Prabhu Veer Ni Sadhna – Vachana 04

16 Views
22 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ગલિતવિભાવ

અસંગ એટલે ગલિતવિભાવ. ગલિતવિભાવ બનવા માટેનો રસ્તો ઇંદ્રિય-વૃત્તિ નિરોધ કરી. પ્રારંભમાં ઇન્દ્રિયોનો અને મનની વૃત્તિઓનો નિરોધ જોઈશે. આગળ વધતા વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ જોઈશે.

વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ આવે પછી દેખે અંતર આતમા. તમારી દ્રષ્ટિ માત્ર પોતાના નિર્મળ ચૈતન્ય પર જ હોય છે; તમે સ્વસ્થ બની જાઓ છો.

ઘટના ઘટિત થવાના સમયે જો તમે ઘટના સાથે જોડાયા ન હોવ, તો પાછળથી તે ઘટનાનું સ્મરણ ન રહે. એ જ નિરાભાસ દશા.

પ્રભુ વીર ની સાધનાવેસુ (સુરત) ચાતુર્માસ વાચના – ૦

પરમ તારક, ત્રિલોકેશ્વર, અખિલ  બ્રહમાંડેશ્વર પરમાત્મા મહાવીરદેવની સાડાબાર વર્ષની સાધના કથા

પહેલું જ સૂત્ર, પ્રભુની અસંગ યાત્રાનું છે. “अहुना पव्वईए रीयत्था”. “કરેમિ – સામાઈયં” નું ઉચ્ચારણ કર્યું અને પ્રભુની અસંગ યાત્રા ચાલુ થઈ. એ સંદર્ભમાં આપણે યોગપ્રદીપનો એક સ્લોક જોઈ રહ્યા છે. જેમાં સામાયિકની વ્યાખ્યા આપી છે. “નિસંગમ યન્નિરાભાસમ, નિરાકારમ‚ નિરાશ્રયં‚ પુણ્ય પાપ વિનિર્મુક્ત્મ મન: સામયિકમ સર્વે”. એવું મન જે અસંગ છે, નિરાભાસ છે, નિરાકાર છે, નિરાશ્રય છે અને પુણ્ય પાપથી રહિત છે. એ સામાયિક. પહેલું વિશેષણ છે અસંગ. અસંગ માટેનું એક બહુ જ યોગ્ય appropriate પર્યાય સમાધિશતકમાં આવ્યો છે. અસંગસાધક એટલે શું? સમાધિશતકમાં, મહોપાધ્યાયજી એવા સાધકને ગલિત વિભાવ કહ્યો છે. જેના વિભાવો રાગ, દ્વેષ, અહંકાર ખરી ગયા છે એવો સાધક. ગલિતવિભાવ. જન્મોથી એક સાધના ચાલતી હોય, વિભાવોને શિથિલ કરવાની, તો બની શકે કે એક જન્મ એવો આવે જ્યારે સામાન્ય નિમિત્તમાં તમે અસંગયાત્રામાં પહોંચી જાવ.

એક ભીંતને તોડવાની હોય, સવારથી મજૂરો લાગી પડ્યા છે, ઘણ ઉપર ઘાણ, ઘા ઉપર ઘાવ, પણ ભીંત મજબૂત છે, તૂટતી નથી. બાર વાગ્યા સુધી હથોડા લઈને એ લોકોએ કામ કર્યું. લગભગ ભીંત પડુ-પડુ થાય એવી થઈ ગઈ છે. બાર વાગે ભોજનની રિસેસ પડી. બે વાગે એક મજૂર પહેલો આવ્યો એણે એક હથોડો ઠોક્યો અને ભીંત જમીનદોસ્ત થઈ ગઈ. પણ એના એક હથોડાની પાછળ, એના એક ઘા ની પાછળ હજારો ઘા રહેલા હતા.

તો કેટલાય જન્મો સુધી વિભાવોને શિથિલ કરવાની સાધના ચાલુ થયેલી હોય. એક જન્મ એવો આવે એક ફટકો વિભાવ શિથિલ. 

એક બહુ જ પ્યારી ઝેન કથા છે. એક ઝેન સાધિકા પૂનમની રાત્રે કાવડમાં પાણી લઈ અને મંદિર તરફ જઈ રહી છે. પૂનમની રાત છે, અજવાળું ખૂબ છે. કાવડની બે બાજુ ઘડા હોય પાણી ભરેલા. આ ઉપાસિકાના ઘડા માટીના હતા. આગળનો જે ઘડો હતો એમાં પૂર્ણ ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું. એ પૂર્ણ ચંદ્ર એ ઉપાસિકાને બહુ ગમી ગયું. કેટલું મજાનું છે, પ્રતિબિંબ પણ કેટલું મજાનું છે. હવે એની નજર માત્ર ઘડામાં રહેલા ચંદ્ર તરફ છે, એટલે નીચે બરાબર જોવાતું નથી. એક પથ્થર આવે છે, ઠેસ એને લાગે છે એ પડી જાય છે. માટીના ઘડા ફૂટી જાય છે. ઘડા તો ફૂટી ગયા, એના ઠિકડા રહ્યા. ચંદ્રમા ક્યાં ગયો? બસ, આ એક જ નાનકડી ઘટના. જે ચંદ્ર મજાનો દેખાતો હતો, ગયો, અદ્રશ્ય થઈ ગયો, ખતમ થઈ ગયો. બધું જ અનિત્ય છે બધું જ અનિત્ય છે, આ વારંવાર ગોખેલું. સીધું practical થઈ ગયું. આ ચંદ્ર જેમ અસ્થાયી હતો એમ બધું જ અસ્થાયી છે. અસ્થાયીનો સંગ શેના માટે? 

અસંગયાત્રા ચાલુ થઈ ગઈ. લાઓત્સે બહુ મોટા સાધક. આજે પણ લાઓત્સેને તમે વાંચો ને તમને અઘરા પડે. એટલા એ વિદ્વાન હતા. ઝાડ નીચે બેઠેલા. સાધના સઘન થયેલી છે. એક નાનકડા નિમિત્તની જરૂરિયાત છે. વૃક્ષ નીચે બેઠેલા છે. ઉપરથી પાંદડું પડ્યું. પાંદડું તો પડ્યું, અંદરથી પણ કંઈક પડી ગયું, ખરી ગયું અને એ ગલિતવિભાવ થઈ ગયા. તો સમાધિશતકની કડી છે. ‘ઇન્દ્રિય વૃત્તિ નિરોધકરી, જો ક્ષીનો ગલિતવિભાવ, દેખે અંતર આતમ’ ગલિતવિભાવ. થવું છે તમારે? રાગ, દ્વેષ અને અહંકાર ખરી ગયેલા હોય, મજા જ મજા. અમારી મજા શી રીતની ? સાધક તરીકે, આપણી બધાની એક જાગૃતિ જોઈએ. રાત્રે સુઈએ ત્યારે હું તો પોતે બરોબર આકલન કરું છું. એકપણ પદાર્થ પર, એક પણ વ્યક્તિ ઉપર, કે આ શરીર ઉપર આસક્તિ સહેજ પણ નથી ને ? એ હું ચેક કરું છું. એક પણ વ્યક્તિ ઉપર આંશિક પણ દ્વેષ નથી ને ! એને હું જોઉં છું. અને અહંકાર પણ આજના દિવસમાં ક્યારે આવ્યો તો? ન હતો આવ્યો? એને પણ હું બરોબર જોઈ લઉં છું. સૂતા પહેલા રાગ, દ્વેષ, અહંકારને બિલકુલ શિથિલ બનાવીને સૂઈ જઉં છું.

તેરાપંથના આચાર્ય મહાપ્રજ્ઞ. ખરેખર જ્ઞાની. સાધક પણ એવા જ. એ મહાપ્રજ્ઞજીએ એમના એક પુસ્તકમાં લખેલું કે રાત્રે સૂતા પહેલા ‘સંથારા પોરિસી’ના સૂત્રમાં “સવ્વં તિવિહેણ વોસિરિઅં” બોલું છું ત્યારે literally બધું જ ખરી જાય છે. તેરાપંથના આચાર્ય એટલા બધા કાર્યક્રમો લઈને બેઠેલા હોય, એટલા સેમીનારો, એટલા પ્રોજેકટો, એટલા બધા બીજા કાર્યો. પણ એ કહે છે કે રાત્રે સૂતા પહેલા “સવ્વં તિવિહેણ વોસિરિઅં” બોલું છું ત્યારે literally બધું જ ખરી જાય છે. બીજી સવારે ઉઠું, ત્યારે કામને હાથમાં લઉં રાત્રે સૂતા પહેલા બધું જ disconnect કરીને સૂવું છું. તમારું disconnection ક્યારે હોય છે? રાગ, દ્વેષ, અહંકાર સાથેનું connection તો અનંત જન્મોનું છે. પણ disconnection રોજ થવું જોઈએ. તો એ જાગૃતિ કે આ જન્મની અંદર રાગ, દ્વેષ, અહંકારને એટલા તો શિથિલ કરી નાખું, કે આવતા જન્મમાં સમજણ આવે ત્યારથી વૈરાગ્ય ઉત્પન્ન થયેલો હોય. નીરહંકારદશા ઉત્પન્ન થયેલી હોય. 

તો સૂત્ર આ છે ‘ઇન્દ્રિય વૃત્તિ નિરોધ કરી, જો ક્ષીનો ગલિત વિભાવ, પેખે અંતર ભાગ’ ઇન્દ્રિયોનો નિરોધ અને મનની વૃતિઓનો નિરોધ. શરૂઆતમાં નિરોધ કરવો પડશે, વૃત્તિઓ માટે દમન એ એક માર્ગ છે શમન તો માર્ગ છે જ નહીં. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ ઊર્ધ્વીકરણ છે. વૃત્તિઓનું દમન કરશો પણ અંદર બીજ રહેલા છે, પાછા એ અંકુરીત થવાના જ છે. મહર્ષિ પતંજલી સંતો માટે એક બહુ જ સરસ શબ્દો વાપરેલા છે. ‘દબ્દબીજ’ જે પણ સંત છે, એ દબ્દ બીજ હોય એના રાગ, દ્વેષ, અહંકારના બીજો ખતમ થયેલાં હોય. આપડે ભલે અગિયારમે ગુણઠાણે, બારમે ગુણઠાણે આ કરશું પણ એની પહેલાથી પૂર્વ તૈયારી તો કરવી પડશે. તો દમન એ કોઈ માર્ગ નથી. ઈચ્છા થઈ અને ઈચ્છા પૂરી કરી એ શમન, એ પણ કોઈ માર્ગ નથી. ઊર્ધ્વીકરણ એ જ એક માર્ગ છે. ખાવાની ઈચ્છાને ખવડાવવાની ઈચ્છામાં ફેરવી નાખે છે. દેવાની ઈચ્છાને આપવાની ઈચ્છામાં ફેરવી નાખે છે, આ ઊર્ધ્વીકરણ છે. વેદોમાં એક શબ્દ આવે છે ‘ઊર્ધ્વરેકસ’. રેકસ એટલે તમારી શક્તિ. આત્મિકશક્તિ નહિ શારીરિકશક્તિ વીર્ય. એ નીચે પણ જાય, ઉપર પણ જાય. ૯૯% લોકોમાં એ શક્તિ નીચે જતી હોય છે. નિમ્નગામીની શક્તિ હોય છે. ૧% સાધકો એવા હોઈ શકે, કે જે આ શક્તિની ઉપર ચાલે. આપણા મહાપુરુષોના તમે ચિત્રો જોતાં, એમના મુખ ઉપર જોતા તમને લાગશે કે કેટલું તો વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ થયેલું હશે ત્યારે ચહેરા ઉપર આ તેજ આવે છે. ભગવતીસૂત્રમાં એક-એક માસના દીક્ષા પર્યાય સાધુના મુખની કાંતિ વધે એની વાત કરી છેને એનો સંબંધ આ ઊર્ધ્વીકરણ સાથે છે. જેમ-જેમ વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ થાય, તેમ-તેમ તમારા ચહેરા ઉપરની ચમક આખી બદલાતી જાય છે. લક્સને લીરીલની કોઈ જરૂર નથી હો મુખની કાંતિ માટે. સાબુની જરૂરિયાત નથી. જરૂર છે વૃત્તિઓના ઊર્ધ્વીકરણની. તો ‘ઇન્દ્રિય વૃત્તિ નિરોધ કરી’, પહેલા તમે નિરોધ કરો પણ આખરે તો ઊર્ધ્વીકરણમાં તમારે જવું જ છે.

મને એક બહુ સારા સાધકે પૂછ્યું કે, તમે સાહેબ વારંવાર કહો છો કે દુનિયાની શ્રેષ્ઠતમ સાધના અમારી પાસે છે. એનો પ્રશ્ન એટલો ઊંડો હતો, આપને હલી જઈએ એવો. એણે મને પૂછ્યું કે આવી શ્રેષ્ઠ સાધના જે લોકોને મળી છે એ સાધુઓ, એ સાધ્વીઓ એમના ચહેરા પર કેવી દીપ્તિ હોવી જોઈએ. એમના ચહેરા સપ્રાણ કેમ નથી ? ઠીક છે. આપણે બુદ્ધિશાળી માણસો હોઈએ, જવાબ ગમે તેમ લોચા કરીને આપી દઈએ. પણ આપણે બધાએ આ એક વિચારવાની જરૂર છે, કે પ્રભુની સાધના જેને મળેલી હોય, એનો ચહેરો કેવો હોય અને ચહેરા ઉપર એવી દીપ્તિ હોય, એવો આનંદ હોય કે શાતા પૂછવા આવનાર શરમાઈ જાય કે આમને શાતા પૂછવાની? એટલે સાધના જ્યારે સપ્રાણ બને ત્યારે તમારા ચહેરા દીપ્તિથી છલકાઈ જાય તો સાધનાને સપ્રાણ કરવું છે અને એના માટે આજની વાત આ છે, વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ. તો શું થશે? જો ક્ષીનો ગલિતવિભાવ. વિભાવો ખરી ગયા. ‘દેખે અંતર આત્મા’ પછી માત્ર એની દ્રષ્ટિ પોતાના નિર્મલ ચૈતન્ય પર છે. અને એ આગળ જઈને નિર્મલ ચૈતન્યમાં સ્થિરતા કરશે. આ જ સમાધિશતકની વાત પાતંજલ યોગસૂત્રમાં આવે છે. પાતંજલ યોગસૂત્રનું બીજું સૂત્ર આવ્યું. ‘યોગશ્ચિત વૃતિ નિરોધ’ અને પછી તરત કહ્યું તદાદ્રસ્ટુ સ્વરૂપે અવસ્થા’, ‘તદાદ્રસ્ટુ સ્વરૂપે અવસ્થા’ જ્યાં વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ થયું, તમે સ્વસ્થ બની ગયા, સ્વમાં સ્થિર બની ગયા. પણ આ સાંભળ્યાં છતાં, આજે આના માટે મહેનત કઈ થવાની એ તમારા વતી હું કહી દઉં. સાંભળી પણ લીધી, કો-કે નોટ પણ કરી લીધી પણ આના માટે મહેનત નહી કરો અને એનું કારણ એ છે કે, જ્યાં સુધી અલપ-ઝલપ પણ સ્વનો આનંદ તમે નહીં માણો, ત્યાં સુધી તમે પરને છોડવાના નથી. મને ઘણા સાધુઓ પૂછે કે, સાહેબ ખાવામાં-પીવામાં બહુ મજા આવે છે તો શા માટે છોડીએ એને. છોડીએ શા માટે? મજા આવે છે, આનંદ આવે છે. અને જ્યાં સુધી તમારી પાસે સ્વના આનંદનો option ન આવે ત્યાં સુધી તમે પરમાં રહેવાના જ છો.

આપણા બધા જ ગ્રંથો એક જ વાત છે. પરને છોડો, સ્વને પકડો. ઘણીવાર કહું, આ ભિન્ન- ભિન્ન ગ્રંથો છે ને એ આપણા મન માટેની ચીટીંગ છે. વાત એકની એક જ હોય, શબ્દો અલગ હોય તમને થાય આ ગ્રંથ વાંચુ, આ ગ્રંથ વાંચુ, પણ કોઈપણ ગ્રંથ વાંચો, વાત એક જ આવવાની છે. પરમાંથી તારી ચેતનાને મુક્ત કરી તું એને સ્વમાં સ્થિર કર. કેટલી વાર સાંભળ્યું, કેટલી વાર વાંચ્યું, પણ ત્યાં ને ત્યાં જ છો. અને આવું આ જન્મમાં સાંભળ્યું એવું થોડું છે,  કેટલાય જન્મોમાં, કેટલાય સદ્દગુરુ મળી ગયા. હરિભદ્રાચાર્ય જેવા કે હેમચંદ્રાચાર્ય જેવા સદ્દગુરુ મળી ગયા. એમના ચરણોમાં બેઠા એમણે કહ્યું પરને છોડ સ્વને પકડ. ‘તહત્તિ’ ગુરુદેવ. તમે ‘તહત્તિ’ કોણે કહો, સાચું કહો. 

ચોમાસુ ઉતરે. એક ટુકડી ગુરુદેવ સાથે જવાની હોય, એક ટુકડી ગ્લાન મુનિઓની સેવા માટે ત્યાં રહેવાની હોય. તમને થાય કે ગુરુદેવ સાથે રહેવા મળે તો સારું. અને ગુરુદેવે કહ્યું કે તારે મારી સાથે આવવાનું છે. ‘તહત્તિ’ ગુરુદેવ. ‘તહત્તિ’ કહ્યું? અને ગુરુ બે સાધુઓને બોલાવે. તમારે એક મહોત્સવ પર નિશ્રા આપવા માટે જવાનું છે. તમારા મન તો એકદમ sensitive હોય. આમ, secondમાં નક્કી કરી નાખો કે પેલું ગામ બહુ સારું ગામ. આપણા ભક્તો ઘણા છે ત્યાં. રસ્તો પણ બહુ સારો છે. ‘તહત્તિ’’ ગુરુદેવ. ફરી કહ્યું અનુકૂળતાની તહત્તિ કે ગુરુની આજ્ઞાની તહત્તિ? તો કેટલાય સદ્દગુરુઓ મળી ગયા એમણે કહ્યું પણ ખરું. પણ તહત્તિ ક્યાં સુધી આવીને અટકી? તમારી અનુકૂળતા સુધી આવીને અટકી. ખરેખર સદ્દગુરુના વચનો આત્મસાત ક્યારેય પણ થયા નહીં. એટલે જ “જય વીયરાય” સૂત્રમાં ‘સુહ-ગુરુ-જોગો’ મૂક્યા પછી ‘તવ્વયણ-સેવણા’ કહ્યું છે. ગુરુના વચનની સેવા ક્યારે થશે, સદ્દગુરુ યોગ મળેલો હશે ત્યારે. તમે નહીં હોવ, તમારી ઈચ્છા નહીં હોય, તમારી કોઈ જણજણાં નહીં હોય અને માત્ર સદ્દગુરુ ની આજ્ઞા હશે એ સદ્દગુરુ યોગ તમને મળેલો હશે પછી જ ‘તવ્વયણ-સેવણા’ થશે, એ પહેલા ‘તવ્વયણ- સેવણા’ નહી હોય. ‘તદાદ્રષ્ટુ’ સ્વરુપે અવસ્થા છે, બહુ અઘરી બાબત નથી. સાચું કહો, આમ પરમાં રહેવું અઘરું કે સ્વમાં રહેવું અઘરું. પરની દુનિયામાં કેટલાને રાજીને રાખવા પડે? કેટલાને?  કેટલાને ગામ પંચાયતની ચૂંટણી લડવી હોય ને તો કેટલાને રાજી રાખવા પડે. મત માટે ઘરે ઘરે ફરવું પડે. અહીંયા તમે આવી ગયા, રિઝવવાં એક સાંઈ એક સાંઈ. એકમાત્ર માત્ર મારે મારા ભગવાનનને રિઝવવાના છે, બીજું કાંઈ મારે કરવાનું નથી. આ તમારી સાધના.

તો, સામાયિકમાં પહેલું વિશેષણ આવ્યું ‘અસંગ’. બીજું છે ‘નિરાભાષ’, આભાસ, સ્મૃતિ, સ્મરણપણ. ઘટનાનું સ્મરણ પાછળથી ન હોય, એ મન તે સામાયિક. ઘટનાનું સ્મરણ પાછળથી ન હોય, એવું ક્યારે બને,  જ્યારે ઘટના વખતે અમે ઘટના સાથે જોડાયા ન હોવ, તો પાછળની ઘટનાનું સ્મરણ ન હોય.

એક આચાર્ય ભગવંત એક ગામમાં પધાર્યા છે એક મુનિરાજ વ્હોરાવા માટે ગયા. વ્હોરીને આવ્યા સીધા ગુરુદેવ પાસે. ગુરુએ જોયું એના ગાલ પરથી લોહી દદડી રહ્યું છે, બીજા મુનિઓ આવી ગયા. લોહીને રોકી દીધું. ડ્રેસિંગ જેવું કરી નાખ્યું. લોહી દદડતું હતું. પણ સ્મિત પણ દદડતું હતું. કોકે પથ્થર મારેલો મુનિને. લોહી દદડી રહ્યું છે. લોહી ભલેને દદડે, સ્મિત પણ વહેતું હતું. ગુરુ એને પૂછતા નથી કે કોણે તને પથ્થર લગાડ્યો. તમે પૂછો ને! કોણે લગાડ્યો. કર્મે લગાડ્યો. કોણે લગાડ્યો. તમને કોઈએ કડવું વચન કીધું તો કોણે કીધું, એ વ્યક્તિએ કીધું કે તમારા કર્મે કીધું. કર્મગ્રંથ પાંચ-છ ભણેલા હોય. પણ પંચસંગ્રહ, કમ્મપયડી કરેલી હોય પછી કે એણે મને કીધું. નયનાબેનની પરીક્ષામાં પાસ થયાં હોવ, નાપાસ થઈ જાવ. ZERO એણે મને કીધું. એણે કીધું કે તારા કર્મે કીધું. પાછુ એણે મને કીધું, એટલે મને માં પણ ખોટી વાત. શરીરને ‘હું’ માનીને બેસી ગયો. ગુરૂ જ્ઞાની છે. ગુરૂ પૂછતાં નથી કે તને કોણે પથ્થર લગાડ્યો. પણ ગુરૂ છે. સંઘનું યોગક્ષેમ વિચારવું એ એમની ફરજમાં આવે છે. વિચાર્યું આ તો મુનિ છે. કાલે કોઈ સાધ્વીજી ભગવતી હોય અને કોઈ અનાડી માણસ હોય અને હેરાન કરે તો? એટલે મારે સંઘને સમાચાર આપવા જોઈએ. એટલે ગુરૂએ પૂછ્યું, કે કયા ઘર પાસેથી આ પથ્થર નિકળેલો. એ તને ખ્યાલ ખરો? આ નાનું ગામ. દસ-પંદર ઘર હતા. બે શેરી હતી પાછી, એમાં પથ્થર ક્યાંથી આવ્યો. એ ખબર જ ન હોય? પણ એ મુનિરાજ કહે છે. Please ગુરુદેવ, મને પાંચ દસ મિનિટ આપો. હું વિચાર કરી લઉં કે કયા ઘર પાસેથી પથ્થર નીકળ્યો. હું ઘણીવાર કહું કે પથ્થર મારવાની ઘટનાને પોતાને બેખબર રાખે એ મસ્તી કેવી હશે. તમારી પાસે એ મસ્તી ખરી ? ‘મુજે મેરી મસ્તી કહા લેકે આઇ, જહાં મેરે અપને સિવા કુછ નાહી’. મારા સિવાય કોઈ નથી પછી?  પથ્થર મારવાની ઘટનાથી મુની બે ખબર છે. વાગી ગયો, કયા ઘર પાસે વાગ્યો, મને યાદ કરવું પડશે, આ શેરીમાં ગયો ત્યાં વાગેલો કે બીજી શેરીમાંથી વાગ્યો. ના..ના.. પહેલી શેરી ફર્યો ત્યાં સુધી તો કાંઈ હતું નહીં બીજી શેરીમાં. બીજી શેરીમાં. ક્યાં લાગ્યો હશે?.. આ શું હતું? પરમાં તમે જેટલા બેખબર એટલા જ તમે સ્વની દુનિયામાં અગ્રેસર. પરની દુનિયામાં જે ચાલાક હોય એ સ્વની દુનિયામાં આગળ કેમ વધી શકશે?

એક સાધુ હોય. બુદ્ધિશાળી બહુ છે. દસ જણા એમની સલાહ લેવા આવે. એક સાધ્વીજી પ્રબુદ્ધ છે વીસ સાધ્વીઓ એની સલાહ લેવા આવે. એ સલાહ આપે છે. સલાહ આપે ત્યાં સુધી ઠીક, પણ પેલા કહે વાહ! શું solution તમે આપ્યાં. અને અહંકાર વધતો જાય, વધતો જ જાય, વધતો જ જાય. આ અહંકાર આટલો વધતો જાય તો એ વ્યક્તિ સ્વની દુનિયામાં ક્યારે જાય? ગલિતવિભાવ શબ્દની અંદર એક વાત આવી કે વિભાવો જેના ખરી પડ્યા છે. સૌથી કપરામાં કપરો વિભાવ અહંકાર છે. રાગ અને  દ્વેષમાં તમને થોડો ખ્યાલ આવશે. પરંપરામાં તમે છો, તમે કંઈક સાંભળેલું પણ. ખાતા રાગ આવે છે તમને થાય છે કે મને રાગ થાય છે.  રાગ બરોબર થયો. ગુસ્સો કરો, ત્યારે પણ થોડુંક થઈ જાય કે દ્વેષ કરવો બરાબર નથી. અહંકાર જે છે ને એટલો સૂક્ષ્મ હોય છે કે ક્યારેક તો અહંકાર છે એનો ખ્યાલ પણ તમને આવતો નથી. અહંકાર અપેક્ષાના નામે આવે, પ્રભુની અપેક્ષા એને સોપાદીક પ્રેમ કહે છે. હું પ્રભુની ભક્તિ કરું, પ્રભુ મારું કંઈક કામ કરી આપે. આ સોપાદિક પ્રેમ છે આપણે નિરૂપાધિક પ્રેમ જોઈએ છે જ્યાં ‘હું’ નથી. ‘હું’ ની કોઈ કામના નથી. 

વિવેકાનંદ જ્યારે ગૃહસ્થપણામાં હતા, નરેન્દ્ર રૂપે હતા. ત્યારે થોડી આર્થિક જવાબદારી બાકી રહી ગયેલી. પિતા જતા રહેલા અને આર્થિક જવાબદારી પોતે પૂરી કરવાની હતી. એ પૂરી કર્યા પછી સંન્યાસ લઈશ. પૂરી કર્યા વિના સંન્યાસ લે તો સંન્યાસ વગોવાય કે જો ભાઈ પૈસા આપી ન શક્યો એટલે સાધુ થઈ ગયો. તો ગુરુને કહ્યું (રામકૃષ્ણ પરમહંસને) કે આટલા પૈસા જોઈએ. શું કરું? કોઈપણ ગુરુ શિષ્યને પોતાની આંગળીએ વળગાડી રાખવા ઇચ્છતા નથી. તમે જે દિવસે પ્રભુની આંગળી પકડો, પ્રભુની આજ્ઞાની આંગળી પકડો. એ દિવસે ગુરુને પરમ આનંદ થાય છે. તો ગુરુ કહે છે કે પ્રભુને કહી દે ! મને શું કહે છે. જા પ્રભુને જઈને કહી આવ. નરેન્દ્ર પ્રભુ પાસે જાય છે. ચાર કલાક મંદિરમાં ભક્તિ કરે છે, ભક્તિ કરીને આવે છે. ગુરુ પૂછે છે. પ્રભુને કહ્યું તે? હવે, નરેન્દ્ર કહે છે પ્રભુ પાસે ગયો, પ્રભુમાં ડૂબી ગયો, બધું જ ભૂલી ગયો. devosal પર devosal, love for love. એ જ રીતે સદ્દગુરુ પ્રત્યે તમને અપેક્ષા છે. તો અપેક્ષા હશે તો શું થશે? પેલા ને અડધો કલાક ભણાવ્યો, મને દસ મિનિટ ટાઈમ આપ્યો, પેલાને બે કલાક ભણાવ્યા, મને અડધો કલાક ભણાવ્યો. હું ઘણીવાર કહું, આવું તમે ગુરુ પ્રત્યે જોઈ શકો ખરા? પણ જુઓ છો એનું કારણ શું? તમારી અપેક્ષા. તમારૂં ‘હું’. એ ગુણો સારા ક્યારે?  તમને ખ્યાલ છે. ગણિતનો એક નિયમ છે, કેન્દ્રે પરિઘના અનુસારે ચાલવું જોઈએ. કેન્દ્રમાં તમારું ‘હું’ છે. એટલે ગુરુ સારા કયા? તમારા ‘હું’ ને પંપાળે એવા. સીધી વાત છે. કયા ગુરુ સારા હોય. આજે મુમુક્ષુ બહેનો આવેલી હોય તે બધીને પૂછીએ કે કયા ગુરુ સારા લાગે. સારા કયા લાગે, બરોબર ખબર રાખે એવા, શરીરની ખબર રાખે કે આત્માની ખબર રાખે એવા.

મોટા ડોક્ટર હોય ને હોસ્પિટલમાં વિઝીટે નીકળે, પછી જનરલ વોર્ડ છે. એક patient પાસે આવ્યા. જોડે nurses, બીજા doctorનો કાફલો હોય, મોટા doctor કહે તે પ્રમાણે નોંધ કરતા જાય. તો એક patientના ખાટલા પાસે આવ્યા, monitor જોયું, report જોયો. એકદમ સારું હતું. કેમ છો uncle મજામાં? ચાલો.. ટાટા..  બાજુના ખાટલા ઉપર એકદમ critical patient છે.doctor ત્યાં ખુરશી મંગાવે છે બેસી જાય છે. પોતાના કલિગ doctor જોડે ચર્ચા કરે છે ક્યારેક ફોન ઉપર બીજા મોટા doctor જોડે ચર્ચા કરે છે. કે આ દવા આપી, આ દવા આપી, આ દવા આપી, કોઈ ફરક પડતો નથી તો એના માટે શું કરવું જોઈએ. અડધો કલાક ત્યાં બેસે છે. પેલા એક મિનિટવાળાને શું થાય બોલો. આ ડોક્ટર સાહેબ કહેવાતા હશે. સાહેબ ખુશ, સાહેબ ખુશ Discharge mode છે. ગણિત તો એ જ થાય ને, મારી પાસે એક મિનિટ બેઠા અને અહીંયા તો અડધો કલાક બેઠા. આ તો ચાલતું હશે. ચાલે? તમારે ન ચાલે. ડોક્ટરે શું કરવું એ ડોકટરે વિચારવાનું કે પેશન્ટે વિચારવાનું. ગુરુએ શું કરવું એ ગુરુએ  જોવાનું કે શિષ્યે જોવાનું. એક મજાની કથા યાદ આવી ગઈ વચ્ચે. એક ગુરુ. એક શિષ્યને પોતાની જોડે ને જોડે રાખે. બીજા બધાને ક્યારેક ક્યાંક મોકલે. પણ આ શિષ્યને તો પોતાની જોડે જ રાખે. તમે અહંકાર શેમાંથી ઊભો નઈ કરો એની નવાઈ છે. પેલા એ આમાંથી અહંકાર ઊભો કર્યો. ગુરુ મહારાજ છે ને બીજા બધાને ક્યારેક ક્યાંક મોકલે, મને તો મોકલે જ નહીં બહાર. મારા વગર તો ગુરુને ચાલે જ નહીં. એકવાર એના સંબંધીઓ આવેલા અને એ મુનિ કહી રહ્યા હતા કે ગુરુ મહારાજની કૃપા છે ખાસ. મને તો જોડે ને જોડે જ રાખે. મારા વિના તો ગુરુ મહારાજને ચાલે જ નહીં. એનું બોલવું, ગુરુનું ત્યાંથી પસાર થવું. ગુરુ સાંભળી ગયા. ગુરુ તો ગંભીર હોય એટલે એ વખતે ગુરુ કાંઈ બોલ્યા નહીં. સાંજે પેલો વંદન કરવા ગયો. ત્યારે ગુરુએ પૂછ્યું કે ‘હું તને જોડે ને જોડે રાખું છું પણ તેનું કારણ તને ખબર છે? તું એવો critical patient છે, કે મારા સુપરવિઝન વિના તને એક મિનિટ રખાય એમ નથી.’ તમે બધા બહુ મજાના છો, કેટલું સરસ મળ્યું. શ્રામણ્ય વિડંબન રમણીય. આવું અદ્દભૂત શ્રામણ્ય મળી ગયું. કદાચ દુનિયાની કોઈ સાધનાપદ્ધતિને આટલું મજાનું વ્યવહાર નિશ્ચયનું balancingનું અને બીજુ મેં વચ્ચે કહ્યું હતું એમ we have the living school. એ જીવંત પરંપરાઓ આપે. એ જ યુનિફોર્મા આપણા પાસે છે જે ૫૦૦ વર્ષ પહેલાની ગુરુમુર્તિમાં દેખાય છે we have the living school. એ જીવંત પરંપરા આપણી પાસે છે, એ પરંપરા આપણને મળી છે, એ પરંપરા ને આપણે નતમસ્તક છીએ અને એ પરંપરાએ આપણને ખૂબ-ખૂબ-ખૂબ આપ્યું છે. આપણી પરંપરાને નમસ્કાર.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *