વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject : જિનગુણ દર્શન
જિનગુણ દર્શન એટલે પ્રભુનું આંતરદર્શન. પ્રભુના રૂપનું દર્શન હજી સહેલું છે. પરમાત્માની મુખમુદ્રામાં શાંતરસ દેખાય છે. એમની આંખોમાં કરુણા દેખાય છે. એ તમે તરત ઝીલી શકશો. પણ પ્રભુના ગુણોને જોવા માટે જોઈશે નિર્મળ દર્શન; અહોભાવની, નિર્વિચારતાની પૃષ્ઠભૂ પરનું પ્રભુનું દર્શન.
પ્રભુને જોવાના મળ્યા હોય, અને ત્યારે રાખ અને ધૂળના વિચારો તમને આવી શકે?! એક અપ્રત્યાશિત (unexpected) ઘટના… દુનિયાની અંદર આવી નિર્મળતા ક્યાંય જોવા ન મળે. દુનિયામાં આવો પ્રશમરસ ક્યાંય જોવા ન મળે. એ તમને જોવા મળેલો હોય, અને ત્યારે પણ તમારા મનમાં વિચારો ચાલતાં હોય, કેટલી મોટી વિડંબના કહેવાય તમારી!
પ્રભુ આટલા સ્વસ્થ, એકદમ ઉદાસીનદશામાં કેવી રીતે છે? કારણ કે પ્રભુ વીતરાગ છે. એમને કશું જોઈતું જ નથી. બધા પદાર્થો, બધી વ્યક્તિઓ પરના બધા જ રાગથી એ પર બની ચૂકેલા છે. જેને કશું જોઈતું જ નથી, એ સ્વમાં જ સ્થિર હોય. માટે જ પ્રભુ પણ સ્વમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રભુના ગુણનું દર્શન.
મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના – ૯
પરમપાવન શત્રુંજય ગિરિરાજની ગોદમાં પાલીતાણામાં અમારું ચાતુર્માસ. ગુરુદેવની નિશ્રામાં. એ વખતે ચાતુર્માસમાં એક જર્મન વિદ્વાન આવેલા. જર્મનીના હતા પણ જૈન ધર્મ વિશે એમને ઊંડો રસ હતો. એ પાલીતાણા આવ્યા, કે પાલીતાણાની અંદર જૈન ધર્મના દિગ્ગજ આચાર્યો મને મળી જાય અને એટલે મારી જે પણ શંકાઓ છે એ એમને હું પૂછી શકું. પાલીતાણા આવી ગયા, યાત્રા પણ એમણે કરી. પછી એક પછી એક આચાર્ય ભગવંતનો સત્સંગ એ કરવા લાગ્યા. અમે લોકો પન્ના રૂપા ધર્મશાળામાં, એ પ્રોફેસર એક દિવસે સમય માંગીને ગુરુદેવની પાસે આવ્યા. હું ગુરુદેવની જોડે બેઠેલો. એ પ્રોફેસરે વંદન કર્યા. બેઠા, પહેલો જ પ્રશ્ન એમણે કર્યો કે હું તમારી પૂજા પદ્ધતિને જોઈ આવ્યો. પહેલી જ વાર ભારતમાં આવ્યા પછી, જૈન લોકોની પૂજા પદ્ધતિ કેવી હોય છે એનો મને ખ્યાલ આવ્યો. તમારી પૂજા પદ્ધતિમાં તમે લોકો ચરણથી પ્રારંભ કરો છો. મને સવાલ એ થયો, કે હિંદુ સંસ્કૃતિમાં મસ્તિસ્ક પણ ઉત્તમ અંગ છે. તો મસ્તિસ્કથી તમે પૂજાનો પ્રારંભ કેમ નથી કરતાં? ગુરુદેવ ખુશ થઇ ગયા, હું બાજુમાં બેઠેલો, મને ગુરુદેવ કહે યશોવિજય! આપણા આટલા ભક્તો છે, એકેય ભક્તે આ સવાલ નહિ કર્યો હોય કે પૂજાનો પ્રારંભ ચરણથી કેમ? મસ્તિસ્કથી કેમ નહિ? ત્યારે ગુરુદેવે એ જર્મન પ્રોફેસરને સમજાવ્યું, કે અમે લોકો આ મૂર્તિને પ્રાણ ચૈતન્યથી સભર ઘટના માનીએ છીએ. પરમ ચૈતન્ય એની અંદર પ્રવેશેલો છે. અને એ પરમ ચૈતન્ય એ મૂર્તિમાંથી આપણી તરફ નવ દ્વાર દ્વારા આવે છે. નવ અંગ જેને આપણે કહીએ છીએ ને actually એ નવ ચૈતન્ય કેન્દ્રો છે. એને યોગિક ભાષામાં ચૈતન્યકેન્દ્રો કહેવાય છે. એટલે પરમ ચૈતન્ય જ્યાં-જ્યાંથી બહાર આવે છે, એ કેન્દ્રને ચૈતન્ય કેન્દ્ર નામ આપ્યું. જેમ કે તમારા શરીરમાં ચક્રો છે, સ્વાધિષ્ઠાન, મણીપુર, બધા જ ચક્રો તમારા શરીરમાં છે, પણ એ ચક્રનો મતલબ શું? કે આત્મશક્તિ ત્યાં વિશેષ રૂપે પ્રગાઢ બનેલી હોય છે. તો એ જ રીતે પ્રભુમાં રહેલું પરમ ચૈતન્ય નવ અંગો દ્વારા બહાર નીકળે છે. અને એટલે આપણે નવ અંગે પૂજા કરીએ છીએ. પણ પછી ગુરુદેવે કહ્યું, એ નવે અંગની અંદર ચરણ સૌથી વધુ પ્રધાન છે, કારણ, ચરણમાંથી ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. અને એટલે આજના તકલાદી શરીર વાળો માણસ પૂજા કરવા એ ગયો પણ ખરો, અડધી પૂજા એ થઇ રહી હોય ને પેટમાં દુઃખવા આવ્યું કે છાતીમાં દુઃખવા આવ્યું. એને બહાર નીકળી જવું પડે. તો પણ એને પૂજાનો maximum લાભ મળી રહે એના માટે અમે લોકોએ ચરણથી પૂજાનો પ્રારંભ કરાવ્યો છે.
એકવાર ચરણે પણ સ્પર્શ થઇ જાત તો, એ ચરણમાંથી પ્રગટતી ઉર્જાનો એને સ્પર્શ મળી જાય. શંખેશ્વરમાં તમને ખ્યાલ છે, આ શંખેશ્વર દાદાની પાસે ભક્તોનો પ્રવાહ વધી જાય. ત્યારે management વાળા શું કરશે? હવે નવ અંગની પૂજા બંધ. એક અંગની પૂજા ચાલુ. પણ એ એક અંગ કયું? પ્રભુના જમણા ચરણનો અંગુઠો. કારણ ઉર્જા વધુમાં વધુ માત્રામાં ત્યાંથી નીકળે છે. અને બીજી વાત કહું એના અનુસંધાનમાં આપણે સદ્ગુરુના ચરણનો સ્પર્શ કેમ કરીએ છીએ? કોઈ પણ સદ્ગુરુ પાસે તમે જશો, ચરણ સ્પર્શ કરશો, માથે અડવાના નથી તમે ગુરુને, હાથે પણ અડવાના નથી, ચરણે જ સ્પર્શ કરો છો, કારણ શું? એનું કારણ પણ આ જ છે. ગુરુના ચરણમાંથી ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. અને એટલે જ કોઈ પણ શિષ્ય મોટો દોષ કરીને આવેલો હોય, સ્ખલન એનાથી થઇ ગયું હોય, તો એ સૌથી પહેલું કામ શું કરે? ગુરુના ચરણમાં પોતાનું મસ્તક ટેકવી દે. અને ગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે, એ એને purify બનાવી દે. તો પ્રભુના ચરણમાંથી પણ ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. ગુરુના ચરણમાંથી પણ ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. આપણી વાત એ હતી, કે આપણે પ્રભુનો સ્પર્શ કરીએ છીએ ત્યારે, એ ઉર્જાનો સ્પર્શ તમને થાય છે? That’s the electricity. એ ઉર્જા એટલે વિદ્યુત છે. ઉર્જા એટલે electricity જ છે. વીજળીના લિક થયેલા વાયરને તમે અડો, shock લાગે છે એમ પ્રભુના ચરણે તમે સ્પર્શ કરો છો ત્યારે કઇંક રણઝણાટી – કંઈક ખલબલાટી થાય છે?
હમણાં જ મેં એક પ્રવચનસભામાં પૂછેલું, કે લિક થયેલા વાયરને અડો તો shock લાગે. કારણ કે ત્યાંથી ઉર્જા વહે છે. એ જ રીતે પ્રભુના એક-એક અંગમાંથી ઉર્જા વહી રહી છે. તમે એ ઉર્જાને touch કરો છો તમારી ભીતર ખલબલાટી કેમ નથી મચતી… એક ભાવક મારી સામે જ બેઠેલો. એ કહે ગુરુદેવ તમારી વાત બિલકુલ સાચી. આ તો અમને પણ ખ્યાલ છે, કે પરમાત્મા પરમ ચૈતન્યથી સભર છે. અને એ પરમ ચૈતન્ય ક્ષણે-ક્ષણે નીકળી રહ્યું છે. નવું પરમ ચૈતન્ય દાખલ થશે અને અંદર રહેલું પરમ ચૈતન્ય બહાર આવ્યા કરશે. આ અમને ખ્યાલ છે ગુરુદેવ. પણ તો પછી આ અમે એ પરમ ચૈતન્યનો સ્પર્શ કરીએ છીએ, અમને ખલબલાટી કેમ નથી થતી? રણઝણાતટી કેમ થતી નથી? મેં કહ્યું; electric ટેકનીશીયન હોય, અને એને વીજળીના વાયર જોડે રોજ કામ પડતું હોય, એ લાકડાની સ્લીપર પહેરી અને કદાચ લિક થયેલા વાયરને અડે તો પણ શું થાય? કારણ એની અને electricity ની વચ્ચે અવરોધ આવી જાય. મેં કીધું તમે પણ દેરાસરમાં જાવ છો ને ત્યારે પ્રભુનો સ્પર્શ તમને નથી થતો. તમારી અને પ્રભુની વચ્ચે એક અવરોધ આવે છે. કયો અવરોધ બોલો? તમારા વિચારો… દેરાસરમાં ગયા, દર્શન કરો છો, વિચારો ચાલુ છે, અને એટલે જ પદ્મવિજય મહારાજે નવપદ પૂજામાં કહ્યું, ‘પ્રભુ નિર્મલ દર્શન કીજીએ’ માત્ર દર્શન કર એમ નહિ કહ્યું, પ્રભુ નિર્મલ દર્શન કીજીએ. નિર્મળ દર્શન એટલે શું? તમે નિર્વિચાર છો. પ્રભુને જોવાના મળ્યા હોય, અને ત્યારે રાખ અને ધૂળના વિચારો તમને આવી શકે મારે તમને એ પૂછવું છે? એક અપ્રત્યાશિત(Unexpected) ઘટના. દુનિયાની અંદર આવી નિર્મળતા ક્યાંય જોવા ન મળે. દુનિયામાં આવો પ્રશમરસ ક્યાંય જોવા ન મળે. એ તમને જોવા મળેલો હોય, અને ત્યારે પણ તમારા મનમાં વિચારો ચાલતાં હોય કેટલી મોટી વિડંબના કહેવાય તમારી… અને એટલે જ આપણે ત્યાં કહ્યું; ‘વિસ્મયો યોગભૂમિકા:’ શિવ સૂત્ર આપણી ભારતીય પરંપરાનું એક સારો યોગગ્રંથ છે. એમાં પાર્વતીજી મહાદેવજીને પૂછે છે, અને મહાદેવજી જવાબ આપે છે, તો પાર્વતીજીએ પૂછ્યું છે; કે યોગની અંદર ભક્તિમાં, સાધનામાં પ્રવેશવું હોય એના માટેનું દ્વાર કયું? તો ત્યાં મહાદેવજીએ કહ્યું; વિસ્મયો યોગભૂમિકા:. વિસ્મય, આશ્ચર્ય, એ જ યોગમાં, ભક્તિમાં, સાધનામાં પ્રવેશવાનું દ્વાર છે. પ્રભુને જોવો ને આશ્ચર્ય થાય ઓહો! આવા પ્રભુ મારા… આવી નિર્મળતા… આવી તો ક્યાંય જોઈ જ નહિ દુનિયામાં… આવી પ્રભુની સ્વસ્થદશા… શાંત દશા, આવો પ્રશમરસ દુનિયામાં ક્યાંય દેખાય નહિ. સંતોની પાસે દેખાય એ પ્રભુના પ્રશમરસની બહુ જ નાનકડી આવૃત્તિ હોય. પણ એ પ્રશમરસ પુરેપરી માત્રામાં દેખાય પ્રભુની પાસે. અને એ તમને જોવા મળે, ત્યારે પણ તમારા વિચારો ચાલતાં હોય એ કેમ બની શકે….
શંખેશ્વર દાદાના એક ભક્ત છે, નામ એનું નરેન્દ્રભાઈ છે. પણ શંખેશ્વરમાં એ બાબલાભાઇ તરીકે પ્રસિદ્ધ છે. એ લગભગ મહિનામાં ૧૫ દિવસ- ૨૦ દિવસ શંખેશ્વરમાં જ બેઠા હોય, ઘણીવાર મને મળે, હું પૂછું તમે કરો છો શું દાદાની પાસે? એ વખતે એમનો એક જ જવાબ હોય છે, સાહેબ મને કશું આવડતું નથી. કોઈ સ્તવનો નથી આવડતાં, બીજી કોઈ વિધિ નથી આવડતી, હું તો માત્ર મારા ભગવાનને જોયા કરું છું. હું માત્ર મારા દાદાને જોયા કરું છું. તમે ક્યારેય જોયા દાદાને?
એક practical approach ફરીથી તમને કહું, રોજ તમારા જીવનમાં આવી જવો જોઈએ. દર્શન કરવા સવારે જવાનું જ છે આપણે, અને પૂજન પણ પછી તમે કરો જ છો. દર્શન કરો ત્યારે દર્શન કરો, સ્તુતિ કરો, પણ બધું તમે routine પૂર્વક કરો છો. છતાં વિધિ પુરેપુરી કરી લો તમે, પણ વિધિ પુરી કર્યા પછી દસ મિનિટ માત્ર પ્રભુની સામે જોતા બેસી રહો. જુઓ માત્ર… કોઈ વિચાર નહિ એ વખતે, કોઈ ક્રિયા નહિ, કશું જ નહિ. તમને ખબર છે ત્રણ નિસીહી આવે, ત્રીજી નિસીહી ક્યાં બોલવાની? ચૈત્યવંદન કરતી વખતે, ભાવપૂજા કરતી વખતે, તો એ વખતે ભાવપૂજામાં એટલા મગ્ન બનવાનું છે કે અષ્ટપ્રકારી પૂજા તમે કરેલી, દ્રવ્ય પૂજા તમે હમણાં કરેલી એનો પણ વિચાર delete થઇ જવો જોઈએ. પહેલી નિસીહી બોલો, ઘરનો વિચાર delete થઇ જાય. મંદિરનો આવી શકે. પ્રદક્ષિણા કરી, ગભારા પાસે આવ્યા, પછી મંદિરનો વિચાર પણ છૂ. માત્ર ગભારામાં ગયા, પ્રભુની પૂજા, માત્ર પ્રભુનો સ્પર્શ. એમાં જ તમે ડૂબી જાવ. એમાંથી તમે બહાર નીકળો, અને સૂક્ષ્મ રીતે તમારે પ્રભુમાં જવું છે. એકદમ પ્રભુમય તમારી આંતરદશા તમારે કરવી છે. એના માટે ચૈત્યવંદન. એના માટે ભાવપૂજા. તો એ ભાવપૂજા કરો ત્યારે છેલ્લી નિસીહી બોલો. તો દ્રવ્યપૂજાનો વિચાર પણ એ વખતે કરી ન શકાય. તમે હમણાં જ એક પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરી, રૂપેરી વરખ અને સોનેરી વરખ લગાયેલો છે. કોઈ ભક્ત આવ્યો, અને બીજા ભગવાન એને જડ્યા નહિ, અને એ જ તમારા ભગવાન રૂપેરી વરખ અને સોનેરી વરખવાળા સીધા મેરૂશિખર કરીને બધું કાઢી નાંખ્યું. પણ એ વખતે તમારું ધ્યાન ત્યાં ન હોઈ શકે, કારણ દ્રવ્યપૂજાનો વિષય પણ તમારો સમાપ્ત થઇ ગયો છે. એક નિસીહી ને તમે સમજી લો ને તમને ખ્યાલ આવે, કે તમારે કેટલા ઊંડા, ધીરે ધીરે ધીરે ઉતરવાનું છે. ઘરના વ્યાપારનો ત્યાગ, પછી મંદિરની કોઈ ચિંતા છે એનો પણ ત્યાગ. કે મંદિરમાં સાફ-સુફી નથી, આ નથી, તે નથી… એ, એ વખતે કરી શકો, પણ પછી નહિ, ગભારા પાસે ગયા, પ્રભુની પાસે ત્યાં મંદિરનો વિચાર પણ નહિ. પછી પ્રભુની પૂજા, અને એમાંથી નીકળ્યા બહાર પછી પૂજાનો પણ વિચાર નહિ. માત્ર ભાવપૂજામાં. તો પ્રભુનો સ્પર્શ તમને કેમ નથી થતો? પ્રભુનું દર્શન પણ થતું નથી, પ્રભુનો સ્પર્શ પણ થતો નથી. એટલે જ ગઈ કાલે કહેલું, સદ્ગુરુ આંખ ખોલી આપે, પ્રવચન અંજન આંજી દે, અને હૃદયની આંખ ખુલી જાય તો જ પ્રભુનું વાસ્તવિક દર્શન થાય. અને એ વાસ્તવિક દર્શન થાય એના માટે આ પ્રક્રિયા શરૂ કરી દો. દસ મિનિટ માત્ર પ્રભુને જોતાં બેસી રહેવાનું. આપણે આવતી કાલે સાંજે આ જ practical વિધિ કરવા જઈ રહ્યા છે. આવતી કાલે બેસતો મહિનો છે. બરોબર સાંજે ૬ વાગે. અમે બધા જ, અને તમે બધા. દાદાની પાસે જવાનું, શંખેશ્વર દાદાની પાસે, દાદાની સમુહમાં ભક્તિ કરવાની, અમે લોકો સાત-સવા સાત સુધી અજવાળું હોય ત્યાં સુધી બેસી શકીએ, પછી અમે કદાચ વિદાય પણ લઈશું. પણ જે ભક્તોને બેસવું હોય, આઠ-નવ-સાડા નવ સુધી બેસવાની છૂટ. અને કાલે પ્રભુમાં ડૂબી જાવ. બરોબર… શંખેશ્વર દાદાને હૃદયમાં લઈને જવાનું છે. મૌન શિબિરમાં શંખેશ્વર જઈ આવ્યા, શું લઇ આવ્યા? દાદાને લઈને આવ્યા એમ કહેજો. અને he is ever ready. દાદા તૈયાર છે તમારી ભીતર આવવા માટે, ઘણીવાર વિચાર આવે ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા અને એ આપણા ગંદા નાચીજ હૃદયમાં આવી જાય. માત્ર આપણે પ્રાર્થના કરીએ. આપણા હૃદયમાં આવી જાય, પ્રભુ તૈયાર છે, તમે પણ તૈયાર થઇ ગયા છો. કાલે દાદાની પધરામણી હૃદય મંદિરમાં કરી દેવાની છે. તો આપણી વાત એ હતી, કે પ્રભુનો સ્પર્શ કેમ નથી થતો. તમારી અને પ્રભુની વચ્ચે અવરોધ આવી ગયો. કંઈક-કંઈક સૂક્ષ્મ વિચારો ચાલતાં હોય છે. કાં તો આગળવાળો એકદમ ઠાઠથી પૂજા કરે છે. એ ક્યારે પૂજા પુરી કરશે, જલ્દી પૂજા પુરી કર ને, ભાઈ મારો નંબર આવે. તમને કયા વિચાર આવશે ખબર જ ન પડે.
બોલો એક વાત પૂછું, અહીં તો પાસ સીસ્ટમ હશે, નહિ હોય, મને ખબર નથી. પણ લાઈનમાં ક્યાંય ઘૂસ તો તમે મારો નહિ ને? સગવડ મળી જાય તો પણ, મારા ભગવાન પાસે મારે જવાનું છે, અને હું કોઈ ભક્તની આશાતના કરીને કેમ જઈ શકું? એનો નંબર હતો અને હું એમાં આગળ ઘૂસ મારી દઉં, તો પ્રભુ મને પ્રસન્ન થાય ખરા? એટલે વિધિ પૂર્વક પ્રભુની ભક્તિ કરો. અને એ રીતે એક practical approach બતાવું, કે તમારે પ્રભુનો સ્પર્શ કરવો છે, ગભારા પાસે તમે ઉભા છો, સ્તુતિઓ બોલ્યા, સ્તોત્ર બોલ્યા, પછી એક વિચાર કરજો, કે આ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કયા છે? અષાઢી શ્રાવકે ભરાવેલા પણ ખરા, પણ અષાઢી શ્રાવકે તો મૂર્તિ ભરાવી, આ પરમ ચૈતન્ય સિદ્ધશિલા ઉપરથી આવેલું છે. તો આ શંખેશ્વર દાદા સિદ્ધશિલા ઉપરથી મારા માટે અહીંયા આવી ગયા છે. ઓહો! મારા ભગવાન મારા માટે સાત રાજલોકની યાત્રા કરીને અહીંયા આવી ગયા છે. આ એક વિચાર આવે કેટલો અહોભાવ આવે બોલો… હું ઘણીવાર કહું, અમે લોકો ઉત્તર ગુજરાતમાં હોઈએ, તમારે સુરત કે મુંબઈમાં કોઈ ફંકશન હોય, ચૈત્રી ઓળી વિગેરે સાહેબ ઓળીમાં નિશ્રા આપવા પધારો. અમે કહીએ ભાઈ કોઈ પણ મહાત્મા પાસે કરાવી લો, અમે ઉત્તર ગુજરાતમાં છીએ. પાછું ચોમાસું ત્યાં છે, તો સુરતથી મુંબઈનો ધક્કો શા માટે ખવડાવો છો? પણ એને કદાચ અત્યંત લાગણી હોય, ગુરુદેવ આવી પણ જાય કદાચ ત્યાં… એના હૈયામાં કયો ભાવ આવે, મારા ગુરુદેવ મારા માટે ૭૦૦ x ૨ = ૧૪૦૦ કી.મી. નો વિહાર કરશે. તો ભગવાન કેટલો વિહાર કરે તમારા માટે? એ આ ભગવાન છે, સાક્ષાત્ ભગવાન છે. સમવસરણમાં આપણે ગયેલા, સાક્ષાત્ પ્રભુને નિહાળેલા, એ વખતે એટલો ભાવ નહિ આવેલો, અને એ જ ભાવ અત્યારે આપણે અહીંયા કરવો છે કે સમવસરણમાં કરેલી ભૂલ અહીંયા કમસેકમ નીકળી જાય. તો આ રીતે જિનરૂપનું દર્શન આપણે કર્યું. અને જિન ચૈતન્યનો સ્પર્શ પણ આપણે કર્યો, હવે આપણે પહેલું ચરણ લેવું છે – જિનગુણ દર્શન. રૂપદર્શન હજી સહેલું છે, એ પરમાત્માની મુખમુદ્રામાં શાંતરસ દેખાય છે. એ આંખોમાં કરુણા દેખાય છે, તમે તરત ઝીલી લો, પણ હવે પ્રભુના ગુણને જોવો. પ્રભુની વિતરાગદશા, પ્રભુ આટલા સ્વસ્થ, એકદમ ઉદાસીનદશામાં કઈ રીતે છે? કારણ પ્રભુ વિતરાગ છે. એમને કશું જોઈતું જ નથી. બધા પદાર્થો પરના, બધી વ્યક્તિઓ પરના બધા જ રાગથી એ પર બની ચુકેલા છે. જેમણે કશું જોઈતું જ નથી. એ સ્વમાં જ સ્થિર હોય. પ્રભુ સ્વમાં પ્રતિષ્ઠિત છે. માટે જો એમની મુખમુદ્રા ઉપર પણ કેવી કાંતિ ઝલકી રહી છે. તો એ પ્રભુની વિતરાગદશા, એ પ્રભુની ઉદાસીનદશા તમે જુઓ, તો તમને લાગે કે મેં પ્રભુના ગુણનું દર્શન કર્યું. કાંતિવિજય મહારાજ બહુ સારા ભક્તિયોગાચાર્ય છે. એ સુવિધિનાથ ભગવાનની સ્તવનામાં આ પ્રભુના ગુણદર્શન તરફ આપણને બહુ જ મજાથી લઇ જાય છે. સ્તવન છે ગુજરાતી ભાષામાં છે, એમાં એ કહે છે, ‘ત્રિગડે રત્ન સિંહાસન બેસી, ચિહું દિશિ ચામર ઢળાવે, અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે’ ભગવાન સમવસરણમાં બેઠેલા હોય, ‘ત્રિગડે રત્ન સિંહાસન બેસી – સમવસરણમાં રત્નના સિંહાસન પર બિરાજમાન થયેલા છે. ચામરો વીંઝાય રહ્યા છે. ૬૪ ઇન્દ્રો સેવામાં છે. આ બધું જ છે પણ પ્રભુ માટે કશું જ નથી. આપણી ભૂલ શું થઇ ખબર છે? કેટલી વાર સમવસરણમાં જઈ આવ્યા, યાદ આવે છે કંઈ આમ… યાદ આવે છે? સમવસરણમાં આપણે બધા ગયેલા છીએ. ભુલી ગયા. યાદ રાખો, એ જ ઘટના તીવ્ર રીતે hammer થાય, કે જે ઘટના તમારા ચિત્તને જક્ઝોરી ગયેલી હોય. જાતિસ્મરણ થાય, ક્યારે થાય છે? એક ઘટના તમારા ચિત્તને એકદમ hammer કરી ગઈ. અને પછી એવી જ ઘટના બીજા જન્મમાં ખુલે ને ત્યારે થાય કે ઓહો આના તાણા-વાણા ક્યાંક મળતાં લાગે છે. એટલે સમવસરણમાં જઈ આવેલા માત્ર જિજ્ઞાસાને વશ, માત્ર કુતુહલને વશ, અને ગયા તો પણ જોયું શું? જોવાનું હતું એ જોયું જ નહિ. પ્રભુની ઉદાસીનદશા તો જોઈ નહિ, રત્નનું સિંહાસન જ જોયું. આ પ્રાતિહાર્યો જે છે એ તો છે જ. એ પ્રાતિહાર્યોને જોવા માટે આપણે જોવા માટે જવાનું નથી. આપણે તો પ્રભુની પરમ ઉદાસીનતા ને જોવા જવાનું છે. કે પરમાત્માના ચહેરા ઉપર જે ઉદાસીનદશા છે એને આપણે જોવાની છે. બાકી તો “કોડી ગમે ઉભા દરબારે, જયમંગલ સુર બોલે, ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દિશે ઈમ ત્રિણ તોલે રે’ કરોડો કરોડો દેવતાઓ પ્રભુની સેવામાં હોય છે. ભગવાનની સ્તુતિ કરનારા દેવતાઓ હોય છે. આ બધું ચાલે છે. પણ પ્રભુ તમે આમાં નથી…. આ જ તમારી મોટામાં મોટી વિશેષતા છે. આ બધું છે પ્રભુ એમાં નથી. આ ઉદાસીનતાનું દર્શન એના દ્વારા આપણે ઉદાસીનતાનો સ્પર્શ પાંચમાં ચરણે એ રીતે કરવાનો છે કે તમારી પાસે પણ ઘણું બધું છે, પણ એનો સ્પર્શ અંદર ન હોય. એ મકાનમાં તમે રહેતા હોય, લક્ઝુરીયસ ફ્લેટમાં તમે રહેતા હોય, સારા કપડાં પહેરો છો, બહારથી બધું જ છે. Audi કારમાં કદાચ ફરતાં હશો, પણ એ બહાર છે, તમે ભીતરથી ન્યારા છો. ઉદાસીનદશાનો સ્પર્શ થશે ત્યારે આ ઘટના ઘટશે. પણ એના માટે પ્રભુની ઉદાસીનદશાનું દર્શન તો થવું જોઈએ ને… એક વસ્તુ તમને કહું, તીર્થંકર ભગવંતો જન્મથી ઉદાસીનદશામાં હોય છે, આપણી દ્રષ્ટિના ક્રમમાં તમને ખ્યાલ હશે, આઠ દ્રષ્ટિમાં કે પાંચમી દ્રષ્ટિએ સમ્યગ્દર્શન મળે છે સ્વાનુભૂતિ. છટ્ઠી દ્રષ્ટિએ ઉદાસીનદશા મળે છે. દેશવિરતિ શ્રાવક પાસે અને સર્વવિરતિ સાધુ પાસે ઉદાસીનદશા હોય છે. તો સાધુ પાસે જે ઉદાસીનદશા હોય છે છટ્ઠી દ્રષ્ટિમાં, એ પ્રભુને તીર્થંકર પ્રભુને ગ્રહસ્થપણામાં પાંચમી દ્રષ્ટિમાં છે. ગુણઠાણું ચોથું છે, દ્રષ્ટિ છટ્ઠી છે, કેમ? ઉદાસીનદશા નાનપણથી મળી ગયેલી છે. કલ્પવૃક્ષના ફળો દેવ લાવે છે, એને ખાવાના છે, અમૃત જે છે એને પીવાનું છે. અમૃત પાને ઉછર્યા, પણ આ બધાથી પ્રભુ પર છે. કારણ આ બધું જે થઈ રહ્યું છે, એ તીર્થંકર નામકર્મના ઉદયથી થાય છે. એક વસ્તુ યાદ રાખો, કર્મના ઉદયથી મળે એ તમારું નહિ. સમવસરણ થયું, એ પણ તીર્થંકર નામકર્મના ઉદયથી અને ઔદયિક ભાવની ઘટનામાં પ્રભુ ક્યારેય હોઇ શકે નહિ. કોઈ પણ સાધક ન ભળે. શાતાવેદનીય ઉદય હોય તો તમને સુખ મળ્યા કરે. પણ એ સુખમાં તમે જો રાગ કરો, તો બંધ અશાતાનો કરવાના પાછા… ફરી અશાતા આવશે, શાતા નહિ આવે. એટલે શાતાવેદનીય કર્મના ઉદયથી શરીર સુખમય હોય, પરિવાર પણ સારો મળેલો હોય, બીજી બધી રીતે તમને શાંતિ હોય, એ શાતાવેદનીયનો ઉદય ખરો, પણ ઉદયમાં તમારે જવાનું નહિ પાછું… ઉદયમાં ભળ્યા તો નવો બંધ થઇ જવાનો. અશાતાનો પણ ઉદય ચાલશે તો શું કરશો… અશાતાના પણ ઉદયમાં ભળવાનું નહિ, એને જોવાનું. તાવ આવ્યો છે તો આવ્યો છે. દવા લઇ લો, પણ મને તાવ આવી ગયો, મને આમ થઇ ગયું, કોઈ હાયહોય નહિ. તમે તો હવે કહેવાના શરીરને તાવ આવ્યો. મને ક્યાં આવ્યો છે? બરોબર ને? તાવ કોને આવ્યો? શરીરને… તમને ક્યાંથી આવે…
તો તીર્થંકર નામકર્મના ઉદયથી નાનપણથી જે થઇ રહ્યું છે, એ પણ ઔદયિક ભાવની ઘટના છે. અને ઔદયિક ભાવની ઘટનામાં તીર્થંકર ભગવાનનો આત્મા તો રાચે નહિ, કોઈ પણ સાધક પણ રાચી ન શકે. ઔદયિક ભાવ છે ચાલ્યા કરે છે. પણ જો ઔદયિક ભાવમાં ગયા, બહુ સારું છે એમ તો લપટાઈ ગયા. માત્ર તમારો ભાવ ક્ષયોપશમિક, ક્ષાયિક, પારિણામિક… નિશ્ચયદ્રષ્ટિએ માત્ર પારિણામિક ભાવ એ તમારો છે. કે શુદ્ધ સ્વરૂપ તમારું જે છે, એ જ તમારો સ્વભાવ, એમાં જ તમારે સ્થિર રહેવાનું છે. અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, એ જ તમારું સ્વરૂપ છે. એ જ તમારો પારિણામિક ભાવ, એમાં તમારે રહેવાનું છે. તો તીર્થંકર ભગવંતો જન્મથી છટ્ઠી દ્રષ્ટિમાં છે. કારણ કે ઉદાસીન છે. હું ઘણીવાર અંજનશલાકાના મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું, કે અંજનશલાકાના દ્રશ્યોમાં સૌથી મહત્વની ઘટના બે જ જોવાની છે. પ્રભુનો લગ્નોત્સવ, અને પ્રભુનો રાજ્યાભિષેક. લગ્ન કરવું પડે છે, બીજી કોઈ રીતે એ કર્મ ખપે એમ નથી, અને આ જન્મમાં બધો જ ક્ષય કરીને મોક્ષમાં ચાલ્યા જવાનું છે. એથી કરીને લગ્ન કરવા પડે છે, એ ભોગાવલી કર્મના ઉદયને કારણે પણ એ લગ્ન વખતે, એ લગ્નોત્સવમાં પ્રભુની મૂર્તિ બિરાજમાન થયેલી હોય, પ્રભુની મૂર્તિ તરફ જુઓ જો મોટા ભગવાન હોય તો… એ જ ઉદાસીનદશા ત્યાં જ છે. લગ્નની ક્રિયા ચાલી રહી છે. એક સાંસારિક ઘટના છે. બાહ્ય જીવનની ઘટના છે. એની જોડે મારે કંઈ લાગતું વળગતું નથી. રાજ્યાભિષેક પણ કેમ કરવો પડે છે? પિતા કહે છે કે તું એક દિવસ પણ રાજા નહિ બને, તો હું તને દીક્ષાની રજા નહિ આપું. ચાલો ભાઈ કરી લો રાજ્યાભિષેક. મને દીક્ષાની રજા તો આપો. અને એ રાજ્યાભિષેક થાય ત્યારે પરમ ઉદાસીનભાવમાં પ્રભુ છે. અને એ પરમ ઉદાસીનભાવ હોવાને કારણે પ્રભુના સાધનાકાળમાં પણ કેટલી ઉદાસીનદશા છવાયેલી હોય છે.
પ્રભુ મહાવીરના સાધના જીવનની એક ઘટના કહું, એકવાર પ્રભુ સાધનાકાળમાં, તીર્થંકર બન્યા પહેલા ગંગા નદીને કાંઠે ગયેલા, પ્રભુને પેલે કાંઠે જવું છે. અને ગંગા નદી હોડીમાં જ ઉતરાય. હોડી એક ખાલી હતી, પ્રભુ હોડીમાં બિરાજમાન થયા છે. સામે કાંઠે હોડી પહોંચી પણ ગઈ. ભારતમાં લગભગ ન ઘટે એવી ઘટના ત્યાં ઘટી. કોઈ પણ ભારતીય માણસ હોય, સંતોનો અનુરાગી તો હોય જ, સંત કોઈ પણ પંથના હોય પછી, આ તો પ્રભુ જેવા પ્રભુ છે. તો પ્રભુને જોવા માટે દ્રષ્ટિ જોઈએ ને.. નાવિક અનાડી માણસ હતો, એ કહે પૈસા લાવો પહેલા, નાવમાં બેઠા પૈસા લાવો, પછી જવા દઈશ. પ્રભુ પાસે પૈસા તો છે નહિ. તો એણે કહ્યું રેતમાં બેસી જાવ, જ્યાં સુધી પૈસા નહિ મળે ત્યાં સુધી તમને જવા નહિ દઉં. એ ગંગા નદીની બપોરના ૧૨ વાગ્યાની ધાણીફૂટ રેતીની અંદર પ્રભુ બિરાજમાન થયા. પલોઠી વાળીને તો પ્રભુ બેસવાના છે જ નહિ. ‘સાડાબાર વરસ જિન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા.’ પલોઠી વાળીને તો બેઠા જ નથી સાડાબાર વરસમાં. ઉભડક પગે બેઠા છે. બળબળતી રેતી નીચે છે. આપણે તો પાંચ મિનીટ એ રેતમાં ચાલી ન શકાય, બેસી ન શકીએ. પ્રભુ હતા સંઘયણ બળ મજબુત હતું, શરીર પણ મજબુત હતું. કલાક, બે કલાક, ત્રણ કલાક રેતમાં બેસવું પડ્યું. પછી પરિચિત કોઈક નીકળે છે. અરે, આ તો વર્ધમાનકુમાર છે. સિદ્ધાર્થ રાજાના પુત્ર. સંન્યાસી બનેલાં છે. હોડીવાળાને પૈસા આપ્યા. પ્રભુ ત્યાંથી વિહાર કરે છે. વિહાર કરીને થોડા આગળ ગયા. સરસ મજાનું વૃક્ષ હતું. પ્રભુ ત્યાં સાધનામાં ઉભા રહે છે.
એ વખતે આચારાંગસૂત્રમાં પ્રશ્ન કરાયો. કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર પર ઘટી ગઈ છે. પ્રભુને આનું સ્મરણ હોય કે નહિ? હમણાં જ ઘટી છે ને. ત્રણ કલાક બળબળતી રેતીમાં બેસવાનું થયું છે. અને હવે સાધનામાં જવું છે. સાધનામાં જતા પહેલા, પ્રભુને એ ઘટનાની યાદ હોય કે ન હોય? એટલું સરસ સૂત્ર આચારાંગમાં આવ્યું છે. ‘एयाइं से उरालाइं, गच्छइ णायपुत्ते असरणाए’ ભગવાનને એ ઘટનાનું સ્મરણ નથી. गच्छइ णायपुत्ते असरणाए. શિષ્યને નવાઈ લાગે છે. અરે પણ આવું તો કેમ બની શકે પણ? સામાન્ય સાધકને તો ઓર નવાઈ લાગે. કોઈ કડવું વચન કહે તો યાદ આવ્યા વગર રહે નહિ. હું ઘણીવાર કહું, કોઈએ તમને ૪ વાગે કંઈક કડવા વચનો કીધા. ૩૦ સેકન્ડ-૪૦ સેકન્ડ. ચાર વાગે ઘટના શરૂ થઈ અને ચારને એક મિનિટે ઘટના પૂરી થઈ ગઈ. ચારને એક મિનિટે ઘટનાનું ડેડબોડી રહ્યું ને હવે. ઘટના પૂરી થઈ ગઈ એટલે શું રહ્યું? ઘટનાનું ડેડબોડી. હવે એ ડેડબોડી ઊંચકીને તમે કેટલું ચાલવાના બોલો? બોલો. કેટલા દિવસો? સાધક તરીકે કમસેકમ નક્કી કરો. કે આવી કોઈ પણ ઘટના હોય એનું સ્મરણ ન રહે એવી ભૂમિકાએ મારે પહોંચવું છે. અને કદાચ સ્મરણ રહે તો પણ ફટાફટ એની અસરમાંથી મારે મુક્ત થવું છે. ક્રોધ આવે ત્યારે એવા સુત્રો તમારી પાસે તૈયાર જોઈએ. એ સુત્રોનું ચિંતન કરો ક્રોધ જતો રહે. રાગ આવ્યો એવા સુત્રો નોટમાં હાથવગા જોઈએ. એ સુત્રો ઉપર ચિંતન કરો રાગ જતો રહે. તો શિષ્ય પૂછે છે, આટલી મોટી ઘટના પ્રભુના શરીર ઉપર ઘટી પ્રભુને સ્મરણ કેમ નથી? તો કહે છે. બહુ મજાની વાત કહે છે. અદ્ભુત્ત વાત છે આ. કે જયારે ઘટના ઘટી ત્યારે પ્રભુ ઘટના સાથે જોડાયા નહોતા તો પાછળથી સ્મરણ કોણ કરે? ઘટના ઘટી ત્યારે પ્રભુ ઘટનામાં નહોતા. પ્રભુ સ્વમાં હતા. કેટલી સરસ વાત છે બોલો. ઘટના ઘટના છે, તમે તમે છો. સેળભેળ કેમ કરી નાંખો છો? ઘટના ઘટના છે. તમે તમે છો. તમારે અને ઘટનાને લેવા-દેવા શું એ તો મને કહો. અને એમાં જે ઘટનાનો પ્રેરક છે, કારક છે, એ તો નિમિત્ત રૂપ છે જ નહિ. એક વ્યક્તિએ ગાળ બોલી. શેના કારણે? તમારાં કર્મના કારણે. માનો કે ન માનો? એને ગાળ કેમ આપી તમને? લોજીક છે તમારી પાસે? કર્મગ્રંથમાં ભણેલાં નહિ હોવ કદાચ. પણ કર્મસાહિત્યની વાતો તો સાંભળી હશે પ્રવચનોમાં. તમારાં કર્મને કારણે એણે ગાળ આપવાનો વિચાર કર્યો. તમારી સાધક તરીકેની ભૂમિકા એટલી ઉંચકાવી જોઈએ. અડધો કલાક નોનસ્ટોપ કડવા વચનો કોઈ તમને કહે ત્યારે તમારાં મનમાં એક ભાવ આવે મારું કર્મ કેટલું ખરાબ છે કે આવા સજ્જન પુરુષને પણ આવી ગાળો બોલાવડાવે છે અને આવા સજ્જન પુરુષને કર્મ નો બંધ કરાવડાવે છે. અને એ સજ્જન બોલતા બંધ થઈ જાય. તમે કહો, અંકલ મને સુધારવા માટે તમે મહેનત કરી, આભાર. થોડું ઠંડુ પાણી પીઓ, જ્યુસ પીઓ. તમારાં ગળાને સોસ પડ્યો હશે.
એક વાત મારે તમને પૂછવી છે. એક સાધક અને એક સામાન્ય માણસ. What’s the difference? ફરક ક્યાં છે? એક મજુરને પણ આપણે કહીએ. ઓહોહો, બહુ સારા હો, સરસ કામ કર્યું હો,thanks. ખુશ ખુશ થઈ જાય. અને એ થોડો મોડો આવ્યો. હરામખોર ક્યાં રોકાઈ ગયો હતો, શું કરે છે, મારું કામ કરતો નથી બરોબર. તો એને અપમાન લાગશે. ખોટું લાગશે. તમે પણ એ જ ભૂમિકા ઉપર હોવ. તમને કોઈકે કહ્યું બહુ સારા. એટલે સરસ, ફુલાઈ જાઓ તમે. કોઈકે કહ્યું તમે બહુ ખરાબ, એટલે તમે એકદમ જે છે દુઃખી થઈ જાઓ. તો પછી, એક સામાન્ય મનુષ્યમાં અને એક સાધકમાં ચેતનાની દ્રષ્ટીએ ફરક શું પડ્યો બોલો? આપણે કોઈ વસ્ત્રોથી ફેરફાર કરવાનો નથી. White and white માં આવી ગયા. ૩૦મી તારીખે પાછા બદલાઈ જવાના બધા. અને permanent white માં આવવું હોય તો અમારું આમંત્રણ છે હો. Permanent white માં આવી જાઓ, અમારું આમંત્રણ છે. હું તો છે ને તમને બધાને મેઘકુમાર કહેતો હોઉં છું. કે જે સંસારમાં રહેવા છતાં વૈરાગ્યની કગાર ઉપર ખડો હોય. આ બાજુ જુઓ તો આગળ ચંદનાજી અને પાછળ સુલસાજી. આગળ બધા ચંદનાજી છે, પ્રભુ મહાવીરની સાધ્વીજીઓ. અને પાછળ બધી પ્રભુની શ્રાવિકાઓ, સુલસા. બરોબર. કેવી શ્રદ્ધા સુલસા પાસે હતી બોલો? મને તો એમ થાય કે તમને સુલસાજીની ઈર્ષ્યા નથી આવતી? આવે છે ઈર્ષ્યા? પ્રભુનો એક શબ્દ મળ્યો, ધર્મલાભ. એ પણ પ્રભુના શ્રીમુખેથી નહિ. એક શ્રાવક દ્વારા. એ અંબડ શ્રાવક ચંપાનગરીએ ગયેલો, પ્રભુ ત્યાં બિરાજમાન. પૂછ્યું, પ્રભુ રાજગૃહી જાઉં છું કંઇ કામ? તો કહે, હા મારી શ્રાવિકા છે સુલસા એને ધર્મલાભ કહેજે. અને અંબડ શ્રાવકે સુલસા માતાને કહ્યું, દેવી તમને પ્રભુએ ધર્મલાભ કહ્યો છે. તો પ્રભુના શ્રીમુખેથી ધર્મલાભ મળ્યો નથી. એક શબ્દ પ્રભુનો અને એ પણ વાયા વાયા એક શ્રાવક દ્વારા મળ્યો છે. અને સુલસાજીની જે હાલત થાય છે આમ. આંખમાંથી આંસુ ચોધાર વરસે જાય છે. ગળે ડુસકા છે, શરીરે રોમાંચ. પ્રભુ જે દિશામાં બિરાજમાન છે એ દિશામાં ઘૂંટળીએ પડી જાય. ડુસકા-ડુસકા જ છે. પણ ડુસકામાંથી ચળાઈ આવતા શબ્દો હતા. પ્રભુ તું ક્યાં? તું ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર. હું તારા ચરણોની નાચીજ દાસી, તું મને યાદ કરે પ્રભુ તારા ઋણમાંથી હું મુક્ત ક્યારે થઈશ? પ્રભુનો એક શબ્દ, એક શ્રાવક દ્વારા મળ્યો છે. સુલસાજીની આ હાલત. પ્રભુના સેંકડો- હજારો શબ્દો રોજ પ્રભુના પ્રતિનિધિ જેવા સદ્ગુરુઓ દ્વારા તમને મળે છે. તમને શું થાય છે? હું મારા ચોમાસામાં એક વાત શરૂઆતથી કહેતો હોઉં છું. કે એક પ્રવચન મારે એવું કરવાનું છે, જે ડુસકાની પ્લેબેક ઉપર હોય. પ્લેબેક વગર ગાવાની મજા આવે કઇ કોઈ પણ સંગીતકારને? કે ભલે ને ભીમસેન જોશી જ હોય. પ્લેબેક તો જોઈએ ને. એક પ્રવચન આપણે એવું કરવું છે, આખું ઓડીટોરીયમ પૂરું હિબકા ભરતું હોય, ધ્રુસકે-ધ્રુસકે રડતું હોય. અને મારે ભીના અવાજે બોલવાનું હોય. તમને ડુસકા આવતા જ નથી?
મુંબઈ ગોવાલીયાટેંકમાં પર્યુષણના પ્રવચનમાં મેં કહેલું. પાછળના મોટા હોલમાં વ્યાખ્યાન હોય પર્યુષણમાં. પ્રતિક્રમણ પણ મોટા હોલમાં હોય. હજારેક શ્રાવકો હોય. તો મેં પર્યુષણના પ્રવચનમાં કહ્યું કે આજે તમારું વંદિતું મારે ડુસકાની પ્લેબેક પર સાંભળવું છે. કમસેકમ તમને આખા વંદિતાનો અર્થ ખ્યાલ નથી. તં નિંદે તં ચ ગરિહામિ એ તો તમારે ખ્યાલમાં છે. કારમાં તમે આવ્યા છો પ્રતિક્રમણ કરવા માટે, તમારાં દસમાં માળેથી તમે લિફટમાં નીચે ઉતરેલા છો. આરંભ-સમારંભ, વિરાધના આ બધું તમે કરીને આવેલા છો અને એ પહેલા વ્રતની વિરાધનાનું જયારે મિચ્છામી દુક્કડમ દેવાનું હોય, તં નિંદે તં ચ ગરિહામિ એ વખતે ડુસકા ન હોય તો શું થાય મારે તમને પૂછવું છે? બોલો એકેય વંદિતું તમે ડુસકાની પ્લેબેક પર બોલ્યા છો? ક્યાં ગયા તમારાં ડુસકા? આંખો ભીની કેમ બનતી નથી? યાદ રાખો કોરી-કોરી આંખોએ પ્રભુનું દર્શન ન થાય એટલું જ નહિ કોરી-કોરી આંખે પ્રભુના શબ્દો સંભળાય પણ નહિ. પ્રભુના શબ્દો માત્ર ભીની આંખે જ તમે સાંભળી શકો છો. મારા ભગવાને PERSONALLY FOR ME કહ્યું છે? અમે તો આચારાંગસૂત્ર વાંચીએ ને ત્યારે અમારી આંખો ભીની હોય. PERSONELLY FOR ME. ભગવાને આ તો મારા માટે જ કહેલું છે. વાહ! કેટલી અદ્ભુત્ત વાત કરી છે. એક-એક સુત્રને બોલતા હોઈએ આંખમાંથી આંસુ ઝરતા હોય. બસ તમારી આ જ ત્રુટી રહી ગઈ… પ્રવચનો સંભળાયા પણ ભીનાશ નહિ આવી. ભીનાશ પૂર્વકનું એક પ્રવચન કાફી છે. કારણ કે તમારે તમારી સાધનાને ભીનાશથી જ ઉઠાવવી છે આટલું લખી રાખજો. અહોભાવથી જ તમારી સાધનાને ઉઠાવવી છે. અહોભાવ એ શુભ. પછી એમાં વેગ આવશે. એ ક્રિયામાં એકદમ વેગ આવશે. વેગ એવો આવશે કે તમારાં મનના વિચારો પાછળ રહી જશે. સાધનાનો વેગ એટલો જોઈએ છે કે તમારાં મનની ગતિ કરતા સાધનાની ગતિ વધારે હોય.
આનંદઘનજી ભગવંતે પંદરમાં સ્તવનમાં કહ્યું, ‘દોડત દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ.’ સાધનામાર્ગમાં મનની દોડે દોડવાનું છે. તો તમારાં મનની જે ગતિ છે એના કરતા તમારી સાધનાની ગતિ આગળ વધવી જોઈએ. જેમ સુપરસોનિક વિમાન હોય એની ગતિ કેટલી છે? અવાજ કરતા પણ વધારે. ને એ પોતે અવાજ છોડશે એ એની અંદર નહિ આવે. અવાજ કરતા એની ગતિ વધી ગઈ. એમ વિચાર કરતા તમારી સાધનાની ગતિ વધે તો શુભનો વેગ આવ્યો કહેવાય. અને એમાંથી શુદ્ધ એટલે સ્વગુણનું સ્પર્શન. એટલે આખી વિધિ આ જ છે નિશ્ચયમાં જવાની તમારા માટેની વિધિ આ જ છે. કોરી નિશ્ચયની વાતો ક્યારેય સાંભળતા નહિ. એ નિશ્ચયની વાતો સાંભળીને રહ્યો-સહ્યો અહોભાવ પણ તમે ઉડાડી નાખશો. આ દર્શન કર્યા શું મળ્યું? આ પ્રતિક્રમણ કર્યા શું મળ્યું? છોડો… નિશ્ચયનયાભાસ વાળા જેમની પાસે પ્રભુનો નિશ્ચય નથી તે લોકો આવી વાતો કરી પણ શકે. કારણ કે એમને બિચારાને ખ્યાલ પણ નથી. એમની પાસે પરંપરા પણ નથી એવી. આપણી પાસે એક પરફેક્ટ ટ્રેડીશન છે. પ્રોપર અને પરફેક્ટ. આવી ટ્રેડીશન દુનિયામાં ક્યાંય નથી.
તો વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સીંગ છે. વ્યવહાર એટલે આ જે આપણે ક્રિયાઓ કરીએ છીએ. તો એ ક્રિયાઓને પ્રોપર્લી કરવી પડશે. કે વંદિતું બોલો અને ડુસકા ન આવે. એક સામાયિક કરો અને અહોભાવ પણ ન આવે તો કેમ ચાલે? તો એક-એક ક્રિયા અહોભાવ પૂર્વક કરો… પ્રભુનું દર્શન કરો આંખોમાંથી આંસુની ધારા છલકાય. કાલે હું પણ તમારી સાથે આવવાનો છું હો દાદા પાસે. કાલે સાંજે એક્જેક્ટ છ વાગે આપણે નીકળવાનું છે. દાદાની પાસે પહોંચી જઈશું. પછી હું દાદાને જોતો હોઈશ. ક્યારેક ભક્તોને જોવાનું મન થઈ જશે હો. હું ઘણીવાર કહું છું. કલાપૂર્ણસૂરી દાદા જયારે બેઠેલા હોય ને શંખેશ્વર પ્રભુના દરબારમાં. ત્યારે મુંઝવણ થાય કે દાદાને જોવા કે દાદાના ભક્તને જોવા. એમ હું જયારે ઉઠીશ ને ત્યારે તમારી બધાની આંખો સામે જોઈ લઈશ. અને હું ઈચ્છું છું કે તમારી બધાની આંખો ભીની-ભીની થયેલી હોય. માત્ર તમારાં આંખમાંથી આંસુ વહ્યા કરતા હોય. અને એક વાત યાદ રાખજો આંખમાંથી આંસુ ઝરતા હશે. કદાચ આંખોની આગળ એ બાષ્પજળનો પડદો છવાયેલો હશે તો પણ એ પડદા સોસરવું જે દર્શન થશે એ અદ્ભુત્ત પ્રભુનું દર્શન થશે. તો કાલે પ્રભુનું અદ્ભુત્ત દર્શન આપણે કરવું છે. તો પ્રભુની ઉદાશીનદશાનું દર્શન.
તો શું કહ્યું આચારાંગશાસ્ત્રે? કે જે વખતે ઘટના ઘટી પ્રભુ ઘટનામાં હતા જ નહિ. પ્રભુ સ્વમાં હતા. પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા. અનાડી લોકો હતા. લાકડીઓ લગાવતા ભગવાનની પીઠ ઉપર, શિકારી કુતરાઓ છોડતાં જે પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે-લોચા કાઢી લેતા. પ્રભુ આગળ જતા. ધ્યાનમાં પરોવાતા. પૂછવામાં આવ્યું, કે આ ઘટના ઘટી ગઈ આટલી મોટી પ્રભુને સ્મરણ હોય કે નહિ? તો કહે ના પ્રભુને સ્મરણ નથી. કેમ? ઘટના ઘટના હતી, પ્રભુ પ્રભુ હતા. પ્રભુ ઘટનામાં હતા જ નહી ને. આખરે તમારે તમારો ઉપયોગ ક્યાં મુકવો એ તમારાં હાથની વસ્તુ છે. તમને એક વાત કહું. તમારી ભૂમિકા ઉપર. તાવ આવેલો છે. હેડેક છે. બોડીયેક છે. પીડા બહુ થાય છે. કદાચ ક્રોસીન કે મેટાસીન લીધી પણ હજુ એની અસર થઈ નથી. તો તમારો આખો ઉપયોગ ક્યા જાય છે એ વખતે? દુખાવા તરફ. તમારું મન ક્યાં જાય એ વખતે? શરીરના દુખાવામાં જાય. એ વખતે સમાચાર મળે કે પાંચ કરોડની લોટરી લાગી ગઈ છે. અને ટેક્સ કપાતા કપાતા પણ સાડા ત્રણ કરોડ તો નેટ આપણી પાસે આવે એમ છે. તરત જ હિસાબ ચાલુ થઈ જાય. સાડા ત્રણ કરોડ. એક લક્ઝુરીયસ ફ્લેટ લઇ લઈએ. એક ઔડી કાર લઇ લઈએ. એક આ લઈએ, એક આ લઈએ. દુખાવો પેલો ક્યાં જાય? દુખાવો ત્યાં જ છે. થયું શું? તમારો ઉપયોગ એ દુખાવામાંથી પાંચ કરોડમાં ગયો. તો તમારા ઉપયોગને તમે શરીરમાંથી પાંચ કરોડમાં મૂકી શકો. તો સાધક તરીકે તમે તમારાં ઉપયોગને શરીરમાંથી આત્મતત્વમાં ન મૂકી શકો? તો આ છે જિનગુણ દર્શન.
અને કાલે પ્રભુના રૂપનું પણ દર્શન કરવું છે, પ્રભુના ગુણનું પણ દર્શન કરવું છે. અને કાલ સાંજ સુધીમાં આપણે, પ્રવચનની અંદર તો સ્પર્શનની ભૂમિકા સુધી પહોંચી જવું છે. એટલે કાલે સાંજે દર્શનથી સ્પર્શનની આખી ભૂમિકાનું પ્રેક્ટીકલ દાદા પાસે થવું જોઈએ. થીયરીકલ સમજાઈ દઉં છું અહિયાં. પ્રેક્ટીકલ ત્યાં થવું જોઈએ. તો જિનગુણદર્શન પહેલું ચરણ પ્રભુ દેખાયા નથી હજુ. દેખાયા છે? પ્રભુના દર્શન કર્યા. કોણે કર્યા? કોણે કર્યા?
રત્નસુંદરસૂરીજીને પ્રવચન પછી મુંબઈ માં એક ભક્તે પૂછ્યું સાહેબ પાલીતાણા જાઉં છું કાઈ કામ છે? સાહેબ કહે, કામ શું હોય? ત્યાં દાદાની ભક્તિ કરતા યાદ કરજો. બીજી સવારે વ્યાખ્યાન. પેલા ભાઈ પાછા હાજર. વ્યાખ્યાન પૂરું થયું. રત્નસુંદરસૂરી એ પૂછ્યું, તમે પાલીતાણા જવાના હતા ને? પેલો કહે સાહેબ જઈને આવ્યો મારે ક્યાં વિહાર કરવાનો હતો કહે છે. અહીંથી ફ્લાઈટ પકડી ભાવનગર. ભાવનગરથી ટેક્સી પકડીને પાલીતાણા. ધર્મશાળામાં થોડો નાસ્તો-બાસ્તો કરી લીધો. ફ્રેશ થઈ ગયો. પૂજાના કપડાં પહેરી લીધા, રીક્ષામાં તળેટી અને ડોળીમાં ઉપર. પ્રભુની પૂજા કરી. ડોળીમાં નીચે. પાછો રીક્ષામાં ધર્મશાળામાં. થોડું ખાધું. ટેક્સીમાં ભાવનગર અને રાત્રે ફ્લાઈટમાં મુંબઈ. રત્નસુંદરસૂરી કહે એ તો ઠીક છે. પણ તમે દાદાની પૂજા કરી ત્યારે દાદાનો મુગટ કેવો હતો એ જરા મને કહેશો? પેલા ભાઈ કહે સાહેબ તમે આટલો અઘરો સવાલ પુછો છો. મારે ફરીથી પાલીતાણા જવું પડશે. આ તમારી હાલત છે ને… દાદાની પૂજા કરી, દાદાનું દર્શન કર્યું. દાદાની આંગીનો તને ખ્યાલ નથી. દાદાના સ્વરૂપનો, બાહ્યસ્વરૂપનો તને ખ્યાલ નથી તો આંતરસ્વરૂપ દર્શન તે કઈ રીતે કર્યું? તો જિનગુણ દર્શન એટલે પ્રભુનું આંતરદર્શન. અને એ દર્શન આપણને થાય એના માટે પણ આપણે માત્ર પ્રભુને પ્રાર્થના જ કરવાની છે. હવે પ્રેક્ટીકલ.