Maun Dhyan Sadhana Shibir 12 – Vanchan 13

1 View
16 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : મંત્રદીક્ષા

મંત્રની એક વ્યાખ્યા : મનનાત્ ત્રાણા ચ મંત્ર: . તમે મનન કરો અને જે તમને રક્ષણ આપે, સુરક્ષાચક્ર આપે – એ મંત્ર. દા. ત. નમસ્કાર મહામંત્ર. નમો ઉપર આપણે વિચાર કરીએ અને નમસ્કારભાવને આપણી ભીતર ઘૂંટીએ, તો એ મંત્ર અહંકારના જંગલમાંથી આપણને બહાર કાઢી આપે. એ મંત્ર આપણું સુરક્ષાચક્ર બની જાય.

પ્રભુએ આપણને મંત્ર દ્વારા સુરક્ષાચક્ર આપ્યું છે. પણ એક સૂત્ર છે : surrender ની સામે care. તમે સમર્પિત હોવ, તો એ સુરક્ષાચક્ર તમને મળે. કદાચ તમે સંપૂર્ણ સમર્પિત ન થાઓ, પણ માત્ર એક અહોભાવની ધારામાં આવી જાઓ, તો પણ તમને આ સુરક્ષાચક્ર આજે જ મળી જાય.

મંત્રની બીજી વ્યાખ્યા છે : મનનાત્ ત્રાયતે ઇતિ મંત્ર:. તમે જો મંત્રનું rotation બનાવી શકો, તો વિચારોમાંથી તમને મુક્તિ મળી જાય. ગમે તેવા વિચારો ચાલી રહ્યા છે, વિકલ્પો ચાલી રહ્યા છે; તમારે એમાંથી બચવું છે, તો શું કરવાનું? મંત્રજાપ. મંત્ર એ વખતે speed-breaker થઇ જશે. સહેજ loudly, તમારા કાનને સંભળાય એ રીતે ભાષ્યજાપ કરો, તો વિચારોની speed તૂટ્યા વગર રહે નહિ.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના૧૩

પરમતારક મહામહિમ દેવાધિદેવ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દરબારમાં, એમના aura fieldમાં સ્વાનુભૂતિની સાધનાને ઘૂંટવાનો એક પ્રયાસ આપણે કરીએ. કલાપૂર્ણસૂરીદાદાએ પણ બહુ જ કૃપા કરી. એમણે કહ્યું, તમે મારી જોડે આવી જાઓ. મારી સ્વાનુભૂતિ તમને આપી દઉં.

આ સ્વાનુભૂતિને એકદમ સ્થિર કરવા માટે આજની મંત્રદીક્ષાની વિધિ છે. મંત્ર શબ્દના બે અર્થ છે. પહેલું નિરુક્ત એ છે, ‘મનનાત્ ત્રાણા ચ મંત્ર:’ તમે મનન કરો અને જે તમને રક્ષણ આપે, સુરક્ષાચક્ર આપે એ મંત્ર. દાખલા તરીકે નમસ્કાર મહામંત્ર. નમો ઉપર આપણે વિચાર કરીએ અને નમસ્કારભાવને આપણી ભીતર આપણે ઘૂંટીએ તો એ મંત્ર અહંકારના જંગલમાંથી આપણને બહાર કાઢી મુકે. એ મંત્ર આપણું સુરક્ષાચક્ર બની જાય. નમસ્કાર મહામંત્ર બહુ જ અદ્ભુત્ત ઘટના છે.

મેં પહેલા પણ કહેલું આપણી સાધનામાં ત્રણ અવરોધો છે. મુખ્ય અવરોધો ત્રણ. રાગ, દ્વેષ અને અહંકાર. પણ એમાં પણ મુખ્ય અવરોધ અહંકાર છે. સેન્ટર પોઈન્ટમાં તમારો ego છે. તમારાં ‘હું’ ને જે ગમે છે ત્યાં તમે રાગ કરો છો. તમારાં ‘હું’ ને જ્યાં અણગમો છે ત્યાં તમે દ્વેષ કરો છો. એ અહંકાર ટળે નહિ ત્યાં સુધી સાધનામાર્ગે એક ઇંચ, એક સેન્ટીમીટર આપણે જઈ શકીએ નહિ. તો એ સાધનામાર્ગની અંદર, સ્વાનુભૂતિના માર્ગની અંદર ગતિ કરાવનાર કોઈ પણ શ્રેષ્ઠ સાધન હોય એ છે નમસ્કાર મહામંત્ર.

એક નાનકડી જ વાત કરું. નમો સિદ્ધાણં તમે બોલો અને એની ભાવદશામાં તમે આવી જાઓ, અહંકાર ક્યારેય પણ આવી શકે ખરો? અને અહંકારની ઉપપેદાશ જેવા તિરસ્કાર, દ્વેષ, રાગ એ પણ આવી શકે ખરા? નમો સિદ્ધાણં. ભૂતકાળમાં જે સિદ્ધભગવંતો થયા એ બધાને હું ઝુકી ઝૂકીને પ્રણમું છું. વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રમાંથી જે પણ સિદ્ધભગવંતો થઈ રહ્યા છે એ બધાને મારો નમસ્કાર છે. અને ભવિષ્યની અંદર જે પણ સિદ્ધભગવંત થનારા છે એ બધાને મારો નમસ્કાર છે. હવે અત્યારના બધા જ મનુષ્યો, બધા જ સાધકો અને બધા જ પ્રાણીઓ ભવિષ્યના સિદ્ધ પરમાત્મા જ છે. હવે બોલો તમને કોના ઉપર તિરસ્કાર થઈ શકે? આજે નમસ્કાર મહામંત્રની આ અદ્ભુત્ત સાધના દીક્ષા-મંત્રદીક્ષા લીધા પછી એવું થઈ શકે. શું થઈ શકે? કે કોઈએ તમને કડવું વચન કીધું. એ વ્યક્તિ પણ માને છે. એક્શન સામે રીએક્શન આવે છે. તમે પણ ગુસ્સે થશો. એને  બદલે, એના એ કડવા વચનો સાંભળીને પણ તમે એના ચરણોમાં પડો. તમે ઝૂકીને એને નમસ્કાર કરો. એ વ્યક્તિ થોડા નવાઈમાં પડી જશે. આ શું? એક્શનની સામે રીએક્શન આવવાનું હતું, આ એક્શનની સામે નોનએક્શન ક્યાંથી આવ્યું? તરત તમે કહેશો, નમો સિદ્ધાણં. આપ પણ ભવિષ્યના સિદ્ધપરમાત્મા છો, આપની આશાતના કેમ થાય?

એક હોલ હોય મોટો, એમાં ૧૫-૨૦-૨૫ બહેનો સુતેલી હોય. આરામ કરતી હોય બપોરમાં. એમાં એક દીકરી નીકળે, એ દીકરીનો પગ કોઈ બહેનને અડી પણ જાય. એ બહેન એકદમ ગરમ થઈ જાય. ભાન રાખે છે કે નહિ, ધોળો દિવસ છે, દેખતી નથી. મને પાટુ માર્યું. આમ કર્યું. એ દીકરી બહુ જ પ્રેમથી મિચ્છામી દુક્કડમ્ કરે છે. પ્રેમથી ક્ષમા માંગે છે. એ દીકરી બહાર ગઈ એટલે એ બહેનને એની પડોશણે કહ્યું, તમે આને ઓળખતા નથી ને? આ મુમુક્ષુ છે. મહિના પછી વૈશાખ સુદ-૬ ની એની દીક્ષા નક્કી થઈ ગઈ છે. અને પેલી બહેનને થાય કે, અરે મુમુક્ષુ આત્મા! ભવિષ્યમાં દીક્ષા લેનારા આત્મા! ચાલો ચાલો મારે ત્યાં જવું જોઈએ, મારે એની ક્ષમા માંગવી જોઈએ. ભવિષ્યના દીક્ષિતો માટે તમારું આટલું સન્માન હોય, તો ભવિષ્યના સિદ્ધ ભગવાન માટે કેટલું હોય બોલો? તો ‘મનનાત્ ત્રાણા ચ મંત્ર:’ તમે મનન કરો, ચિંતન કરો- thinking કરો અને જે તમને રક્ષણ આપે, સુરક્ષાચક્ર આપે એ મંત્ર.

પ્રભુએ આપણને એક એવું સુરક્ષાચક્ર આપ્યું છે. કે તમે એક ક્ષણ માટે વિભાવમાં ન જાઓ. આ મંત્ર દ્વારા પ્રભુએ આપણને એ સુરક્ષાચક્ર આપ્યું છે. પણ એક નિયમ તમને બતાવું. એક સૂત્ર છે, surrender ની સામે care. Surrender ની સામે care. તમે તમારી કારની કાળજી રાખો તો એ કાર તમને હજાર કિલોમીટરની સફર કરાવે. પણ કાર ગેરેજમાં પડેલી હોય, એને જુઓ પણ નહિ, ઠાઠીયા જેવી થઈ જાય એવી થવા દો, અને પછી કહો મારે જવું છે એનાથી; જવાશે નહિ. એમ surrender ની સામે care. તમારુ સમર્પણ- પ્રભુની સુરક્ષા છે. કલાપૂર્ણસુરિ દાદાને પૂછો કે દાદા પ્રભુનું સુરક્ષાચક્ર કેવું મળેલું? એકદમ ભાવવિભોર થઈને કહેશે, અરે, શું વાત કરે છે તું? આ પ્રભુનું સુરક્ષાચક્ર એક ક્ષણ પણ મને મારા પ્રભુએ વિભાવમાં જવા દીધો નથી. ગમે તેવી ઘટના ઘટી તો પણ. પણ એની સામે દાદાની સાધના હતી, surrender ની. દાદા સંપૂર્ણ તયા પ્રભુને સમર્પિત થઈ ગયેલા અને પ્રભુ તરફથી સુરક્ષાચક્ર એમને મળી ગયેલું. તમે સંપૂર્ણ સમર્પિત ન થાઓ, એક અહોભાવની ધારામાં આવો તો પણ તમને આ સુરક્ષાચક્ર આજે મળી જશે. ‘નમો સિદ્ધાણં.’ ભવિષ્યના પણ બધા સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર.

અને ‘નમો લોએ સવ્વસાહુણં.’ લોકમાં રહેલાં પંચમહાવ્રતધારી બધા જ મહાત્માઓને નમન. પંચમહાવ્રતધારી જોઈએ. એ તપાગચ્છમાં છે, ખરતર ગચ્છમાં છે, અંચલ ગચ્છમાં છે, સ્થાનકવાસી પરંપરામાં છે. કઈ પરંપરામાં છે કંઇ જોવાનું નથી. પંચમહાવ્રતધારી છે કે નહિ એટલું જ જોવાનું છે. અને એ પંચમહાવ્રતધારી મહાત્મા છે એમને ઝુકી જવાનું છે. હવે બોલો, એ નમો લોએ સવ્વસાહુણં તમારી પાસે હોય. આટલા બધા સાધુ સંતો, તમે ભાવવિભોર થઈને એમને ઝૂકો. વિભાવોની તાકાત છે તમારી ભીતર આવી શકે? આટલા અહોભાવથી, તમે દરેક સાધુ-સાધ્વીઓને ઝુકતા હોવ. એ નમસ્કાર ભાવ દ્વારા તમને એક તીવ્ર energy મળશે. એટલે ભૂલે-ચૂકે પણ કોઈ પણ સાધુ-સાધ્વીની નિંદા તો નહિ જ કરવાની. કોઈની પણ નિંદા ન કરાય.

હરીભદ્રસૂરી મહારાજના શબ્દો છે. આર્યાપવાદ: જીહ્વોચ્છેદ સમ: યોગદ્રષ્ટિસમુચ્ચયમાં એ કહે છે, કોઈ પણ વ્યક્તિની નિંદા કરવી મતલબ કે આપણે આપણી જીભને આપણે કાપી રહ્યા છીએ. આર્યાપવાદ: જીહ્વોચ્છેદસમ: કોઈની પણ નિંદા ન થઈ શકે. પંચમહાવ્રતધારી, પ્રભુના માર્ગ ઉપર ચાલનારા સાધકોની નિંદા કઈ રીતે થઈ શકે? એટલે પંન્યાસજી ભગવન ભદ્રંકરવિજય દાદા પાસે જે લોકો નમસ્કાર મહામંત્ર લેવા જતા એ લોકોને ગુરુદેવ કહેતા પહેલા નિયમ લે કોઈ પણ સાધુ-સાધ્વીની નિંદા કરવાની નહિ પછી જ હું નવકાર આપું. કારણ, હું તને નવકાર આપીશ. એમાં આવશે નમો લોએ સવ્વસાહુણં. એક બાજુ તું બોલીશ, નમો લોએ સવ્વસાહુણં, બીજી બાજુ એ જ સાધુ-સાધ્વીઓની તું નિંદા કરતો હોઈશ. મેં આપેલો નવકારમંત્ર પણ તને ફળશે ક્યાં? નમસ્કાર મહામંત્રનું ઊંડાણ તો બહુ જ છે. ઉપધાનમાં તમે આવોને અઢારીયુ કરવા તો ૧૮ દિવસ સુધો અમે લોકો માત્ર નમસ્કાર મહામંત્રની ઉપર જ બોલતા હોઈએ છીએ. અને ત્યારે તમારો નવકાર મંત્ર સર્ટિફાઈડ થઈ જાય છે.

તો આજે તમને સામાન્ય દીક્ષા આપવી છે એટલાં માટે કહું છું કે નમો સિદ્ધાણં, નમો લોએ સવ્વસાહુણં આ બરાબર પકડજો. અને નમો અરિહંતાણંમાં પણ આ ભૂમિકા છે. વસ્તુપાળ મંત્રીની વાત આવે છે. સંઘ આવી રહ્યો છે. બહુ મોટો. હજારો યાત્રિકો છે એમાં. દરેક યાત્રીકોના પગ દુધથી ધોઈને પ્રક્ષાલ કરે છે. એ સવારના આઠેક વાગે યાત્રિકો આવવાના શરૂ થયા હશે. બે-ત્રણ-ચાર વાગ્યા સુધી પગ ધોવાનું કામ ચાલુ છે. એટલાં યાત્રિકો છે. અને એ વખતે એમના કોઈ માણસે કહ્યું, સાહેબજી ચાર વાગ્યા હવે તો. આપ સવારથી નવકારશી પણ કરી નથી, દૂધ પણ પીધું નથી, હવે ક્યાં સુધી? અને એ વખતે વસ્તુપાળના શબ્દો હતા, ભાઈ ખાધું ઘણા દિવસ છે, આજે તો કેટલી મોટી ભક્તિનો અવસર મળ્યો. આ જ યાત્રિકોમાં કોઈ ભવિષ્યમાં તીર્થંકર થનારો હશે, અને એ ભવિષ્યના અરિહંતની ભક્તિ કરવાનો મને લાભ મળ્યો છે. કોઈ પણ સંઘ કઢાવો તમે, ઉપધાન કરાવો. આ જ ભાવના આમાં એકાદ તીર્થંકરનો આત્મા આવી ગયો હશે. અને સિદ્ધના આત્મા તો બધા છે જ, એ બધાની મારે ભક્તિ કરવી છે.

તો મંત્ર શબ્દનો એક અર્થ થયો ‘મનનાત્ ત્રાણા ચ મંત્ર:’ બીજો એનો અર્થ છે, ‘મનનાત્ ત્રાયતે ઇતિ મંત્ર:’ તમે જો મંત્રોનું રોટેશન બનાવી શકો તો વિચારોમાંથી તમને મુક્તિ મળી જાય. આ બહુ મજાની વાત છે. પહેલી વાત પણ એટલી મજાની હતી. ચિંતન કરો અને રક્ષણ આપે, બીજી વાત એથી પણ વધારે મજાની છે. મનનાત્ ત્રાયતે ઇતિ મંત્ર:. ગમે તેવા વિચારો ચાલી રહ્યા છે, વિકલ્પો ચાલી રહ્યાં છે. તમારે એમાંથી બચવું છે શું કરવાનું? તમારે મંત્ર લાવી દેવાનો. મંત્ર એ વખતે સ્પીડબ્રેકર થઈ જશે. અને એ ભાષ્યજાપ કરવાનો છે એ વખતે. વિચાર આવે છે, નમો અરિહંતાણં, નમો અરિહંતાણં, નમો અરિહંતાણં, નમો અરિહંતાણં. સહેજ loudly તમારાં કાનને સંભળાય એ રીતે ભાષ્યજાપ કરો. જુઓ વિચારોની સ્પીડ તૂટ્યા વગર રહે છે કે નહિ? તૂટી જ જાય.

હિંદુઓમાં તો અને આપણા ત્યાં પણ અજપાજાપવાળા માણસો હોય છે. અજપાજપ એટલે શું? ચોવીસે કલાક ચાલુ હોય. મહેસાણાની બાજુમાં જોટાણા ગામ છે. ત્યાં અમારું ચાતુર્માસ. ગુરુદેવના પ્રવચનોમાં પટેલો પણ ઘણા આવતા. એમાં એક પટેલ હતા ગામના આગેવાન હરિભાઈ. એમને ગુરુએ એક રામનો મંત્ર આપેલો. સતત એ મંત્રજાપ કર્યા કરતા. મૌનમાં ચોવીસ કલાક રહેતા. ચોવીસ કલાક વર્ષોથી. એકવાર ગુરુદેવ પાસે કંઈક પ્રશ્ન પૂછવા આવ્યા. એ તો નોટપેન જ રાખતા. લખીને જ પૂછે. બોલવાનું તો છે જ નહિ એમને. સાહેબે એમના પ્રશ્નોના જવાબ આપ્યા. પછી ગુરુદેવે પૂછ્યું, હું બાજુમાં હતો. ગુરુદેવે પૂછ્યું, કે હરિભાઈ. તમે અજપાજપ કરો છો દિવસે તો તમારું ચાલુ જ હોય છે મને પણ ખ્યાલ આવે છે. પણ રાત્રે શું થતું હોય છે, તમે ઊંઘી જાઓ ત્યારે?  રાત્રે શું થાય? ભક્તની એક નિખાલસ ઉક્તિ કેવી હોય! એ કહે સાહેબ હું શિયાળાની રાતમાં બાથરૂમ જવા માટે ત્રણથી ચાર વાર ઉઠું છે. જે ક્ષણે હું ઉઠું છું. એ જ ક્ષણે જાપ ચાલુ હોય છે. એટલે હું માનું છું કે ઊંઘમાં ચાલુ રહેતો હશે બાકી તો ઉપરવાળો જાણે. રાતના ત્રણ-ચાર વાર ઉઠું છું. જે ક્ષણે ઉઠું છું. એ ક્ષણે જોઉં છું તો રામ-રામ-રામ-રામ ચાલુ જ હોય છે અંદર એટલે એમ માનું છું કે ઊંઘમાં પણ એ ચાલતું હશે. તમે આવું કરી શકો. વિચાર આવે એટલે સહેજ loudly. વિચાર ન આવે ત્યારે પણ અંદર નમો અરિહંતાણં, નમો અરિહંતાણં ચાલ્યા કરે. એટલે મન બીજે ક્યાંય આડે-અવળે ભાગે નહિ.

આપણે ત્યાં પેલા શેઠની વાત આવે. એક ભૂત એમને સિદ્ધ થયું. અને ભૂતે કહ્યું હું તારું બધું કામ કરી આપીશ. હું તારું બધું કામ કરી આપીશ પણ મને ફ્રી પડવા દેવાનું નહિ. એટલે આ વાણીયાને થયું, વાણીયાની બુદ્ધી મારી. આ ભૂતને શું ફ્રી પાડવા દઉં કહે છે. ચલ મારી માટે સાત માળની હવેલી બનાવ. દેવતાઈ માયા; બની ગઈ. મોટી દુકાન બનાવ. બની ગઈ. દુકાનમાં આટલી વસ્તુઓ લાવ. આવી ગઈ. હવે ઘરમાં ફર્નિચર બનાવ. આવી ગયું, હવે શું? માંગ્યુ, માંગ્યુ, માંગ્યુ ઘણું માંગ્યુ. કલાક-બે કલાક હવે? પેલાએ સ્પષ્ટ કહેલું, હું તું માંગે તે આપીશ, પણ હું જો ફ્રી પડ્યો તો તને મારી નાંખીશ. તો વાણીયો હતો હોશિયાર. બધા કામ પુરા થઈ ગયા અને ભૂતને કહ્યું. આપણી આ સાત માળની હવેલી છે. એ હવેલી જેટલો ઉંચો લાકડાનો વાંસ લઇ આવ. પેલો વાંસ લઇ આવ્યો. હવે શું કરવાનું? તો કહે જો હું કામ ભળાવું ત્યારે કામ કરવાનું. નહીતર આ વાંસ ઉપર ચડવાનું અને ઉતરવાનું. ચડવાનું અને ઉતરવાનું. તારે ફ્રી બેસવાનું નહિ.

આ મનનું ભૂત છે ને એ તમારે સાધવું હોય તો આ જ રીત છે. નહિતર એ મનનું ભૂત તમને ખાઈ જાય. પેલું ભૂત તો કદાચ પેલા શેઠનું એક જનમમાં એને ખતમ કરત. તમારું આ વિચારોનું ભૂત તો અનંતા જન્મોમાં તમને નરક અને નિગોદમાં લઇ ગયું છે. હવે આ ભૂતને પકડાઈ દો –  મનને. નવરું પડે એટલે નમો અરિહંતાણં આઈ જવાનું ચલો. આપી દો મનને આજ્ઞા. મારે કોઈ શુભ વિચાર કરવો છે તો કરી પણ લઈશ. જ્યાં શુભવિચાર મારો પૂરો થાય તરત તારે નમો અરિહંતાણં આઈ જવાનું. તો આવો એક શ્રેષ્ઠ આપણો મહામંત્ર નમસ્કાર મહામંત્ર એની આપણે દીક્ષા તમને આપવાની છે.

એ મંત્રદીક્ષા લીધા પછી ઓછામાં ઓછી નવકારમંત્રની એક માળા તો રોજ તમારે ગણવાની જ છે. વધારે ગણો તો અલગ. આ મંત્રદીક્ષા પછી એક માળા તો રોજ તમારે નમસ્કાર મહામંત્રની ગણવી જ પડે. અને અહી ધ્યાનાભ્યાસમાં એકાગ્રતાપૂર્વક જાપ કેમ થાય એની પ્રેક્ટીસ પણ પડી ગઈ છે. એટલે એકદમ એકાગ્રતાથી તમારો પ્રાર્થનાખંડ હોય ત્યાં જઈને, એકદમ ખંડને પણ બંધ કરીને, કોઈ અવાજ ન આવે એવી રીતે એકદમ શાંત ચિત્તે એક નવકારવાળી રોજ તમારે ગણવાની રહેશે. હવે આપણે મંત્રદીક્ષાની વિધિ શરૂ કરીએ.

…વચ્ચે આત્મરક્ષાની વિધિ .. અન્ય મંત્રોનું ઉચ્ચારણ …

સૌથી પહેલા આપણે આત્મરક્ષા કરી. કોઈ પણ અનુષ્ઠાન કરવાનું હોય છે આપણે ત્યાં ત્યારે તો સૌથી પહેલા નમસ્કાર મહામંત્રના પદો દ્વારા આપણા શરીરની રક્ષા કરવાની હોય છે. એ પછી આપણે મંત્ર સ્નાન કર્યું. પાણી દ્વારા તો તમે સ્નાન કરેલું પણ આપણી ભીતર જે વિચારોની મલિનતા રહી ગઈ હોય એ વિચારોની મલિનતા ને કાઢવાને માટે મંત્રસ્નાન આપણે કર્યું. તમે બધા એકદમ પવિત્ર અત્યારે બની ગયા છો. હવે આપણે નમસ્કાર મહામંત્ર દીક્ષા રૂપે તમને આપું છું. હાથ જોડી દો, ઉભા થઈ જાઓ બધા. 

…સાહેબે મંત્ર દીક્ષા આપી…

બેસી જાઓ. મંત્ર દીક્ષા પછી સદ્ગુરુનો વાસક્ષેપ લેવો આવશ્યક છે. મેં પહેલા પણ કહ્યું હતું એમ આ વાસક્ષેપ એટલે શક્તિપાત છે. એટલે આ નમસ્કાર મહામંત્ર એક શક્તિપાતના રૂપમાં તમને આપવામાં આવે છે. એટલે જે રીતે વ્યવસ્થા કહે  એ રીતે ક્રમસર બધાએ વાસક્ષેપ લેવા માટે આવવું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *