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ છે. એ શિષ્ય ચેતના.
અને કૃષ્ણ ચેતના, કૃષ્ણ conscious ness એ ગુરુ ચેતના. કૃષ્ણ એટલે શું? કૃશ ધાતુ ખેંચવાના અર્થમાં છે… કૃશ એટલે કર્ષણ. કર્ષણ એટલે ખેંચવું. તો જે તમારા conscious mind ને ઉડાવી દે, એ ગુરુ. તમારી બુદ્ધિ અને તમારા અહંકારને એક ઝાટકે ઉડાડી દે એ ગુરુ. એટલે ઉપનિષદો તો સ્પષ્ટ કહે છે, આચાર્યો હી મૃત્યુ: ગુરુ એટલે શું? મૃત્યુ. આચાર્યો હી મૃત્યુ: ગુરુ એટલે મૃત્યુ. વૈભાવિક સ્તર પર તમારું મૃત્યુ ન થાય, તો સ્વાભાવિક સ્તર પર તમારો પુનર્જન્મ કઈ રીતે થવાનો…? અત્યાર સુધી ગરબડ એ જ થઇ છે, કે વિભાવો એમનેમ ચાલુ રાખ્યા છે, રાગ, દ્વેષ અહંકારની ધારા એમનેમ રાખી છે અને સાધના કરી છે! પણ વિભાવ પણ ચાલુ રહે, ને સાધના ચાલુ રહે બને કેમ?! સાધના તો એ જ, જે વિભાવોને તોડી નાંખે મૂળમાંથી… ક્યારે પણ તમે તમારી જાતને સાધક તરીકે માનતા હોય તો એક મનનું નિરીક્ષણ કરજો. કે મારા મનમાં રાગ, દ્વેષ, અહંકાર કેટલો છે? અને કોઈ પણ સદ્ગુરુને હું સમર્પિત થયો છું કે નહિ…? તમે સમર્પિત થયા નથી ને સાધક ક્યાંથી થયા? ખરો પેશન્ટ કોણ? જે ડોક્ટરને સમર્પિત થયેલો છે…. જેને પોતાના દર્દનો અનુભવ થયો કે જેને પોતાનું દર્દ ખરાબ લાગ્યું, એ ડોક્ટર પાસે જવાનો જ છે ને, તો જ એ પેશન્ટ કહેવાય. પેશન્ટની વ્યાખ્યા શું? જે ડોકટરના શરણે જાય અને નિરોગી બની જાય. એમ સાધકની વ્યાખ્યા શું? જે સદ્ગુરુના શરણે જાય, અને સ્વસ્થ બની જાય.
તો અર્જુન ચેતના એટલે શિષ્ય ચેતના. કૃષ્ણ ચેતના એટલે ગુરુ ચેતના. તમારી બુદ્ધિ અને અહંકારને ઉડાડવા માટે અમે બેઠા છીએ. તમને ખબર છે…? કલાપૂર્ણસૂરિદાદા હતા એકદમ smiling faceવાળા બરોબરને…? એકદમ હસતો ચહેરો. પણ હું ઘણીવાર કહું છું કે જેટલા પણ સદ્ગુરુઓ હશે, પહોંચેલા, એ બધા જ smiling faceવાળા જ રહેવાના. એના બે કારણો છે. એક તો કુદરતી રીતે નિર્ભાર થઇ ગયા. ગુરુ એટલે નિર્ભાર વ્યક્તિત્વ. બધો જ ભાર પ્રભુને ભળાવી દીધો. સમર્પણ આવ્યું પછી મારે કંઈ કરવાનું છે જ નહિ. પ્રભુએ કરવાનું છે બધું… હવે નિર્ભાર થઇ ગયો તો પછી હાસ્ય જ હોય મારી પાસે. સ્મિત જ હોય. બીજું શું હોય…? ચિંતા ક્યાંથી હોય…?! હવે બીજી વાત તમારા માટે પણ smiling face જરૂરી છે. તમને નજીક તો લાવવા ને…! smiling face એટલા માટે ગુરુનો જરૂરી છે, કે તમને નજીક લાવે. અને નજીક લાવ્યા પછી ગુરુ કામ કરી નાંખે. સમજો કે તમારા વિભાવને ધોલ જ ઠોકવી છે. તમને નહિ, તમારા વિભાવને, તમારા ક્રોધને, તમારા રાગને, તમાચો ઠોકવો છે. પણ તમને નજીક બોલાવે તો તમાચો ઠોકી શકાય ને… એમનેમ શી રીતે મરાય? એટલે ગુરુની બે લાક્ષણિકતા છે. પહેલાં પ્યારથી તમને બોલાવે, તમે નજીક આવો એટલે એક ધોલ ઠોકી દે પછી…
સિદ્ધસેન દિવાકરસૂરિએ શું કર્યું, કથા આપણા ખ્યાલમાં છે, એ સિદ્ધસેનદિવાકરસૂરિ પાલખીમાં જતા હતા, રાજાની સભામાં, ગુરુ વૃદ્ધવાદીસૂરિને ખ્યાલ આવ્યો. ગુરુ આવ્યા, ગુરુએ પાલખી ઉપાડી, પાલખી હલાવી, શિષ્યને ખ્યાલ આવી ગયો. સિદ્ધસેનદિવાકરસૂરિ નીચે પડે છે ગુરુના ચરણોમાં, ગુરુદેવ આપ…! આપ અહીંયા…! આંખમાંથી આંસુનો ધોધ, એ વખતે ગુરુ પહેલી લાક્ષણીકતા અજમાવે છે, કે ભાઈ તું તો રાજાનો ગુરુ થઇ ગયો ભાઈ…! મારે આવવું પડે ને હવે…! અને પછી સીધી જ, જે તમાચ ફટકારી છે, “हिंडह काइं वणेण वणु” હરામખોર, તને સંસારના કીચડમાંથી મેં બહાર કાઢ્યો. તારે પ્રશંસાના કીચડમાં જવું છે? રાજાની સભામાં જવું છે? પાલખીમાં બેસીને જવું છે કેમ? રાજા તને સારો માને એટલા માટે…! એટલે સંસારના કીચડમાંથી મેં તને બહાર કાઢ્યો છે, હવે તારે એ જ સંસારના કીચડમાં જવું છે. સંસાર એટલે શું? રાગ, દ્વેષ, અહંકાર એ જ સંસાર છે. મારી પાસે પણ રાગ, દ્વેષ, અહંકાર પુરી માત્રામાં હોય તો નિશ્ચય પરિભાષાથી હું સંસારી જ છું. અને આમ પણ મુક્ત નથી એટલે સંસારી છું જ. એટલે આ વાત ઉપાધ્યાય યશોવિજયજીએ સ્પષ્ટ કરી બારમાં સ્તવનમાં, ‘ક્લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર’ તમારા મનમાં રાગ, દ્વેષ, અહંકાર છે તો એ સંસાર છે. તમારા મનમાં એ નથી, તમારું મન શુદ્ધ બનેલું છે. તો તમારી પાસે મોક્ષ છે.
એટલે ધર્મની એક બહુ મજાની વ્યાખ્યા હરીભદ્રસૂરિ મહારાજે આપી છે બરોબાર યાદ રાખજો. તમને થશે કે અત્યારે સુધી તમે જે પરિભાષા શીખેલા છો એ ખોટી છે. ધર્મની પરિભાષા શું? હરીભદ્રસૂરિ મહારાજ ષોડશકમાં કહે છે, “पुष्टिशुद्धिमचित्तम् धर्म:” આ એમણે આપેલી ધર્મની વ્યાખ્યા. “पुष्टिशुद्धिमचित्तम् धर्म:” તમારા ચિત્તની અંદર દોષોની મુક્તિ આવે, અને ગુણોની પુષ્ટિ આવે, તો માનજો કે તમારી પાસે ધર્મ આવ્યો છે. એટલે ધર્મની ગંગોત્રી એ તમારું ચિત્ત છે. પેલી ગંગોત્રી ફેલાય, લંબાય, ગંગા સાગર સુધી. ૧૪૦૦-૧૫૦૦ કિલોમીટર સુધી ફરે, એ આખી જુદી વાત છે. મૂળ ઉગમ સ્થળ કયું? Starting point, ગંગોત્રી point.
તો સાધનાનું ગંગોત્રી point કયું? જે ચિત્તની અંદર દોષો બહુ ઓછા છે, રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બનેલો છે. અને જેમાં વૈરાગ્ય, ક્ષમા, નમ્રતા આ બધું આવેલું છે. એવું ચિત્ત એ ધર્મ કહે છે. પછી એ ધર્મ આવ્યો. પછી તમે પ્રભુના ચરણોમાં ઝૂકો, ખમાસમણ દો એ ધર્મ થયો પણ ખમાસમણ ધર્મ ક્યારે થશે…? ગંગોત્રી point ના હોય તો ગંગા હોઈ શકે ખરી? મનની અંદર પુષ્ટિ અને શુદ્ધિ નથી, ધર્મ નથી, તો કાયાના સ્તર પર જે લહેરાય એ ક્રિયા હોઈ શકે, ધર્મ ન હોઈ શકે. અભવિનો આત્મા પણ ખમાસમણ દે, તમે પણ ખમાસમણ દો, ફરક ક્યાં પડે છે?
અને એટલે સ્પષ્ટ કહ્યું કે તમારી એક પણ ક્રિયા, એક પણ અનુષ્ઠાન, શુદ્ધ ક્યારે? એ પ્રણીધાનપૂર્વકનું હોય ત્યારે… પ્રણીધાન એટલે જોડાણ. તે-તે ક્રિયા સાથે તમારા મનનું જોડાણ જોઈએ. તમે તો માત્ર શરીરનું જોડાણ કરીને બેસી ગયા છો. એટલે શરીરનું જોડાણ પણ ક્યાં પૂરું છે? આખું પ્રતિક્રમણ થાય તમારે સંબંધ કેટલો, મુહપત્તિ આવે તો મુહપત્તિ પલેવી લો. વાંદણા આવે તો વાંદણા આપી દો. હાથ ઊંચા- નીચા કરી નાંખો. અને કાઉસ્સગ કરી લો. એટલે શરીર પણ પૂરું જોડાતું નથી તમારું… એટલે શરીર જોડાયું એટલું એ પણ ખોટી રીતે જોડાયું. મુહપત્તિ ના ૫૦ બોલ આવડતાં નથી. અહો, કાયં, કાય-સંફાસં આવે ત્યારે શું કરો? હવામાં તમે batting કરો છો. તમને ખ્યાલ નથી, કે ચરવળો જે છે એમાં તમે ગુરુ ચરણની કલ્પના કરો છો. હવે ચરવળાને હાથ સ્પર્શાવી અને એ જ હાથને તમારા લલાટે સ્પર્શાવો છો. અને એ રીતે ગુરુના ચરણનો સ્પર્શ મને મળ્યો એવો ભાવ અનુભવો છો.
અને કાયોત્સર્ગ કરો ત્યારે તો તમે દેહના સાક્ષી બની જાવ છો. કાયોત્સર્ગ શબ્દનો અર્થ શું? કાયા + ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે ત્યાગ. પણ કાયાનો ત્યાગ નથી કરવાનો. પણ બહિર્ભાવનો ત્યાગ કરવાનો છે. કાયામાં જે હું પણું માન્યું છે એનો ત્યાગ કરવાનો છે. એટલે કે સાક્ષીભાવ આવી જવો જોઈએ.
આનંદઘનજી મહારાજે સાતમા સ્તવનમાં કહ્યું; ‘કાયાદિકનો સાખીધર રહ્યો’ હું મારા શરીરનો પણ સાક્ષી છું. કર્તૃત્વ ગયું. સાક્ષી થઇ ગયા તમે. નાસ્તો શરીરે કર્યો, તમે માત્ર દેખનાર હતા. તો સાક્ષી બન્યા. તમે નાસ્તો કર્યો તો કર્તા બની ગયા. આજે કોણે નાસ્તો કરેલો ભાઈ…? તમે કરેલો કે તમારા શરીરે કરેલો…? તો આપણી ધર્મ ક્રિયામાં આપણું શરીર પણ જોડાતું નથી. મન ક્યાં જોડાય છે તમારું…? મન પૂરેપૂરું જોડાવું જોઈએ.
હવે હરીભદ્રાચાર્યે એક ઊંડા મનોવૈજ્ઞાનિક આયામમાં ચર્ચા કરી, ષોડશક પ્રકરણમાં કે આપણું મન એ ક્રિયા સાથે જોડાતું કેમ નથી. સદ્ગુરુને વંદન કરવા આવ્યા, એ ગુરુ પ્રત્યે અહોભાવથી તમે ઝુકી જાવ એ વખતે, પણ એ ઝૂકવાનું નથી રહેતું એટલે ખાલી માથું જ ઝુકે છે, મન તો ઝૂકતું જ નથી. કારણ શું? પ્રભુ પાસે ગયા ખમાસમણ દીધું, અહોભાવની ધારા તો છે નહિ, માત્ર વિધિ કરી લઈએ છીએ. તો આનું કારણ શું? એક સાધક સાધના કરવા આવ્યો છે, તમારા માટે એટલું તો માનું છું. કે તમારા મનમાં એટલી ઈચ્છા તો જરૂર છે કે મારે પ્રતિક્રમણ કરવું છે, જેથી મારા પાપ વિલીન થાય. તો આટલી એક શ્રદ્ધા તો છે જ તમારી પાસે… પણ આ એક શ્રદ્ધા હોવા છતાં તમારી પાસે જ્ઞાન નથી. જ્ઞાન નથી કેમ? ગુરુ સમર્પણ તમારી પાસે નથી… અને સમર્પણ નથી માટે પ્રણીધાન નથી. હવે ગુરુ જ તમને બતાવી શકે કે તું એક-એક અનુષ્ઠાન સાથે શી રીતે જોડાઈ શકે…
તો હરીભદ્રાચાર્યે બે માઈનસ point ની વાત કરી, એમણે કહ્યું કે જીવદ્વેષ અને સ્વાર્થીયવૃત્તિ. આ બંનેને કારણે સાધક સાધના કરવાની ઈચ્છાવાળો હોવા છતાં સાધનામાં મન પરોવી શકતો નથી. જીવદ્વેષ – આ જીવદ્વેષ બહુ ઊંડે ગયો છે, તમે થોડાક ક્રિયાના જાણકાર હશો, પૌષધ-બોશધ કરતાં હશો, સામાયિક કરતાં હશો, આણે બરોબર નહિ કર્યું. આણે આ ક્રિયા બરોબર નહી, ભાઈ તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. ભાઈ તું તો તારું ધ્યાન રાખ. તને બોસ કોને બનાવ્યો છે? પણ, આ જીવદ્વેષનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે. બીજાની ભૂલ તરત દેખાય છે, બીજાની ભૂલ કાઢવાનું મન થાય છે. કેમ અહંકાર પ્રબળ છે! હું કંઈક જાણું છું! આ દેખાડવું છે. આ અહંકારનું કેવું વરવું સ્વરૂપ છે! નાની- નાની બાબતમાં હું જાણું છું! કદાચ કોઈ કાશ્મીરની વાત કરતું હશે, કાશ્મીરમાં આમ છે ને આમ છે, તમે જઈ આવેલા હશો, તમે ટપકું મુક્યા વગર રહેવાના ખરા…?! હવે તમે કાશ્મીર ગયા કે ન ગયા પેલાને કંઈ કામ નથી. તમારે જણાવીને શું કામ છે? હું કાશ્મીર ગયો છું! પણ ના, હું કાશ્મીર ગયો હતો, મને આ અનુભવ થયો હતો. કેમ? અહંકાર..! આ પણ અહંકાર છે! તો આ અહંકાર હશે તો અનુષ્ઠાનો સમ્યગ્ શી રીતે થવાના?
બીજી સ્વાર્થીય વૃત્તિ છે? ઘસાવાની તો વાત જ નથી. પરત્થકરણં રોજ પ્રભુ પાસે બોલી લઈએ, પણ સ્વાર્થવૃત્તિ પ્રબળ જ છે. એના કારણે પ્રણીધાન આપણને મળતું નથી. પણ જો સદ્ગુરુ સમર્પણ થઇ જાય તો પ્રણીધાન આજે આવી જાય. એટલે સદ્ગુરુ સમર્પણ વિના બીજો કોઈ માર્ગ નથી.
આજે જે દાદાની પુણ્યતિથી છે, એ દાદાગુરુદેવ સિદ્ધિસૂરિ મહારાજના ગુણોમાં સૌથી શ્રેષ્ઠ અને આપણે સ્વીકારવા યોગ્ય ગુણ હોય તો એ ગુરુ સમર્પણ હતું. એમણે સિદ્ધિને પ્રાપ્ત કરી છે. માત્ર અને માત્ર સમર્પણ દ્વારા. એક વાત યાદ રાખો, શાસ્ત્રોએ કહ્યું છે, કોઈ વ્યક્તિને દીક્ષા લેવી છે, સમર્થ ગુરુના શિષ્ય એને બનવું છે, તો એનું કોવ્લીફીકેશન શું જોઈએ? આ એક પ્રશ્ન થયો શાસ્ત્રોમાં, કે કોવ્લીફીકેશન શું, યોગ્યતા શું જોઈએ? તો ત્યાં કહ્યું; કે એની પાસે આવશ્યક સુત્રોનું જ્ઞાન હોય, તો બીજા સુત્રોનું જ્ઞાન ન હોય તો પણ ચાલે. કારણ બીજા સુત્રોનું જ્ઞાન જરૂરી નથી. એની પાસે જરૂરી છે માત્ર સમર્પણ. સમર્થ ગુરુના શિષ્ય એને બનવું છે. એ કેટલો પ્રબુદ્ધ છે. એને કેટલા ગ્રંથો વાંચ્યા છે, એ ગુરુ ક્યારેય નહિ પૂછે, એ એનું કોવ્લીફીકેશન છે જ નહિ. કોવ્લીફીકેશન એટલું જ છે સમર્પિત થઇ શકે કે નહિ…
આ વાત તમને પણ ખ્યાલ છે. મુંબઈમાં છો, બીમાર પડ્યા, હૃદયની તકલીફ થઇ, અને કદાચ ઓપરેશન કરાવાનું છે, તમે બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ પણ થઇ જાઓ, એડમીટ થઇ ગયા, તમને પૂછવામાં નથી આવતું, કે આટલી મોટી હોસ્પીટલમાં તમને એડમીટ કરીએ, તમે કેટલા મેડીકલ બુલેટીસ વાંચેલા છે? અંગ્રેજી પર તમારી કેવી grip છે? પૂછે છે? તમે મેડીકલ શાસ્ત્રોનો M પણ ન જાણતા હોવ તો વાંધો નથી. માત્ર મેડીકલ સુપરવિઝન ને શરણે જ તમારે થવાનું છે. ડોકટર કહે દવાથી મટશે તો દવા. ડોક્ટર કહે ઇન્જેક્શન તો ઇન્જેક્શન. ડોકટર કહે ઓપરેશન તો ઓપરેશન. તમારે માત્ર surrender થવાનું છે. મેડીકલ સુપરવિઝનને તમે totally surrender થઇ જાવ, તમે નીરોગી થઈને પાછા ફરી જશો.
આ જ વાત અહીંયા છે, ગમે એવા સમર્થ ગુરુના શિષ્ય તમારે બનવું છે, તમારા કોવ્લીફીકેશનમાં કોઈ ગ્રંથોનું જ્ઞાન આવતું જ નથી. તમે ગ્રંથો ભણ્યા ને એ ભણ્યા જ નથી. ઉપનિષદો તો સ્પષ્ટ કહે છે, ગુરુ આપે તે જ્ઞાન. બાકીનું અજ્ઞાન. ગુરુ આપે તે મંત્ર. બાકીનું અમંત્ર. ચોપડીમાંથી લીધેલું જ્ઞાન કામમાં તમને નહિ આવે. એ દેખાડવામાં જ કામમાં આવે, તમારે કામમાં નહિ આવે. ચોપડીમાંથી લીધેલું જ્ઞાન – ગુરુ સમર્પણ વગરનું જ્ઞાન એ દેખાડવા માટે કામ આવશે, હું આટલું ભણેલો છું. તમારા પોતાના માટે કામમાં નહિ આવે. એટલે કોવ્લીફીકેશન માત્ર છે સદ્ગુરુ સમર્પણ.
અને આ વાત જન્માન્તરીય સાધના દ્વારા આપણા દાદાગુરુદેવને સમજાઈ ગઈ. એ શિષ્ય બન્યા છે મણીવિજય દાદાના, એ જમાનાના સર્વોચ્ચ સાધુપુરુષ. એક સમર્થ સદ્ગુરુ. આ પણ એક બડભાગ્ય હતું, કે આવા સમર્થ સદ્ગુરુ કોઈને શિષ્ય તરીકે સ્વીકારે. ગુરુઓ છે ને તમને બે રીતે ના પાડી શકે છે. તમે શિષ્ય તરીકે આવવા તૈયાર હોવ ને તો બે જાતના ગુરુઓ તમને ના પાડશે. એક એવા સદ્ગુરુ જેમને લાગશે, કે હું આના ઉપર કામ નથી કરી શકું એમ. પાલનપુરમાં કોઈ રહેતું હોય, અને મહેસાણા હોસ્પિટલમાં લઇ ગયા. મહેસાણા ડોકટર કહે છે ભાઈ આને ફોરવર્ડ કરો, ભાઈ અમદાવાદ- મુંબઈ લઇ જાઓ, મહેસાણાનો કેસ નથી. એમ એવા સદ્ગુરુ હોય જેને પોતાને લાગી જાય, કે આ કેસ એવો છે, કે એને તરત હું સ્વીકારી શકું એમ નથી. આના ઉપર બહુ કામ કરવું પડે એમ છે, તો એ ફોરવર્ડ કરી દે બીજા ગુરુને. તો એવા ગુરુ તમારો સ્વીકાર ન પણ કરે. બીજા એવા ગુરુઓ છે કે જે સ્વની ઊંડાણમાં પહોંચી ગયા છે. જેમને બહાર આવવું જ નથી એ તમને ના પાડશે. હા, તમે એકદમ surrender થઈને આવો તો હા પણ પાડી શકે. પણ તમારી થોડીક પણ અપેક્ષા હોય, કે ગુરુ મને ભણાવે, ગુરુ આમ કરે, ગુરુ આમ કરે એ ગુરુ કહી દેશે, હું કશું જ કરવાનો નથી. હું માત્ર સ્વની ધારામાં ડૂબેલો છું. તને મારી પાસે બેસવાની છૂટ તને આપીશ. તું મારી aura દ્વારા પામે એ પામે… પણ તું અપેક્ષા રાખે કે ગુરુ મને રોજ કલાક-બે કલાક આપે, એવી અપેક્ષા મારી પાસે રાખીશ નહિ. એવા સદ્ગુરુઓ આજે પણ છે, જે એકદમ ભીતર પહોંચી ગયા છે એટલે મણીવિજયદાદાએ શિષ્ય તરીકે બાપજી મહારાજને સ્વીકાર્યા. એ એમનું સદ્ભાગ્ય હતું. સમર્થ ગુરુ આપણને શિષ્ય તરીકે સ્વીકારે, આપણું સદ્ભાગ્ય હોય છે. સમર્થ ગુરુ. Vision વાળા ગુરુ. કારણ એ ગુરુ ત્યારે જ તમને સ્વીકારશે જ્યારે તમારા ઉપર કામ કરી શકે એમ છે. તમારા ઉપર કામ કરી શકે એમ નથી, તો ફોરવર્ડ કરી દેશે. ને તમારા ઉપર કામ કરી શકશે ક્યારે…? તમે સંપૂર્ણ સમર્પિત હશો તો… કોઈ પણ સદ્ગુરુ તમને સીધો કોલ આપવા તૈયાર. તને સ્વાનુભૂતિ આપી દઉં આ જન્મમાં. આસ્વાદ ચખાડી દઉં, કોઈ મોટી વાત નથી. પણ ગુરુ પૂછશે તું સમર્પિત totally છે?
એક બહુ મજાની વાત તમને કહું, તમે કોકને તો સમર્પિત છો જ પાછા… ગુરુને સમર્પિત નથી થતાં, કોકને તો સમર્પિત છો જ. તમારા વિભાવના સંસ્કારથી યુક્ત મનને પણ સમર્પિત છો. મન કહે છે આમ કરવું છે. આજ સવારે વિચાર આવેલો આમ, ચૌદસ છે આયંબિલ કરી લઈએ, આયંબિલ તો કરીએ પણ સાલું ચાનું શું? ચા જોઈએ ને સવારે… ભાઈ એકાસણું કરીએ, ચા મળી જશે. હા પણ સવારે ન મળે ને? આ કેમ થાય છે ગરબડ? સમર્પિત નથી, એટલે સમર્પિત છો તો મનને સમર્પિત છો. મનને પૂછવું પડે છે, ભાઈ મન શું કરશું બોલો…? મન તૈયાર છે, તમે કહેશો કે બિયાસણું તો કરું. હા, બિયાસણું ખરું, સવારની ચા મળી જાય, તો સાલું બપોરની ચા નું શું? નવકારશી ઠીક છે, સારું ભાઈ તહત્તિ નવકારશી કરીએ છીએ. તમે સમર્પિત તો છો જ બરોબર ને…? તો ગંદા મનને સમર્પિત થવું, એના કરતાં પ્રભુને સમર્પિત થવું સારું નહિ? સદ્ગુરુને સમર્પિત થવું સારું નહિ…?
કોઈ માણસ ચાકરી કરે તો કોની કરે? નોકરી કરવી છે તો, મુફલિસ માણસની કરે?! જે આપી શકે પગાર પણ મહીને ૧૦૦૦ રૂપિયાનો! તો કોઈ મોટી કંપનીમાં જોડાઈ જાય, જ્યાં લાખ, બે લાખ, પાંચ લાખ મહીને પગાર છે. એ નોકરી સ્વીકારે તો કોની સ્વીકારે? તમે નોકરી કોની સ્વીકારી છે બોલો…? મનની. શું આપે મન બોલો…? નર્ક અને નિગોદ. આપી આપીને શું આપે બોલો! તમે મનને સમર્પણ કર્યું, એ મને તમને શું આપ્યું? નર્ક અને નિગોદ. તો શું કરવું છે બોલો હવે…? સમર્પણ તો છે જ… ખોટી જગ્યાએ થયેલું છે. સાચી જગ્યાએ કરવું છે?
ગરબડ ક્યાં પડે છે? તકલીફ ક્યાં થાય છે? હું નું વિસર્જન કરવાનું છે. અને હું તો આભાસી હું જ છે આમેય… આ તો ખોટો ફુગ્ગો જ છે હું નો તો અહંકારનો. શરીર એટલે હું. નામ એટલે હું, મન એટલે હું. આ તો ફુગ્ગો છે ખાલી… ફુગ્ગાને ફોડી નાંખો. વાત પુરી થઇ જાય. ગુરુ ચેતનાએ અગણિત વાર તમારા ઉપર ઉપકાર કર્યો. ગુરુ ચેતના ટાંકણીનો જથ્થો લઈને બેઠેલી હોય છે. તમે અહંકારનો ફુગ્ગો ત્યાં આગળ ફુલાવીને જાવ, ગુરુ ટાંકણી મારવાના જ. એ ક્ષણે તમારો અહંકારનો ફુગ્ગો ફૂટી પણ જવાનો, ફરી પાછા તમે બીજો ફુગ્ગો ફુલાવી દેવાના. એટલે ગુરુ અને સાધક વચ્ચે આ એક લુકાછીપી નો ખેલ અગણિત જન્મોથી ચાલે છે. ગુરુ તમારા અહંકારને તોડે, તમે ફરી પાછો અહંકાર જન્માવો. આ ખેલ ક્યાં સુધી રાખવો છે બોલો…? જ્યાં સુધી સમર્પણ નહિ થાય ત્યાં સુધી ખેલ ચાલુ રહેવાનો. ગુરુ પોતાનું કામ કરશે જ, યાદ રાખજો.
મને હમણાં એક ભાવકે પૂછેલું કે સાહેબ વર્ષોથી તમે વાચનાઓ આપો છો, અને હજારો લોકો સાંભળે છે, ઘણા તો એના એ ચહેરા હોય, સહેજ પણ બદલાયેલા નથી. એવું પણ તમને લાગે. તો મને પૂછે કે તમને થાક લાગે કે ન લાગે? તમે આટલી વાચનાઓ સંભળાઈ, પેલો એવો ને એવો જ ફુગ્ગો ફુલાવીને જ બેઠો છે. તમે રોજ ફુગ્ગો ફોડો ને રોજ નવો ફુગ્ગો ફૂલાવાનો. તમે એને જુઓ તમને થાક લાગે કે નહિ? તો મેં કહ્યું, થાક ક્યાં લાગે? કર્તૃત્વ હોય ત્યાં થાક લાગે. સાક્ષીભાવ હોય તો થાક લાગવાનો નથી. એટલે જ આનંદઘનજી ભગવંતે કહ્યું, ‘ગુરુ નિરંતર ખેલા’ ‘ગુરુ નિરંતર ખેલા’ જે નિરંતર ખેલની, સાક્ષીભાવની ભૂમિકામાં છે એ ગુરુ છે. અને તમે સ્વાનુભૂતિની પગથારે આવશો ત્યારે તમારા માટે પણ આ સાક્ષીભાવ એવો આવી જશે કે તમે તમારી વૈભાવિક ક્રિયાઓના સાક્ષી બનશો.
અને એટલા માટે સ્વાનુભૂતિની સજ્ઝાયમાં પાંચમી સ્થિરા દ્રષ્ટિની સજ્ઝાયમાં ઉપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું, ‘બાલ્ય ધુલી ઘર લીલા સરખી ભવ લીલા ઇહાં ભાસે રે’ તમે સ્વાનુભૂતિવાળા થયા કે ન થયા. ખબર શું પડે? એના માટે માપદંડ આપે છે, બાલધુલી ઘર લીલા સરખી, ભવ લીલા ઇહાં ભાસે રે – તમે સંસારી જ છો એ વખતે, સાધુ બન્યા નથી. ચોથે ગુણઠાણે છો, સંસારમાં છો. પણ એ સંસાર તમને તમારો કેવો લાગે છે? બાળક હોય, ભીની રેતમાં ઘર બનાવે, અને એ ઘર બનાયેલું હોય, તો કોઈ છોકરો એ ઘરને પાટું મારે ને તો લડાઈ શરૂ થઇ જાય, કેમ? મારા ઘરને તોડનાર તું કોણ? પણ ૧૧-૧૧.૩૦ વાગે મમ્મી હાંક મારે, ચાલ બેટા જમવા માટે, એટલે પોતાના જ ઘરને પાટું મારીને ચાલ્યો જાય. એ રીતે આખી ભવલીલા સંસારની લીલા જેને લાગે છે, એ જ સ્વાનુભૂતિવાળો છે. આ તો પરપોટો છે.
બુદ્ધ કહેતાં જીવન એક પરપોટો છે. અને ઘટનાઓ તો પરપોટાના પણ પરપોટા છે. એક-એક પરપોટાને તમે ખ્યાલ રાખશો..?! આ પરપોટો આવ્યો. શું પણ..! પરપોટા..?! પરપોટાની ગણતરી કરવા માટે આપ્યું છે તમને જીવન…?! એક જ વાત સદ્ગુરુ સમર્પણ.
તો સિદ્ધિસૂરિ દાદાને આપણે યાદ કરીએ છીએ આજે. આપણે ત્યાં છે ને એક સરસ શબ્દ છે ગુણાનુવાદ. આવો કોઈ દિવસ હોય ને ત્યારે આપણે એ મહાપુરુષના ગુણોનો અનુવાદ કરીએ, પણ અનુવાદનો મતલબ શું? બહુ સરસ શબ્દ છે અનુવાદ છે. અનુવાદ એટલે translation – ભાષાંતર. તો એમની પાસે જે સમર્પણ હતું, એનું translation મારા જીવનમાં કઈ રીતે થઇ શકે આવું વિચારવું એ ગુણાનુવાદ. આપણે માત્ર શબ્દો સુધી સીમિત થઈને અટકી ગયા. કોઈ પણ મહાપુરુષની તિથી આવે ભાષણ કરી નાંખો. બે કલાક પ્રવચન કરી નાંખો એટલે વાત પુરી થઇ ગઈ. આપણે ન્હાવા- નીચોવાનો કોઈ સંબંધ નહિ. ગુણાનુવાદનો મતલબ એ છે એમના ગુણોનું એક નાનકડું edition પણ આપણા જીવનમાં ઊભું થાય..
તો આજે એ મહાપુરુષના માત્ર સમર્પણ ગુણને અપને જોઈએ છીએ. કેવું સમર્પણ હતું! આવા સમર્થ ગુરુ મળ્યા! અને ભલે બીજી ઈચ્છા ના હોય કોઈ, પણ સાધક તરીકે કદાચ એવી ઈચ્છા હોય, કે આવા ગુરુની નિશ્રામાં મારી સાધના develop થાય. આવી ઈચ્છા હોય કે નહિ…? આ જ ગુરુની નિશ્રા મળે. અરે આ ગુરુ બોલે પણ નહિ, પણ આ ગુરુની ઔરામાં હું રહું… તો મારી સાધના develop થાય. આવી ઈચ્છા હોય કે નહિ…? પણ બે-ચાર મહિના થયેલા દીક્ષાને અને એકવાર ગુરુ મહારાજે બોલાવ્યા, સિદ્ધિવિજય અહીં આવ, વિનીત શિષ્ય ત્યાં આવે છે, ગુરુના ચરણોમાં પડે છે, ગુરુદેવ શું? સુરત પાસે રાંદેર છે, એમાં ખરતર ગચ્છના એક મુનિરાજ છે, એકલા થઇ ગયા છે અને માંદા છે. એમની સેવામાં તારે જવાનું છે. તહત્તિ ગુરુદેવ. આ બાજુ ગુરુની આજ્ઞા; આ બાજુ સ્વીકાર. ચાલો ગુરુની આજ્ઞાનો સ્વીકાર પણ કરીએ, સહેજ મનમાં એમ ન થાય? સાહેબ હું તમારું aura circle મુકીને ક્યાં જાઉં? ગુરુદેવ કમસેકમ તમારા aura field માં તો મને રાખો કે તમારી નજીકમાં અમદાવાદમાં રાખો, બીજે ક્યાંય, પણ તમારાથી આટલું દૂર મને મોકલો છો…? કોઈ વિચાર નહિ..! તહત્તિ ગુરુદેવ! ક્યારે જવાનું? આવતી કાલે સવારે. ઉપડી જઉ સાહેબ… અને આ ગુરુ સમર્પણને કારણે એ સુરત પાસે રાંદેરમાં રહ્યા પણ એ ગુરુના ચરણોમાં હતા. અને ગુરુની આજ્ઞા ન માની હોત, અને ત્યાં ને ત્યાં ગુરુની પાસે રહ્યા હોત, તો પણ ગુરુથી દૂર હોત. ગુરુથી નજીક હોવું એટલે શું? ગુરુના આજ્ઞાદેહની નજીક હોવું. સદ્ગુરુના aura field ની નજીક હોવું. સદ્ગુરુના દેહથી નજીક હોવું એવો અર્થ છે જ નહિ અહીંયા…
એક ગુરુને શરીરમાં કળતર બહુ જ થતી હતી, પીડા થતી હતી. શિષ્યને કહ્યું, કે મારા પગ પર તું ચડી જા અને તારા પગથી મારા પગને તું ખુંધ. એટલી બધી પીડા હતી કે હાથથી કદાચ દબાવે તો પણ પીડા જાય એવી નહોતી. શિષ્ય વિચારમાં પડી ગયો, આ ગુરુ! એમના આસનને પગ લાગે તો ય મને પ્રાયશ્ચિત આવે. એ ગુરુના ચરણને મારો હાથ અડાડી શકું, પગ તો એમના આસનને ય ન સ્પર્શવો જોઈએ. એમના દેહને મારો પગ સ્પર્શે?! અને એમના ચરણો ઉપર મારા પગથી હું ખુંધુ! ગુરુદેવ આવું તો કેમ બને? કહે છે પણ. આપના શરીર ઉપર! કઈ રીતે બની શકે? આપના શરીર પર મારો પગ કઈ રીતે આવી શકે? ગુરુ હસ્યા. ગુરુ કહે, હરામખોર! મારી જીભ ઉપર તો પગ મુક્યો. હવે પગ ઉપર પગ મુકવામાં તને શું વાંધો છે? મારી આજ્ઞા તે નહિ માની તો મારી જીભ ઉપર પગ મુક્યો તે. તો જીભ ઉપર તો પગ મૂકી દીધો. હવે પગ ઉપર પગ મુકવામાં તને વાંધો શું છે? પણ આ સમર્પણ આપણે કેમ નથી ઝીલી શકતા? કારણ શું? કારણ એક જ છે. અહંકાર અને બુદ્ધિ. હવે પાછી બુદ્ધિ હોય! સ્વાનુભૂતિ માટે ગુરુ કહે કે આની વૈયાવચ્ચ કર, સેવા કર. તો આમની સેવા કરું એટલે સ્વાનુભૂતિ મને મળે! કઈ રીતે મળે આમ? લોજીકલી સમજાતું નથી. તારી બુદ્ધિને કોરાણે મુક કે. ખરેખર તારે સાર્થક થવું હોય તો બુદ્ધિને તારા ઘરે મુકીને આવ.
ઝેન આશ્રમોમાં તો એ લોકો બહાર તકતી લગાવે છે. NO MIND PLEASE. NO MIND PLEASE. તમારી બુદ્ધિને લઈને અહીંયા આવતાં નહિ. તમે બુદ્ધિ લઈને જ ગયા છો બધે. ઉપાશ્રયમાં ગયા તો કઈ રીતે ગયા? ત્રણ પ્રવચનકાર મહાત્માઓ હતા સમારોહમાં. એક બોલ્યા, બીજા બોલ્યા, ત્રીજા બોલ્યા. તમારી બુદ્ધિ નથી ભીંજાવાની, નથી પલળવાની. ડૂબવાની તો વાત જ નથી. એ બુદ્ધિ જે છે એ માત્ર મહાત્માઓનું વર્ગીકરણ કરશે. એમના વકતૃત્વનું પૃથ્થક્કરણ કરશે. કોણ સારું બોલ્યા? કોણ પ્રભાવશાળી બોલ્યા? શું મતલબ આનો?! તમે બુદ્ધિ લઈને અનેક પ્રવચનો સંભાળવા ગયા છો. બુદ્ધિથી પ્રવચન સાંભળી શકાય જ નહિ.
અને એટલે વીરવિજય મહારાજે ૯૯ પ્રકારી પૂજામાં કહ્યું, “શ્રદ્ધા વિણ કુણ ઇહાં આવે રે?” એ સિદ્ધગીરીની પણ વાત છે. પ્રભુશાસનની પણ વાત છે. કે તમે શ્રદ્ધા વિના સિદ્ધગિરિ ઉપર જઈને શું કરશો? ડોળીવાળો રોજ ચડે છે. શ્રદ્ધા છે, કે ગિરિના કણ-કણમાંથી અનંત સિદ્ધઆત્માઓ મોક્ષપદને પામ્યાં છે. આમ ગિરિરાજને નમસ્કાર કરો અને અહોભાવથી આંખ જે છે ભીની ભીની થઈ જાય. તો “શ્રદ્ધા વિણ કુણ ઇહાં આવે રે?” પ્રભુશાસન મળ્યું. પ્રભુશાસનની આ બધી જ વિધિઓ મળી. શ્રદ્ધા છે? અહોભાવ છે? એટલે આપણે જે હવે સ્વાનુભૂતિના ચરણો શરૂ કરવા છે. એ આ સમર્પણના, અહોભાવના, શ્રદ્ધાના સ્તર ઉપર શરૂ કરવાના છે. સ્વાનુભૂતિના અરૂણોદયની વાત આપણે કરી. પરરસથી મુક્તિ.
એક જ ચેપ્ટર હતું. અને એના ત્રણ પેટાવિભાગ થયેલાં. ભેદજ્ઞાનનો અભ્યાસ કરો, નિર્વિકલ્પદશાનો અભ્યાસ કરો, દ્રષ્ટાભાવનો અભ્યાસ કરો. એ સ્વાનુભૂતિનો અરુણોદય હતો. હવે આપણે સ્વાનુભૂતિના સૂર્યોદયમાં જવાનું છે. એના પાંચ ચરણો છે. જીનગુણ-દર્શન, જીનગુણ-રૂચિ, જીનગુણ-ઝંખના, જીનગુણ-પ્રબળ ઝંખના અને જીનગુણ-સ્પર્શ. સ્પર્શમાં આવશો ત્યાં અનુભૂતિ થશે. ત્યાં સ્વાનુભૂતિ થશે. પણ એ સ્વાનુભૂતિ કરતા પહેલા ચાર ચરણોની યાત્રા કરવી પડે છે. અને એના માટે સમર્પણ નિતાંત જરૂરી છે. અહોભાવ અને બહુમાન ભાવ નિતાંત જરૂરી છે. બપોરના સેશનમાં આપણે એ ચરણોની શરૂ કરી રહ્યા છીએ કે જીનગુણ-દર્શન.
અત્યાર સુધી દર્શન કરીને આવ્યા. કોનું દર્શન કર્યું? તમે શું કહો? કોઈ પૂછે દર્શન કરીને આવ્યા? હા, પ્રભુનું દર્શન કરીને આવ્યા. ખરેખર તમે પ્રભુનું દર્શન કરેલું છે? ભગવાનની મૂર્તિમાં બ્લેક કલર હતો એ બ્લેક કલર જોયો તમે. પીળો હતો તો પીળો પાષણ જોયો તમે. આંગી સારી, આંગી તમે જોઈ. તો આંગીનું દર્શન તમે કરીને આવ્યા? એ ભગવાનના મૂર્તિદેહની અંદર જે આરસ વપરાયેલો છે એનું દર્શન કરીને આવ્યા? કે ખરેખર પ્રભુનુ દર્શન તમે કર્યું?
પ્રભુનું દર્શન એટલે શું? પ્રભુ એટલે શું? અનંતગુણોથી યુક્ત નિર્મલ ચેતના. તો પ્રભુની નિર્મલ ચેતનાનું દર્શન થયું? પ્રભુની વિતરાગદશા, પ્રભુની અનંતજ્ઞાનદશા, અનંતદર્શનદશા, અનંત આનંદમયદશા. આ બધાનું દર્શન થયું? તો હજુ સુધી આપણે વ્યવહારભાષામાં કહીએ છીએ કે પ્રભુનું દર્શન થયું. સાચું પ્રભુનું દર્શન આપણને થયું નથી. એ જીનગુણ-દર્શનથી સ્વાનુભૂતિના સૂર્યોદયનો પ્રારંભ થશે. અને એના પાંચમાં ચરણે સ્વાનુભૂતિનો સ્પર્શ આવશે અને એ સ્પર્શ થશે ત્યારે જીનગુણ-સ્પર્શ દ્વારા આપણે સ્વગુણનો સ્પર્શ કરશું અને એ સ્વાનુભૂતિનો સૂર્યોદય હશે. તો આ પાંચ ચરણોની યાત્રા હવે આપણે ચાલુ કરવાની છે બપોરના સેશનમાં. અત્યારે આપણે પ્રેક્ટીકલ કરીએ.