Maun Dhyan Sadhana Shibir 14 – Vanchan 3

7 Views
21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : તું ગતિ, તું મતિ, આશરો તું…

  • આપણી સાધના આપણને નાનકડી લાગવી જોઈએ… કેમ ?
  • પ્રભુની કૃપા વગર સાધનામાર્ગમાં એક ડગલું પણ આપણે ચાલી શકતા નથી.
  • પ્રભુની કૃપાને આપણે ગૌણ કરી અને આપણો પ્રયત્ન વધુ મૂલ્યવાન ગણ્યો. પરિણામે માત્ર આપણું કર્તૃત્વ અને અહંકાર પોષાયા.
  • સમર્પણના અભાવે પ્રભુની સતત વરસતી કૃપાને આપણે ઝીલી ન શક્યા અને વ્યવહાર માત્ર વ્યવહાર-આભાસ બની રહ્યો.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૪ – તલેગાંવ વાચના – ૩ (સાંજે)

આપણી વ્યવહાર સાધનાને નિશ્ચય સાધના તરફ જાય એવું આપણે કરવું છે. એના માટે અત્યારે આપણે જે સાધના કરીએ છીએ. એમાં ૩ તત્વો ઉમેરવા છે. પહેલું તત્વ – પ્રભુની કૃપા.

શતાબ્દીઓથી એક પ્રભુ કૃપાની ધારા ચાલી રહી હતી. હેમચંદ્રાચાર્યે વીતરાગસ્તોત્રમાં પણ કહ્યું “ભવત્પ્રસાદેનૈવાહ, મિયતિંપ્રાપિતો ભુવં” એનો જ, એ સૂત્રનો જ અનુવાદ આપણી ભાષામાં અનુવાદ મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપ્યો, ‘ઇતની ભૂમિ પ્રભુ તુમહી આણ્યો’ પ્રભુ મનુષ્યત્વના દ્વાર સુધી કે સાધનાની ભૂમિકા સુધી તું જ મને લઈને આવ્યો છે.

વચલા ૧૦૦ – ૧૫૦ વર્ષમાં આ ધારા લુપ્ત થઇ. હું સાધના કરું છું. મારે સાધના કરવાની છે. એટલે કે સાધકનો પ્રયત્ન ૧૦૦ – ૧૫૦ વર્ષમાં મૂલ્યવાન બની ગયો અને જે પ્રભુની કૃપા ખરેખર મૂલ્યવતી હતી એ બાજુમાં જતી રહી. આપણે ઋણી છીએ પંન્યાસજી ભગવંત ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. ના જેમણે આપણા યુગની અંદર પ્રભુ કૃપાની વાત બહુ જ સ્પષ્ટતાથી કરી.

બ્રાહ્મણવાડા તીર્થમાં પંન્યાસજી ભગવંતની નિશ્રામાં ચૈત્રી ઓળી, એ વખતે પંન્યાસજી ગુરુદેવ પાસે સાધના લેવા માટે કલાપૂર્ણસૂરિ દાદા પધારેલા, અને જંબુવિજય મ.સા. પણ આવેલા. પહેલો જ દિવસ ચૈત્રી ઓળીનો. ગુરુદેવે અરિહંત પદ ઉપર પ્રવચન આપતાં કહ્યું કે મારી પાસે અને તમારી પાસે જે પણ સાધના છે એનું કારણ માત્ર ને માત્ર પ્રભુ કૃપા છે. એ વખતે એ ભાવુકે મજાનો પ્રશ્ન કર્યો, કે ગુરુદેવ! આપ બોલો છો એ શાસ્ત્ર વચન જ છે. પણ જે પણ સાધના અમારી પાસે છે એ માત્ર ને માત્ર પ્રભુની કૃપાથી જ છે. એના માટેનું કોઈ શાસ્ત્ર વચન આપ આપશો? એ વખતે ગુરુદેવે આનંદઘનજી ભગવંતના નેમિનાથ ભગવાનના સ્તવનની એક કડીને શાસ્ત્રાધાર રૂપે રજુ કરી. બહુ પ્યારી કડી છે. “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર, ધારણ પોષણ તારણો રે, નવસર મુકતાહાર” રાજીમતીજીએ શું કર્યું “ત્રિવિધ યોગ ધરી આદર્યો, નેમિનાથ ભરથાર” – જે વખતે એમણે દીક્ષા લીધી ત્યારે એમણે પોતાના મન વચન અને કાયાના યોગો પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યા. મન પણ પ્રભુ તારું. મારું વચનયોગ અને કાયયોગ પણ પ્રભુ હું તને સમર્પિત કરું છું. એ સમર્પણની સામે પ્રભુની કૃપા વરસી અને ઝીલાઈ.

પ્રભુની કૃપા હર ક્ષણે વરસે છે. એવી કોઈ ક્ષણ નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. પણ receptivity ન હોય ત્યાં સુધી આપણે એને ઝીલી ન શકીએ. અનંત કાળ પૂર્વે જે તીર્થંકર પ્રભુ થયા, એમની કરૂણા અનંત કાળ પહેલા પણ વરસતી હતી. પણ હું પણ એને ઝીલી ન શક્યો. ન ઝીલી શક્યો એના કારણે મારે સંસારમાં આટલો લાંબો સમય રહેવું પડ્યું. તો પ્રભુની કૃપા તો વરસતી જ રહી છે. Receptivity રાજીમતીજી પાસે આવી ગઈ. મન, વચન, કાયા ના યોગો એમણે પ્રભુને સમર્પિત કરી દીધા. સામે પ્રભુએ એમને સાધના આપી.

૩ જાતની સાધના પ્રભુએ આપી. ધારણ, પોષણ, તારણ. શુભ, શુભનો વેગ અને શુદ્ધ. શુભ એટલે વ્યવહાર. શુદ્ધ એટલે નિશ્ચય, અને વ્યવહારમાંથી નિશ્ચય માં જવાનું દ્વાર એટલે શુભનો વેગ. શુભ અહોભાવ જે આપણને ગળથુંથીમાંથી મળ્યો છે. પ્રભુનો અભિષેક કરીએ આંખો ભીની બને. પ્રભુના પ્યારા પ્યારા શબ્દો સાંભળીએ આંખો ભીની બને. અહોભાવની ધારા ગળથુંથીમાંથી આપણને મળેલી છે. પણ માત્ર અહોભાવ પુરતો નથી. કારણ અહોભાવ conscious mind ને સ્પર્શીને જ રહેલો છે. એટલે અસ્તિત્વના સ્તર પર એ ઉતરતો નથી.

અમદાવાદમાં એક સંઘમાં ભક્તિ અને સંવેદના નું મજાનો કાર્યક્રમ હતો. સવારના ૫ થી ૮ સુધીનો. સંગીતકાર એટલા મજાના. સંવેદના પણ એટલી સરસ. હ્રદયંગમ…. ૩ કલાક ક્યાં ગયા ખબર ન પડે. ૮ વાગે કાર્યક્રમ પૂરો થયો. જાહેરાત થઇ કે બાજુના હોલમાં બધાએ નવકારશી નો લાભ આપીને જ જવાનું છે. એક ભાઈ એ હોલમાં ગયા, ખુરશી પર બેઠા, વેઈટર આવ્યો, એણે કપમાં ચા રેડી. ચાનો એક ઘૂંટડો ભર્યો, ચા ઠંડી, બેસ્વાદ, એકદમ mood off થઇ ગયા ભાઈ… આવી વ્યવસ્થા ચામાંય ઠેકાણું નહિ. પણ માત્ર બે મિનિટ. એ જાગૃત સાધક હતા. ત્રીજી મિનિટે એમને થયું કે મારું ઘર તો બાજુમાં છે કાર લઈને આવ્યો છું. Drive કરીને જાઉં, ૩ મિનિટ માં ઘરે પહોંચું એમ છું. ઘરે મસાલાવાળી ચા, ગરમ નાસ્તો બરોબર લઇ શકું એમ છું. તો ૩ કલાકની મારી ભક્તિની ધારા આ ચા ની ચૂસકી એ તોડી નાંખી. આવું કેમ બન્યું? એ વખતે હું અમદાવાદમાં જ હતો. એ ભાઈ મારી પાસે આવ્યા બપોરે.. વંદન કર્યું. એમણે પૂછ્યું કે સાહેબ! આ શું થયેલું? મારી ભક્તિની ધારા આટલા નાનકડા નિમિત્ત થી તૂટી ગઈ તો ખરેખર એ ભક્તિ ધારા હતી ખરી? મેં એમને કહ્યું કે તમારી ભક્તિ ધારા બરોબર હતી. તમે ૩ કલાક સુધી non – stop એમાં વહ્યા. એ પણ બરોબર. પણ એ ભક્તિ ધારા માત્ર તમારા conscious mind સુધી ગયેલી. આહાર સંજ્ઞા unconscious mind ની ચીજ છે. અસ્તિત્વના સ્તરની ચીજ છે. એટલે ૩ કલાકની conscious mind ની ભક્તિધારાની સામે ૩ સેકંડની અસ્તિત્વની આહાર સંજ્ઞા વિજયી બની. વાત એમને પણ સમજાઈ ગઈ. પછી એમણે આગળ પૂછ્યું, કે સાહેબજી! મારે મારી ભક્તિધારાને, મારી સાધનાને અસ્તિત્વના સ્તર પર મુકવી હોય, તો મારે શું કરવું જોઈએ. એ વખતે મેં કહ્યું કે અષાઢ મહીને પહેલો વરસાદ આવે બે ઇંચ કે ૩ ઇંચ પણ ધરતી કોરી કટ છે. પહેલો વરસાદ પડ્યો અડધો કલાકમાં પાણી ચુસાઈ જવાનું શોષાઈ જવાનું. ધરતી કોરી કટ થઇ જવાની. પણ એ વરસાદ repeat થયા કરે. બે કલાકે ફરી વરસે. ફરી ચાર કલાકે. ફરી છ કલાકે. અઠવાડિયા સુધી લગાતાર વરસાદ વરસ્યા જ કરે તો પાણી અંદર ઉતરશે. એમ સાધના નિરંતર થતી હશે તો એ અસ્તિત્વના સ્તર પર જશે. આપણી હાલત તો એ છે, કે સાધના આપણે કરતાં જ નથી. તમારું શરીર સાધના કરે છે. સાધના કોણ કરે? પ્રતિક્રમણ કરતાં હો, ૨ લોગસ્સ નો કાઉસ્સગ આવ્યો કે ૧ લોગસ્સ નો…… ખ્યાલ નથી રહેતો કેમ? મન ક્યાંય હોય છે. તો મન ક્રિયામાં હોવું જોઈએ. અને નિરંતર હોવું જોઈએ. શરીરના સ્તર પર સામાયિક ૧ કે ૨ કરશો. મનના સ્તરની સામાયિક કેટલી?

સમભાવ નિરંતર ચાલ્યા કરે તો મનના સ્તરનું સામાયિક થઇ ગયું. વગર કટાસણે, વગર મુહપત્તિ એ, વગર ચરવળે…. તો શુભની અહોભાવની એક મર્યાદા થઇ. કે એ conscious mind સુધી રહેશે. અસ્તિત્વના સ્તર સુધી નહિ જાય. તો એના માટે શું કરવાનું… એના માટે બીજું ચરણ આપ્યું શુભનો વેગ. વેગ ક્યારે આવે? મન એમાં પૂરેપૂરું ભળેલું હોય ત્યારે. તો જે ક્રિયા કરો છો એમાં પુરેપુરા હાજર રહો. એક સૂત્ર હું વારંવાર આપતો હોઉં છું. There should be the totality. અહીંયા તો શિબિરમાં છું. બાકી હું એકદમ flexible માણસ. વ્યાખ્યાનમાં છેલ્લે ૧૦ મિનિટ આવ્યું કોઈ, મને સ્વીકાર્ય છે. પણ એને પણ કહી દઉં કે તું ૧૦ મિનિટ પૂરેપૂરી પ્રભુને આપી દે.

મન સંપૂર્ણતયા પ્રભુના શબ્દોમાં ડૂબી જાય. એ દસ મિનિટ totality ની હશે. સમગ્રતાની, તો અસ્તિત્વનું સ્તર ખૂલશે. પ્રભુએ રાજીમતીજીને ૩ સાધના આપી. શુભ, શુભનો વેગ અને શુદ્ધ. જે ક્ષણે શુભનો વેગ તમને મળી ગયો, તમારું મન એ ક્રિયામાં પૂરેપૂરું હાજર થઇ ગયું, મન શાંત બન્યું. મન એકાગ્ર બન્યું. હવે એક જ કુદકો અને તમે શુદ્ધમાં.

તો આપણું ultimate goal શુદ્ધમાં જવાનું છે. શુભ અને શુભનો વેગ એ સાધન છે. શુદ્ધ એટલે શું? સ્વાનુભૂતિ. તમારો અનુભવ. હું ઘણીવાર પૂછું: તમે, તમે ન હોવ તો શું હોવ? અહીંયા બીજું કાંઈ જ કરવાનું નથી. તમે અત્યાર સુધી પરના અનુભવમાં રહ્યા છો. હું એટલે આ શરીર. પણ હવેના સૂત્રો અલગ છે. You are the bodyless experience, you are the mindless experience, you are the nameless experience. શરીર માત – પિતાથી મળ્યું. રાખમાં મળી જવાનું. એ શરીરમાં તમે તમારી identity ઉભી કરી નાંખી. તો પરનો અનુભવ તમારી પાસે છે. અને પરનો અનુભવ ૨૪ કલાકનો  છે. મારા માટે તો બહુ સરળ થઇ ગયું. અનુભવ તો છે. ૨૪ કલાકનો અનુભવ છે. હવે મારે શું કરવાનું…થોડુક replacement. થોડું… પરમાંથી સ્વમાં…

એક બૌદ્ધ ભિક્ષુની વાત હું ઘણી વાર કરું છું. એ રડતા હોય છે. એક ભક્તે એ ભિક્ષુને પૂછ્યું: આપ કેમ રડો છો? તો ભિક્ષુ કહે છે: કે સાંજે હું બુદ્ધ ભગવાન પાસે જઈશ. એ વખતે બુદ્ધ પોતે વિચરતાં હતા. સાંજે હું બુદ્ધ ભગવાન પાસે વંદના માટે જઈશ. કદાચ બુદ્ધ ભગવાન મને પૂછશે કે આનંદ જેવો વિરાગી ભિક્ષુ કેમ નહિ બન્યો, તું મુદ્ગલાયન જેવો સાધક કેમ નહિ બન્યો. તો પ્રેમથી પ્રભુને કહીશ કે પ્રભુ તમે જેવો બનાવ્યો એવો હું બનું ને… અત્યારે તમે શિબિરમાં આવ્યા છો ને..? temporary શિષ્ય – શિષ્યા. ૩૧ તારીખ સુધી. શિષ્ય એટલે કોરી સ્લેટ. અને કોરી સ્લેટ હોય ને અમને પણ મજા આવે.

ભગવતી કુમાર શર્મા આપણા બહુ મોટા ગજાના કવિ. એમની કવિતાની એક બહુ મજાની પંક્તિ છે. ‘હરિ લખે તે અક્ષર હોય, ગુરુ લખે તે અક્ષર હોય’ અક્ષર શબ્દના બે અર્થ થાય. એક તો અક્ષર એટલે ક, ખ, ગ, ઘ, બીજું અક્ષર એટલે શાશ્વતીના લયની ચીજ. જે ક્યારે પણ નાશવંત ન હોય. ગુરુ લખે તે અક્ષર હોય. પણ ગુરુ લખે ક્યાં? એટલે જ તમને મૌન કરાવ્યું છે. કે તમારી સ્લેટ થોડીક ચોખ્ખી બને. તો અમને લખવાની પણ મજા આવે. પણ શબ્દોનું મૌન એ અમને અભિપ્રેત નથી. શબ્દોનું મૌન તો એ નિશ્ચય સ્ટેજની વાત છે. અમારે તમને વિચારોના મૌન સુધી લઇ જવા છે. વિચાર જ ન આવે.

બોલો! સવાલ પૂછું તમને, ઘરે તમે હતા, વિચારોની તમારી ફેક્ટરી રાત – દિવસ ચાલુ રહેતી. એમાંથી કેટલા વિચારો કામના હતા? ૯૯% નકામા હતા કે ૧૦૦% નકામા હતા. તમારી કોઈની ફેકટરી હોય ને એમાં તમે માલ produce કરો, પણ કેટલો કરો…. sale થતું હોય એટલો, sale થતું જ ન હોય, અને production ચાલુ જ રાખો એવું બને? તમારી વિચારોની ફેક્ટરી રાત અને દિવસ ચાલ્યા કરે. એ વિચારોને લેનાર કોણ? તો વિચારોનું મૌન થાય ત્યારે ચિત્તની સ્લેટ એકદમ કોરી કોરી બની જાય. પછી અમને લખવાની મજા આવે.

બૌદ્ધ ભિક્ષુ કહે છે કે હું પ્રભુને કહીશ કે પ્રભુ તમે જેવો બનાવો એવો હું બનું ને…. બરોબર ને… ૬ દિવસ માટે તમે એટલા તૈયાર? સદ્ગુરુ જેવો ઘાટ આપવા માંગે, એવો ઘાટ ત્યાં આવી જાય. અને અમારા માટે કામ બહુ સરળ છે હો… માટીનો પિંડ ભીનો ભીનો હોય, કુશળ શિલ્પીના હાથમાં આવ્યો, શિલ્પમાં બદલાતા વાર કેટલી લાગે? તમે ભીના ભીના છો. શબ્દોની આંગળીઓ ફરે અમારી, પ્રભુની કૃપાની આંગળીઓ ફરે તમારા ઉપર, શિલ્પ તૈયાર.

પણ એ બૌદ્ધ ભિક્ષુ કહે છે કે કદાચ પ્રભુ મને પૂછશે કે તારું ચિત્ત સ્થિર કેમ નથી. તો હું શું જવાબ આપીશ? કારણ દીક્ષા વખતે પ્રભુએ મને થિરચિત્ત નામ આપેલું છે. તો એ બૌદ્ધ ભિક્ષુ ની વેદના હતી હું, હું ન હોઉં તો શું હોઉં? તમારી આ વેદના છે? અત્યારે તમે, તમે નથી. પ્રભુની કૃપા એવી ઉતરે કે તમે તમારા સ્વરૂપમાં આવી જાઓ. તો શુદ્ધ એટલે સ્વરૂપદશા. તમારું આનંદઘન રૂપ. તમારો જ્ઞાતાભાવ. દ્રષ્ટાભાવ. આ બધું જ તમને મળી જાય. આ શુદ્ધની દશા. તો શુભ અને શુભનો વેગ એ કારણ, એ સાધન. અને શુદ્ધ એ સાધ્ય. તો પંન્યાસજી ભગવંતે એ સભામાં કહ્યું કે પ્રભુ તમને સાધના આપે છે એના માટેનો શાસ્ત્રાધાર આ.

રાજીમતીજીને પ્રભુએ શુભની સાધના આપી, પછી શુભના વેગની સાધના આપી. પછી શુદ્ધની સાધના આપી. તમને પણ એ સાધના આપવા પ્રભુ તૈયાર છે. ખાલી તમારે તમારું મન પ્રભુને સમર્પિત કરવાનું છે.

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તું તારું મન મને આપી દે. અર્જુન પૂછે છે – હું તમને મન આપી દઉં પણ એથી મને શું મળે? એ વખતે શ્રીકૃષ્ણ ચેતના એક પરમ સદ્ગુરુ ચેતના કોલ આપે છે, કેવી કોલ આપે છે… निवसिष्यसि मय्येव, अत: उर्ध्वं न संशय:” જો તું મને તારું મન આપી દે, તો તું હંમેશ ને માટે મારી ભીતર જ રહીશ. તારો અને મારો એક અભેદ અનુભવ સર્જાશે. તું માત્ર તારું મન આપી દે. હું અને તું એક બની જઈશું. આ પ્રભુ ચેતનાનો કોલ છે. એક મન આપી દો પ્રભુને.

રાજીમતીજીએ મન, વચન, કાયાના યોગો પ્રભુને સમર્પિત કર્યા. હું ઘણીવાર વાત કરું ને કે સમર્પણ કરી દો ત્યારે લોકો સામે પૂછે: સાહેબ! એ તો બહુ અઘરું છે સમર્પણ, ત્યારે હું હસવા માંડું છું. અને હસતાં હસતાં પૂછું છું: કે તમારે શું સોંપવાનું છે? શું આપવાનું છે એ તો કહો? શું છે તમારી પાસે? એક ગંદુ શરીર છે. Lux અને liril થી નવડાવી નવડાવીને થાકી જાવ તો પણ પરસેવાની બદબૂ વહાવે એવું શરીર તમારી પાસે છે. અને રાગ – દ્વેષની અહંકારની ગંદકીથી ખદબદતું મન તમારી પાસે છે. આપવાનું શું છે… આ શરીર અને આ મન. એની માલિકીયત છોડી દો. પ્રભુને કહી દો, પ્રભુ મન તારું.

હવે મન પ્રભુને સોંપવું એટલે શું? પ્રભુની તમામ આજ્ઞાઓ ઉપર આપણને આદર હોય એટલે મન પ્રભુને સોંપેલું કહેવાય. તમે પાલન કેટલી આજ્ઞાનું કરો છો, એ પાછળની વાત છે. પણ પ્રભુની તમામ આજ્ઞાઓ પ્રત્યે તીવ્ર આદર તમારી પાસે આવી ગયો, તો તમે મન પ્રભુને સમર્પિત કરી દીધું. ક્યારે પણ બુદ્ધિને લાવતાં નહિ. સાધના માર્ગમાં આજ્ઞા ને સમજવાની છે ત્યાં ક્યાંય પણ બુદ્ધિને લાવતાં નહિ.

આદ્ય શંકરાચાર્યજીએ કહ્યું, “તર્ક: અપ્રતિષ્ઠિત:” સાધનામાર્ગમાં તર્ક વિચાર બિલકુલ નકામી ચીજ છે. બોલો એક વાત તમને પૂછું – તમે કાચા રસ્તા ઉપર ચાલો છો. બે રસ્તા ફાટ્યા. એક right જાય, એક left જાય. તમે m.b.a થયેલા છો કે c.a થયેલા છો. sign board પણ નથી. તો ખ્યાલ આવશે કે મારું ગામ કયા રસ્તે મને મળશે? બાજુના ખેતરમાં હળ હાંકી રહેલા ખેડૂતને તમે પૂછશો કે ભાઈ મારે આ ગામ જવું છે તો કયા રસ્તે જાઉં. તો એ કહેશે કે ડાબા રસ્તે જાવ. તમારું ગામ આવી જશે. તો ત્યાં તમારું જ્ઞાન ચાલશે ખરી…. પુસ્તકોનું? એમ સાધનામાર્ગ આપણા માટે અભ્યસ્ત નથી. નવો છે. તો એમાં બુદ્ધિ ક્યાંથી ચાલશે? એટલે માત્ર જોઇશે સમર્પણ.

એક પ્રોફેસર કાર લઈને મનાલી જવા નીકળેલા. એ વખતે ત્યાં કાચા રસ્તા હતા. અત્યારે પણ અમુક hill stations માં નક્કી કરવામાં આવે છે, કે ડામરના રોડો તો નહિ જ. માટીની સડક વધુમાં વધુ બનાવો. ડામરના રોડથી પર્યાવરણ તપી જાય. એ વખતે કાચા રસ્તા પ્રોફેસર કાર drive કરી રહ્યા છે. બે રસ્તા આવ્યા. Sign board નથી. પણ ત્યાં એક ઝુંપડી જેવું હતું. અને એક કાકા બહાર બેઠેલા હતા. પ્રોફેસર બહાર નીકળ્યા, કાકાને પૂછ્યું મારે મનાલી જવું છે, રસ્તો…? કાકા તો ફટાફટ બોલવા માંડ્યા. પહેલા ડાબે, પછી ૩ રસ્તા આવે, એટલે વચલા રસ્તે, પછી આગળ બે રસ્તા આવે એટલે જમણે, પ્રોફેસર કહે મને યાદ નહિ રહે લખવા દો. લખી લીધું. ગાડી start કરી, ૧૦ મિનિટે ગાડી હતી ત્યાં કાકાની પાસે આવીને ઉભી રહી ગઈ. પ્રોફેસર છક્ થઇ ગયો. બહાર નીકળ્યો. કાકા તમે કયો રસ્તો બતાવેલો? તમે કીધું એ રસ્તે હું ચાલ્યો અને અહીંનો અહીં આવ્યો. કાકા કહે: ok, હું તારી પરીક્ષા કરતો હતો. હું તને મનાલીનો રસ્તો બતાવું. પણ તું જવાનો છે કે નથી જવાનો બરોબર અને એ રસ્તે તું બરોબર ચાલશે કે નહિ ચાલે એની મને શ્રદ્ધા તો થવી જોઈએ. તું મારી પરીક્ષામાં પાસ થઇ ગયો. મેં લખાવરાવ્યું એ રીતે તે કાર drive કરી, એટલે મારી પરીક્ષામાં પાસ થઇ ગયો. હવે સાચો મનાલીનો માર્ગ બતાવું. અમે આવીને તમારી પરીક્ષા નથી કરતા. મન પ્રભુને સોંપી દેવું છે. આ મનમાં સતત સતત પ્રભુ પર પૂર્ણ પ્રેમ, પ્રભુની આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદર. તો આ રીતે આપણે જઈએ તો શું થાય? આપણી સાધના સમ્યક્ બને. એટલે આપણી સાધનામાં ૩ તત્વો જે ખૂટે છે એમાંથી પહેલું તત્વ છે પ્રભુ કૃપાનો સ્વીકાર.

વર્ષીતપ કર્યો, કોણે કર્યો, મેં કર્યો. માસક્ષમણ કર્યું, કોણે કર્યું, મેં કર્યું.

એક બહુ મજાની રૂપક કથા યાદ આવે. એક હાથી હતો, એ હાથી રોડ ઉપર ચાલતો હતો. એમાં વચ્ચે નદી આવી. નદી ઉપર પુલ હતો. પણ પુલ જુનો થયેલો. જર્જરિત. હાથીભાઈ ના પગલાં ધમ ધમ પડે. પુલ ધ્રુજવા લાગ્યો. પણ સદ્દભાગ્યે પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો રોડ શરૂ થયો. હાથીભાઈ ની journey રોડ ઉપર પાછી ચાલુ થઇ. હવે હાથીને તો ખ્યાલ પણ નહોતો. એક માખી હાથીના કાન પર બેઠેલી. એ માખીએ હાથીના કાનમાં કહ્યું કે હાથીભાઈ! હાથીભાઈ! આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો. પણ માખી તમારા કરતાં વધુ ઈમાનદાર ખરી કે નહિ. માખીએ એમ ન કહ્યું કે મેં પુલને ધ્રુજાવ્યો. શું કહે છે! આપણે બેઉ એ ભેગા થઈને પુલને ધ્રુજાવ્યો. એણે હાથીને પણ credit આપી ખરી…. તમે શું કરો? માસક્ષમણ મેં કર્યું.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે મહાવીર પ્રભુની સ્તવનામાં કહ્યું: ‘તું ગતિ, તું મતિ, આશરો તું’ પ્રભુ સાધનામાર્ગમાં, ગતિ તું જ છે. પ્રભુની કૃપા વિના સાધનામાર્ગમાં એક ઇંચ, એક સેન્ટિમીટર, તમે ચાલી શકતા નથી. એટલે ૧૫૦ – ૨૦૦ વર્ષ પહેલાં જે વિચાર, જે ભાવ આપણી ગળથુંથી માં હતો, મેં કર્યું પ્રભુની, કૃપા આ થયું પ્રભુની કૃપા. ગળથુંથી ની અંદર આ વાત હતી. કે જે પણ સાધના થઇ એ પ્રભુની કૃપાથી થઇ. છેલ્લા ૨૦૦ વર્ષના ગાળામાં આ વાત નીકળી ગઈ. આજે સવારે જે સ્તવન આપણે પ્રભુના ચરણોમાં પેશ કર્યું એ સ્તવનમાં શું હતું? પ્રભુ તે જ બધું કર્યું છે. સમ્યગ્દર્શન તે આપ્યું. ચારિત્ર પણ તે આપ્યું. ક્ષપકશ્રેણી મંડાવીશ તો તું જ મંડાવીશ. અને મોક્ષ પણ મને તું જ આપીશ. એટલે આપણી વ્યવહાર સાધના નિશ્ચય સાધનાને સ્પર્શતી નથી એનું એક કારણ આ છે. શું થયું? સાધનામાં આપણું કર્તૃત્વ આવી ગયું. મેં સાધના કરી. અહંકાર આવી ગયો. સાધના થોડી, અહંકાર ઘણો. અને એના કારણે આપણી વ્યવહાર સાધના વ્યવહારાભાસ બની ગઈ. એટલે આજથી જ practical રૂપે તમારા જીવનમાં આ વાત વણાઈ જવી જોઈએ. કે એક પણ ડગલું સાધનામાર્ગમાં મારાથી ભરાય છે એ માત્ર ને માત્ર પ્રભુની કૃપાનાં કારણે. આ બહુ જ મહત્વની વાત છે અને આ વાત નીકળી ગઈ એના કારણે આપણી વ્યવહાર સાધના આપણને થોડુક ફળ ઓછું આપતી થઇ ગઈ. ન આપે એવું તો બને જ નહિ. પણ વ્યવહાર સાધના દ્વારા જે ફળ આપણને મળવાનું હતું એમાં થોડો કાપ આવી ગયો. એટલે આપણી વ્યવહાર સાધનામાંજે ઉણપો છે એને આપણે સમજી લેવી છે એને દૂર કરવી છે. એટલે પ્રભુની સાધના પર ઊંડો સ્વાધ્યાય પણ કરવો છે. અને તમે જાવ એ પહેલાં પ્રભુની સાધનાની અને પ્રભુની અનુભૂતિ પણ કરવી છે. હવે practical કરીશું….

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *